સ્વાધ્યાયલોક—૨/ધ ફીનિક્સ ઍન્ડ ધ ટર્ટલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘ધ ફીનિક્સ ઍન્ડ ધ ટર્ટલ’

THE PHOENIX AND THE TURTLE
Let the bird of loudest lay,
On the sole Arabian tree,
Herald sad and trumpet be,
To whose sound chaste wings obey.

But thou shrieking harbinger,
Foul precurrer of the fiend,
Augur of the fever’s end,
To this troop come thou not near.

From this session interdict
Every fowl of tyrant wing,
Save the Eagle, feather’d King,
Keep the obsequy so strict.

Let the Priest in surplice white,
That defunctive music can,
Be the death-divining Swan,
Lest the Requiem lack his right.

And thou treble-dated Crow,
That thy sable gender mak’st,
With the breath thou giv’st and tak’st,
’Mongst our mourners shalt thou go.

Here the Anthem doth commence,
Love and Constancy is dead,
Phoenix and the Turtle fled,
In a mutual flame from hence.

So they loved as love in twain
Had the essence but in one;
Two distincts, division none,
Number there in love was slain.

Hearts remote, yet not asunder;
Distance, and no space was seen
‘Twixt this Turtle and his Queen;
But in them it were a wonder.

So between them love did shine,
That the Turtle saw his right
Flaming in the Phoenix’ sight;
Either was the other’s mine.

૧૦Property was thus appalled,
That the self was not the same;
Single Nature’s double name
Neither two nor one was called.

૧૧Reason, in itself confounded,
Saw division grow together,
To themselves yet either neither,
Simple were so well compounded :

૧૨That it cried, ‘How true a twain,
Seemeth this concordant one,
Love hath Reason, Reason none,
If what parts can so remain.’

૧૩Whereupon it made this Threne,
To the Phoenix and the Dove,
Co-supremes and stars of Love,
As Chorus to their Tragic Scene.

         THRENOS
૧૪Beauty, Truth, and Rarity,
Grace in all simplicity,
Here enclosed, in cinders lie.

૧૫Death is now the Phoenix’ nest,
And the Turtle’s loyal breast,
To eternity doth rest,

૧૬Leaving no posterity,
’Twas not their infirmity,
It was married Chastity.

૧૭Truth may seem, but cannot be;
Beauty brag, but ’tis not she;
Truth and Beauty buried be.

૧૮To this urn let those repair
That are either true or fair;
For these dead Birds sigh a prayer.
                  — William Shakespeare

