સ્વાધ્યાયલોક—૭/વસંતવર્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘વસંતવર્ષા’

ઉમાશંકર જોશી(જ. ૧૯૧૧)નું વય આ સંગ્રહનું શીર્ષક સાર્થક કરે છે. એમના આયુષ્યનો આ સંધિકાળ છે એ આ ઉપરણા ઉપરની જન્મતિથિ નહિ પણ બે પૂઠાં વચ્ચેની કૃતિઓથી જ વધુ સાચી રીતે સમજાય છે. એટલે આ સંગ્રહના આરંભનાં કાવ્યો જ માત્ર આ શીર્ષકની પ્રેરણા નથી. વરસમાં બે વાર પૃથ્વી પાંગરે છે, વસંતમાં અને વર્ષામાં. વસંતમાં એ આસવ પાય છે ને વર્ષામાં અમૃત. એકથી પ્રસન્ન કરે છે ને બીજાથી પુષ્ટ. ‘વસંતવર્ષા’માં પ્રસન્નતા અને પુષ્ટિ બને પ્રાપ્ત થાય છે. પ્રકૃતિમાં વસંત અને વર્ષાની વચમાં ગ્રીષ્મ તપે છે. કવિઓ એને હૃદયમાં ગોપવે છે. ઉમાશંકરની — અને ગુજરાતની પણ — કાવ્યયાત્રામાં ‘પ્રાચીના’ એક અત્યંત મહત્ત્વનું સીમાચિહ્ન છે. ’૩૯નું વિશ્વયુદ્ધ અને ’૪૨ની ક્રાંતિ એ દેશ અને દુનિયાના બે ઐતિહાસિક પ્રસંગો પછી ‘પ્રાચીના’ પ્રગટ થાય છે. અને ત્યારથી ઉમાશંકરની જીવનદૃષ્ટિ — અસદ્‌ની વચમાં વસતા સૃષ્ટિના સદ્ તત્ત્વમાં શ્રદ્ધાની — સ્થિર અને વ્યાપક થતી આવે છે. એ દૃષ્ટિ ત્યાર પછીના ‘આતિથ્ય’ના અને આ ‘વસંતવર્ષા’ના કેન્દ્રમાં છે. ‘વિશ્વશાંતિ’ની મુગ્ધતા અને ‘ગંગોત્રી’ની ભાવસઘનતા, ‘નિશીથ’ની બુદ્ધિની તેજસ્વિતા અને ‘પ્રાચીના’ની દર્શનની દીપ્તિ એ સૌનું સંકલન ‘આતિથ્ય’માં થયું ત્યાર પછી આ સંગ્રહમાં ‘પ્રાચીના’માં જેનો પ્રથમ આવિર્ભાવ થયો તે સ્વસ્થતાપૂર્ણ અને સૌષ્ઠવયુક્ત શૈલીનો એ સંકલનને વધુ ઘેરો સ્પર્શ થતાં ઉમાશંકરની શૈલીએ પ્રાસાદિકતા અને પ્રૌઢિ ઉપરાંત સુરેખતા અને એકવાક્યતા સિદ્ધ કરી છે. વસ્તુની દૃષ્ટિએ આ સંગ્રહમાં ગુજરાતની પ્રકૃતિ ઉપરાંત ગુજરાતની સીમા પારના ભારતવર્ષના નિસર્ગ અને ઇતિહાસનું તથા ભારતવર્ષની ય સીમા પારના પ્રદેશોની માનવતાનું દર્શન ‘ભટ્ટ બાણ’ અને ‘દર્શન’ દ્વારા — બાણ અને રવીન્દ્રનાથનાં વાક્યો દ્વારા — પ્રગટેલી ઉમાશંકરની અંગત કાવ્યદૃષ્ટિને સાર્થ કરે છે, તો અંતનાં બે સૉનેટ કવિના વયના સંધિકાલે પ્રગટ થતા આ સંગ્રહના શીર્ષકને સાર્થ કરે છે.

૧૯૫૪


*