‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અધ્યાપક જ સમીક્ષકો કેમ? : જયંત ત્રિવેદી


જનક ત્રિવેદી

અધ્યાપકો જ સમીક્ષકો કેમ?

‘પ્રત્યક્ષ’ના અવલોકનલેખો તમે જ પસંદ કરેલા – આમંત્રેલા અવલોકનકારો પાસે લખાવો છો, કે લેખકે પોતાની રીતે લખી મોકલેલા સ્વીકારો છો? જણાવવા કૃપા કરશો? ઑક્ટો-ડિસે. ૯૭ના અંકના બાર લેખકોમાંથી નવ લેખકો અધ્યાપકો છે! આ સંપાદકની પસંદગી છે કે જોગાનુજોગ છે? આ પ્રકારના જોગાનુજોગનું પ્રમાણ વારંવારનું હોય તો શાથી? અધ્યાપકો સિવાય કોઈ લખવા પ્રવૃત્ત નથી થતું? કે અધ્યાપકોને જ અવલોકન કરવાનું સોંપાય છે? આ બેમાંથી કયા કારણે આવા જોગાનુજોગ બને છે? ‘પ્રત્યક્ષ’માં જણાવશો તો આભારી થઈશ. અધ્યાપકીય ‘ઢર્રા’માંથી નીકળવાનો માર્ગ – હું ધારું છું કે – તમે જ શોધી શકશો. ‘પ્રત્યક્ષ’ના દીર્ઘકાલીન પ્રકાશનઅર્થે શુભેચ્છાઓ.

તાલાલા;
૨૮-૧-૯૮

– જનક ત્રિવેદી

(* સમીક્ષાના સામયિકમાં સ્વાભાવિક રીતે જ મોટાભાગના લેખો નિમંત્રિત હોય. (પણ એ માટે સમીક્ષક એ અધ્યાપક જ હોવો જોઈએ એને ધોરણ નથી ગણ્યું.) ક્યારેક કોઈ અભ્યાસીઓએ મોકલી આપેલી સમીક્ષાઓ પણ, યોગ્ય હોય તો પ્રગટ કરી છે – પણ એનું પ્રમાણ ઘણું ઓછું. આપણાં બધાં જ સામયિકોમાંના લેખોનું સર્વેક્ષણ કરશો તો અધ્યાપકોનું પ્રમાણ મોટું નીકળવાનું કેમકે વિવેચન-અવલોકન એ વિદ્યાપ્રવૃત્તિ પણ છે ને સાહિત્યનું અધ્યયન-અધ્યાપન કરનાર પાસે એની પરંપરા ને એની શિસ્ત હોય. કેટલાકના કિસ્સામાં એ ઢોંચારૂપ બનતું હોય તો એ વ્યક્તિગત (લેખકગત) નબળાઈ થઈ. મૂળવાત તો એ કે લખનાર ‘અધ્યાપક’ છે એવી, પૂર્વગ્રહવાળી, સભાનતા શા માટે રાખવાની? નબળું વિવેચન કે સર્જન કરનારને કોઈ વર્ગ-વિશેષ સાથે જોડવાનો ન હોય. એટલે ‘પ્રત્યક્ષ’માંનાં અવલોકનો પૈકી જે નબળાં લાગતાં હોય એની તાર્કિક આકરી ટીકા આ વિભાગમાં લખવા (ને એનો તાર્કિક ઉત્તર પણ ખમવા) સૌ કોઈ મુક્ત છે. વળી, ‘અધ્યાપક ન-હોય’ એવા મિત્રોને પણ નવાં પુસ્તકો પર અવલોકન લખી મોકલવા નિમંત્રણ છે. યોગ્ય હશે એ જરૂર પ્રગટ થશે.

– સંપાદક
[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૮, પૃ. ૪૨]