શેક્સ્પિયરના સમકાલીન કવિ રૉબર્ટ ચેસ્ટરે ૧૬૦૧માં ‘Love’s Martyr’ નામનો પ્રેમકાવ્યોનો એક સંચય પ્રગટ કર્યો હતો. એમાં ‘allegorically shadowing the truth of love’ — પ્રેમના સત્યની રૂપકાત્મક છાયા ધારતું — એવા ઉપશીર્ષક સાથેના સ્વરચિત કાવ્ય ઉપરાંત ‘the best and chiefest of our modern writers’ — આપણા ઉત્તમ અને અગ્રણી આધુનિક લેખકો — નાં કાવ્યો પણ ‘Poetical Essays’ — કાવ્યમય નિબંધો — નામના વિભાગમાં પ્રસિદ્ધ કર્યાં હતાં. આ લેખકો તે શેક્સ્પિયર, માર્સ્ટન, ચેપમન અને જૉન્સન. આ સંચય સર જૉન સેલિસબરીને અર્પણ થયો હતો. આ સૌ કવિઓએ ફીનિક્સ અને ટર્ટલનાં પંખીપ્રતીકો યોજીને પ્રેમકાવ્યો રચ્યાં હતાં. આ સંચયમાં માર્સ્ટન અને જૉન્સનનાં એકથી વધુ કાવ્યો હતાં. જ્યારે શેક્સ્પિયર અને ચેપમનનું એકેક કાવ્ય હતું. શેક્સ્પિયરનું કાવ્ય તે ‘The Phoenix and the Turtle’. ચેસ્ટરે ઉપશીર્ષકમાં પોતાના કાવ્ય વિશે ‘રૂપકાત્મક રીતે’ એવો શબ્દપ્રયોગ કર્યો છે. શેક્સ્પિયરના કાવ્ય સિવાય અન્ય કવિઓનાં કાવ્યો રૂપકાત્મક રીતે રચાયાં છે. જ્યારે શેક્સ્પિયરનું કાવ્ય કેવળ રૂપાત્મક રીતે રચાયું નથી. એનો અર્થ એમ થાય છે કે જો ચેસ્ટરના આમંત્રણના પ્રત્યુત્તર રૂપે શેક્સ્પિયરે આ કાવ્ય આ સંચયમાં અર્પણ કર્યું હોય તો શેક્સ્પિયર ચેસ્ટરની ‘રૂપકાત્મક રીત’ની યોજનાથી અજાણ હશે, પણ સંચયનાં સૌ કાવ્યોની જેમ આ કાવ્ય પણ ફીનિક્સ અને ટર્ટલનાં પંખીપ્રતીકો યોજીને રચાયું હોવાથી અર્પણ કર્યું હશે. વળી શેક્સ્પિયરે આ કાવ્ય ૧૬૦૧ પૂર્વે કોઈ પણ સમયે સ્વતંત્ર રચ્યું હોય અને પછી ચેસ્ટરના આમંત્રણના પ્રત્યુત્તર રૂપે આ સંચયમાં અર્પણ કર્યું હોય! આ કાવ્યનું કર્તૃત્વ શેક્સ્પિયરનું છે એ વિશે કોઈ શંકા નથી. આ કાવ્યની વાચના પણ શુદ્ધ છે. શેક્સ્પિયરની અન્ય એકેએક કૃતિ વિશે જે પ્રશ્ન પુછાયો છે તે પ્રશ્ન આ કાવ્ય વિશે પણ પુછાયો છે કે આ કાવ્યમાં શેક્સ્પિયરનો કયો અંગત અનુભવ હશે? એટલે કે ફીનિક્સ અને ટર્ટલ એ કઈ વ્યક્તિવિશેષનાં પ્રતીકો હશે? આ સંચય સર જૉન સેલિસબરીને અર્પણ થયો હોવાથી આ કાવ્ય સર જૉન અને એની પત્ની ઉર્સુલા સ્ટૅનલી અંગે હશે? સર જૉન અને ઉર્સુલાનું લગ્ન ૧૫૮૬માં થયું અને એમને ૧૫૮૭માં પુત્રી અને ૧૫૮૯માં પુત્ર એમ બે સંતાનો હતાં. જ્યારે આ કાવ્યમાં લગ્ન અને સંતતિ નથી. વળી આ કાવ્યમાં મૃત્યુજન્ય કરુણતા છે. એથી આ વ્યક્તિઓનો આ પ્રતીકો સાથે તથા એમના લગ્નોત્સવનો આ કાવ્યની કરુણતા સાથે સંબંધ સ્થાપવો શક્ય નથી. તો પછી આ કાવ્ય સર જૉન અને ઉર્સુલાની બહેન ડૉરથીના સંબંધ અંગે હશે એવો દૂરાકૃષ્ટ વિચાર પણ થયો છે, કેવળ આ સંચયનું અર્પણ સાર્થ કરવા. આ કાવ્ય રાણી એલિઝાબેથ અને ઇસેક્સના પ્રેમસંબંધ અંગે હશે? આ કાવ્યમાં ફીનિક્સની જાતિ નારીજાતિ છે અને પદમાં એ Queen — રાજ્ઞી છે એથી અને રાણી એલિઝાબેથ અપરિણીત અને નિ:સંતાન હતી એથી આવો પ્રશ્ન સૂઝે. પણ આ કાવ્યમાં એકવ્યક્તિનિષ્ઠ પ્રેમ છે જ્યારે રાણી એલિઝાબેથને એકથી વધુ વ્યક્તિ સાથે પ્રેમ હતો. વળી ૧૬૦૧માં રાણી એલિઝાબેથ વિદ્યમાન હતી અને, અલબત્ત, રાણી એલિઝાબેથ અને ઇસેક્સનો પ્રેમસંબંધ કરુણ હતો પણ ૧૬૦૧માં ઇસેક્સના પતનનો આરંભ થઈ ચૂક્યો હતો અને અંતે રાણી એલિઝાબેથે પોતે જ ઇસેક્સનો વધ કરાવ્યો હતો એથી આ વ્યક્તિઓનો આ પ્રતીકો સાથે સંબંધ સ્થાપવો શક્ય નથી. વળી આ સંચય જેમને અર્પણ થયો છે તે સર જૉન ઇસેક્સના વિરોધી હતા એટલે જો આ કાવ્ય રાણી એલિઝાબેથ અને ઇસેક્સના પ્રેમસંબંધ અંગે હોય તો આ સંચય સર જૉનને અર્પણ ન થયો હોત! આ કાવ્ય લૂસી, કાઉન્ટેસ ઑફ બેડફર્ડ અંગે હશે? આ સંચયમાંનાં જૉન્સનનાં કાવ્યોમાંનું એક કાવ્ય હસ્તપ્રતમાં લૂસીને અર્પણ થયું છે. પણ એથી શેક્સ્પિયરે પણ પોતાનું કાવ્ય લૂસીને જ અર્પણ કર્યું હશે એ દૂરાકૃષ્ટ વિચાર છે. આ કાવ્ય શેક્સ્પિયર અને સૉનેટોમાં જે મિત્ર છે તે મિત્ર વચ્ચેના પ્રેમસંબંધ અંગે હશે? સૉનેટોમાં જે મિત્ર છે તે મિત્ર કોણ હશે એ રહસ્યનો પાર હજુ પમાયો નથી ને કદાચ કદી પમાશે નહિ. પણ માની લઈએ કે એ મિત્ર તે સાઉધૅમ્પ્ટન તો આ કાવ્ય શેક્સ્પિયર અને સાઉધૅમ્પ્ટન. વચ્ચેના પ્રેમસંબંધ અંગે હશે? આ અંગત પ્રેમસંબંધનો અંત કરુણ અને એ અર્થમાં મૃત્યુ જેવો હતો. કારણ કે બન્ને પક્ષે વિશ્વાસઘાત હતો. આ અનુભવનું રસિકમધુર રહસ્ય સૉનેટોમાં છે. પણ આ કરુણતા અને મૃત્યુની પર જે મૂલ્ય ધન, સત્તા, કીર્તિથી પણ વિશેષ છે તે મૂલ્ય એટલે કે પ્રેમ દ્વારા અમરત્વનું સ્વપ્ન શેક્સ્પિયરે સૉનેટોમાં સાકાર કર્યું છે. આ કાવ્યમાં પણ કરુણતા અને મૃત્યુ છે. અને પ્રેમ દ્વારા અમરત્વનું સ્વપ્ન જ માત્ર નહિ પણ કરુણતા અને મૃત્યુના સ્વીકારને કારણે પ્રેમ દ્વારા અમરત્વની સિદ્ધિ છે. કારણ કે મનુષ્યે આખાયે આયુષ્યમાં ભલેને એક જ ક્ષણ માટે પ્રેમ અનુભવ્યો હોય તોપણ એ પ્રેમ જો પવિત્ર અને પૂર્ણ હોય, સુંદર અને સત્ય હોય તો એ સ્થળકાળથી પર છે એટલે કે અનંત અને અમર છે. આ કાવ્યમાં ‘Love hath Reason… so remain.’ અને ‘To eternity doth rest’ એ પંક્તિઓ આ સિદ્ધિ સૂચવે છે. આમ, આ કાવ્યમાં કરુણતા અને મૃત્યુના સ્વીકાર દ્વારા જાણે કે સૉનેટોના સંઘર્ષનું સમાધાન છે. આ કાવ્યમાં જાણે કે સૉનેટોનું અનુસંધાન છે, જાણે કે સૉનેટોની પરાકાષ્ઠા છે. એથી આ કાવ્ય શેક્સ્પિયર અને સાઉધૅમ્પ્ટન વચ્ચેના પ્રેમસંબંધ અંગે હોય! પણ તો તો એ પ્રેમસંબંધ સજાતીય પ્રેમસંબંધ થયો. જ્યારે આ કાવ્યમાં વિજાતીય પ્રેમસંબંધ છે. આ કાવ્યમાં ફીનિક્સની જાતિ નારીજાતિ છે અને ટર્ટલની જાતિ નરજાતિ છે. પણ શેક્સ્પિયરની અન્ય કૃતિઓમાં ફીનિક્સ અને ટર્ટલનો જ્યાં જ્યાં ઉલ્લેખ થયો છે ત્યાં ત્યાં અને અન્ય કવિઓની ફીનિક્સ અને ટર્ટલ અંગેની કૃતિઓમાં ફીનિક્સ અને ટર્ટલ બન્નેની જાતિ અંગે સંદિગ્ધતા છે. ફીનિક્સ ઐશ્વર્યનું પ્રતીક હોવાથી ક્યાંક એની જાતિ નરજાતિ છે તો ક્યાંક અહીં છે તેમ એની જાતિ નારીજાતિ છે. ટર્ટલ વીનસનું પંખી હોવાથી ક્યાંક એની જાતિ નારીજાતિ છે તો ક્યાંક અહીં છે તેમ એની જાતિ નરજાતિ છે. અને શેક્સ્પિયરના સમયમાં સજાતીય પ્રેમસંબંધને ફીનિક્સ જેવા પંખીપ્રતીકની જાતિ અંગેની આવી સંદિગ્ધતાનો લાભ લઈને વિજાતીય પ્રેમસંબંધને પ્રચ્છન્ન રૂપે પ્રગટવાની રૂઢિ હતી. એથી આ કાવ્ય શેક્સ્પિયર અને સાઉધૅમ્પ્ટનના પ્રેમસંબંધ અંગે હોય! પણ સૉનેટોમાં તો શેક્સ્પિયર અને શ્યામાનો પ્રેમસંબંધ પણ છે. આ શ્યામા તે કોણ હશે એ રહસ્યનો પાર પણ હજુ પમાયો નથી ને કદાચ કદી પમાશે નહિ. તો આ કાવ્ય શેક્સ્પિયર અને સૉનેટોમાં જે કોઈ હોય તે શ્યામા વચ્ચેના પ્રેમસંબંધ અંગે હશે? આ પ્રેમસંબંધ વિજાતીય પ્રેમસંબંધ થયો અને આ કાવ્યમાં પણ વિજાતીય પ્રેમસંબંધ છે એથી આ કાવ્ય શેક્સ્પિયર અને શ્યામા વચ્ચેના પ્રેમસંબંધ અંગે પણ હોય! પણ આ કાવ્ય એવું તો સ્વાયત્ત અને સ્વયંપર્યાપ્ત છે, એમાં શેક્સ્પિયરે એવી તો પરલક્ષિતા સિદ્ધ કરી છે કે આ કાવ્ય શેક્સ્પિયર અને એના મિત્ર વચ્ચેના કે શેક્સ્પિયર અને શ્યામા વચ્ચેના પ્રેમસંબંધ અંગે છે એમ કહેવું અનિવાર્ય નથી. આ કાવ્યમાં ફીનિક્સ અને ટર્ટલમાં કોઈ વ્યક્તિવિશેષનાં પ્રતીકો ન હોય તો કોઈ વિચારનાં પ્રતીકો હશે? આ કાવ્યમાં વિરોધાભાસો છે એથી પ્રિયજનને નિમિત્તે ‘પ્રેમમાં હોવું’ — એ પ્રત્યેના એટલે કે પ્રેમ પ્રત્યેના પ્રેમનાં આ પ્રતીકો હશે? પ્રત્યેક પુરુષમાં અંશત: સ્ત્રીત્વ હોય છે અને પ્રત્યેક સ્ત્રીમાં અંશત: પુરુષત્વ હોય છે એથી આત્મપ્રેમનાં આ પ્રતીકો હશે? આ કાવ્યમાં ‘Truth’, ‘Beauty’ શબ્દો, ‘It was married Chastity’ પંક્તિ અને ફીનિક્સનું, પંખીનું પ્રતીક છે એથી સૉક્રેટીસે દેહમૂલક નહિ એવો બે આત્મા વચ્ચેનો જે પ્રેમ, પંખાળો પ્રેમ (winged Love) કલ્પ્યો છે અને પ્લેટોએ ફીડ્રસ અને સિમ્પોઝિયમમાં નોંધ્યો છે તે સૉક્રેટિક અથવા પ્લેટોનિક પ્રેમનાં આ પ્રતીકો હશે? ક્રૂસ પરના ક્રાઇસ્ટને ફીનિક્સ કહ્યા છે અને અપરિણીત અને પ્રભુપરાયણ સાધ્વીને ટર્ટલ કહી છે એથી અને આ કાવ્યમાં ‘interdict’, ‘Obsequy’, ‘Priest’, ‘Surplice white’, ‘defunctive music’, ‘Requiem’, ‘right’, ‘Anthem’, ‘essence’, ‘Nature’, ‘Simple’, ‘compounded’, ‘Grace’ આદિ શબ્દો છે એથી આ ધાર્મિક પ્રેમનાં અથવા ક્રિસ્ટિયન પ્રેમનાં કે ચર્ચ અને ક્રાઇસ્ટ વચ્ચેના સંબંધનાં અથવા આત્મા અને પરમાત્મા વચ્ચેના સંબંધનાં આ પ્રતીકો હશે? આ કાવ્યમાં ‘herald’, ‘trumpet’, ‘troop’, ‘feather’d King’, ‘sable’ અને ‘Queen’ શબ્દો છે એથી મધ્યકાલીન રાજસભાના અમીરી પ્રેમનાં આ પ્રતીકો હશે? શેક્સ્પિયરનાં રોમિયો-જુલિયેટ કે પર્ડિટા-ફ્લૉરિઝેલ જેવાં નાજુક નાયક-નાયિકાનો પ્રેમ, માનુષી પ્રેમ, ભલે પરિણયમાં પરિણમતો હોય તોપણ, એટલો તો નિર્દોષ અને નિઃસ્વાર્થ છે કે એ દૈવી પ્રેમ, કે ધાર્મિક પ્રેમ કે આધ્યાત્મિક પ્રેમથી સહેજ પણ ઓછો પવિત્ર કે પૂર્ણ નથી એથી અને ‘married Chastity’માં લગ્નમાં બ્રહ્મચર્ય જેવો કોઈ વિચાર હોય તો એવા માનુષી પ્રેમનાં આ પ્રતીકો હશે? આ કાવ્ય કૉમેડીઝ અને સૉનેટ્સમાંથી ટ્રૅજેડી પ્રતિ શેક્સ્પિયરના પ્રયાણનું રૂપક હશે? કવિ અને કાવ્યસુંદરી વચ્ચેના સંબંધનું રૂપક હશે? સર્જનની પ્રક્રિયાનું રૂપક હશે? આ કાવ્ય એ શેક્સ્પિયરનો યુરોપમાં ગ્રીક કવિઓએ આરંભેલી બે હજાર વર્ષની ફીનિક્સ અને ટર્ટલનાં પ્રતીકકાવ્યોની પરંપરામાં પ્રયોગ હશે? ઇંગ્લૅન્ડમાં ચૉસરે આરંભેલી બસો વર્ષની પંખીકાવ્યોની પરંપરામાં પ્રયોગ હશે? સમકાલીન પ્રચલિત metaphysical poetry — કોટિકાવ્યો — ની પરંપરામાં પ્રયોગ હશે? આમ, આ કાવ્ય રચ્યા પૂર્વે શેક્સ્પિયરના મનમાં કોઈ ને કોઈ વ્યક્તિ કે કોઈ ને કોઈ વિચાર તો હશે જ ને! કદાચ અહીં જેની નોંધ કરી છે એવી કોઈ વ્યક્તિ કે એવો કોઈ વિચાર ન હોય ને આપણને અજાણ પણ શેક્સ્પિયરને જેની જાણ હોય એવી કોઈ વ્યક્તિ કે આપણને નથી સૂઝ્યો પણ શેક્સ્પિયરને જે સૂઝ્યો હોય એવો કોઈ વિચાર હોય! આ કાવ્યને કોઈ નિમિત્ત તો હશે જ ને! શેક્સ્પિયરે આ કાવ્યનું સર્જન શૂન્યમાંથી તો નહિ જ કર્યું હોય! પણ વળી કાવ્યમાત્રની વક્રતા એ છે કે કાવ્ય રચ્યા પૂર્વે કવિના મનમાં જે કોઈ વ્યક્તિ કે જે કોઈ વિચાર હોય એ કાવ્ય રચાયા પછી વ્યક્તિ કે વિચાર મટીને કાવ્ય બની જાય! અંતે વ્યક્તિ કે વિચાર ન રહે, કાવ્ય જ રહે! કવિની કલ્પનાનો આ કીમિયો છે, એની સર્જકતાનો આ જાદુ છે, એની પ્રતિભાનું આ રહસ્ય છે. કાવ્ય એ સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત ને સ્વપ્રતિષ્ઠ સૃષ્ટિ છે. જેવું રાસાયણિક સંયોજનમાં મૂળ તત્ત્વોનું બને છે તેવું જ કાવ્યમાં વ્યક્તિ કે વિચારનું. કાવ્ય રચાય પછી કાવ્યથી સ્વતંત્ર એવું એમનું અસ્તિત્વ ન હોય, કાવ્યથી વિમુક્ત એવું એમનું વ્યક્તિત્વ ન હોય! કાવ્ય રચાય પછી તો કાવ્ય જ પ્રધાન, વ્યક્તિ કે વિચાર ગૌણ. વ્યક્તિ કે વિચારને આધારે કાવ્ય નહિ પણ કાવ્યને આધારે વ્યક્તિ કે વિચાર હોય છે. કાવ્યમાં વ્યક્તિ કે વિચારથી કંઈક વિશેષ હોય છે. આ કંઈક વિશેષ તે શું એવું કોઈએ કોઈને પૂછવાનું ન હોય, સૌએ પોતપોતાનું કંઈક વિશેષ કાવ્યમાંથી પોતે જ પામવાનું હોય! પણ કાવ્ય રચ્યા પૂર્વે કવિના મનમાં કોઈ ને કોઈ વ્યક્તિ કે વિચાર હોય, કવિનો કોઈ અનુભવ હોય, કવિની કોઈ અનુભૂતિ હોય એટલું આપણા ધ્યાનમાં હોય એટલે બસ! આ કાવ્ય રચ્યા પછી ફીનિક્સની જેમ શેક્સ્પિયરનો પણ પુનર્જન્મ થયો હોય, કરુણતા અને મૃત્યુના અનુભવ પછી પુનર્જન્મ થયો હોય અને એણે ટ્રૅજેડીનું સર્જન કર્યું હોય એથી આ કાવ્યમાં એનું રૂપક હોય તો અશક્ય નહિ! તો પ્રત્યેક કવિ કાવ્યસુંદરીને પોતાનું સર્વસ્વ અર્પણ કરતો હોય છે અને એ અર્થમાં પોતાના મૃત્યુ દ્વારા કાવ્યસુંદરીની અમરતા સિદ્ધ કરતો હોય છે એથી આ કાવ્યમાં એનું રૂપક હોય તો અશક્ય નહિ! તો સર્જનની પ્રક્રિયામાં એકસાથે આત્મવિલોપન અને આત્મોપલબ્ધિ હોય છે, એકસાથે મૃત્યુ અને પુનર્જન્મ હોય છે, મરીને જીવવાનો મંત્ર હોય છે, કીટ્સને શેક્સ્પિયરની સર્જકપ્રતિભા વિશે સૂઝ્યા હતા તે શબ્દોમાં negative capability — બહુસ્યામ્ શક્તિ હોય છે. પ્રત્યેક કાવ્યનું સર્જન કરીને કવિ પુનર્જન્મ પામે છે, પોતાના વ્યક્તિત્વનું વિસર્જન કરીને અને એ અર્થમાં મૃત્યુ દ્વારા. એથી આ કાવ્યમાં એનું રૂપક હોય તો અશક્ય નહિ! આ કાવ્યમાં યુરોપમાં ગ્રીક કવિઓએ આરંભેલી બે હજાર વર્ષની ફીનિક્સ અને ટર્ટલનાં પ્રતીકકાવ્યોની પરંપરામાં કે ઇંગ્લૅન્ડમાં ચૉસરે આરંભેલી બસો વર્ષની પંખીકાવ્યોની પરંપરામાં કે સમકાલીન પ્રચલિત metaphysical poetry — કોટિકાવ્યની પરંપરામાં શેક્સ્પિયરનો પ્રયોગ હોય તોપણ આ કાવ્યની તે પ્રત્યેક પરંપરાનાં સૌ કાવ્યોની સાથે તુલના કરવાથી સમગ્ર કાવ્યના સંદર્ભમાં આ કાવ્યમાં જે પ્રેમ અને પ્રેમનું રહસ્ય અને એ રહસ્યનું આશ્ચર્ય છે — એ સર્વના સંદર્ભમાં ફીનિક્સ અને ટર્ટલનાં પ્રતીકકાવ્યની પરંપરામાં, આ કાવ્યમાં શ્લોક ૧થી ૫માં પંખીઓને જે રીતે યોજ્યાં છે તેના સંદર્ભમાં પંખીકાવ્યોની પરંપરામાં અને શ્લોક ૬થી ૧૦માં વિરોધાભાસોને જે રીતે યોજ્યા છે તેના સંદર્ભમાં સમકાલીન પ્રચલિત metaphysical poetry — કોટિકાવ્યોની પરંપરામાં એમ તે તે પરંપરામાં પ્રયોગ રૂપે આ કાવ્યની જે વિશેષતા છે તે સ્પષ્ટ થાય છે. આ કાવ્ય કેવું અનન્ય અને અદ્વિતીય છે એ સમજાય છે, આ કાવ્ય એક સ્વતંત્ર અને સંયમી સિદ્ધિ છે એ પુરવાર થાય છે. ટૂંકમાં આ કાવ્ય શેક્સ્પિયરે શા માટે અને કેવી રીતે રચ્યું એ ગૌણ પ્રશ્ન છે. શેક્સ્પિયરને માટે આ કાવ્યનો જે અર્થ હોય તે, એનું જે મૂલ્ય હોય તે પણ પ્રધાન પ્રશ્ન, પ્રશ્નોનો પ્રશ્ન તો આ છે કે આ કાવ્યનો આપણે માટે શો અર્થ છે, એનું આપણે માટે શું મૂલ્ય છે. એનો કંઈક ઉત્તર વ્યક્તિ, વિચાર, રૂપક કે પ્રયોગમાં નહિ પણ ફીનિક્સ અને ટર્ટલનાં પ્રતીકોમાં પામી શકાય. એટલે કે આ કાવ્યમાં શેક્સ્પિયરનો જે સ્વાનુભવ હોય તેમાં નહિ પણ આ કાવ્યમાં જે સર્વાનુભવ હોય તેમાં પામી શકાય. તો વ્યક્તિ, વિચાર, રૂપક કે પ્રયોગને ગૌણ ગણીને, શેક્સ્પિયરના સ્વાનુભવને ગૌણ ગણીને અને ફીનિક્સ અને ટર્ટલનાં પ્રતીકોને પ્રધાન ગણીને, ફીનિક્સ અને ટર્ટલનાં પ્રતીકો સાર્વભૌમ પ્રતીકો છે અને આ કાવ્યમાં સ્વયંપર્યાપ્ત અને સ્વપ્રતિષ્ઠ પ્રતીકો છે એથી એ દ્વારા પ્રગટતા સર્વાનુભવને પ્રધાન ગણીને અહીં આપણે આ પ્રતીકો અને આ સર્વાનુભવ પર આપણું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આ કાવ્યમાંનાં અન્ય પ્રતીકો અને શબ્દો તથા કાવ્યનાં સંવિધાન અને સ્વરૂપ — એ સૌના અર્થોના સરવાળામાંથી સમગ્ર કાવ્યના અર્થનો પરિચય કરીએ. ફીનિક્સ એક જ છે, બે નહિ. કદી ક્યાંય એકસાથે બે ફીનિક્સ હોય જ નહિ, એક જ ફીનિક્સ હોય. હા, એ એકનું એક ફીનિક્સ અસંખ્ય વાર પુનર્જન્મ પામ્યા કરે છે. કારણ કે એનામાં પોતાની જ ભસ્મમાંથી પોતાના દેહનું પુન: પુન: સર્જન કરવાની શક્તિ છે, મૃત્યુ દ્વારા પુનર્જન્મ પામવાની શક્તિ છે, અમરતાની શક્તિ છે. ફીનિક્સમાં પ્રેમની શક્તિ છે અને ફીનિક્સ અનંત અને અમર હોવાથી એનો પ્રેમ પણ અનંત અને અમર છે. ફીનિક્સના પ્રેમમાં આકર્ષવાની શક્તિ છે. એટલે કે ફીનિક્સના પ્રેમમાં સૌંદર્ય છે. ટર્ટલમાં પ્રેમની શક્તિ છે. અને ટર્ટલમાં સમર્પણ અને એકનિષ્ઠા હોવાથી ટર્ટલનો પ્રેમ પવિત્ર અને પૂર્ણ છે. એનામાં જાતીયતા કે વાસના નથી. ટર્ટલના પ્રેમમાં આકર્ષાવાની શક્તિ છે. એટલે કે ટર્ટલના પ્રેમમાં સત્ય છે. ફીનિક્સ અને ટર્ટલ વચ્ચે પરસ્પર પ્રેમ છે, બન્ને વચ્ચે આત્માનું ઐક્ય છે એથી સત્ય એ જ સૌંદર્ય છે અને સૌંદર્ય એ જ સત્ય છે (શેક્સ્પિયરે જેમ અહીં પોતાના ભસ્મપાત્ર વિશેના કાવ્યમાં ગાયું છે તેમ કીટ્સે પણ પોતાના Grecian Urn — ગ્રીક ભસ્મપાત્ર — વિશેના કાવ્યમાં અંતે ગાયું છે, ‘Beauty is truth, truth beauty…’). આ સત્ય અને સૌંદર્ય એ ફીનિક્સ અને ટર્ટલના પરસ્પરના પ્રેમનું સર્જન છે. ફીનિક્સ અને ટર્ટલનો પ્રેમ પવિત્ર અને પૂર્ણ છે, અનંત અને અમર છે. એથી ‘The Phoenix and the Turtle’ એ પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમનું કાવ્ય છે અને કાવ્યમાં અત્યંત સૂચક શબ્દો છે ‘mutual flame’ અને ‘married Chastity.’ અસંખ્ય પ્રકારનો જે પ્રેમ છે અને જેની ચરિતાર્થતા પરિણયમાં અને જેનું સર્જન સંતતિમાં છે તે પ્રકારનો આ પ્રેમ નથી. આ કાવ્યમાં જે પ્રેમ છે તે અપાર્થિવ, લોકોત્તર, અ-ધર, અસામાન્ય, અનન્ય અને અદ્વિતીય છે. આ પ્રેમની ચરિતાર્થતા મૃત્યુમાં છે અને એનું સર્જન પુનર્જન્મમાં છે. એથી આ કાવ્યમાં એકસાથે મૃત્યુ અને પુનર્જન્મ છે. એકસાથે શોક અને આનંદ છે. અથવા તો આ કાવ્યમાં મૃત્યુ એ મૃત્યુ નથી, મૃત્યુ એ જ પુનર્જન્મ છે અને એમાં શોક એ શોક નથી, શોક એ જ આનંદ છે. પણ આ પ્રેમ તે શી વસ છે? સ્ત્રી અને પુરુષ વચ્ચે આ આકર્ષણ શું છે? આ કોઽપિ હેતુ શું છે? એનો ઉત્તર જીવવિજ્ઞાનીઓ અને જાતીયવિજ્ઞાનીઓ પાસે નથી. એનો કંઈક ઉત્તર કવિઓ અને તત્ત્વચિંતકો પાસે છે. પ્લેટો કહે છે આરંભમાં સ્ત્રી અને પુરુષ એક હતાં. પણ ઈશ્વરના રોષથી બે બન્યાં. ત્યારથી એ પાછાં એક થવાનો સતત પ્રયત્ન કર્યા જ કરે છે. આ પ્રયત્ન તે પ્રેમ! આમ, પ્રત્યેક મનુષ્યનું હૃદયં દ્વિતીયં જેવું એક મનુષ્ય ક્યાંક ને ક્યાંક હોય જ છે. કસ્યચિત્ ક્વચિત્ પ્રીતિ હોય જ છે. અને આ બે મનુષ્યો જ્યાં લગી એકમેકને પામે નહિ અને પામીને અંતે એક થાય નહિ ત્યાં લગી એકમેકને શોધ્યા જ કરે છે, જન્મજન્માન્તરમાં શોધ્યા જ કરે છે. કાલિદાસ કહે છે

‘તચ્ચેતસા સ્મરતિ નૂનમબોધપૂર્વમ્ભા
વસ્થિરાણિ જનનાન્તર સૌહૃદાનિ ||’

અને વળી કહે છે 

‘ગતેયમાત્મ પ્રતિરૂપમેવ
મનો હિ જન્માન્તરસંગતિજ્ઞમ્ ||’

રવીન્દ્રનાથ એમના ‘માનસી’ કાવ્યસંગ્રહમાં ‘અનંત પ્રેમ’ નામના કાવ્યમાં કહે છે 

‘આમરા દુજને ભાસિયા એસેછિ
                  યુગલ પ્રેમેરે સ્રોતે,
અનાદિ કાલેર હૃદય-ઉત્સ હતે.’

