સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભીમોરાની લડાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભીમોરાની લડાઈ

“કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું! તમને જસદણના બા’રવટિયાને હું શી રીતે સંઘરું?” “આપા નાજા ખાચર! મેં બા’રવટું ખેડ્યું તે અધરમનું નહિ. મારે ઘરધણીને ચડવાનું એકનું એક હૈયાસામું ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી ઝૂંટવી લીધું. આવો અધરમ મારાથી સહેવાણો નહિ.” “ત્યારે શું કરવું?” “બીજું વળી શું કરવું, બાપ?” ચારણે ચાનક ચડાવી : “તું ઊઠીને આજ આ શરણાગતને નહિ સંઘર્ય, બાપ નાજા? અરે —


બા’રવટિયો આવે બકી, હોય મર વેર હજાર;
(એને) ભીમોરા ભોપાળ, શરણે રાખે સૂરાઉત.

“માથે હજારું વેર લઈ આવનાર બા’રવટિયાને તું ભીમોરાનો ધણી, સૂરગ ખાચરનો બેટડો, શરણું નહિ દે, તો ધરમ ક્યાં ટકશે, બાપ?” “ઠીક ભાઈ, ટાઢાણા! તું મારા પ્રાણ સાટે છો, ભા! તુંને ભીમોરાનો ઓથ છે. મારું મર થાવું હોય તે થાય.” “ધન્ય બાપ! ધન્ય નાજા!” ગઢવીએ ધણીને બિરદાવ્યો :


ધર વંકી, વંકો ધણી, વંકો ભીમોરા વાસ,
નીલો સુરાણી નાજિયો, મટે ન બારે માસ.

[તારી બંકી ધરતી. એવો જ બંકો તું એનો ધણી : એવો જ બંકો તારો ગઢ ભીમોરા : અને સૂરગના પુતર નાજા! તું તો સદાનો લીલોછમ; તારાં દલ સુકાય નહિ.] ચોટીલાથી ત્રણ ગાઉ, થાન સ્ટેશનથી છ ગાઉ, બોટાદ-વીંછિયા રેલવેના સ્ટેશન કાળીસરથી ત્રણ ગાઉ અને જસદણથી દસ-બાર ગાઉ આ ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે. ડુંગરાને પડખે ‘ભીમની ખોપ’ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં, પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પણ પોતાની માલમિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતાં બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના હાથમાં ચોવીસ ગામ હતાં. એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બહારવટે નીકળેલ ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી. એણે ભીમોરે સંદેશો મોકલ્યો કે “અમારો ચોર કાઢી દ્યો.” નાજા ખાચરે જવાબ કહેવરાવ્યો કે “ટાઢાણો તો મારો શરણાગત ઠર્યો. હવે એને ન સોંપું, એને મેં અભયવચન દીધું છે.” ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હીંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા મંડી. ભીમોરું દોહ્યલું હતું. ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબારાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી. ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરનાં રણવાજાં વાગ્યાં. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપબંદૂકોથી નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે. “નાજાભાઈ!” માણસોએ કહ્યું : “આ દળકટકની સામે ટકાશે નહિ, માટે નાઠાબારીએથી નીકળી જાયેં.” નાજા ખાચરે ડોકું ધુણાવ્યું : “ના બાપ! જેને જીવ વા’લો હોય એ સુખેથી નીકળી જાવ, મારે તો બે ભવ જીવવું નથી. મારી સાત પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો!”


ત્રંબાળુ ચેલા તણા, વાગ્યાં કોઈ વહળોય,
(પણ) ગરુ ગડક્યા નોય, નાઠાબારી નાજિયા!

[ચેલા ખાચરના ત્રંબાળુ ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા. પણ કાંઈ ‘ચેલા’ની બીકથી ગુરુ (નાજો) નાઠાબારીમાં થઈને નાસે કદી?] આઠ જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો અને નીચે બેઠી છે મરાઠી સેના. સેનાને ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેડી હતી. પડખે ઊંડાં કોતરો હતાં. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી, અને ગઢમાં ઝાઝાં માણસો હોવાનો વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી થઈ. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ?


આઠ મહિનાની આશ, મે ગાજે ને શાદુળો મરે,
નો સાંખે નિજ વાસ, નાળ્યુંના ધુબાકા નાજિયો.

