સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઓઢો ખુમાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઓઢો ખુમાણ


આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં ‘કરણ મહારાજનો પહોર’ ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈને ગઢની અંદર આઈને ઓરડે ચાલી ગઈ. “ભગા ડેર!” ઓઢા ખુમાણે આ અજાણ્યાં પગલાં ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું : “જાવ, તપાસ કરો, કોણ મહેમાન આવ્યાં છે?” ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોદ્ધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલાં છે, એને મોઢે ને માથે પંપાળી રહ્યાં છે, અને વડારણ આખી વીતક વાર્તા સંભળાવે છે : “માડી! આ દીકરા પાલિતાણા દરબાર નોંઘણજીના કુંવર થાય, એમનું નામ ઉન્નડજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે, અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. મા બિચારાં ફફડી હાલ્યાં, દીકરો કોને જઈ સોંપવો? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે? અને પૈસાને લોભે દગોય કોણ ન રમે? આઈ! એકાએક મારાં માને આપા — ઓઢો ખુમાણ — સાંભર્યા. એણે મને કહ્યું કે ‘આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે. એના ખોળામાં મારો ઉન્નડ આશરો પામશે. જા, ઝટ આપાને સોંપી દે. વીરને કે’જે કે બોન ઓળખતી-પાળખતીયે નથી, તોય ‘ભાઈ’ કહીને ભાણેજનાં રખવાળાં ભળાવે છે.” વાત સાંભળીને ઓઢા ખુમાણનાં ઘરવાળાં બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉન્નડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું : “તયીં બાપ, તમે એકલાં કાં આવ્યાં? માને કેમ ન લાવ્યાં?” “અરેરે આઈ! મા તો અલ્લુજીની કેદમાં કે’વાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના આપે? હું તો અધરાતે આ દીકરાને લઈને છાનીમાની નીકળી આવી, તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી’તી.” “કેમ?” “કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગતસંગ રહે. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઊગતો સૂરજ! એને પૂજવાનું કોણ ભૂલે? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો, અને થોડી વારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનનાં રખવાળાં તે કુંવર બચી ગયા. માંડ આંહીં તમારે ખોળે પહોંચ્યાં છીએ. આઈ! મારાં માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી!” “ભગા ડેર!” આઈએ કહ્યું : “કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાવ, અને કાઠીને કે’જો કે આખ્યુંનીય ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીરપહલી માગેલ છે. સાચા ધરમ-ભાઈને શોભે તેવું કરી દેખાડજો.” દાતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢા ખુમાણે ઊગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે —


ભલે ઊગા ભાણ! ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત!

તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી. અને વડારણે કહેલી આખી વાત વર્ણવી, તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઊભરાઈ. એ બોલ્યા : “આવ્ય, બાપ ઉન્નડ, આવ્ય તને પાલિતાણાની ગાદી ઉપર બેસાડું.” એમ કહીને કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી અટ્ટહાસ્ય નીકળી ગયું. ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો. પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી; એણે પૂછ્યું : “કેમ મેરામભાઈ! તમારા હસવાનો મરમ શું છે?” “મરમ બીજો શું? તમારે કહ્યે કાંઈ ત્યાં ખોળામાં પાલિતાણાની ગાદી આવી પડે છે, ઓઢા ખુમાણ! એ તો એમ બોલાય, પણ ભાયડા હોય તે વિચારીને બોલે.” ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા; પછી કડવો ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા : “ખરું છે, મેરામભાઈ! લ્યો ત્યારે આ ખોળામાં જ ઉન્નડજીને બેસાડી રાખી પરબારા પાલિતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસોદરનું પાણી હરામ છે.” એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી, ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો : “લાવો મારી ઘોડી.” ઘોડી પર બેસી, અંગે હથિયાર ધરી, ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે. પોતાનાં બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે ‘એક સો, એક સો ઘોડેસવાર આવીને આજ રાતે મને પાંચતોબરાને પાદર ભેગા થાય.’ એ પ્રમાણે બારસો શસ્ત્રધારી યોદ્ધાનાં ઘોડાં આવીને પાંચતોબરામાં હણહણી ઊઠ્યાં. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી, એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનાવળી મેર બોલ્યો : “આપા, જો અત્યારે ઘોડાં ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોઈ ફાડ પણ ઈજા નહિ થાય. વિના જખમે પાલિતાણું લેવાશે.” ફોજ ચડી ચૂકી. પોહ ફાટતાં પાલિતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખૂલ્યો કે તરત જ તમામ પાલિતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ, અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે. કોઈએ સામાં શસ્ત્ર ન ઉગામ્યાં. પણ દરબારગઢની ડેલી પર કેસરી ભાથી નામનો એક રજપૂત પોતાના એંશી ઘોડેસવારોને લઈને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો : “કેસ ર, હું પાલિતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાલિતાણાનો દાણોય ન ખપે. તું ખસી જા.” “આપા ઓઢા ખુમાણ! આજ આ બુઢ્ઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું; એક ભવમાં બે ધણી નહિ કરું.” કેસર ભાથીએ ઓવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બન્ને બાજુ શૂરવીરો હતા; કેસરના જોદ્ધા કપાવા લાગ્યા; ઓઢાના આદમીઓ પણ ઊડવા લાગ્યા. સહુ જુદ્ધમાં તલ્લીન છે, કોઈનું ધ્યાન નથી; તેટલામાં માઢ માથેથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી તે અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી. પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નડજી બંનેનો જીવ નીકળી જાત; પણ નિમકહલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલિતાણાનો ધણી બેય ઊડશે! એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતી ચીરી જમીનમાં પેઠી; પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નડજીને પાલિતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે —


ઘાટોડે ઘડિયો, તુંને લૂણ તણા,
માટીઆઈએ માણા, એતી જ હૂતી ઓઢિયા.

[હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ! તને જ્યારે પ્રભુરૂપી કુંભારે (ઘાટોડે) ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ, તને બનાવવા પૂરતી જ, માટી (મરદાનગીરૂપી) રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી.]