અને આ બે મનુષ્યો એકમેકને પામે અને પામીને અંતે એક થાય પછી ભવભૂતિ કહે છે

‘ન કિંચિદપિ કુર્વાણ: સૌખ્યેર્દુઃખાન્યપોહતિ |
તત્તસ્ય કિમપિ દ્રવ્યં યો હિ યસ્ય પ્રિયો જન: ||’

આમ, મનુષ્યમાત્રનું ક્યાંક કોઈ એક મનુષ્ય કિમપિ દ્રવ્યં હોય છે. એ એકમેકને પામે અને પામીને એક થાય અને પછી કંઈ જ ન કરે એ જ પ્રેમ! આ પ્રેમ એ ‘marriage of true minds’ — માનસમિલન — છે. આ પ્રેમ જાતિથી, જાતીયતાથી, વાસનાથી, દેહથી પર છે. આ પ્રેમ દેહમૂલક નથી. અને પ્રેમ જ્યારે દેહમૂલક હોય છે ત્યારે પણ દેહ દ્વારા જ દેહને અતિક્રમીને બે આત્માના ઐક્યનો પ્રેમ એમ એ એક પ્રેમમાંથી આ બીજા પ્રેમની સ્થિતિ પ્રાપ્ત કરવાનો, પ્રેમમાંથી મૈત્રી સિદ્ધ કરવાનો, પશુમાંથી મનુષ્ય અને મનુષ્યમાંથી પરમેશ્વર પાસે પહોંચવાનો વિકાસક્રમ મનુષ્યે આલેખ્યો છે. એટલે તો બાલાશંકર કહે છે:

‘પછી કોઈ કાળે ક્ષણિક વપુના બંધ વીખરે’

જ્યાં લગી સ્થૂલ, પાર્થિવ દેહ છે ત્યાં લગી ક્ષણિક મિલન અને સુદીર્ઘ વિરહ છે જ, ભલે ઝાકળઝીણું હોય પણ દેહ એ આડું અંતરપટ છે જ, આ દેહ દૂર થાય પછી જ એટલે કે મૃત્યુ પછી જ ક્ષણના પણ વિરહ વિનાની અનંત મિલનની, પૂર્ણ ઐક્યની શક્યતા છે. એટલે તો એલિઝાબેથ રૉબર્ટ બ્રાઉનિંગને ‘સૉનેટ્સ ફ્રૉમ ધ પોર્ચુગીઝ’માં ૪૩મા સૉનેટને અંતે કહે છે:

‘I shall but love thee better after death.’

આ પ્રેમ એક નવું જ પરિમાણ છે. એની ચરિતાર્થતા પરિણયમાં નથી અને એનું સર્જન સંતતિમાં નથી. આ બે આત્મા વચ્ચેનો પ્રેમ છે, બે પૂર્ણ વચ્ચેનો પ્રેમ છે. સમસ્ત મનુષ્યજાતિમાં માત્ર ડેન્ટિ અને બિઆટ્રિસે આ પ્રેમ અનુભવ્યો છે. આ પ્રેમ એવો તો પવિત્ર અને પૂર્ણ છે કે આ પ્રેમની ચરિતાર્થતા માત્ર મૃત્યુમાં છે, પણ એનું સર્જન પુનર્જન્મમાં છે એથી આ પ્રેમ અનંત અને અમર છે. એટલે તો બલવન્તરાય કહે છે:

‘વ્હાલી, કેવાં જનનનિધનો, પંડલય વાત કેવી?
કેવાં તું હું? અસલ રસમાં એક સો’હં શિવો’હં.’

આ પ્રેમ પ્રેમીજનો અને એમનાં સત્ય અને સૌંદર્ય — સર્વથી મુક્ત છે. એટલે જ આ કાવ્યમાં અંતે એકમાત્ર પ્રેમ સિવાય કંઈ જ રહેતું નથી. ન તો પ્રેમીજનો, ન તો એમનું સત્ય અને સૌંદર્ય — અંતે કંઈ જ રહેતું નથી. આ સૌ ‘અહીં અને અત્યારે’, સ્થળ અને કાળથી બદ્ધ છે. રહે છે માત્ર અસલ રસ એવો પ્રેમ, રહે છે માત્ર સ:! જે ‘અહીં અને અત્યારે’થી, સ્થળ અને કાળથી મુક્ત છે. પ્રેમીજનોની અને એમનાં સત્ય અને સૌંદર્યની પૂર્વે પણ જે હતું અને પ્રેમીજનોની અને એમનાં સત્ય અને સૌંદર્યની પછી પણ જે હશે, વિશ્વની પૂર્વે જે હતું અને વિશ્વની પછી પણ જે હશે. એટલે જ એમિલી ડિકિન્સન કહે છે:

‘Love is that later thing than death,
More previous than life.’

અને ઈ. ઈ. કુમિંગ્ઝ કહે છે

‘Love is more first than sun, more last than
                           death.’

આ પ્રેમમાંથી તો પ્રેમીજનોનું અને એમનાં સત્ય અને સૌંદર્યનું અને એમ તો સમસ્ત વિશ્વનું સર્જન થયું છે. આ પ્રેમ એ વિશ્વનો બીજમંત્ર (Revelation) છે. આ પ્રેમ જ સર્વનું કારણ છે. આ પ્રેમમાં સર્વ પ્રેમીજનો અને એમનાં સત્ય અને સૌંદર્ય, આ સમસ્ત વિશ્વ સમાયું છે એટલે તો રવીન્દ્રનાથ ‘અનંત પ્રેમ’માં અંતે કહે છે:

‘એકટિ પ્રેમેર માઝારે મિશેછે
                  સકલ પ્રેમેર સ્મૃતિ
સકલ કાલેર સકલ કવિર ગીતિ.’

અને ડેન્ટિ ‘The Divine Comedy’માં કહે છે:

‘bound by love in one mass,
the scattered leaves of the universe.’

અને ‘The Divine Comedy’ના ‘Paradiso’ની અંતિમ પંક્તિમાં સહેજ પાઠાંતર કરીને આપણે પણ કહીએ:

‘Love that moves the sun, the moon and all the stars.’

શ્લોક ૧
 

ફીનિક્સ અને ટર્ટલના સહમૃત્યુ પછી એમના મૃત્યુની શોકસભા એ આ કાવ્યનો પ્રસંગ છે. શ્લોક ૧થી ૫ એ આ કાવ્યનો પહેલો સ્તબક છે. એમાં પ્રેમની પવિત્રતા સિદ્ધ થાય છે. આ શોકસભામાં હાજર રહેવા અમુક પંખીઓને નિષેધ અને અમુક પંખીઓને નિમંત્રણ કરવામાં આવે છે. આ નિષેધ અને નિમંત્રણ કોણ કરે છે? આરંભમાં જ કવિ કહે છે, ‘Let the bird of loudest lay… trumpet be.’ આ ‘the bird of loudest lay’ તે કયું પંખી? પંખી બુલંદ અવાજનું છે. તો આ પંખી તે નાઇટિંન્ગેઇલ? કે પછી મોર? બીજી પંક્તિ ‘On the sole Arabian tree’ પરથી સ્પષ્ટ જ છે કે આ પંખી તે એકમેવ અદ્વિતીયમ્ છે તે પંખી, પોતાના સિંહાસન પર જે પ્રતિષ્ઠ છે તે ‘પંખીરાજ્ઞી’ ફીનિક્સ પોતે જ. એટલે કે મૃત્યુ પછી પુનર્જન્મ પામ્યું છે તે ફીનિક્સ. ફીનિક્સ અને ટર્ટલના સહમૃત્યુ પછી એમના મૃત્યુની શોકસભા રચવા એના આવાહક થવાનું કામ કવિએ ફીનિક્સને પોતાને જ સોંપ્યું છે. ફીનિક્સ અહીં ‘herald sad’ અને ‘trumpet’  —  ‘sad’ શબ્દના બે અર્થમાં એકનિષ્ઠ અને શોકમગ્ન આવાહક અને ભેરીવાદક છે. આ શબ્દો દ્વારા મધ્યકાલીન રાજસભાના અમીરી પ્રેમનું સૂચન છે. ફીનિક્સમાં ઐશ્વર્ય, પ્રભાવ, અધિકાર છે. એ એના અવાજમાં પ્રગટ થાય છે. કારણ કે એના આવા અવાજને જેની ‘chaste wings’ — પવિત્ર પાંખો હોય એવાં પંખીઓએ આજ્ઞાંકિત રહેવાનું છે. આ ‘chaste wings’ શબ્દો દ્વારા સૉક્રેટિક અથવા પ્લેટોનિક પ્રેમનું, બે આત્મા વચ્ચેના પવિત્ર પંખાળા પ્રેમનું સૂચન છે.

શ્લોક ૨
 

ફીનિક્સ અને ટર્ટલના સહમૃત્યુથી જ ફીનિક્સના પુનર્જન્મનો એટલે કે નવજન્મનો આરંભ થતો હોવાથી અહીં આ શોકસભામાં હાજર રહેવાનો ઘુવડ જેવા અમાંગલ્ય અને મૃત્યુના, રાત્રિ અને અંધકારના, ભૂત, પ્રેત, પલીત, પિશાચ, ડાકણ, સેતાન વગેરેના પંખીને નિષેધ કરવામાં આવે છે અને ‘come thou not near’ એ ચારે શબ્દો પર સ્વરભાર છે એથી કડક નિષેધ કરવામાં આવે છે. આ શ્લોક ‘મૅકબેથ’ નાટકમાં જે અમાંગલ્ય અને મૃત્યુનું વાતાવરણ છે એનું સ્મરણ કરાવે છે. અને એવું વાતાવરણ આ શોકસભામાં ન સર્જાય, એની પવિત્રતાનો ભંગ ન થાય એ માટે આ નિષેધ કરવામાં આવે છે. આ શોકસભાને અહીં ‘troop’ કહી છે. ‘troop’ શબ્દના બે અર્થ છે, સભા અને સૈન્ય. શ્લોક ૬થી ૧૦માં પ્રેમનું બુદ્ધિ સામેનું યુદ્ધ છે.

શ્લોક ૩
 

આ શોકસભાને અહીં ‘session’ કહી છે. ‘session’ શબ્દના બે અર્થ છે  સભા અને અદાલત. શ્લોક ૬થી ૧૦માં પ્રેમનો બુદ્ધિ સામેનો કેસ છે. ‘interdict’ શબ્દના બે અર્થ છે. ધારાશાસ્ત્રની પરિભાષામાં મનાઈ હુકમ બજવવો અને ધર્મશાસ્ત્રની પરિભાષામાં ધાર્મિક વિધિમાંથી બહિષ્કૃત કરવું. આ શોકસભાની પવિત્રતાનો ભંગ ન થાય એ માટે ‘chaste wings’ — પવિત્ર પાંખોથી વિરુદ્ધ એવી ‘tyrant wings’ — હિંસક પાંખો જે જે પંખીની હોય તે પ્રત્યેક પંખીને બહિષ્કૃત કરવામાં આવે છે. એમાં એકમાત્ર અપવાદ છે Eagle — ગરુડ. ગરુડ હિંસક હોવા છતાં એ ‘feather’d King’ — સપિચ્છ રાજવી છે. ફીનિક્સ એ ‘Queen’ — રાજ્ઞી છે. એથી બન્નેમાં ઐશ્વર્ય, પ્રભાવ, અધિકારનું સામ્ય છે. એથી ગરુડને આમંત્રણ કરવામાં આવે છે. ‘obsequy’ શબ્દના ત્રણ અર્થ છે, મરણોત્તર ક્રિયા, આજ્ઞાપાલન અને અનુસરણ. આ ત્રણે અર્થમાં આ શોકસભાને ‘keep so strict’ — એવી તો કડક અને મર્યાદિત રાખવાની છે કે એની પવિત્રતાનો સહેજ પણ ભંગ ન થાય એમાં ગરુડ જેવું રાજપંખી હોય તો જેમને નિષેધ કરવામાં આવે છે તે પંખીઓથી, એમના આક્રમણથી એની પવિત્રતાનું રક્ષણ થાય.

શ્લોક ૪
 

Swan — હંસ — ને Priest — પુરોહિત — નો ભાગ ભજવવા નિમંત્રણ કરવામાં આવે છે. એની બે ઝૂલતી શ્વેત પાંખોનું પુરોહિત — પાદરીના શ્વેત ઝભ્ભાની બે ઝૂલતી બાંય સાથે સંપૂર્ણ સામ્ય છે. white — શ્વેત શબ્દમાં પવિત્રતાનું સૂચન છે. ‘Priest in surplice white’ શબ્દોમાં હંસનું કેવું મધુર સુંદર ચિત્ર અંકાય છે! હંસ વિશે પ્રચલિત લોકમાન્યતા છે કે હંસ એ ‘death-divining’ — પોતાના મૃત્યુનો આગોતરો અણસાર પામનાર — પંખી છે. અને એથી એ ‘defunctive music’ — પોતાનું મૃત્યુગીત — પોતે જ ગાય છે એમાં કરુણતા અને મૃત્યુનું સૂચન છે. પણ પોતાની આ બન્ને — પોતાના મૃત્યુનો આગોતરો અણસાર પામવાની અને પોતાનું મૃત્યુગીત પોતે જ ગાવાની — શક્તિને કારણે એ કરુણતા અને મૃત્યુને સ્વીકારીને અને એમ અતિક્રમીને હંસ આનંદ અને અમરતા સિદ્ધ કરે છે. ફીનિક્સ અને ટર્ટલ પણ કરુણતા અને મૃત્યુને સ્વીકારીને અને એમ અતિક્રમીને આનંદ અને અમરતા સિદ્ધ કરે છે. એની સાથે હંસની આ સિદ્ધિનું સામ્ય છે. એથી પવિત્રતા ઉપરાંત આ સામ્યને કારણે અને ફીનિક્સની જેમ પોતાનું મૃત્યુગીત પોતે જ ગાય છે એ સામ્યને કારણે હંસને અહીં આ શોકસભામાં નિમંત્રણ કરવામાં આવે છે. એના વિના રખેને આ ‘Requiem’ — મૃતાત્માઓની શાંતિ માટેની પ્રાર્થના એના ‘right’ — શબ્દના ત્રણે અર્થમાં, પોતાનું મૃત્યુગીત પોતે જ ગાવાની એની શક્તિને કારણે એના અધિકારથી, એની પવિત્રતાને કારણે એના સત્ કે ઔચિત્યથી અને એ રીતે આ શોકસભાને પ્રાપ્ત થતી સાર્થકતાથી, અને શ્લેષ તરીકે rite એટલે કે પુરોહિત તરીકેની એની ધર્મવિધિથી વંચિત રહે.

શ્લોક ૫
 

Crow-કાકને, અલબત્ત, છેક છેલ્લે, પણ હંસને નિમંત્રણ કર્યા પછી પણ, ગરુડ અને હંસની સાથે નિમંત્રણ કરવામાં આવે છે, “Mongst our mourners shalt thou go.’ આમ, આ નિમંત્રણ એવા શબ્દોમાં અને સ્વરમાં કરવામાં આવે છે કે કાક આમ તો carrion crow — અસ્થિમાંસરુધિરનો ભક્ષક છે એટલે કે અપવિત્ર પંખી છે એથી અહીં આ શોકસભામાં હાજર રહેવાની એની પાત્રતા તો ન હોય અને અન્ય શોકમગ્ન પંખીઓની સાથે પોતાને પણ નિમંત્રણ કરવામાં આવે એવી આશા રાખવાનો પણ એનો અધિકાર ન હોય છતાં નિમંત્રણ કરવામાં આવે છે. એનો રંગ શોકસભાને પાત્ર અને અનુરૂપ એવો ‘sable’ — શ્યામ છે એથી નહિ પણ કાક વિશે પ્રચલિત લોકમાન્યતા છે કે એ ‘treble dated’ છે એટલે કે મનુષ્યથી ત્રણગણું એનું આયુષ્ય છે અને એ પોતાના ‘breath’ — શ્વાસ દ્વારા પોતાની gender — શબ્દના બન્ને અર્થમાં, સંતતિનું અને પોતાની નરમાંથી નારી અને નારીમાંથી નરજાતિનું સર્જન કરે છે. મધ્યકાલીન રાજસભાના અમીરી સંદેશવાહકનો ગણવેશ પણ શ્યામ હતો એથી આ ‘sable’ શબ્દ દ્વારા મધ્યકાલીન રાજસભાના અમીરી પ્રેમનું અહીં સૂચન છે. આમ કાક સંતતિનું સર્જન કરે છે કેવળ શ્વાસ દ્વારા એટલે કે અન્યના દેહ વિના, જાતીયતા વિના. આમ, કાકમાં પવિત્રતા છે. કાક પોતાની નરમાંથી નારી અને નારીમાંથી નરજાતિનું સર્જન કરે છે. પોતાની જાતિ પલટે છે. આમ, કાકમાં દ્વિજાતીયતા છે. કાકની પવિત્રતા અને દ્વિજાતીયતાનું ફીનિક્સ અને ટર્ટલની પવિત્રતા અને દ્વિજાતીયતા સાથે સંપૂર્ણ સામ્ય છે તથા કાકની દીર્ઘાયુષિતાનું ફીનિક્સ અને ટર્ટલની અમરતા સાથે અને કાકની શ્વાસસંતતિનું ફીનિક્સ અને ટર્ટલની ‘married Chastity’ — પરિણીત પવિત્રતા સાથે અંશત: સામ્ય છે એથી એને નિમંત્રણ કરવામાં આવે છે. અહીં કાવ્યનો પહેલો સ્તબક પૂરો થાય છે.

