હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮

કવિતા
રહેમદિલીથી ભોંકી દે છે
જમૈયો
તમારા જિગરમાં

કતલના હેતુ વિશે હોતી નથી કોઈને ખબર
મરનાર ઇસમ પણ નિશ્ચિતપણે બતાડી શકતો નથી કતલનું સ્થળ
જ્યારે ઊલટતપાસ થાય છે
ત્યારે ખબર પડે છે કે બધા જ ચશ્મદીદ ગવાહો
ખરે વખત મશગુલ હતા આંખો મીંચીને સ્વપ્ન જોવામાં
ને સ્વપ્નના વર્ણનમાં વ્યક્તિએ વ્યક્તિએ હોય છે પાઠફેર

છેવટે જ્યારે જપ્ત કરવામાં આવે છે
કતલનું હથિયાર
ત્યારે એ હોય છે
એકાદ પલાશનું ફૂલ, લોહીના લયથી ખરડાયેલું