હયાતી/૭૬. શ્રી અરવિંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭૬. શ્રી અરવિંદ

સદેહે ના જોયા પણ સતત જેને અનુભવ્યા,
સમાધિસ્થાને જ્યાં શિર ધરી નમ્યા, આશિષ મળ્યા :
ન જે વાણી કેરું અમૃત મળ્યું, સંજીવન થઈ
સમાયું સારાયે નિખિલ મહીં–એ કેવી કરુણા!

કદી આ નેત્રોથી અરુણ પ્રગટ્યો જે અવનીમાં
પ્રકાશે છે વિશ્વે સતત, નવ અસ્તાચલ ગયો :
અમારાં અંગોમાં સ્ફુરણ નિત એનું જ, કિરણો
ઉગાડે છે વિશ્વે કમલવન કેવાં નિત નવાં!

કદી એણે લીધી સ્થિર ચરણથી દક્ષિણ દિશા,
ઘણાં પ્રશ્નોના એ પરમ ગતિમાં ઉત્તર મળ્યા!
કૃપાની વર્ષા એ વરસી, નવ કો આવરણ ત્યાં,
અને સૌને કાજે સુલભ કરી પ્રચ્છન્ન પ્રભુતા!

હવે એ રસ્તે છે ગતિ, અવર માર્ગેથી અટક્યા,
શતાબ્દી પ્હેલાં આ સર પરમ અરવિંદ પ્રગટ્યા.

૧૫–૮–૧૯૭૧