શ્લોક ૬
 

શ્લોક ૬થી ૧૦ એ આ કાવ્યનો બીજો સ્તબક છે. એમાં પ્રેમની પૂર્ણતા સિદ્ધ થાય છે. એમાં દસ વિરોધાભાસો દ્વારા પ્રેમનું બુદ્ધિ સામેનું બુદ્ધિનાં જ શસ્ત્રોથી યુદ્ધ અથવા પ્રેમનો બુદ્ધિ સામેનો બુદ્ધિની જ દલીલોથી કેસ છે. અહીં ફીનિક્સ, ગરુડ, હંસ અને કાક ‘Anthem’ — શબ્દના ત્રણે અર્થમાં દેવળમાં ધાર્મિક સંગીત સાથે ગવાતું ધર્મગીત, સ્તુતિ અને આનંદનું ગાન ગાય છે. ત્યારે ફીનિક્સ, ગરુડ અને કાક ઊભાં હોય અને હંસ પુરોહિત તરીકે Requiem એટલે કે mass — ધર્મવિધિનું કાર્ય ફરતાં ફરતાં કરતો હોય એવું નાટ્યાત્મક દૃશ્ય કલ્પી શકાય. પ્રેમ અને એકનિષ્ઠાનું મૃત્યુ થયું છે એટલે કે ફીનિક્સ અને ટર્ટલનું મૃત્યુ થયું છે. ફીનિક્સ અને ટર્ટલ બે હોવા છતાં ક્રિયાપદ દ્વિવચનમાં ‘are’ નથી પણ એકવચનમાં ‘is’ છે. આમ, અહીં કાવ્યમાં ફીનિક્સ અને ટર્ટલનો પ્રથમ વાર જ ઉલ્લેખ થાય છે ત્યારથી જ માત્ર વ્યાકરણની મદદથી જ એમના આત્માના ઐક્યનું, એમના દેહ બે છે પણ એમનો આત્મા એક છે એવા એમના પવિત્ર અને પૂર્ણ પ્રેમનું સૂચન છે. ફીનિક્સ અને ટર્ટલનું મૃત્યુ થયું છે છતાં ફીનિક્સ અને ટર્ટલ ‘from hence’ — અહીંથી એટલે કે ‘અહીં અને અત્યારે’ (here and now)ના, સ્થળ અને કાળના પરિમાણમાંથી મુક્ત થયા છે, ‘have fled’ — છટકી ગયા છે. ‘mutual flame’ — એક જ્વાલારૂપે. ફીનિક્સ અને ટર્ટલ એ એક જ્વાલા છે, પ્રેમની જ્વાલા. એમાં ફીનિક્સ અને ટર્ટલ પરસ્પરને બાળે છે અને બળે છે. મૃત્યુ પામે છે. પણ એથી તો તેઓ ‘અહીં અને અત્યારે’ના, સ્થળ અને કાળના પરિમાણમાંથી મુક્ત થાય છે, છટકી જાય છે. એટલે કે મૃત્યુ દ્વારા પુનર્જન્મ પામે છે. એટલે કે અમરતા પામે છે. જ્વાલા બે નથી, એક છે. ‘mutual flame’ છે. ફીનિક્સ અને ટર્ટલના દેહ બે છે, પણ આત્મા એક છે. આમ, એક જ્વાલામાં એમના આત્માના ઐક્યનું સૂચન છે, એમના પ્રેમની પૂર્ણતાનું સૂચન છે. વળી જ્વાલામાં એમના પ્રેમની પવિત્રતાનું પણ સૂચન છે. મૃત્યુ દ્વારા પુનર્જન્મ એટલે કે અમરતા, મૃત્યુ એ જ અમૃત, મૃત્યુનો શોક એ જ પુનર્જન્મનો, અમરતાનો આનંદ; દેહ બે પણ આત્મા એક એવા વિરોધાભાસ(paradox)નું આ ‘mutual flame’ એ પ્રતીક છે. આ વિરોધાભાસ એ જ ફીનિક્સ અને ટર્ટલના પ્રેમનું રહસ્ય છે. આ વિરોધાભાસ એ આ કાવ્યનો પાયામાં પડેલો મૂળ વિરોધાભાસ છે. એમાંથી હવે પછીના અન્ય વિરોધાભાસો અનિવાર્યપણે વિકસે-વિસ્તરે છે. ‘mutual flame’ — એક જ્વાલા એ પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમનું, પ્રેમના રહસ્યનું પ્રતીક છે. સમગ્ર કાવ્યમાં આ સૌથી વધુ કાવ્યમય પ્રતીક છે. બે પ્રેમીઓ વચ્ચેનો આ પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમ પ્રગટ કરવા અનેક કવિઓને વારંવાર આ જ પ્રતીક સૂઝ્યું છે. ન્હાનાલાલ કહે છે:

‘એક જ્વાલા જલે તુજ નેનનમાં
રસજ્યોત નિહાળી નમું હું નમું!’

રાજેન્દ્ર કહે છે 

‘ચાર આંખે એક તેજની ધારા.’

અને જગતના સર્વશ્રેષ્ઠ પ્રેમકાવ્ય ‘The Divine Comedy’માં ડેન્ટિ પણ ‘one simple flame’ — એક સરળ જ્વાલા — ના પ્રતીકમાં જ આ પ્રેમ પ્રગટ કરે છે. (આ કાવ્યમાં દૃશ્ય પ્રતીકો — visual images — વારંવાર યોજાય છે એ અત્યંત સૂચક છે  ‘shine’, ‘saw’, ‘Flaming’, ‘stars’ ‘cinders’, ‘urn’.

શ્લોક ૭
 

‘So’ શબ્દના બે અર્થ છે. ‘So’ શબ્દનો એક અર્થ છે ‘એથી કરીને’. આ અર્થમાં આ શ્લોક ‘mutual flame’ — એક જ્વાલાના પ્રતીકના અનુસંધાનરૂપ છે. ફીનિક્સ અને ટર્ટલનો પરસ્પરનો એવો પ્રેમ હતો કે જાણે એ બે ન હોય પણ તત્ત્વમાં તો એક જ હતાં. ‘So’ શબ્દનો બીજો અર્થ છે ‘એવો તો’. ‘they so loved’ એટલે કે એમનો પ્રેમ એવો તો હતો એટલે કે એટલો બધો હતો, એનું પ્રમાણ એટલું તો હતું કે તત્ત્વમાં તો તેઓ એક જ હતાં છતાં જાણે કે એમનો પ્રેમ બેમાં વસ્યો ન હોય! એમનો આટલો બધો પ્રેમ હોય તો એકમાં તે કેમ કરીને સમાય? એથી તેઓ જાણે કે બે ન હોય! અહીં આ કાવ્યમાં આ બીજો વિરોધાભાસ છે. અહીં ‘essence’ — તત્ત્વ એ metaphysics — તત્ત્વજ્ઞાનની પરિભાષાનો ‘essentia’ શબ્દ છે તે. આ તત્ત્વ એટલે ત્રિમૂર્તિમાં જેને કારણે ત્રણ એ એક છે તે તત્ત્વ. તેમ અહીં આ તત્ત્વ એટલે ફીનિક્સ અને ટર્ટલ બે હોવા છતાં જેને કારણે તેઓ એક છે તે તત્ત્વ. આ તત્ત્વ એટલે પ્રેમનો પ્રસાદ, પ્રેમનો અનુગ્રહ, Grace. આ તત્ત્વ એટલે જે સ્થૂલ, પાર્થિવ, જડનો ભ્રમ ભાંગે છે, ભેદ ભૂંસે છે તે તત્ત્વ. સૂક્ષ્મ, અપાર્થિવ, ચેતન તત્ત્વ. ‘Two distincts’ — બે ભિન્ન — એ ‘loved in twain’ — જાણે કે બે ન હોય એવો એમનો પ્રેમ હતો — ના અનુસંધાનરૂપ છે. ‘division none’ — ગણિતશાસ્ત્રની પરિભાષામાં વિભાજન નહિ અને તર્કશાસ્ત્રની પરિભાષામાં વર્ગીકરણ નહિ — એ ‘essence but in one’ — તત્ત્વમાં તો એક જ હતાં — ના અનુસંધાનરૂપ છે. આ તત્ત્વ એક છે, આત્મા એક છે એટલે એમનું વિભાજન અને વર્ગીકરણ અશક્ય છે. પણ એમના દેહ બે છે, ફીનિક્સ એ ફીનિક્સ છે અને ટર્ટલ એ ટર્ટલ છે એટલે કે બન્ને પરસ્પરથી ભિન્ન છે એટલે કે બે છે, ‘two distincts’ — બે ભિન્ન છે એથી એમનું વિભાજન અને વર્ગીકરણ અશક્ય છે એમ કહેવું અશક્ય છે. આ કાવ્યમાં આ ત્રીજો વિરોધાભાસ છે. ‘Number there in love was slain’. — આ પ્રેમમાં સંખ્યાનો હ્રાસ થયો હતો. એટલે કે આ પ્રેમ સંખ્યાતીત છે. અહીં ‘Number’ શબ્દના બે અર્થ છે. અંકગણિતની પરિભાષામાં સંખ્યા અને ગણિતની પરિભાષામાં સંખ્યા. દેહ બે છે આત્મા એક છે. ફીનિક્સ એ ફીનિક્સ છે અને ટર્ટલ એ ટર્ટલ છે એટલે કે ૨ એ ૨ છે. અથવા તો ૨ = ૨. પણ ફીનિક્સ એ ફીનિક્સ નથી પણ ટર્ટલ છે અને ટર્ટલ એ ટર્ટલ નથી પણ ફીનિક્સ છે એટલે કે ૨ એ ૧ છે. અથવા તો ૨ = ૧. પણ ગણિતમાં ૧ એ સંખ્યા જ નથી. ગણિતમાં ૨ એ ૨ છે, ૨ = ૨. પ્રેમમાં ૨ એ ૨ નથી પણ ૧ છે; ૨ = ૧. પણ ૧ એ સંખ્યા જ નથી. તો આ શું છે? એ જ કે પ્રેમ સંખ્યાતીત છે. ગણિતશાસ્ત્રની પરિભાષામાં પ્રેમ પ્રગટ કરવો અશક્ય છે. પ્રેમમાં સંખ્યામાત્રનો, ૨નો અને ૧નો, હ્રાસ થાય છે. અંતે પ્રેમ સિવાય કંઈ જ રહેતું નથી. પ્રેમીજનો પણ નહિ. એટલે કે ૨ નહિ અને ૧ નહિ, કંઈ જ રહેતું નથી. રહે છે માત્ર પ્રેમ! એટલે તો કાવ્યમાં અંતે પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય કંઈ જ રહેતું નથી. રહે છે માત્ર પ્રેમ! પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પ્રેમીજનો? ના. તો પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પ્રેમ! આ સ્તો પ્રેમનું રહસ્ય છે!

શ્લોક ૮
 

બે હૃદયો દૂર છતાં અંતિકે. આ કાવ્યમાં આ ચોથો વિરોધાભાસ છે. બન્ને વચ્ચે અંતર છતાં અવકાશ નહિ. અહીં ભૌતિકશાસ્ત્રની પરિભાષામાં વિરોધાભાસ છે. આ કાવ્યનો આ પાંચમો વિરોધાભાસ છે. ‘Queen’ — રાજ્ઞી શબ્દમાં ફીનિક્સનું ઐશ્વર્ય, એનો પ્રભાવ અને અધિકાર પ્રગટ થાય છે. અન્યત્ર ક્યાંય જો આવો વિરોધાભાસ હોય તો એ આશ્ચર્ય કહેવાય. પણ ફીનિક્સ અને ટર્ટલના પ્રેમમાં આવો વિરોધાભાસ એ તદ્દન સહજ અને સ્વાભાવિક છે, એમાં સહેજ પણ આશ્ચર્ય નથી. આશ્ચર્ય તો એ છે કે એમાં આશ્ચર્ય નથી. કેવું આશ્ચર્ય! એ આશ્ચર્યનું તો આ કાવ્ય છે. આ પ્રેમ એ આશ્ચર્યોનું આશ્ચર્ય છે!

