પરિષદ-પ્રમુખનાં ભાષણો/૯.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 73: Line 73:
સ્ત્રીલેખકો એ આ યુગનું વિશિષ્ટ લક્ષણ છે. વિદ્યાબહેન અને સૌ. શારદાબહેનની ગંભીર અને ઉત્સાહી સેવા આ ત્રીજા ખંડના આરંભથી શરૂ થઈ ચૂકી છે. તેમાં એ જ માર્ગે સૌ. સરોજિનીબહેને પણ જોસદાર લખાણથી ઉમેરો કર્યો છે. કવિ તરીકે સ્વ. સુમતિબહેને પહેલ કરી હતી તે પછી સ્વ. કનુબહેન ચૈતન્યબાળા અને સૌ. દીપકબાનાં નામ સુપ્રસિદ્ધ છે. સૌ. હંસાબહેને ત્રણ નાટક સારાં લખ્યાં છે. તે ઉપરાંત સૌ. જયમનબહેને પિતા અને માતામહના યશને શોભતી સાક્ષરજીવનની શરૂઆત કરી છે. સૌ. લીલાવતીએ લેખક તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સંસ્કારી ભાવના સાથે વિચાર અને કલ્પનાની હિંમતનો સંયોગ એમનાં રેખાચિત્રને સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે. સૌ લવંગિકા બહેને એમની ડિગ્રીના વિષયને શોભતી રીતે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સેવા આરંભી છે.
સ્ત્રીલેખકો એ આ યુગનું વિશિષ્ટ લક્ષણ છે. વિદ્યાબહેન અને સૌ. શારદાબહેનની ગંભીર અને ઉત્સાહી સેવા આ ત્રીજા ખંડના આરંભથી શરૂ થઈ ચૂકી છે. તેમાં એ જ માર્ગે સૌ. સરોજિનીબહેને પણ જોસદાર લખાણથી ઉમેરો કર્યો છે. કવિ તરીકે સ્વ. સુમતિબહેને પહેલ કરી હતી તે પછી સ્વ. કનુબહેન ચૈતન્યબાળા અને સૌ. દીપકબાનાં નામ સુપ્રસિદ્ધ છે. સૌ. હંસાબહેને ત્રણ નાટક સારાં લખ્યાં છે. તે ઉપરાંત સૌ. જયમનબહેને પિતા અને માતામહના યશને શોભતી સાક્ષરજીવનની શરૂઆત કરી છે. સૌ. લીલાવતીએ લેખક તરીકે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સંસ્કારી ભાવના સાથે વિચાર અને કલ્પનાની હિંમતનો સંયોગ એમનાં રેખાચિત્રને સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે. સૌ લવંગિકા બહેને એમની ડિગ્રીના વિષયને શોભતી રીતે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સેવા આરંભી છે.
પણ આ યુગના સાહિત્યના નભોમંડળમાં ‘ફલેશ લાઈટ’ યાને ચમકતા તેજપટ પેઠે વિસ્તરી રહેનાર, અને પોતાના પ્રભાવથી અન્ય સર્વ જ્યોતિર્ગણને દાબી દેનાર વર્તમાન સાહિત્યજ્યોતિ તે કનૈયાલાલ મુનશી. એમની નવલકથાઓએ એની સત્યાતિક્રામી કલ્પનાથી એના વિશાળ ચિત્રપટથી, અને પ્રભાવશાલી પાત્રાલેખનથી, તેમજ વૃત્તાન્તના બાહુલ્યથી ગૂજરાતને ચકિત કરી નાખ્યું છે. એમનાં નાટકો એમની નવલકથા જેટલાં આકર્ષક થતાં નથી. પરંતુ એમાં પણ એમની કલ્પનાનો અને ભાષાનો જુસ્સો ઊભરાય છે. નિર્માલ્યતા જેવું પાપ જેમ પ્રકૃતિમાં તેમ મુનશીના નીતિશાસ્ત્રમાં બીજું નથી. એમનામાં સંસ્કારી બલ્કે કાંઈ પણ સંયમ ભાગ્યે જ છે, અને જીવનનો ઉલ્લાસ પુષ્કળ છે. ભાષા જોડણી શબ્દશુદ્ધિ એ સહુને મુનશીએ, નાનાલાલે વૃત્તનાં ઝાંઝર તોડીને ફેંકી દીધાં હતાં તેટલા જ જુસ્સાથી, ફેકી દીધાં છે. પણ અત્યારે તો જ્યારે નરસિંહરાવ નાનાલાલ ખબરદારનાં નીર કંઈક થંભ્યાં લાગે છે તે વારે વહેતો પ્રવાહ મુનશીનો જ દેખાય છે. પહેલા ત્રણ વિષે છેવટનો મત ઉચ્ચારવાનો કાળ પાકી ગયો છે, પણ મુનશીનું સાહિત્ય હજી યુવાવસ્થામાં હોઈ, એ ઉપર સમગ્રદૃષ્ટિનો મત બાંધવાને વાર છે. અન્તમાં એક મહાપુરુષ – જેનું સઘળું અન્ય સહુથી અનેરું જ છે – એની નોંધ લેવી બાકી રહે છે. ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રન્થકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગૂજરાતી ભાષામાં સાદી સીધી અને સચોટ, છતાં તળપદી નહિ, કિંતુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.