[શાદુળો નામનો સિંહ ફક્ત આઠ જ મહિના — શિયાળો અને ઉનાળો જ — જીવે, અને ચોમાસામાં વરસાદની ગર્જના થતાં તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંઈક છુપાઈને ડણકે છે. એટલે શાદુળો એ સિંહને શોધતો, વરસાદની અદૃશ્ય ગર્જના ન સાંખી શકવાથી માથાં પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ શી રીતે સહન કરી શકે? મરું કે જીવું એ જ એના મનમાં થાય.] કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી? માત્ર આઠ જ માણસો હતાં અને પાણી ખૂટવા લાગ્યું હતું, નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કૂવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું. કૂવા ઉપર તો સેના પડી હતી. આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી. પોતાનાં બાળબચ્ચાંને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધાં. પાણી વિના આઠેય જણા તરફડતા હતા. એક ટીપુંયે ન રહ્યું. પણ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતો. એનાથી તરસ ન સહેવાણી. રાતમાં ઊઠીને એ નાજા ખાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો. પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો. તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દડતો દડતો એ તળેટીમાં બાબારાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને ચેલા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઇશારતમાં સમજાવ્યું. એને પાણી પાવામાં આવ્યું. ચેલા ખાચરે પૂછ્યું : “ગઢમાં કેટલાં માણસો છે?” ટાઢાણે જવાબ આપ્યો : “ફક્ત આઠ જણા.” તરત જ ફોજને હુકમ મળ્યો : “હવે ફિકર નહિ. ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો. કરો હલ્લો!” અને હલ્લો મંડાણો. થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં બે મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બન્ને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે એ બન્ને જણાને કહ્યું૰ કે “ભાઈઓ, હવે તમે નીકળી જાઓ. નહિ તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે.” મારવાડીઓએ જવાબ દીધો : “નાજા ખાચર! અમે તમારો રોટલો ખાધો. હવે અમારાથી કેમ જવાય! દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું, અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે! એને બદલે આંહીં જુદ્ધમાં ક્ષત્રીને બે ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગાપરને માર્ગે તમારા જેવા શૂરવીરોના સાથ ફરી ક્યાંથી મળે? માટે અમારે તો હવે ‘અઠે જ દ્વારકા’.” (ત્યારથી આપણા પ્રાંતમાં ‘અઠે દ્વારકા’નું ઓઠું પ્રચલિત થયું.) “ભાઈઓ!” નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી : “હવે આપણી ઘોડિયુંને ગૂડી નાખો.” એટલું બોલતાં એની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરી વાર બોલ્યા : “હા બાપ! ઘોડિયું તો મને મા-દીકરિયું જેવી વા’લી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણાં ધીંગાણામાં રમાડ્યો છે. પણ શું કરું? મારી ઘોડિયું દુશ્મનને હાથ કેમ પડવા દઉં?” આઠેય ઘોડીઓને હાજર કરી. તરવારને એકેક ઝાટકે એનાં રૂપાળાં દેવાંગી ડોકાં પડવા માંડ્યાં. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી. “બસ, બાપ!” નાજા ખાચરે હાકલ કરી : “એ બેને મારશો નહિ. એને મરવું વસમું લાગે છે. છોડી મેલો! ભલે ચાલી જાય.” બેય ઘોડીઓને મોકળી મેલી દીધી. સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા, બરાબર ચૉકમાં ધીંગાણું મચ્યું. આઠ જણા ક્યાં સુધી ટકે? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્યા; એણે ઘણાને સુવાડ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અર્ધી ભાંગેલી સોનાની મૂઠવાળી તરવાર પડી હતી. મૃત્યુને ઝાઝી વાર નહોતી. ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનું સાંકળું જોયું. સામે સોનાની મૂઠવાળી તરવાર જોઈ. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની બે ચીજો લઈ જઈ પોતાની શાબાશી કહેવરાવવી હશે! એ નીચે બેસીને નાજા ખાચરના પગનાં સાંકળાંની ખીલી ખોલવા લાગ્યો. લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું : ‘હાય! હાય! હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે?’ પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવાય એમ નહોતું. અર્ધી તૂટેલી તરવાર એ આઘે બેઠેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી. એણે શું કર્યું?


ઉતબંગ ટેકણ એક, બીજે હાથ વાઈ બજડ,
(આમાં) વખાણવો વશેક, નેક ભજ કિયો નાજિયા?

[એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું, અને બીજે હાથે તરવારનો ઘા કર્યો. હે નાજા ખાચર! આ બે વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી?] પરંતુ તરવાર શી રીતે મારી?


રીંખેને સર રપીઅર તણે, કોઈ વાઈ કરમાળ,
(ઈ) બાળાપણ બરદાળ, કીં સંભારિયું સૂરાઉત?