શ્લોક ૯
 

‘So’ શબ્દના બે અર્થ છે. ‘So’ શબ્દનો એક અર્થ છે ‘એથી કરીને’. આ અર્થમાં આ શ્લોક એ શ્લોક ૭ અને ૮ના અનુસંધાનરૂપ છે. ‘So’ શબ્દનો બીજો અર્થ છે ‘એવો તો’. ‘love so did shine’ એટલે કે પ્રેમ એવો તો પ્રકાશતો હતો. આ અર્થમાં આ શ્લોક એ શ્લોક ૬ના ‘mutual flame’ના પ્રતીકના અનુસંધાનરૂપ છે, આ શ્લોકની પંક્તિ ૨ અને ૩ને કારણે. પણ શ્લોક ૭માં પણ ‘So’ શબ્દના બે અર્થ છે અને એના એક અર્થ ‘એથી કરીને’ને કારણે શ્લોક ૭ અને ૮ વળી શ્લોક ૬ના અનુસંધાનરૂપ છે. એથી આ શ્લોક અંતે તો શ્લોક ૬ના અનુસંધાનરૂપ છે. એટલું જ નહિ પણ આ શ્લોક એ શ્લોક ૬ના પુનરાવર્તનરૂપ છે કારણ કે આ શ્લોકની પંક્તિ ૨ અને ૩ એ શ્લોક ૬ના ‘mutual flame’ના પ્રતીકના પુનરાવર્તનરૂપ છે. આમ, આ શ્લોક એ શ્લોક ૬ના પુનરાવર્તનરૂપ હોય તોયે સહ્ય છે કારણ કે આ શ્લોક વળી ‘So’ શબ્દના ‘એથી કરીને’ અર્થને કારણે શ્લોક ૭ અને ૮ના અનુસંધાનરૂપ હોવાથી આ શ્લોકનું પુનરાવર્તન એ શ્લોક ૭ અને ૮ના વિરોધાભાસોના અર્થભારથી બલવત્તર બન્યું છે. ટર્ટલે એનું ‘right’ — શબ્દના ત્રણે અર્થમાં એનો અધિકાર, એનું સદ્ અને એનું સ્વ-રૂપ ફીનિક્સની ‘sight’ શબ્દના બન્ને અર્થમાં ફીનિક્સના નેત્રમાં અને ફીનિક્સની દૃષ્ટિમાં પ્રજળતું નિહાળ્યું. ફીનિક્સની દૃષ્ટિમાં એટલે કે ફીનિક્સની દૃષ્ટિએ પ્રજળતું નિહાળ્યું. એટલે કે ફીનિક્સે પ્રજળતું નિહાળ્યું. અને ફીનિક્સના નેત્રમાં પોતે પ્રજળતું નિહાળ્યું. પ્રેમીજનો પરસ્પરના નેત્રમાં ઊડતાં તેજસ્ફુલિંગો રૂપે પ્રેમને અનુભવે છે. કોઈ અદૃશ્ય તેજનો તાર બે પ્રેમીજનોના નેત્રને પરસ્પર સાંધે-બાંધે છે. બે પ્રેમીજનો જ એ જોઈ શકે છે. રવીન્દ્રનાથ ‘કૃષ્ણકલિ’માં કહે છે, ‘આમિઇ જાનિ આર જાને સેઇ મેયે.’ કોઈ ત્રીજું જણ કાંઈ ન જાણે! ન જાણે કે ન જુએ! એને લૌકિકો પ્રેમીજનોનું તારામૈત્રક કહે છે, પ્રેમીજનોનો ચક્ષૂરાગ કહે છે. પણ ઋષિઓ, કવિઓ આ પ્રતિસંખ્યેય-નિબંધનંને પ્રેમ કહે છે. આ પ્રેમીજનોનો અહેતુ પક્ષપાત છે, અનિવાર્ય પક્ષપાત છે, મર્મોને સાંધતો-બાંધતો સ્નેહનો તંતુ છે. એમાં પ્રેમીજનો આત્માનું ઐક્ય અનુભવે છે, ધન્યતા અને કૃતાર્થતા અનુભવે છે. આ દૃષ્ટિમિલનનો, નેત્રમિલનનો આનંદ મિથુનના આનંદથી પણ વિશેષ છે. કારણ કે આ આનંદ સંપ્રજ્ઞ અને સભાન છે, મિથુનના આનંદ જેવો અબોધ અને અંધ નથી. પણ અહીં ‘Flaming’ શબ્દને કારણે કેવળ આનંદ નથી, શોક પણ છે. ટર્ટલ ફીનિક્સના નેત્રમાં, એની દૃષ્ટિમાં પોતાના — શબ્દના ત્રણે અર્થમાં — ‘right’ને પ્રજળતું નિહાળે છે. એટલે કે પ્રેમની જ્વાળામાં પ્રેમીજનો પરસ્પરને બાળે છે અને બળે છે એટલે કે મૃત્યુ પામે છે. પણ વળી એ જ પ્રેમની જ્વાળાને કારણે મૃત્યુ દ્વારા જ પુનર્જન્મ પામે છે, અમરતા પામે છે. પોતપોતાનો પુનર્જન્મ અથવા તો પોતપોતાની અમરતા અથવા તો પ્રેમ એ જ આ નેત્રમિથુનની, આ દૃષ્ટિમિથુનની સંતતિ. આ કાવ્યમાં આ છઠ્ઠો વિરોધાભાસ છે. ‘mine’ શબ્દના બે અર્થ છે. ‘mine’ શબ્દનો એક અર્થ છે ખાણ. આ અર્થમાં પ્રત્યેક એ અન્યની ખાણ છે. પ્રત્યેક એ અન્યનું કિમપિ દ્રવ્યં છે. જેમ ખાણમાં બે ઝગમગતા હીરા આસપાસના અંધકારમાં એકમેકને પામે છે તેમ સ્થળ અને કાળના પરિમાણમાં બે પ્રેમીજનો — ફીનિક્સ અને ટર્ટલ — એકમેકના નેત્રમાં, એકમેકની દૃષ્ટિમાં એકમેકને પામે છે. આમ આ પંક્તિ શ્લોક ૬ના ‘mutual flame’ના પ્રતીકના અને આ શ્લોકની પંક્તિ ૨ અને ૩ના અનુસંધાનરૂપ છે. ‘mine’ શબ્દનો બીજો અર્થ છે ‘મારું’. આ અર્થમાં પ્રત્યેક એ અન્યનું ‘મારું’ છે. પ્રત્યેક એ અન્યનું કિમપિ દ્રવ્યં છે. ફીનિક્સ અને ટર્ટલના દેહ બે છે. એમનો આત્મા એક છે. ફીનિક્સ એ ફીનિક્સ છે અને ટર્ટલ એ ટર્ટલ છે તથા ફીનિક્સ એ ટર્ટલ છે અને ટર્ટલ એ ફીનિક્સ છે. એટલે બે પ્રેમીજનો વચ્ચેના આ સંબંધને ‘હું’ અને ‘તું’ની ભાષામાં પ્રગટ કરવો હોય તો ‘હું = ‘હું’, ‘તું’ = ‘તું’ અને ‘હું = ‘તું’, ‘તું’ = ‘હું’.

‘હું’ ‘તું’ને ચાહે છે.
પણ ‘હું’ = ‘તું’ અને ‘તું’ = ‘હું’.
એથી ‘તું’ ‘હું’ને ચાહે છે.
અથવા ‘તું’ ‘તું’ને ચાહે છે.
અથવા ‘હું’ ‘હું’ને ચાહે છે.

‘તું’ ‘હું’ને ચાહે છે.
પણ ‘તું’ = ‘હું’ અને ‘હું’ = ‘તું’
એથી ‘હું’ ‘તું’ને ચાહે છે.
અથવા ‘હું’ ‘હું’ને ચાહે છે.
અથવા ‘તું’ ‘તું’ને ચાહે છે.

આ થયો પૂર્ણ પ્રેમ! પૂર્ણ પ્રેમમાં પ્રત્યેક અન્યને ચાહે છે, પ્રત્યેક અન્યથી ચહાય છે અને પ્રત્યેક પોતાને ચાહે છે. તો કોણ કોને ચાહે છે? પૂર્ણ પ્રેમમાં પ્રત્યેક અન્યને પામે છે, પ્રત્યેક અન્યથી પમાય છે અને પ્રત્યેક પોતાને પામે છે. તો કોણ કોને પામે છે? પૂર્ણ પ્રેમમાં ‘મારું’ = ‘તારું’, ‘તારું’ = ‘મારું’ અને ‘મારું’ = ‘મારું’, ‘તારું’ = ‘તારું’. તો કોણ કોનું? પૂર્ણ પ્રેમ જ્યારે વાણીમાં વ્યક્ત થાય ત્યારે આવા વિરોધાભાસમાં જ વ્યક્ત થાય છે. એથી પૂર્ણ પ્રેમ વાણીથી પર છે, શબ્દાતીત છે, ભાષાતીત છે, અનિર્વચનીય છે. આ પૂર્ણ પ્રેમમાં દ્વૈતમાંથી અદ્વૈત થાય છે અને વળી એ દ્વૈત અને અદ્વૈત વચ્ચે નવું દ્વૈત રચાય છે અને તો વળી એ નવા દ્વૈતમાંથી નવું અદ્વૈત થાય છે. આમ, દ્વૈત-અદ્વૈતની અનંત લીલા એ જ પ્રેમ, પૂર્ણ પ્રેમ! જન્મ-મૃત્યુ, મૃત્યુ-જન્મની અખંડ પ્રક્રિયા એ જ પ્રેમ, પૂર્ણ પ્રેમ! પૂર્ણ પ્રેમમાં જન્મ એ જ મૃત્યુ અને મૃત્યુ એ જ અમૃત. આ કાવ્યમાં આ સાતમો વિરોધાભાસ છે.

શ્લોક ૧૦
 

‘thus’ શબ્દના બે અન્વય થાય છે. એક અન્વયથી ‘Either was the other’s mine, thus Property was appalled.’ એટલે કે આ શ્લોકની પંક્તિ ૧ એ શ્લોક ૯ની પંક્તિ ૪ના અનુસંધાનરૂપ છે. પ્રત્યેક એ અન્યની ખાણ હતી અથવા તો પ્રત્યેક એ અન્યનું ‘મારું’ હતું એ વિરોધાભાસ છે એથી ‘Property was appalled.’ બીજા અન્વયથી ‘That the self was not the same, thus Property was appalled.’ ‘self’નો એલિઝાબેથન અંગ્રેજીમાં અર્થ થાય છે ‘same’. એટલે ‘That the same was not the same, thus Property was appalled.’ પૂર્ણ પ્રેમમાં ‘હું’ ‘હું’ નથી ને ‘તું’ ‘તું’ નથી. ‘હું’ એ ‘તું’ છે ને ‘તું’ એ ‘હું’ છે એથી ‘Property was appalled.’ ‘Property’ શબ્દના ત્રણ અર્થ થાય છે. ધારાશાસ્ત્રની પરિભાષામાં ‘Property’ શબ્દનો અર્થ છે મિલકત. પણ પૂર્ણ પ્રેમમાં બે પ્રેમીજનો વચ્ચે દેહ બે પણ આત્મા એક હોવાથી મારું-તારું હોય નહિ. મારું એ તારું છે ને તારું એ મારું છે. તો કોનું શું છે? કોણ કોની મિલકત છે? આમ, મિલકત ચોંકી ઊઠી છે. ભૌતિકશાસ્ત્ર અને તર્કશાસ્ત્રની પરિભાષામાં ‘Property’ શબ્દનો અર્થ છે ગુણ. મૌલિકતા, વ્યક્તિતા, અનન્યતા, અદ્વિતીયતા. પૂર્ણ પ્રેમમાં બે પ્રેમીજનોનો ગુણ સહિયારો છે. આમ ગુણ ચોંકી ઊઠે છે. પૂર્ણ પ્રેમમાં બે પ્રેમીજનોની જે મૌલિકતા, વ્યક્તિતા, અનન્યતા, અદ્વિતીયતા છે તે સહિયારી છે. આમ મૌલિકતા, વ્યક્તિતા, અનન્યતા, અદ્વિતીયતા ચોંકી ઊઠે છે. ‘Property’ શબ્દનો ત્રીજો અર્થ છે આ ભાષા, ભાષાની યોગ્યતા, પાત્રતા. પૂર્ણ પ્રેમમાં ‘mine’ એ ‘mine’ નથી. ‘હું’ એ ‘હું’ નથી. ‘same’ એ ‘same’ નથી. ‘એ જ’ એ ‘એ જ’ નથી. આમ, ભાષાનો, ભાષાની યોગ્યતા, પાત્રતાનો હ્રાસ થાય છે. આ કાવ્યમાં આ આઠમો વિરોધાભાસ છે. ‘Single Nature’  —  પ્રકૃતિ, સ્વભાવ. એટલે શ્લોક ૭માં ‘essence’ છે તે તત્ત્વ, આત્મા. પૂર્ણ પ્રેમમાં એક જ તત્ત્વનાં, એક જ પ્રકૃતિનાં બે નામ છે. પૂર્ણ પ્રેમમાં એક જ આત્માના બે દેહ છે એથી એમાં ‘હું’, ‘તું’, ‘મારું’,‘તારું’ એવું કંઈ નથી, એમાં ફીનિક્સ, ટર્ટલ, ફીનિક્સનો ટર્ટલ, ટર્ટલની ફીનિક્સ — એવું કંઈ નથી. પ્રેમમાં પ્રેમ સિવાય કંઈ નથી. ‘હું’ ‘તું’, ‘મારું’, ‘તારું’, ફીનિક્સ, ટર્ટલ સૌ પ્રેમમય છે. એટલે તો આ કાવ્યના અંતમાં ફીનિક્સ, ટર્ટલ, એમનું સત્ય અને સૌંદર્ય — એવું કંઈ કંઈ જ રહેતું નથી. રહે છે માત્ર પ્રેમ! આ કાવ્યમાં આ નવમો વિરોધાભાસ છે. ‘Neither two nor one was called.’ — પૂર્ણ પ્રેમમાં બેયે નથી ને એકે નથી. પૂર્ણ પ્રેમમાં ૨ એ ૨ છે, ૨ એ ૧ છે પણ ૧ એ સંખ્યા જ નથી. એથી ૨ પણ નથી ને ૧ પણ નથી. એથી પૂર્ણ પ્રેમ સંખ્યામાં વ્યક્ત થાય જ નહિ. એ સંખ્યાતીત છે. પૂર્ણ પ્રેમમાં એક જ પ્રકૃતિનાં, તત્ત્વનાં, આત્માનાં ‘double name’ — બે નામ છે. એથી ‘neither was called’ — એનું બેમાંથી એકેય નામ પાડી શકાય જ નહિ. એ શબ્દાતીત, ભાષાતીત, અનિર્વચનીય છે. આમ પૂર્ણ પ્રેમ સંખ્યાતીત અને શબ્દાતીત છે. આ પૂર્ણ પ્રેમનું રહસ્ય છે. આ કાવ્યમાં આ દસમો વિરોધાભાસ છે. અહીં કાવ્યનો બીજો સ્તબક પૂરો થાય છે.

શ્લોક ૧૧
 

શ્લોક ૧૧થી ૧૩ એ આ કાવ્યનો ત્રીજો સ્તબક છે. આ શોકસભામાં બુદ્ધિ સજીવારોપણથી એક પાત્ર તરીકે હાજર રહે છે. ફીનિક્સે એને નિમંત્રણ તો કર્યું નથી તો નિષેધ પણ કર્યો નથી. બુદ્ધિ સર્વવ્યાપી છે. એની ઉપેક્ષા ન થાય, એની પ્રત્યે ઉદાસીન ન રહેવાય. બુદ્ધિથી જ બધું સમજાય છે? તો બુદ્ધિ વિના કશુંય સમજાય છે? એમાં બુદ્ધિ પ્રેમના રહસ્યનો, પ્રેમની પવિત્રતા અને પૂર્ણતાનો સ્વીકાર કરે છે અને પ્રેમની શ્રદ્ધાને પોતાનો સહકાર આપે છે. કાવ્યના બીજા સ્તબકમાં શ્લોક ૬થી ૧૦માં દસ વિરોધાભાસો દ્વારા પ્રેમનું બુદ્ધિ સામેનું બુદ્ધિનાં જ શસ્ત્રોથી જે યુદ્ધ છે એમાં બુદ્ધિ પરાજય પામે છે, પ્રેમનો બુદ્ધિ સામેનો બુદ્ધિની જ દલીલોથી જે કેસ છે એમાં બુદ્ધિ હાર પામે છે. અને એથી બુદ્ધિએ division — વિભાજનને, વર્ગીકરણને એટલે કે બેને ‘grow together to themselves’ એક થતાં જોયાં. અને yet either neither — છતાં બેના બે રહ્યાં. બુદ્ધિએ ફીનિક્સ અને ટર્ટલને એક થતાં જોયાં એટલે કે ફીનિક્સને ટર્ટલ થતી જોઈ અને ટર્ટલને ફીનિક્સ થતો જોયો અને છતાં ફીનિક્સ એ ફીનિક્સ રહી અને ટર્ટલ એ ટર્ટલ રહ્યો. આ કાવ્યમાં આ અગિયારમો વિરોધાભાસ છે. આ શ્લોકની પંક્તિ ૨ અને ૩ એ શ્લોક ૭ની પંક્તિ ૩ના પુનરાવર્તનરૂપ છે. પણ આ પુનરાવર્તન સહ્ય છે, સુસહ્ય છે. કારણ કે એમાં બુદ્ધિના સ્વીકારની અને સહકારની પ્રક્રિયા છે. ‘Simple’ અને ‘compound’ શબ્દોના બબ્બે અર્થો છે. રસાયણશાસ્ત્રની પરિભાષામાં ‘Simple’નો અર્થ છે વૈદ્યકીય વનસ્પતિ, રાસાયણિક તત્ત્વો અને ‘compound’નો અર્થ છે સંયોજન. આ અર્થમાં પ્રેમ એક એવું સંપૂર્ણ સંયોજન છે કે એમાં સૌ મૂળતત્ત્વો એવાં તો એકમેકમાં મળી-ભળી જાય છે, એક થાય છે. ધર્મશાસ્ત્રની પરિભાષામાં ‘simple’ અને ‘compound’નો અર્થ છે પરમેશ્વરનું વિરોધાભાસી લક્ષણ. આ અર્થમાં પરમેશ્વરની જેમ પ્રેમ પણ એક વિરોધાભાસ છે. પ્રેમ એ પરમેશ્વર જેવો છે, અનંત હોવા છતાં એક છે, પૂર્ણ છે. આ કાવ્યમાં અહીં લગીના અગિયાર વિરોધાભાસોની પરાકાષ્ઠારૂપ આ બારમો વિરોધાભાસ છે.