પણ આ યુગના સાહિત્યના નભોમંડળમાં ‘ફલેશ લાઈટ’ યાને ચમકતા તેજપટ પેઠે વિસ્તરી રહેનાર, અને પોતાના પ્રભાવથી અન્ય સર્વ જ્યોતિર્ગણને દાબી દેનાર વર્તમાન સાહિત્યજ્યોતિ તે કનૈયાલાલ મુનશી. એમની નવલકથાઓએ એની સત્યાતિક્રામી કલ્પનાથી એના વિશાળ ચિત્રપટથી, અને પ્રભાવશાલી પાત્રાલેખનથી, તેમજ વૃત્તાન્તના બાહુલ્યથી ગૂજરાતને ચકિત કરી નાખ્યું છે. એમનાં નાટકો એમની નવલકથા જેટલાં આકર્ષક થતાં નથી. પરંતુ એમાં પણ એમની કલ્પનાનો અને ભાષાનો જુસ્સો ઊભરાય છે. નિર્માલ્યતા જેવું પાપ જેમ પ્રકૃતિમાં તેમ મુનશીના નીતિશાસ્ત્રમાં બીજું નથી. એમનામાં સંસ્કારી બલ્કે કાંઈ પણ સંયમ ભાગ્યે જ છે, અને જીવનનો ઉલ્લાસ પુષ્કળ છે. ભાષા જોડણી શબ્દશુદ્ધિ એ સહુને મુનશીએ, નાનાલાલે વૃત્તનાં ઝાંઝર તોડીને ફેંકી દીધાં હતાં તેટલા જ જુસ્સાથી, ફેકી દીધાં છે. પણ અત્યારે તો જ્યારે નરસિંહરાવ નાનાલાલ ખબરદારનાં નીર કંઈક થંભ્યાં લાગે છે તે વારે વહેતો પ્રવાહ મુનશીનો જ દેખાય છે. પહેલા ત્રણ વિષે છેવટનો મત ઉચ્ચારવાનો કાળ પાકી ગયો છે, પણ મુનશીનું સાહિત્ય હજી યુવાવસ્થામાં હોઈ, એ ઉપર સમગ્રદૃષ્ટિનો મત બાંધવાને વાર છે. અન્તમાં એક મહાપુરુષ – જેનું સઘળું અન્ય સહુથી અનેરું જ છે – એની નોંધ લેવી બાકી રહે છે. ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રન્થકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગૂજરાતી ભાષામાં સાદી સીધી અને સચોટ, છતાં તળપદી નહિ, કિંતુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.
