સોરઠ, તારાં વહેતાં પાણી/કાઠિયાવાડનો ક્રાંતિકાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કાઠિયાવાડનો ક્રાંતિકાળ

‘જન્મભૂમિ’માં કટકે કટકે આવેલી આ સળંગ વાર્તા આજે પુસ્તકદેહ પામીને વાચકો પાસે રજૂ થાય છે. લેખક જેને પોતાની સહુથી વધુ સંતોષપ્રદ કૃતિ ગણે છે તેની પ્રસિદ્ધિને પોતાનું સૌભાગ્ય સમજે છે. અથથી ઇતિ સુધી આ વાર્તા સ્વતંત્ર છે. એના એકેય પ્રસંગમાં અપહરણ નથી, અનુકરણ નથી, અન્ય કોઈ કૃતિનું છાયાઝીલણ પણ નથી. તેમ બીજી બાજુએ આત્મચરિત્ર પણ નથી. છતાં સ્વાનુભવમાં સાંપડેલી, છેલ્લાં ચાલીસેક વર્ષની અંદર સોરઠી જીવનમાં બનેલી ઘટનાઓને તેમજ વ્યક્તિઓને તાણાવાણા લેખે વાપરીને વણેલો આ વાર્તાપટ છે. પોલીસ-અમલદાર મહીપતરામના ચરિત્રાલેખનમાં કાઠિયાવાડ એજન્સી પોલીસ ખાતાની કોઈ એક વિશિષ્ટ વ્યક્તિનો નહીં પણ એ ખાતાના વાતાવરણનો ઉઠાવ કરવાનો ઉદ્દેશ છે. શિસ્ત અને ચપલતા તેમજ નીતિ અને મર્દાનગીને હિસાબે આજે પણ બીજી સર્વ પોલીસના કરતાં ચડિયાતી લેખે સ્વીકાર પામેલી આ એજન્સી પોલીસનો પ્રાણ પકડવામાં લેખકને જે વિશિષ્ટ રસ પડ્યો છે તેનું એક કારણ તો આ છે કે લેખકના પોતાના પિતાની નોકરી દરમિયાન લેખકે એ વાતાવરણ કાઠિયાવાડનાં વિકટ સ્થાનો પર પડેલાં અનેક એજન્સી આઉટ-પોસ્ટ થાણાંમાં રહીને પીધેલું છે. મહીપતરામનો પૌત્ર ‘ભાણો’ પિનાકી કલ્પિત પાત્ર છે, અને તેની અંદર કાઠિયાવાડની આજે તો ખીલી ઊઠેલી યુવાનીનો એ પ્રથમ કાળ, ઉગમ કાળ, સ્વપ્નશીલ, ભાવનારંગી, અને સ્વયંસ્ફુરીત બંડનો પ્રાત:કાળ બતાવવાનો પ્રયત્ન છે. એક ઊતરતી પાયરીના પોલીસ અમલદારની ધૂળમાં રમતી પુત્રી દેવલબા કાઠિયાવાડના એક મોટા રજવાડાની પટરાણી બને છે તે ઘટના કલ્પિત નથી. જ્યારે પિનાકીની પરણેતર બનનાર પુષ્પા પણ એના પતિના જેટલી જ કલ્પિત છે. રૂખડ શેઠના પાત્રાલેખનનો પહેલો હોકારો લેખકને એક સોરઠી રજવાડાના એક ગામડાના શૂરવીર વાણિયાની સાચી ઘટનામાંથી મળેલો છે. પણ તેના ઘરમાં બેઠેલી ‘સપારણ’ મેર-યુવતીનું પાત્ર લેખકે સોરઠી બહારવટાઓમાં ઘૂમી ગયેલી એક કરતાં વધુ ઓરતોની તેજપુંજમાંથી ઘડેલું છે. એ બાઇનું અદાલતમાં પ્રકટ થતું પ્રસંગાલેખન ગોંડળની એક કોર્ટમાં બનેલા બનાવનો ચિતાર ખેંચે છે. જોગી જીવનમાંથી ગૌચરના કજિયા ખાતર બહારવટે નીકળનાર લખમણ વીસ વર્ષ પૂર્વેના સોરઠને ઓળખારાઓથી અજાણ્યો નથી. બંડખોર દરબાર સુરેન્દ્રદેવની રાષ્ટ્રભાવે સળગતી માનવ-મૂર્તિની પ્રેરણા દરબારશ્રી ગોપાળદાસના સોરઠી જીવનકાળમાંથી જડી છે. અને વાર્તાના સાયંકાળ હેઠળ વિચરતી બંદૂકધારી વિભૂતિ જે શેઠ, તેને તો પારેવાળાના ભડ વણિકખેડુ છગનભાઈ મોદીના વ્યક્તિત્વનું બળ મળ્યું છે એ આ વાર્તા ચાલુ હતી તે વેળાના ઘણાય હાલારી વાચકોએ પકડી પાડેલી હકીકત છે. વિક્રમપુરનું બંદરી રાજ્ય, તેનાં કાંટિયાં વર્ણોમાંથી થયેલી સૈન્ય-ભરતી, ૧૯૧૪-૧૮ના મહાયુદ્ધ સાથેનો સોરઠી જીવનનો એ કડવો સંબંધ, વગેરે વાતો પણ એક સહકર્મચારીના માનસિક દફ્તરમાંથી જીવતી ને જીવતી જ જડેલી છે. આ તમામ પાત્રો ને પ્રસંગોના આલેખનકાળે કાઠિયાવાડ બહારના કેટલાક વાંચકોને સંદેહ પડેલો કે આવી ઘટનાઓ આટલા નજીકના કાળમાં બની હતી? તે સર્વને પ્રતીતિ કરાવવા માટે આટલો પરિચય આવશ્યક હતો. [‘જન્મભૂમિ’, ૩૦-૬-૧૯૩૭