શ્લોક ૧૨
 

બુદ્ધિ બોલી ઊઠી, આ કાવ્યના બીજા સ્તબકના શ્લોક ૬થી ૧૦માં સ્તુતિમાં ફીનિક્સ, ગરુડ, હંસ અને કાકના વિરોધાભાસો સાંભળીને, એ વિરોધાભાસો સ્વેચ્છાએ સ્વીકારીને વિરોધાભાસની જ ભાષામાં બોલી ઊઠી, ‘આ એક જ છે છતાં જાણે કેવાં સાચે જ બે હોય એમ ભાસે છે.’ અહીં ‘concordant’ એ સંગીતની પરિભાષાનો શબ્દ છે. એનો અર્થ છે અન્યની અપેક્ષા વિનાનો એક સ્વર. આ કાવ્યમાં આ તેરમો વિરોધાભાસ છે. અહીં બુદ્ધિ એમ નથી બોલી ઊઠી કે ‘આ બે છતાં જાણે કેવાં સાચે જ એક હોય એમ ભાસે છે.’ એથી બુદ્ધિ પ્રેમનાં રહસ્યનો સાચે જ સ્વેચ્છાએ સહર્ષ સગર્વ સ્વીકાર કરે છે અને પ્રેમની શ્રદ્ધાને સહકાર આપે છે એવી પ્રતીતિ થાય છે. આમ, પ્રેમની પાસે બુદ્ધિ છે એટલે કે બુદ્ધિનાં શસ્ત્રો છે, બુદ્ધિની દલીલો છે પણ બુદ્ધિ પાસે કંઈ જ નથી. પાસ્કાલ એના એક વિચારમાં કહે છે, ‘Heart has its reason which reason never knows.’ બુદ્ધિને પણ જેની કદી જાણ નથી એવી બુદ્ધિ હૃદય પાસે છે. જો અહીં જે જાય છે તે જ રહે છે એટલે કે જે ન હોવા છતાં છે, જે નથી અને છતાં છે, જે મૃત્યુ પામે છે તે જ મૃત્યુ દ્વારા જ પુનર્જન્મ પામે છે તો પછી બુદ્ધિએ પ્રેમના આ રહસ્ય સન્મુખ O altitudo! — અહો શી ભવ્યતા! એવું આશ્ચર્ય જ અનુભવવું રહ્યું. આ કાવ્યમાં આ ચૌદમો વિરોધાભાસ છે.

શ્લોક ૧૩
 

આ સ્વીકાર અને સહકાર પછી ફીનિક્સ અને ટર્ટલ પર, આ સહપૂર્ણ પર, પ્રેમના તારકો પર બુદ્ધિ સ્વયં Threne — કરુણગીત, શોકગીત રચે છે, શ્રદ્ધાંજલિ રચે છે. આ શ્રદ્ધાંજલિ એ ફીનિક્સ અને ટર્ટલના મૃત્યુના કરુણ દૃશ્ય, કરુણ પ્રસંગ પર ફીનિક્સ, ગરુડ, હંસ અને કાકની સાથે ગાવાના વૃંદગાન રૂપે રચે છે. આ શ્રદ્ધાંજલિમાં બુદ્ધિ પ્રેમનાં રહસ્યોનો સ્વીકાર કરે છે અને પ્રેમની શ્રદ્ધાને સહકાર આપે છે એની અંતિમ અને સંપૂર્ણ પ્રતીતિ થાય છે. અહીં કાવ્યનો ત્રીજો સ્તબક પૂરો થાય છે.

શ્લોક ૧૪
 

શ્લોક ૧૪ થી ૧૮ એ આ કાવ્યનો ચોથો અને છેલ્લો સ્તબક છે. એમાં પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમને બુદ્ધિ, ફીનિક્સ, ગરુડ, હંસ અને કાકની બુદ્ધિએ જે વૃંદગાન રૂપે રચી છે તે શ્રદ્ધાંજલિ છે. એમાં આ કાવ્યની પરાકાષ્ઠા છે. સત્ય, સૌંદર્ય, વિરલતા અને અનુગ્રહ અહીં આ ભસ્મપાત્રમાં ભસ્માવશેષ રૂપે સમાયાં છે. સત્ય, સૌંદર્ય, વિરલતા અને અનુગ્રહમાં — all simplicity — નરી સરલતા છે એટલે કે જેનાં નામ પાડી શકાય એવી ‘અહીં અને અત્યારે’ના, સ્થળ અને કાળના પરિમાણમાં બદ્ધ એવી અનંત અને અમર પ્રેમની એમનાં સરલતમ સ્વરૂપમાં, શેષરૂપમાં સરજતો છે. શ્લોક ૬થી ૧૦ની સ્તુતિ — Anthem — માં સિદ્ધ છે કે પવિત્ર અને પૂર્ણ પ્રેમ સંખ્યાતીત છે, શબ્દાતીત છે, ભાષાતીત છે, અનિર્વચનીય છે. એટલે આ સત્ય, સૌંદર્ય, વિરલતા અને અનુગ્રહ એ પ્રેમના અંશો હોવા છતાં અહીં અવશેષરૂપ, ભસ્માવશેષરૂપ છે. પ્રેમ આ સૌ અંશોને, અવશેષોને અતિક્રમી જાય છે, આ સૌના મૃત્યુ દ્વારા પ્રેમ ‘અહીં અને અત્યારે’ના, સ્થળ અને કાળના પરિમાણથી મુક્ત છે. એથી તો જે સતત પુનર્જન્મ પામે છે એ ફીનિક્સ આ ભસ્માવશેષથી હવે મુક્ત છે. વળી ‘cinders’ શબ્દનો અર્થ છે જેમાં અગ્નિ ભારેલો છે એવો ભસ્માવશેષ. એમાં પુનર્જન્મનું સૂચન છે.

શ્લોક ૧૫
 

મૃત્યુ હવે જે પુનર્જન્મ પામી છે તે ફીનિક્સનો માળો છે અને ટર્ટલનું એકનિષ્ઠ હૃદય ત્યાગ અને સમર્પણ દ્વારા, મૃત્યુ દ્વારા અનંતતાની, અમરતાની શાંતિ અનુભવે છે.

શ્લોક ૧૬
 

આ ફીનિક્સ અને ટર્ટલને કોઈ સંતતિ નથી. નહિ કે તેઓ નિર્વીર્ય છે એ કારણે પણ એમનો સંબંધ એ ‘married Chastity’ — પરિણીત પવિત્રતાનો સંબંધ છે, એટલે કે પવિત્ર અને પૂર્ણ પ્રેમનો સંબંધ છે એ કારણે. આ પ્રેમના સંબંધ દ્વારા ફીનિક્સ અને ટર્ટલ પોતે પોતાનો મૃત્યુમાંથી પુનર્જન્મ કરે છે. આ પુનર્જન્મ, અનંતતા, અમરતા એ જ એમની સંતતિ છે. આ કાવ્યમાં આ પંદરમો વિરોધાભાસ છે. આ કાવ્યનો અંતિમ અને Threnos — શ્રદ્ધાંજલિ, શોકગીતનો એકમાત્ર વિરોધાભાસ છે. એમાં પૂર્વેના ચૌદે વિરોધાભાસોની પરાકાષ્ઠા છે. આ વિરોધાભાસમાં પ્રતીક નથી. એમાં ભાવમયતા (abstraction) છે કારણ કે આ વિરોધાભાસ બુદ્ધિએ રચ્યો છે. આ કાવ્યનો પહેલો વિરોધાભાસ સ્તુતિ — Anthem — ના શ્લોક ૬માં ‘mutual flame’ના પ્રતીકમાં છે. એક પ્રતીકાત્મક અને એક ભાવમય એવા આ બે વિરોધાભાસો ‘mutual flame’ અને ‘married Chastity’માં આ પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમનું રહસ્ય છે.

શ્લોક ૧૭
 

સત્ય ભાસે છે પણ છે નહિ. સૌંદર્ય વિલાસે છે પણ છે નહિ. એ તો શ્લોક ૧૪માં કહ્યું તેમ ભસ્માવશેષ રૂપે છે અને ભલે ભસ્માવશેષ રૂપે હો! પ્રેમીજનનું સત્ય એટલે પ્રેમીજનની સતત આકર્ષાવાની શક્તિ, ત્યાગ, એકનિષ્ઠા. પ્રેમીજનનું સૌંદર્ય એટલે પ્રેમીજનની આકર્ષવાની શક્તિ, પ્રેમ. આ સત્ય અને સૌંદર્ય ‘અહીં અને અત્યારે’ના, સ્થળ અને કાળના પરિમાણમાં બદ્ધ છે. એથી જ એ ભસ્માવશેષરૂપ છે અને ભસ્માવશેષરૂપ જ હજો! એટલે તો શ્લોક ૬ની પંક્તિ ૨માં પ્રેમ અને એકનિષ્ઠાનું મૃત્યુ થયું છે એમ કહ્યું છે. પણ તરત જ કહ્યું છે કે ‘અહીં અને અત્યારે’ના, સ્થળ અને કાળના પરિમાણમાંથી એક જ્વાલા રૂપે ફીનિક્સ અને ટર્ટલ મુક્ત થયાં છે, છટકી ગયાં છે. કારણ કે પ્રેમ, પવિત્ર અને પૂર્ણ પ્રેમ ‘અહીં અને અત્યારે’ના, સ્થળ અને કાળના પરિમાણથી મુક્ત છે એટલે કે પવિત્ર અને પૂર્ણ પ્રેમ અનંત અને અમર છે. પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય નહિ પણ પ્રેમ અનંત અને અમર છે. પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય તો ભસ્માવશેષરૂપ છે અને ભસ્માવશેષરૂપ જ હો!

શ્લોક ૧૮
 

આ કાવ્યમાં અંતિમ શ્લોકમાં બુદ્ધિ, ફીનિક્સ, ગરુડ, હંસ અને કાક આ ભસ્મપાત્રની યાત્રાએ આવવા જેમનામાં સત્ય અને સૌંદર્ય છે એવાં પ્રેમીજનોને નિમંત્રણ કરે છે અને મૃત પંખીઓ માટે પ્રાર્થના નિ:શ્વસવા વિનંતી કરે છે. આમ, અંતે પંખીઓ મૃત છે અને સત્ય અને સૌંદર્ય ભસ્માવશેષરૂપ છે. આમ, અંતે પ્રેમીજનો, એમનું સત્ય, સૌંદર્ય — કંઈ જ રહેતું નથી. રહે છે માત્ર પ્રેમ! પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમ! આ પ્રેમનું રહસ્ય છે. અહીં મૃત્યુ દ્વારા અમૃત છે. અહીં આનંદમિશ્રિત શોક છે અને શોકમિશ્રિત આનંદ છે. અંતની વિનંતી અત્યંત સૂચક છે. ‘sigh a prayer’ — પ્રાર્થના નિ:શ્વસો, ગીત નહિ, કાવ્ય નહિ પણ પ્રાર્થના. અને બોલો નહિ, ગાઓ નહિ, ઉચ્ચારો નહિ પણ નિ:શ્વસો. કારણ કે જે પ્રેમ પવિત્ર અને પૂર્ણ છે, અનંત અને અમર છે તે શબ્દાતીત છે, ભાષાતીત છે, અનિર્વચનીય છે. આવા પ્રેમને મૌનનો જ અર્ઘ્ય હોય. પ્રાર્થનાની જ અંજલિ હોય. અહીં કાવ્યનો ચોથો અને છેલ્લો સ્તબક પૂરો થાય છે અને પ્રાર્થનાના મૌનમાં કાવ્ય વિરમે છે. ૧૮ શ્લોકની આ પ્રેમગીતા છે. એમાં ૪ સ્તબક છે  સ્તબક ૧, શ્લોક ૧થી ૫, પંખીઓને નિષેધ અને નિમંત્રણ, પ્રેમની પવિત્રતા. સ્તબક ૨, શ્લોક ૬થી ૧૦, પંખીઓની સ્તુતિ અને વિરોધાભાસો, પ્રેમની પૂર્ણતા. સ્તબક ૩, શ્લોક ૧૧થી ૧૩, બુદ્ધિનો સ્વીકાર અને સહકાર. સ્તબક ૪, શ્લોક ૧૪થી ૧૮, બુદ્ધિની અને પંખીઓની શ્રદ્ધાંજલિ અને રહસ્ય, પવિત્રતા અને પૂર્ણતાની પરાકાષ્ઠા દ્વારા પ્રેમની અનંતતા અને અમરતા.

સ્તબક ૧
 

અહીં શ્લોક ૧થી ૫માં ફીનિક્સ અને ટર્ટલના સહમૃત્યુ પછી એમનાં મૃત્યુની શોકસભાના પ્રસંગે એ શોકસભામાં હાજર રહેવા ફીનિક્સ પોતે જ અમુક પંખીઓને નિષેધ કરે છે અને અમુક પંખીઓને નિમંત્રણ કરે છે, એથી આ કાવ્યમાં કવિની તટસ્થતા અને પરલક્ષિતા સિદ્ધ થાય છે. આ કાવ્યમાં જે પ્રેમનું રહસ્ય છે એની સાર્વભૌમતા સિદ્ધ થાય છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિએ કાવ્ય સમગ્રનો મિજાજ પ્રગટ કર્યો છે. પ્રથમ પંક્તિનો પ્રથમ શબ્દ ‘Let’ છે અને એ સ્વરભારયુક્ત છે. ત્રણે ‘l’ વ્યંજન પર સ્વરભાર, ‘l’ વ્યંજનની વર્ણસગાઈ અને ‘loudest’માં વિશેષણની શ્રેષ્ઠતાવાચકતાને કારણે કાવ્યની પ્રથમ પંક્તિની કઠોરતા અને કાવ્યની અંતિમ પંક્તિ ‘For these dead Birds sigh a prayer’ની કોમળતાના વિરોધ દ્વારા તથા ‘loudest lay’ — તારસ્વરનું ગીત અને ‘sigh a prayer’ — અબોલ પ્રાર્થનાના વિરોધ દ્વારા તથા વચમાં ૬૫ પંક્તિમાં સ્તુતિ અને શ્રદ્ધાંજલિને કારણે શોક અને મૃત્યુમાંથી આનંદ અને અમરતામાં વિરમતા આ કાવ્યનો નાટ્યાત્મક પ્રકાર પ્રગટ કર્યો છે. આ સ્તબકમાં ‘Let be’, ‘obey’, ‘come not’, ‘keep’ એ આજ્ઞાર્થવાચક ક્રિયાપદો દ્વારા અને ‘loudest lay’, ‘the sole Arabian tree’, ‘herald’, ‘trumpet’, ‘troop’, ‘session’, ‘feather’d King’, ‘obsequy’ — એ શબ્દો દ્વારા ફીનિક્સનું ઐશ્વર્ય, ફીનિક્સનો પ્રભાવ અને અધિકાર પ્રગટ કર્યાં છે. ઘુવડ, ગરુડ, હંસ અને કાક પંખીઓને અહીં જે રીતે યોજ્યાં છે, એમની માત્ર વિશેષતા અને તાત્ત્વિકતાનો જ જે રીતે ઉલ્લેખ કર્યો છે એમાં પંખીકાવ્યની પરંપરામાં આ કાવ્ય કેવું તો મૌલિક અને સ્વતંત્ર છે એ પ્રતીત થાય છે. આ કાવ્યમાં પંખીઓ વિશેની પ્રચલિત લોકમાન્યતા અને સાહિત્યિક સાધનસામગ્રી પણ કાવ્ય સમગ્રના સંદર્ભમાં કેવી તો સાર્થ અને સાંકેતિક છે! આમેય તે આ પંખીઓ દિનપ્રતિદિનના પરિચિત પંખીઓ નથી, અલ્પપરિચિત કે અપરિચિત છે અને અહીં એમની માત્ર વિશેષતા અને તાત્ત્વિકતાનો જ ઉલ્લેખ કર્યો છે એથી વધુ અપરિચિત લાગે છે, વધુ ધાર્મિક અને પવિત્ર લાગે છે. ‘chaste wings’, ‘interdict’, ‘obsequy’, ‘Priest’, ‘surplice white’, ‘defunctive music’, ‘Requiem’, ‘right’ એ શબ્દો દ્વારા એમની ધાર્મિકતા અને પવિત્રતા સિદ્ધ થાય છે. વળી ક્રૂસ પરના ક્રાઇસ્ટને ફીનિક્સ કહ્યા છે અને અપરિણીત અને પ્રભુપરાયણ સાધ્વીને ટર્ટલ કહી છે એથી આ ફીનિક્સ અને ટર્ટલ આ કાવ્યમાં જે પ્રેમ છે એની ધાર્મિકતા, આધ્યાત્મિકતા, પવિત્રતા અને દિવ્યતાની પરાકાષ્ઠારૂપ છે. અહીં ફીનિક્સ પોતે જ પોતાના અને ટર્ટલના સહમૃત્યુની શોકસભા રચે છે અને એમાં હાજર રહેવા અમુક પંખીઓને નિષેધ અને અમુક પંખીઓને નિમંત્રણ કરે છે તો એથી આ કાવ્યમાં જે શોક છે એમાં ક્ષતિ ન થાય? પણ જેનામાં પોતાની ભસ્મમાંથી પોતાના દેહનું પુન: પુન: સર્જન કરવાની શક્તિ છે એનામાં આમ પોતાના જ મૃત્યુનો મહોત્સવ ઊજવવાની શક્તિ ન હોય? વળી આ કાવ્યમાં મૃત્યુ દ્વારા જ પુનર્જન્મ થાય છે એથી મૃત્યુ એ મૃત્યુ જ નથી, મૃત્યુ એ જ અમૃત છે. અને શોક એ શોક નથી, શોક એ જ આનંદ છે. આમ, આ કાવ્યના પહેલા સ્તબકમાં કવિએ પંખીઓને આ નિષેધ અને નિમંત્રણ દ્વારા પ્રેમની પવિત્રતા પર પોતાનું અને આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમાં પ્રેમની પવિત્રતા સિદ્ધ કરી છે. ટૂંકમાં આ પવિત્ર પ્રેમનું કાવ્ય છે.