[બાળકની માફક તું ગોઠણભર થયો, અને પછી રિપુના માથા ઉપર તેં તરવારનો ઘા કર્યો. હે બિરદવાળા પુરુષ! એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું? કારણ કે ભાંખોડિયાભર તો તું બાલ્યાવસ્થામાં જ ચાલેલ હતો.]


ઇંદર અપસર નજરાજ, જોગણ ધર ગરજણ જંબુક,
લોહ જીવત મૃત લાજ, તેં સાચવિયાં સૂરાઉત.

[તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં હતો. ઇંદ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો. અપ્સરા વરમાળ લઈને પહેરાવવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપ્પર ભરવા આતુર ખડી હતી. પૃથ્વી (ધર) પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીધડાં અને શિયાળવાં તારું માંસ ભક્ષવા આવી પહોંચેલાં. લોઢાની તરવારને પણ તેં હાથમાં રોકી રાખી. જીવનને પણ કહ્યું કે ‘ખડું રહે!’ મોતને પણ ફરમાવ્યું કે ‘થોડી વાર થોભી જા.’ પોતાના કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાંને ઘડીભર તેં અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો.] એ ભાંગેલી તરવારને એક ઝટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો.


ઉતબંગ ખગ થાતે અળગ, ધડ લાગ્યું ધાગે,
ખેલ્યો રણખાગે, તું નવતેરી નાજિયા.

[હે નાજા ખાચર! પછી તો તારું માથું (ઉતબંગ) પડી ગયું, અને તારા હાથની તરવાર (ખગ) પણ પડી ગઈ. એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી, શત્રુઓને હાથમાં ઉપાડી-ઉપાડીને પટકવા લાગ્યું. રણ-સંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવતેરીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે નવ અને બીજે હાથે તેર હાથી ઉપાડીને આકાશમાં ઉછાળ્યા હતા. આંહીં નાજા ખાચરે માણસોને ફંગોળી ફંગોળી પછાડ્યા.]


નાજા જ્યું મરાય નૈ, સાબધ હરમત સૉત,
મોડું ને વે’લું મૉત, સૌને માથે સૂરાઉત.

[જોકે વહેલુંમોડું તો સહુને મરવાનું છે. પરંતુ, હે સૂરા ખાચરના પુત્ર નાજા ખાચર! તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લી પળે પણ તેં તારી કીર્તિ સંભાળી રાખી.] ભીમોરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો. પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે. આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે :


[ગીત શાણોર સાવઝડું]
સૂબા ટોપીઆંરી ફરિયાદ સતારે, ફોજ નમ્યા ખંડ ચારે ફતારે,
મીટે ચડ્યો ગનીમાને મારે, સૂરાણી નજરાજ ન સારે.

[જે ફતેસિંહરાવની ફોજ પાસે ચાર ખંડના લોકો નમ્યા હતા, તેના ટોપીવાળા સૂબા પાસે ફરિયાદ કરવા ચેલો ખાચર પહોંચ્યો, ફરિયાદ કરી કે સૂરા ખાચરનો દીકરો નાજો ખાચર કોઈનું કહ્યું માનતો નથી. મોટા મોટા હાકેમોને પણ નજરે પડતાં જ મારી નાખે છે. (મરાઠી સેનાને ‘ટોપીઓ’ કહી, કારણ કે તે વખતે મરાઠાઓનાં લશ્કરોમાં યુરોપી સોલ્જરો, કવાયતદારો રાખવામાં આવતા. ગનીમા = સૂબા.]


ધણી હકમ દીઆ દળ ધાયા, આગુ ધાઈ મદાઈ આયા,
વાગી હાક ત્રંબાળુ વાયા, જધભૂખ્યા નજરાજ જગાયા.

[આ ફરિયાદ સાંભળીને સૈન્યના માલિકે હુકમ દીધો, એટલે દુશ્મનો ધસીને ભીમોરા ઉપર આવ્યા. હાકલો વાગી, નોબતો ગડગડી. લડાઈનો ભૂખ્યો નાજો ખાચર જાગી ઊઠ્યો. મદાઈ = દુશ્મન.]


તરવારાંરી વાજે તાળી, વાઢી ઘણા મરેઠા વાળી,
ખસ્યા મરાઠા હાંજા ખાળી, વજા બણી રણથંભરવાળી.

[તરવારો સામસામી અથડાવા લાગી, કેમ જાણે તરવારો સામસામી તાળીઓ દેતી રમત રમતી હોય! મરાઠાની સેનાનાં ઘણાં માણસો કપાયાં. મરાઠાઓ હિંમત હારી ગયા. રણથંભોરના ઘેરામાં જેમ બાદશાહનું સૈન્ય લાચાર થઈ પડ્યું હતું, તેવું જ ભીમોરાના ઘેરા વખતે મરાઠી લશ્કર બની ગયું. ઘણા દિવસ સુધી મારો ચલાવ્યા છતાં કિલ્લો તૂટતો નહોતો.]