<br>
<br>
<center>'''અત્યારનો જમાનો'''</center>
આ અવલોકન – જે આપને કંટાળો આપે એટલું લાંબું છે અને વ્યક્તિઓને અન્યાય કરે એટલું ટૂંકું – છે એનો હેતુ તે તે સાહિત્યકારની કૃતિઓને ઠીક કસોટીએ ચઢાવીને એનું મૂલ્ય આંકવાનો નથી. હું જાણું છું કે આ આંકણી પર્યાપ્ત નથી, અને જેટલી છે તેટલીમાં પણ મતભેદને પુષ્કળ અવકાશ છે, મોટા લેખકોને નાનાની સાથે બેસાડ્યા છે, એકની પણ સઘળી કૃતિઓનો નિર્દેશ કરી શક્યો નથી, અને કોઈ સારાં લેખકનું વિસ્મરણ થઈ ગયું હોય એ પણ સંભવિત છે. અને ઉપરનું લખ્યા પછી એવાં વિસ્મરણ કોઈ કોઈ સ્મૃતિગોચર થયાં પણ છે. – જેને, મારા બન્ધુઓ મારી ગલતીનો અન્યથા અર્થ નહિ કરે એમ પૂર્ણ શ્રદ્ધા હોઈ, છાપખાનાંને કંટાળો ન આપવાના હેતુથી મેં ઉપરના અવલોકનમાં તે તે સ્થાને ઉમેર્યો નથી – જેવા કે, કેશવરામ હરિરામ, વિશ્વનાથ વૈદ્ય, છોટાલાલ ‘મુનિ’, હરિલાલ ભટ્ટ, કેશવ હ. શેઠ ‘સાહિત્યપ્રિય’, નવલરામ, મનહરરામ, ભરતરામ, કેશવપ્રસાદ, વાડીલાલ, જેઠાલાલ, રમણિક મહેતા, ઠક્કર, ફૂલચંદ, વિશ્વનાથ, મણિલાલ દોશી, ચાંપશી, વર્મા, મહાસુખભાઈ, મણિલાલ ઈચ્છારામ, પર્ધુભાઈ, દેશળજી, માનશંકર, બુચ, વગેરે. હું આ અવલોકનથી જે એક વાત બતાવવા માગું છું, ને હું આશા રાખું છું કે હું બતાવી શક્યો છું, તે એ કે ગઈ સાઠીના લગભગ વીસપચીસ વર્ષના ત્રણ ખંડ પાડીએ તો પહેલો ખંડ બાલપાદપનો હતો, બીજા ખંડમાં વૃક્ષ ખૂબ ફૂલ્યુંફાલ્યું જે, અને ત્રીજા ખંડમાં કાંઈક સૂકવણો વાયુ વાઈ વાઈને અન્તે નવી કૂંપળો ડાળીઓ નીકળે છે, પણ તે બીજા ખંડની ઉન્નતિને પહોંચી નથી. એક વૃક્ષને બદલે વનનું રૂપક લઈએ તો પહેલા ખંડમાં ઉમદા વૃક્ષો હતાં, પણ તે બહુ પત્ર શાખા કે ફળના ભારથી લચેલાં નહિ; બીજા ખંડમાં વૃક્ષો વધારે ઊચાં, અને વધારે વિસ્તીર્ણ, તેમ એનાં ફળ પણ મોટાં; ત્રીજા ખંડમાં ધ્યાન ખેંચે એવાં મોટાં વૃક્ષો થોડાં, પણ ઝાડી વધારે ગાઢીઃ એમાંથી ઉમદા ફળ આપે એવાં મોટાં વૃક્ષો આગળ જતાં કેટલાં નીકળે એ જોવાનું : છતાં સ્થિતિ, અવનતિમાં હોઈને પણ, નિરાશા ઉપજાવે એમ નથી. પ્રત્યક્ષ દેખાતી અવનતિમાં જ આગામી ઉન્નતિનાં બીજ રોપાતાં દેખાય છે. અત્યારે સાક્ષાત્ને બદલે આડકતરી રીતે, અને એકને બદલે અનેકને હાથે, સાહિત્યસેવા ચોતરફ ચાલી રહી છે. મેઘાણી અને રાયચુરા સૌરાષ્ટ્રની રસધાર ગુજરાતીમાં રેલાવી રહ્યા છે; મુનિ જિનવિજયજી, મોહનલાલ દલીચંદ વગેરે જૈનભાઈઓ જૂની ગુજરાતી અને અપભ્રંશ યુગના પડ ઉકેલવા મથી રહ્યા છે; હરિપ્રસાદ ડૉક્ટર, રવિશંકર રાવળ અને નાનાલાલ મહેતા કલાની કદર કરવા પ્રજાનાં નેત્ર ઉઘાડી રહ્યા છે; કાન્તિલાલ વગેરે વૈજ્ઞાનિકો વિજ્ઞાનમંડળ ઊભું કરી ગૂજરાતની સેવા કરવા તલપી રહ્યા છે; અને અન્ય નામોના મોટા લેખકો નવી ઢબની વાર્તાઓ, નવી ઢબનાં નાટકો, ગદ્યના નવા પ્રકારો ગૂજરાતને આપવા નીકળી પડ્યા છે. આપણી બહેનો પણ એમનો સંસાર અને ગૃહજીવન સુધારી રહ્યાં છે. સ્ત્રીકેળવણી અને સ્ત્રીસ્વતન્ત્રતા વધતાં આવે છે અને ગૂજરાતના સામાજિક જીવનમાં પણ સ્ત્રીઓએ ભાગ લેવા માંડ્યો છે. કેળવણીના વિવિધ પ્રયોગો થાય છે, એના પાયા વિસ્તારવાની અને શિખર ઊંચાં કરવાની ઇચ્છા પ્રકટ થવા માંડી છે, અને આ જીવનના પ્રમાણ તરીકે આપણાં માસિકોમાં થયેલો અસાધારણ વધારો અને સુધારો છે આ સર્વચિહ્નો શુભસૂચક છે.