સ્તબક ૨
 

અહીં શ્લોક ૬થી ૧૦માં ફીનિક્સ, ગરુડ, હંસ અને કાકની સ્તુતિ છે. આ સ્તુતિ ગવાતી હોય ત્યારે ફીનિક્સ, ગરુડ અને કાક સ્થિર-સ્થિત હોય અને હંસ પુરોહિત હોવાથી Requiem — શાંતિ પ્રાર્થનાનો mass — ધર્મવિધિ કરવામાં ગતિશીલ હોય એવું નાટ્યાત્મક દૃશ્ય કલ્પી શકાય. આ સ્તુતિમાં કુલ દસ વિરોધાભાસો છે. એમાં સૌથી પહેલો વિરોધાભાસ છે ‘mutual flame’ — એક જ્વાલા. દસમાંથી આ એક જ વિરોધાભાસ સ્પર્શક્ષમ અને દૃશ્ય પ્રતીક દ્વારા પ્રગટ કર્યો છે અને એમાં આ કાવ્યમાં જે પ્રેમ છે — પવિત્ર, પૂર્ણ, અનંત, અમર પ્રેમ — એનું રહસ્ય પ્રગટ થાય છે. આ પ્રેમ આ વિરોધાભાસ વિના પ્રગટ કરવો જ અશક્ય છે. એથી અહીં આ કાવ્યમાં વિરોધાભાસો વિરોધાભાસોને ખાતર યોજ્યા નથી. પણ અનિવાર્ય છે, આ પ્રેમની એ એકમાત્ર અભિવ્યક્તિ છે એથી યોજ્યા છે. આ પ્રેમનું રહસ્ય છે દેહ બે પણ આત્મા એક. આ રહસ્યનો સ્પષ્ટતા અને સચોટતાપૂર્વક, મક્કમતા અને ચોક્કસતાપૂર્વક, અસાધારણ સંયમ અને અદ્ભુત સુવ્યવસ્થાથી કવિના સમયની એટલે કે Renaissance — પુનરુત્થાન પછી ૧૭મી સદીની જ્ઞાન-વિજ્ઞાનની, ગણિતશાસ્ત્રથી માંડીને તે ધર્મશાસ્ત્ર લગીનાં શાસ્ત્રોની પરિભાષામાં એક પછી એક અનુસંધાનરૂપ કે પુનરાવર્તનરૂપ દસ વિરોધાભાસો દ્વારા તીક્ષ્ણ અને તીવ્ર તર્કબુદ્ધિથી વિકાસ અને વિસ્તાર કર્યો છે. આ કાવ્યમાં ‘mutual flame’નું પ્રતીક અત્યંત કાવ્યમય છે. પવિત્ર, પૂર્ણ, અનંત, અમર પ્રેમનું આથી વધુ કાવ્યમય કોઈ પ્રતીક નથી. પ્રેમ પવિત્ર હોય એટલે કે પ્રેમમાં ‘married Chastity’ — પરિણીત પવિત્રતા હોય, પ્રેમમાં દેહ બે પણ આત્મા એક હોય તો એ પ્રેમ સ્થૂલ, પાર્થિવ, જડથી પર છે. એ પ્રેમ સૂક્ષ્મ, અપાર્થિવ, ચેતન તત્ત્વ છે. એ પ્રેમ દેહથી પર છે, એ પ્રેમ દેહમૂલક નથી, એથી પ્રેમીજનો દેહ હોવા છતાં દેહ દ્વારા નહિ, આત્મા દ્વારા ઐક્ય, પ્રેમ અનુભવે છે. એમાં ઇન્દ્રિયો અપ્રસ્તુત છે. પણ ત્યારે પણ પ્રેમીજનો પરસ્પરનો દેહ, ભલે દેહ રૂપે નહિ, આત્મા રૂપે, દૃષ્ટિથી, દર્શનેન્દ્રિયથી અનિવાર્યપણે અનુભવે છે. દૃષ્ટિથી, દર્શનેન્દ્રિયથી પરસ્પરને જ્વાલા રૂપે અનુભવે છે. પણ આ પ્રેમમાં દેહ બે પણ આત્મા એક હોવાથી એક જ્વાલા રૂપે અનુભવે છે. પ્રત્યેકની દૃષ્ટિમાં અન્ય જ્વાલારૂપે હોય તોપણ, જેમ આ અને તે એવી બે જ્વાલા પરસ્પરમાં મળી-ભળી જાય પછી આ કઈ અને તે કઈ એ જાણવું — પ્રમાણવું જ અશક્ય તેમ, એક જ્વાલા રૂપે અનુભવે છે. વળી આ એક જ્વાલા માત્ર બે પ્રેમીજનોને માટે જ દૃશ્ય, અન્ય સૌને માટે અદૃશ્ય. વળી આ જ્વાલા એ પવિત્રતાનું પ્રતીક અને પ્રકૃતિથી જ ઊર્ધ્વગામી. એથી આ પ્રેમનું આથી વધુ કાવ્યમય કોઈ પ્રતીક નથી. દેહ બે પણ આત્મા એક એવા આ પ્રેમના રહસ્યનું એમાં પ્રતિપાદન અને શ્રદ્ધાવચન છે. આમ, આ પ્રતીક અને એના વિરોધાભાસમાં વ્યક્ત થતા પ્રેમના રહસ્યનું આ પ્રતિપાદન, આ શ્રદ્ધાવચન અત્યંત પ્રતીતિજનક છે પણ પૂરતું નથી. પવિત્ર, પૂર્ણ, અનંત, અમર પ્રેમમાં દેહ બે પણ આત્મા એક છે. આવા પ્રેમનું આ રહસ્ય છે. આવો પ્રેમ ‘mutual flame’ — એક જ્વાલા છે એટલું જ કાવ્યમાં કહેવું બસ નથી. પણ આવા પ્રેમનું કવિનું આ દર્શન, આવા પ્રેમમાં કવિની આ શ્રદ્ધા, આવા પ્રેમનું આ રહસ્ય બુદ્ધિ સ્વીકારે અને બુદ્ધિ એમાં સહકાર આપે એ અત્યંત આવશ્યક છે, બલકે અનિવાર્ય છે. કારણ કે બુદ્ધિથી જ બધું સમજાતું નથી તો બુદ્ધિ વિના કશું જ સમજાતું નથી. એથી અહીં શ્લોક ૬થી ૧૦માં દસ વિરોધાભાસો છે. એમાં આવા પ્રેમનું આ રહસ્ય વિરોધાભાસ વિના વ્યક્ત કરવું જ અશક્ય છે, આવા પ્રેમનું વર્ણન કે એની વ્યાખ્યા સંખ્યામાં કે શબ્દમાં શક્ય જ નથી, આવો પ્રેમ સંખ્યામાં કે શબ્દમાં જ્યાં વ્યક્ત થવા જાય છે ત્યાં જ વિરોધાભાસ રચાય છે. આવો પ્રેમ સંખ્યાતીત છે, શબ્દાતીત, ભાષાતીત છે. આવો પ્રેમ અનિર્વચનીય છે એમ કવિએ અહીં સિદ્ધ કર્યું છે અને તે પણ બુદ્ધિની સૌ સરજતોની, જ્ઞાન, વિજ્ઞાન અને શાસ્ત્રોની પરિભાષામાં. એટલે આ વિરોધાભાસો એ જાણે કે પ્રેમનું બુદ્ધિનાં જ શસ્ત્રો દ્વારા બુદ્ધિ સામેનું યુદ્ધ છે, જાણે કે પ્રેમનો બુદ્ધિની જ દલીલો દ્વારા બુદ્ધિ સામેનો કેસ છે. એમાં શેક્સ્પિયરે બુદ્ધિની મર્યાદા બુદ્ધિ દ્વારા જ આંકી છે. એમાં શેક્સ્પિયરની બુદ્ધિનો વૈભવ અને વિસ્તાર પ્રગટ થાય છે. આ વિરોધાભાસોમાં એવી સચોટતા અને સ્પષ્ટતા છે. અને એથી જ પ્રેમ વિરુદ્ધ બુદ્ધિના યુદ્ધમાં બુદ્ધિનો પરાજય થાય છે. પ્રેમ વિરુદ્ધ બુદ્ધિના કેસમાં બુદ્ધિની હાર થાય છે. શેક્સ્પિયરે બુદ્ધિને બાજુ પર મૂકી નથી, બુદ્ધિનો કાંકરો કાઢી નાખ્યો નથી. બુદ્ધિની નિંદા કે ઉપેક્ષા કરી નથી. બુદ્ધિનો અનાદર, તિરસ્કાર, બહિષ્કાર કર્યો નથી, પણ બુદ્ધિને જીતી લીધી છે, બુદ્ધિને વશ કરી છે, બુદ્ધિ હોંશે હોંશે, ઉત્સાહ અને ઉમંગથી, સગર્વ અને સવિવેક આવા પ્રેમના આ રહસ્યનો સ્વેચ્છાએ સ્વીકાર કરે અને એમાં સહકાર આપે એવી આ દસ વિરોધાભાસોમાં સચોટતા અને સ્પષ્ટતા દ્વારા. આમ, શેક્સ્પિયરે આ દસ વિરોધાભાસો વિરોધાભાસોને ખાતર યોજ્યા નથી પણ આવા પ્રેમનું આ રહસ્ય વિરોધાભાસ વિના વ્યક્ત કરવું જ અશક્ય છે એથી, આ વિરોધાભાસો અનિવાર્ય છે એથી યોજ્યા છે. વળી આ વિરોધાભાસો વિકસાવવા કે વિસ્તારવા ખાતર વિકસાવ્યા કે વિસ્તાર્યા નથી પણ આવા પ્રેમના આ રહસ્યનું કવિનું દર્શન અને કવિની શ્રદ્ધા બુદ્ધિ સ્વેચ્છાએ સ્વીકારે અને એમાં સહકાર આપે એ અનિવાર્ય છે એથી વિકસાવ્યા-વિસ્તાર્યા છે. અહીં આ દસ વિરોધાભાસોનો આ નાટ્યાત્મક સંદર્ભ છે. આમ, અહીં આ દસ વિરોધાભાસોમાં શેક્સ્પિયરની ચાતુરી કે રમૂજ નથી, મજાકમશ્કરી નથી. પણ આવા પ્રેમના આ રહસ્યમાં એની શ્રદ્ધાની ગંભીરતા છે. એમાં એનો પરિશ્રમ અને પુરુષાર્થ છે. આમ, અહીં આ દસ વિરોધાભાસોમાં ડન અને હર્બર્ટને ક્વચિત્ જ સિદ્ધ એવી સચોટતા, સ્પષ્ટતા અને અનિવાર્યતા છે અને નાટ્યાત્મક સંદર્ભ છે એથી સમકાલીન પ્રચલિત metaphysical poetry — કોટિકાવ્યની પરંપરા — માં આ કાવ્ય કેવું તો મૌલિક અને સ્વતંત્ર છે એ પ્રતીત થાય છે. કાવ્યમાં કવિ શું કહે છે એનો નહિ પણ શી રીતે કહે છે એનો મહિમા છે. પ્રેમનું કાવ્ય તો અસંખ્ય કવિઓએ રચ્યું છે, કયા કવિએ નહિ રચ્યું હોય? પણ શેક્સ્પિયરે આ પ્રેમનું કાવ્ય એક પણ ઇન્દ્રિયગ્રાહ્ય કે ઇન્દ્રિયરાગી પ્રતીક વિના વિરોધાભાસોથી, અને આવા વિરોધાભાસોથી રચ્યું છે એમાં એની અદ્વિતીયતા છે. જગતભરની કવિતામાં આ પ્રેમનું કાવ્ય અદ્વિતીય છે કારણ કે શેક્સ્પિયરનું પ્રેમના રહસ્યનું દર્શન અદ્વિતીય છે. આમ, આ કાવ્યના બીજા સ્તબકમાં કવિએ પંખીઓની આ સ્તુતિ અને એમના આ વિરોધાભાસો દ્વારા પ્રેમની પૂર્ણતા પર પોતાનું અને આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમાં પ્રેમની પૂર્ણતા સિદ્ધ કરી છે. ટૂંકમાં આ પૂર્ણ પ્રેમનું કાવ્ય છે.

સ્તબક ૩
 

અહીં શ્લોક ૧૧થી ૧૩માં બુદ્ધિનો સ્વીકાર અને સહકાર છે. અહીં આ શોકસભામાં બુદ્ધિને નિમંત્રણ તો કરવામાં આવ્યું નથી! તો નિષેધ પણ કરવામાં આવ્યો નથી. બુદ્ધિ ફીનિક્સના નિમંત્રણ વિના જ હાજર રહે છે. બુદ્ધિ એમ ન કરે તો બુદ્ધિ શેની? બુદ્ધિ બધે જ હાજર હોય છે, સર્વવ્યાપી છે. અહીં એ સજીવારોપણથી પાત્ર તરીકે હાજર રહે છે. એટલું જ નહિ, એ પંખીઓની સ્તુતિ અને એમાં જે અને જે પ્રકારના વિરોધાભાસો છે તે સાંભળે છે. એટલું જ નહિ પણ સાંભળીને એ બોલી ઊઠે છે. એમાં એ વિરોધાભાસોનો સ્વેચ્છાએ સ્વીકાર કરે છે, હોંશે હોંશે, ઉત્સાહ અને ઉમંગથી, સગર્વ અને સવિવેક. આ સ્વીકારમાં બુદ્ધિ સ્વયં વિરોધાભાસો યોજે છે. એ દ્વારા સ્વીકારની પ્રક્રિયા પ્રગટ થાય છે. એટલું જ નહિ, બુદ્ધિ સ્વયં Threne — શ્રદ્ધાંજલિ રચે છે, Chorus — વૃંદગાન રૂપે. એટલું જ નહિ, બુદ્ધિ સ્વયં એ શ્રદ્ધાંજલિ ગાય છે અને ફીનિક્સ, ગરુડ, હંસ અને કાક પાસે ગવડાવે છે. આમ, આ કાવ્યમાં પ્રેમના રહસ્યનું જે દર્શન છે એનો બુદ્ધિ સ્વીકાર કરે છે, આ કાવ્યમાં પ્રેમના રહસ્યમાં જે શ્રદ્ધા છે એને બુદ્ધિ સહકાર આપે છે. એમાં બુદ્ધિની બલિહારી છે, બુદ્ધિનું ગૌરવ છે. એમાં બુદ્ધિની મહત્તા અને બુદ્ધિનો મહિમા છે, એમાં જ બુદ્ધિની ધન્યતા અને કૃતાર્થતા છે. એમાં આ કાવ્યની નાટ્યાત્મકતા પ્રગટ થાય છે. આ કાવ્યમાં જેમ ફીનિક્સ મૃત્યુ પામે છે અને એ મૃત્યુ દ્વારા જ પુનર્જન્મ પામે છે અને પોતાના મૃત્યુની શોકસભામાં પોતે જ Anthem — સ્તુતિ ગાય છે અને ગવડાવે છે તેમ જ બુદ્ધિ પરાજય, હાર પામે છે અને એ પરાજય, હાર દ્વારા જ ધન્ય અને કૃતાર્થ થાય છે અને Threne — શ્રદ્ધાંજલિ ગાય છે અને ગવડાવે છે. આમ, આ સ્તુતિ અને આ શ્રદ્ધાંજલિ એ આ કાવ્યના સંવિધાનનાં બે મુખ્ય અંગો છે. આ કાવ્ય કેવળ કવિનું કાવ્ય નથી. નાટ્યાકાર કવિનું કાવ્ય છે. આમ, આ કાવ્યમાં પ્રેમના રહસ્યનું કવિનું જે દર્શન છે તે બુદ્ધિરહિતનું નથી, બુદ્ધિસહિતનું છે, આ કાવ્યમાં પ્રેમના રહસ્યમાં કવિની જે શ્રદ્ધા છે તે બુદ્ધિરહિતની નથી, બુદ્ધિસહિતની છે એમ સિદ્ધ થાય છે. આમ, આ કાવ્યના ત્રીજા સ્તબકમાં કવિએ બુદ્ધિના આ સ્વીકાર અને સહકાર દ્વારા પ્રેમની પવિત્રતા અને પૂર્ણતાને પરાકાષ્ઠાએ પહોંચાડીને પ્રેમની અનંતતા અને અમરતા પ્રગટવાની, પ્રેમનું રહસ્ય પ્રગટવાની, શક્યતા સિદ્ધ કરી છે.