આયા જાઈ ભાઈ અરાઠી, લાખાહરો લડે લોહ લાઠી,
પો! વશટિયા કહે પરાઠી, કાં ચૂકૂવ કાં નીકળ, કાઠી.

[ચેલો ખાચર પોતાના જાતભાઈને પણ લઈને આવ્યો, છતાં લાખા ખાચરનો એ પૌત્ર નાજો ખાચર તો લોઢાની લાકડીની માફક અડગ બનીને લડતો રહ્યો. શત્રુ-સેનામાંથી વિષ્ટિ કરવા માટે માણસો આવ્યા; તેઓ કહે કે, ‘ઓ કાઠી, કાં તો દંડ ચૂકવી દે, નહિ તો કિલ્લાની બહાર નીકળ.’]


કે’ વશટિયા આભકપાળો, પંચમુખ ખડ નો ખાય પટાળો,
હઠ મેલે નજરાજ હઠાળો, (તો) મેર ડગે ને ધ્રૂજે ડખમાળો.

[એ આભ જેવા વિશાળ કપાળવાળો વીર જવાબ આપે છે કે ‘જેમ કેસરી સિંહ કદી ઘાસ ખાય નહિ તેમ હું પણ કદી નમીશ નહિ.’ જો ટેકીલો નાજો ખાચર પોતાની હઠ મૂકે તો પછી મેરુ પર્વત ચળે અને આકાશ ધ્રૂજી જાય. પંચમુખ = સિંહ; ડખમાળો = આકાશની નક્ષત્રમાળ.]


દંડ ન ભરા હું રામદુવાઈ, મરવો ભીમ તણા ગઢ માંહીં,
આદ અનાદ તણી અવળાઈ, છોડાં કીં હું અવળચંડાઈ.

[‘રામદુવાઈ લઈને હું કહું છું કે હું દંડ નહિ ભરું, સુખેથી આ ભીમોરા ગઢમાં લડીને મરીશ, મારી સદાની અડગતા હું નહિ છોડું.’]


લડે દખણ દળ ભરડા લીધા, કાઠે જોર અનોધાં કીધાં,
દસદસ વાર ગનીમાને દીધાં, દસ દા’ડા લગ નીર ન પીધાં.

[દક્ષિણીઓની સેનાએ ગઢની આસપાસ ઘેરો ઘાલ્યો. તેની સામે નાજા ખાચરે પણ અપૂર્વ બળ દાખવ્યું. દસ દસ વાર તો સૂબાને પાછો કાઢ્યો. દસ દિવસ સુધી પાણી વિના ટક્કર ઝીલી.]


જળનો તરસ્યો દળમાં જાઈ, કોપ્યો સૂબો ને હલાં કરાઈ,
હડેડે જંજોળ્યાં નાળ્ય હવાઈ, ચાર પો’ર તરવાર ચલાઈ.

[પાણીનો તરસ્યો ટાઢાણો કાઠી દુશ્મનોના લશ્કરમાં પહોંચ્યો. એની વાત સાંભળીને બાબારાવે હલ્લો કરવાનો હુકમ આપ્યો. તોપો ને બંદૂકો છૂટી.]


ધજવડ વાળો તોરણ ધરિયો, ફેરા ચાર ચોરીમાં ફરિયો,
કાળો ખુમો અણવર કરિયો, વર નાજો અપસરને વરિયો.

[એ નાજો ખાચર કેમ જાણે યુદ્ધરૂપી લગ્ન કરતો હોય! તરવારનાં જાણે તોરણ બંધાયાં. પોતાના અણવર તરીકે એણે કાળા ખુમાણને રાખ્યા અને આખરે મરીને એ વરરાજા નાજો ખાચર અપ્સરાઓની સાથે વર્યો. (ધજવડ = તરવાર)]


એકલવેણો વૈકુંઠ આયો, લાડરખાન જાનૈયા લાયો,
મોતીરો હરિએ થાળ મંગાયો, વે સખીએ નજરાજ વધાયો.

[એકવચની એ શૂરવીર વૈકુંઠમાં જાન જોડીને ગયો. પોતાની સાથે મરેલા શૂરવીર જાનૈયાને સાથે લઈ ગયો. સ્વર્ગમાં પ્રભુએ મોતીનો થાળ મંગાવ્યો ને લક્ષ્મીજીએ વરરાજા નાજા ખાચરને પોંખ્યો.]