સ્મૃતિસંપદા
અમેરિકાવાસી ગુજરાતીઓના પરદેશી ભૂમિ પરના અનુભવોને આલેખતું દસ્તાવેજી પુસ્તક ‘સ્મૃતિસંપદા’ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં એક અલગ ભાત ઉપસાવે છે. આ પુસ્તકમાં પંદર જેટલા સિદ્ધ લેખકોએ પોતાની જીવનકથા જાતે લખી છે. અમેરિકામાં વર્ષોના વસવાટ પછી સફળતાના શિખરે પહોંચ્યા બાદ સ્મૃતિપટ પર સચવાયેલા એમના અનુભવો ખરેખર પ્રેરણાત્મક છે. અજાણી ભૂમિ, અજાણ્યા લોકો, અલગ ધર્મ, અલગ ભાષા અને અલગ સંસ્કૃતિ વચ્ચે પાંગરવું એ એક મોટું સાહસ છે. ‘સ્મૃતિસંપદા’માં સ્વહસ્તે આલેખાયેલી આ સાહસકથાઓમાં ગુજરાતના ખમીરનું તેજ પ્રકાશે છે એટલું જ નહી પણ માતૃભાષા પ્રત્યેનો પ્રેમ પણ છલકાતો જોવા મળે છે. ગુર્જરી પ્રકાશન(અમેરિકા) વતી શ્રી કિશોર દેસાઈના માર્ગદર્શન હેઠળ શ્રીમતિ રેખા સિંધલ દ્વારા સંપાદિત આ પુસ્તકનું પ્રકાશન ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, જાણીતા અર્થશાત્રી શ્રી નટવર ગાંધી, અનેક પારિતોષિકો મેળવેલ ડો. જયંત મહેતા, અવકાશ વિજ્ઞાની ડો. કમલેશ લુલ્લા, કવિયત્રી દેવિકા ધ્રુવ, ઉદારદિલ વૈજ્ઞાનિક ડો. દિનેશ શાહ, પ્રખ્યાત ભાષાવિજ્ઞાની ડો. બાબુ સુથાર, ડાયાસ્પોરા લેખિકા સરયૂ પરીખ, ડો. ઈન્દુ શાહ, સપના વિજાપુરા, રેખા સિંધલ, અશોક વિદ્વાંસ, અરવિંદ ઠેકડી, જગદીશ પટેલ અને મનસુખ વાઘેલા, આમ અમેરીકાના વિવિધ રાજ્યોમાંથી વિવિધ ક્ષેત્રના લેખકોએ આ પુસ્તકમાં એમના અમેરીકાના અનુભવો લખ્યા છે. આ રસદાયક અને પ્રેરણાત્મક પુસ્તક વાંચકો અને અભ્યાસુઓ માટે ઉપયોગી બની રહેશે.
આભાર સહ... –રેખા સિંધલ