સ્તબક ૪
 

અહીં શ્લોક ૧૪થી ૧૮માં Threnos — શ્રદ્ધાંજલિ છે. એ સ્વયં બુદ્ધિએ રચી છે. બુદ્ધિ એ ગાય છે અને ફીનિક્સ, ગરુડ, હંસ અને કાક પાસે ગવડાવે છે. સમગ્ર કાવ્યમાં શેક્સ્પિયરની અન્ય કોઈ પણ કૃતિમાં નથી એવી તટસ્થતા અને પરલક્ષિતા છે. પણ આ શ્રદ્ધાંજલિ સ્વયં બુદ્ધિએ રચી છે એથી અહીં તટસ્થતા અને પરલક્ષિતાની પરાકાષ્ઠા છે. સમગ્ર કાવ્યમાં ઇન્દ્રિયગ્રાહ્ય અને ઇન્દ્રિયરાગી પ્રતીકો નહિ પણ ભાવમય વિરોધાભાસો (abstract paradoxes) યોજ્યા છે. પણ આ શ્રદ્ધાંજલિ સ્વયં બુદ્ધિએ રચી છે એથી અહીં ભાવાત્મક વિરોધાભાસોની પરાકાષ્ઠા છે. શ્રદ્ધાંજલિમાં એક જ વિરોધાભાસ છે, ‘married Chastity’ — પરિણીત પવિત્રતા. આ કાવ્યમાં આ ૧૫મો અને અંતિમ વિરોધાભાસ છે. અને એ પૂર્વેના સૌ વિરોધાભાસોની પરાકાષ્ઠારૂપ છે. આ શ્રદ્ધાંજલિ સ્વયં બુદ્ધિએ રચી છે એથી એમાં સીધાં, સાદાં, સરલ, સ્પષ્ટ, સાફ સાફ, તડ ને ફડ, મગનું નામ મરી પાડીને, નર્યાં નિરંલકૃત વિધાનો અને પ્રતિપાદનો છે. આ વિધાનો અને પ્રતિપાદનો ‘enclosed lie’, ‘is now’, ‘doth rest’, ‘ ‘Twas not’, ‘It was’, ‘cannot be’, ‘ ‘tis not’ અને ‘buried be’ — ક્રિયાપદોમાં પ્રગટ થાય છે. આ વિધાનો અને પ્રતિપાદનો અત્યંત સબળ અને સચોટ છે. અને એથી તો be/she/be જેવો નબળો પ્રાસ પણ નિર્વાહ્ય બને છે. આ શ્રદ્ધાંજલિના ૫ શ્લોકો કાવ્યના અન્ય ૧૩ શ્લોકોની જેમ ચાર પંક્તિના ચતુષ્કો નથી પણ ત્રણ પંક્તિના ત્રિપદો છે. અને પ્રત્યેક શ્લોકોમાં એક જ પ્રાસ છે અને કુલ ૧૫ પંક્તિમાં ત્રણ જ પ્રાસગુચ્છો છે. એમાં લય સતત વિલંબિત ગતિનો શાંત લય છે. આમ, સમગ્ર કાવ્ય એની તટસ્થતા અને પરલક્ષિતાને કારણે, એનાં ઇન્દ્રિયગ્રાહ્ય અને ઇન્દ્રિયરાગી પ્રતીકોને સ્થાને ભાવમય વિરોધાભાસોને કારણે અત્યંત હૃદયદ્રાવક અને અસરકારક છે, તો આ શ્રદ્ધાંજલિ આ કારણો ઉપરાંત એનાં વિધાનો, પ્રતિપાદનો, ક્રિયાપદો, શ્લોકરચના, પ્રાસ અને લયને કારણે સવિશેષ હૃદયદ્રાવક અને અસરકારક છે. સ્તબક ૧માં પંખીઓના નિષેધ અને નિમંત્રણ દ્વારા પ્રગટ થતી પ્રેમની પવિત્રતા અને સ્તબક ૨માં પંખીઓની સ્તુતિ અને એમના વિરોધાભાસો દ્વારા પ્રગટ થતી પ્રેમની પૂર્ણતા સ્તબક ૩માં બુદ્ધિના સ્વીકાર અને સહકાર પછી અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે અને એ દ્વારા પ્રેમની અનંતતા અને અમરતા પ્રગટ થાય છે. પ્રેમનું રહસ્ય પ્રગટ થાય છે અને કાવ્યની સુગ્રથિત સુશ્લિષ્ટ એકતા સ્પષ્ટ થાય છે. અંતે પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય કંઈ જ રહેતું નથી, રહે છે માત્ર પ્રેમ! પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય — સર્વ ‘અહીં અને અત્યારે’ના, સ્થળ અને કાળના પરિણામમાં બદ્ધ છે. પ્રેમ આ પરિમાણથી મુક્ત છે. અને આ પ્રેમમાં સર્વ સમાયું છે — પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય અને એમ તો આ સમસ્ત વિશ્વ પ્રેમમાં સમાયું છે. એથી અંતમાં કંઈ જ રહેતું નથી છતાં બધું જ રહે છે. કારણ કે પ્રેમ રહે છે. પ્રેમ પવિત્ર અને પૂર્ણ છે એથી તો એ ‘married Chastity’ — પરિણીત પવિત્રતા છે. અને એને કોઈ ‘posterity’ — સંતતિ નથી. આ સ્તો પ્રેમની શક્તિ છે. પવિત્ર અને પૂર્ણ પ્રેમની સંતતિ પ્રેમ! એથી સ્તો પ્રેમમાં પ્રેમ સિવાય કંઈ જ રહેતું નથી. પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય કંઈ જ રહેતું નથી. હા, પણ પ્રેમમાં પ્રેમ તો રહે છે જ! એટલે પ્રેમ જો પવિત્ર અને પૂર્ણ હોય તો પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય કંઈ જ ન રહે, પણ પ્રેમ તો રહે જ! એટલે પ્રેમ જો પવિત્ર અને પૂર્ણ હોય તો એ પ્રેમ અનંત અને અમર છે. આ પ્રેમનું રહસ્ય છે. આમ, આ કાવ્યના ૪થા અને છેલ્લા સ્તબકમાં બુદ્ધિની અને પંખીઓની શ્રદ્ધાંજલિ અને પ્રેમના રહસ્ય દ્વારા, પ્રેમની પવિત્રતા અને પૂર્ણતાની પરાકાષ્ઠા દ્વારા પ્રેમની અનંતતા અને અમરતા પર કવિએ પોતાનું અને આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એમાં પ્રેમની અનંતતા અને અમરતા સિદ્ધ કરી છે. ટૂંકમાં આ અનંત અને અમર પ્રેમનું કાવ્ય છે. આ કાવ્યનો ૧૫મો અને અંતિમ વિરોધાભાસ છે ‘married Chastity’ — પરિણીત પવિત્રતા. એ સૌ વિરોધાભાસોની પરાકાષ્ઠારૂપ છે. એમાં પ્રેમની પવિત્રતા પ્રગટ થાય છે. પ્રેમ જો પવિત્ર હોય તો એ પ્રેમ પૂર્ણ છે. પ્રેમની પૂર્ણતા આ કાવ્યના અન્ય સૌ વિરોધાભાસોના આરંભરૂપ પ્રથમ વિરોધાભાસ ‘mutual flame’માં પ્રગટ છે. પ્રેમ જો પવિત્ર હોય એટલે કે દેહમૂલક ન હોય, પ્રેમમાં જો દેહ બે અને આત્મા એક હોય તો એ પ્રેમ પૂર્ણ છે. એ પ્રેમમાં ‘હું’ = ‘હું’ અને ‘તું’ = ‘તું’ના દ્વૈતમાંથી ‘હું’ = ‘તું’ અને ‘તું’ = ‘હું’ અદ્વૈત સિદ્ધ થાય. પણ પછી એ ‘હું’ = ‘હું’ અને ‘તું’ = ‘તું’ના દ્વૈત અને ‘હું’ = ‘તું’ અને ‘તું’ = ‘હું’ના અદ્વૈત વચ્ચે નવું દ્વૈત રચાય પણ પછી વળી નવા દ્વૈતમાંથી અદ્વૈત રચાય અને એમ દ્વૈત અને અદ્વૈતની અનંત લીલા થાય! એ જ પ્રેમની અનંતતા અને અમરતા! આમ, જો પ્રેમ પવિત્ર અને પૂર્ણ હોય તો પ્રેમ અનંત અને અમર છે. એથી આ કાવ્ય એ પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમનું કાવ્ય છે. પ્રેમ જો પવિત્ર અને પૂર્ણ હોય, અનંત અને અમર હોય તો એમાં દેહ બે પણ આત્મા એક હોય! એટલે કે દેહનો ત્યાગ હોય અને આત્મા એક છે એવી સમજ હોય! પ્રેમ જો પવિત્ર અને પૂર્ણ હોય તો અંતે પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય કંઈ જ ન રહે તોપણ પવિત્ર અને પૂર્ણ પ્રેમ અનંત અને અમર હોવાથી પ્રેમ તો રહે જ! આ કાવ્યમાં અંતે પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય કંઈ જ નથી રહેતું તો શું રહે છે? શૂન્ય? હા, એક અર્થમાં શૂન્ય. પણ પ્રેમ તો રહે છે જ! એથી એ અર્થમાં એ શૂન્ય એટલે જ અનંત. પ્રેમમાં, પવિત્ર અને પૂર્ણ, અનંત અને અમર પ્રેમમાં પ્રેમીજનો ન રહે, એમનું સત્ય અને સૌંદર્ય ન રહે, પણ પ્રેમમાં પ્રેમ રહે. પણ આ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પ્રેમ! પ્રેમમાં પ્રેમ રહે અને પ્રેમ એટલે પ્રેમ! એ જ પ્રેમનું રહસ્ય છે, પ્રેમની સૂઝ છે. એ જ આ કાવ્યમાં શેક્સ્પિયરનું પ્રેમનું દર્શન (vision) છે. એ જ આ કાવ્યમાં શેક્સ્પિયરની પ્રેમમાં શ્રદ્ધા (faith) છે. એ જ આ કાવ્યમાં શેક્સ્પિયરનું અને આપણું આશ્ચર્ય (wonder) છે. આ કાવ્યમાં લય, છંદ, શબ્દ, પ્રતીક, વાણીની વેધકતા અને વિશદતા, સચોટતા અને સ્પષ્ટતા, સરલતા અને સંકુલતા, અરે, પંક્તિએ પંક્તિએ જે વિરામચિહ્નો છે તે સુધ્ધાં બધું આ રહસ્યને, આ દર્શનને, આ શ્રદ્ધાને, આ આશ્ચર્યને અને તેની ગંભીરતા અને ગભીરતાને અત્યંત અનુરૂપ છે. છતાં શેક્સ્પિયરને પૂછીએ, ‘કવિ, પ્રેમનું રહસ્ય શું છે?’ તો શેક્સ્પિયર કહેશે, ‘પ્રેમનું રહસ્ય છે પ્રેમ!’ આ તે કેવો ઉત્તર! આ તે કંઈ ઉત્તર છે? આપણને કોઈ પૂછે, ‘આત્માનું રહસ્ય શું છે?’ તો આપણે કહીશું, ‘આત્માનું રહસ્ય છે આત્મા!’ આ પણ કેવો ઉત્તર! આ તે કંઈ ઉત્તર છે? હા, ઉત્તર એ જ કે ઉત્તર નથી. ‘આત્મા એટલે શું?’ એ પ્રશ્નનો ઉત્તર હોય તો ‘પ્રેમ એટલે શું?’ એ પ્રશ્નનો ઉત્તર હોય. આત્મા એટલે આત્મા તેમ પ્રેમ એટલે પ્રેમ! એ જ પ્રેમનું રહસ્ય છે. એ જ, ‘પ્રેમ એટલે શું?’-નો ઉત્તર છે. એટલું જ જો રહસ્ય હોય, એટલો જ જો ઉત્તર હોય તો શેક્સ્પિયરે આ કાવ્ય રચ્યું કેમ? આ કાવ્ય નિરર્થક અને અહેતુક છે? આ કાવ્યનો અર્થ અને હેતુ એ જ કે આ કાવ્ય રચ્યું તે પૂર્વે પણ પ્રેમનું રહસ્ય એ રહસ્ય જ હતું અને આ કાવ્ય રચ્યું પછી પણ પ્રેમનું રહસ્ય એ રહસ્ય જ રહે છે. કારણ કે પ્રેમ સંખ્યાતીત અને શબ્દાતીત છે, ભાષાતીત છે, અનિર્વચનીય છે. એથી સ્તો ભસ્મપાત્રમાં જે ભસ્મ છે એને માપીએ, જોખીએ, એનું ભૌતિક અને રાસાયણિક પૃથક્કરણ કરીએ છતાં એમાંથી ફીનિક્સ અને એના પુનર્જન્મનું રહસ્ય જેમ કદી ના પામી શકીએ તેમ જ આ કાવ્યમાં જે શબ્દો છે એનું પૃથક્કરણ કરીએ છતાં એમાંથી પ્રેમનું રહસ્ય કદી ન પામી શકીએ. એટલે તો ‘loudest lay’થી કાવ્યનો આરંભ છે પણ ‘sigh a prayer’માં કાવ્યનો અંત છે. પ્રાર્થનાના મૌનમાં કાવ્ય વિરમે છે. આટલું સમજવા અને સમજાવવા શેક્સ્પિયરે આ કાવ્ય રચ્યું છે. હવે પ્રશ્ન પૂછશો, ‘પ્રેમ એટલે શું?’ તો એ પ્રશ્નનો ઉત્તર છે, ‘ચંદ્રનો વાંસો અને સસલાનાં શિંગડાં!’ કવિ તો આશ્ચર્ય અનુભવે, ઉત્તર ન આપે. કવિ તો બસ વખાણે, બાકીનું ભગવાન જાણે! પ્રેમ એટલે પ્રેમ એવા પ્રેમના રહસ્યનો પાર ભલે ન પમાય! પણ પ્રેમમાં અંતે પ્રેમ રહે છે. પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય કંઈ જ ન રહે ત્યારે પણ પ્રેમ રહે છે. કવિનું આ દર્શન છે, કવિની આ શ્રદ્ધા છે. ઋષિ-મનીષી-દ્રષ્ટાને જેવો આત્મા, સંત-રહસ્યવાદીને જેવો પરમેશ્વર, બુદ્ધને જેવું નિર્વાણ તેવો કવિને પ્રેમ! પ્રેમ જન્મ-મૃત્યુથી પર છે, પ્રેમ સ્થળ-કાળથી પર છે. પ્રેમ મુક્ત છે, પ્રેમ અમૃત છે. પ્રેમ ત્રિલોકમાં અને ત્રિકાલમાં છે છતાં ત્રિલોકાતીત છે અને ત્રિકાલાતીત છે, કારણ કે કંઈ જ ન હતું ત્યારે પ્રેમ હતો, આ ક્ષણે છે અને કંઈ જ નહિ હોય ત્યારે પણ પ્રેમ હશે. પ્રેમમાંથી જ પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય અને એમ તો સમસ્ત વિશ્વ સરજાય છે અને પ્રેમમાં જ પ્રેમીજનો, એમનું સત્ય અને સૌંદર્ય અને એમ તો સમસ્ત વિશ્વ સમાય છે. આ પ્રેમ તે સ:! આ પ્રેમ તે તદ્! આ પ્રેમ તે વિશ્વનો બીજમંત્ર! પ્રેમ એટલે પ્રેમ! અને પ્રેમમાં પ્રેમ રહે છે! પ્રેમની આ nth — ભવ્ય — કક્ષાએ આપણી કલ્પનાને આધ્યાત્મિક અનુભવ જેવી ધર્મયાત્રા કરાવીને આપણને ધન્ય અને કૃતાર્થ કરીને ક્ષણેક્ષણ મૃત્યુની વચ્ચે આ પ્રેમના અમૃતની કવિએ આ કાવ્યમાં આપણને મુક્ત ભેટ અર્પી છે તો આપણે પણ કવિની ચતુર્થ જન્મશતાબ્દી પ્રસંગે પ્રાર્થનાના મૌનમાં પ્રેમપૂર્વક અને કૃતજ્ઞતાપૂર્વક કવિને અંજલિ અર્પીએ કે

સૌ મૃત્યુમાં અમૃત એક પ્રેમ!

૧૯૬૪

*