સોરઠી સંતવાણી/હરિ વિના અન્ય નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિ વિના અન્ય નથી

જાગીને જોતાં રે, સપનું સમાઈ ગયું,
પ્રગટ્યો કોઈ પરમાતમ પરકાશ;
સદ્ગુરુ સૃષ્ટા રે, હરિ વિના અન્ય નથી,
મિથ્યા દીસે માયા કેરા આભાસ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
ઉલજણ ભાંગી રે સુલજણ સ્હેજમાં રે,
મટી ગયા વાયુક જીવના ફંદ;
સોહમ્ સનાતન રે સબઘટ રમી રિયો,
વરત્યા કોઈ અક્ષરાતીત આંદ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
પોંચી નવ શકે રે, બુદ્ધિ તિયાં બાપડી રે,
મન ને વાણીથી વસ્તુ છે વરજીત;
સ્થૂળ ને સૂક્ષમથી રે પર પરખાતમાં,
નિર્ગુણ નિર્મોહી નિશ્ચલ તત્ત્વસ્વરૂપ.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.
સૂન્યાતીત સૂનમાં રે દીસે છે સોયામણાં,
ઝળકે કોઈ તેજ-પંજર ભરપૂર;
બાહિર તે ભીતર રે, સબરસ રામ રમે,
રવિદાસ ઝીલે બ્રહ્મ-સિંધુનાં નૂર.
— જાગીને જોતાં રે સપનું સમાઈ ગયું.

[રવિદાસ]