< હયાતી
હયાતી/૭૫. શ્રી માતાજીને
Jump to navigation
Jump to search
૭૫. શ્રી માતાજીને
સુદૂરે કોઈ એ નગર, લઘુ ખંડે ત્યહીં તમે
રહીને સાધ્યું જે પરમ તપ, એ આજ સઘળે
ગયું ફેલાઈ, આ ગગન પણ ઓછું અવ પડે
તમારા શ્વાસોથી સુરભિમય વાતાવરણ છે.
અચિંતા વાયુની લહરી થઈ આવ્યાં જનની, ને
સમૂચાં અંજાયાં નયન મહીં કો જાગૃતિ બની,
નિહાળું જે કૈં એ અલગ, તવ રંગે છલકતું
ન આ પ્હેલાં આવું હૃદય વસવું મા, અનુભવ્યું!
કદી બોલ્યાં’તાં જે સહજ ત્યહીં એ શબ્દ અવ તો
બન્યો પાયો જ્યાંથી ભવન વિલસે છે અવનવાં.
હવે થંભી વાચા, અકલ તવ એ મૌન સઘળે
છવાતું ને થાતાં મુખરિત રહસ્યો ભુવનનાં.
હજી ફંફોળું કે કુટિર થકી દીવો ક્યહીં ગયો
પછી ચોળું આંખો નભ મહીં થઈ સૂર્ય વિલસ્યો.
૧૮–૧૧–૧૯૭૩