<br>
<br>
<center>'''સાહિત્ય અને પ્રજા જીવનનો સંબન્ધ'''</center>
પણ અહીં પ્રશ્ન થશે કે સાહિત્ય – ખરું અને ઊંચું સાહિત્ય એક બગીચાની રીતે કૃત્રિમતાથી ઊત્પન્ન કરી શકાય ખરું? જગત્ના મહાન સાહિત્યના ઇતિહાસ ઉપર દૃષ્ટિ નાખીએ છીએ તો જણાય છે કે “यमेवैष वृणते तेन लम्यस्तमेष आत्मा विवृणुते तनूं स्वाम्” – એ અક્ષર પદાર્થ – જેને રાજશેખર ‘કાવ્યપુરુષ’ કહે છે – તે જ્યાં પ્રકટ થવા ઇચ્છે ત્યાં પ્રકટ થાય છે, એને કોઈ બાલાત્કારે પ્રકટાવી શકતું નથી. આ ખરું છે, તથાપિ એના પ્રાકટ્યના કાંઈક નિયમો આપણે જાણી શકીએ છીએ, અને એના ઉપર આપણી આશાઓ બાંધી શકીએ છીએ તથા યોગ્ય વાતાવરણ રચી શકીએ છીએ. ઇતિહાસમાં એવા દાખલા દેખાય છે કે જ્યારે દેશમાં બૂરામાં બૂરી સ્થિતિ ચાલતી હોય તેવે વખતે – પ્રતિકૂલ વાતાવરણમાં – પણ મહાન કવિ કે સાક્ષારનો અવતાર થાય છે. પરંતુ વસ્તુતઃ જેમ કવિનો આત્મા કાવ્યરૂપ હોવો જોઈએ એ વચનથી યથાર્થતા સમજવા માટે આપણે કવિનું સ્થૂલ જીવન ભેદી એનું સૂક્ષ્મ યાને આન્તર જીવન જોવું પડે છે, તેમ સાહિત્યને પ્રતિકૂળ એવા વાતાવરણમાં પણ ધ્યાનમાં રાખવાનું છે ખરું જોતાં ઉપરના પડની નીચે ગૂઢ શક્તિઓ કામ કરી રહી હોય છે, જે કવિ યાને સાક્ષારના આત્મામાં પ્રકટ થાય છે, અને સમય પાકતાં એ પરિસ્થિતિમાં પરિવર્તન કરે છે. વૉલ્ટેર, રૂસો, ટૉલ્સ્ટૉય એ આ જાતના પરિવર્તક ક્રાન્તદર્શી આત્માઓ છે. ઉચ્ચ સાહિત્યના ઉત્થાન માટે પ્રજાજીવન સુખી જ હોવું જોઈએ અથવા તો રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરી ચૂક્યું હોવું જોઈએ એમ કાંઈ નથી. ડૅન્ટી અને ગેટે જન્મ્યા તે સમયે ઈટાલિ અને જર્મનીનું રાષ્ટ્રીય જીવન અને સામાજિક દશા છિન્નભિન્ન હતાં. પણ મનુષ્ય ભાવનાથી જીવે છે, સ્થૂલ દેહ કે બુદ્ધિથી જીવતો નથીઃ એ કવિદૃષ્ટિનું સૂત્ર એમને પ્રત્યક્ષ થયું હતું. એલિઝાબેથના સમયમાં ઇંગ્લંડની લોકસ્થિતિ કેવી હતી તે એક ઇતિહાસકારના નીચેના શબ્દોથી સમજાશેઃ “At the first glance the political and moral situation in England does not present that aspect of civilisation which one would expect at the time of Shakespeare. The population hardly amounts to five millions, and stagnates under conditions of revolving inequality fostered by the violence of the nobles, the profound demoralisation of the clergy and the idleness of the lower classes. On the one hand there are the magnificent gardens and verdant lawns of the abbeys, of the majestic castle walls of the bloodthirsty baron; on the other the miserable collection of huts which constitute the village. There are endless marshes and wide expanses of health, which cover the greater part of the country. Neither industries nor commerce exist to ward off the menace of famine. The inhabitants of town and country are a prey to epidemics and the victims of extortion. Finally, ignorance among high and low was so great that the majority of the peers of the realm were unable to read and write.” પરંતુ આ ઉપરથી સાહિત્ય અને પ્રજાજીવનની ઋતુઓ એક બીજાથી વિરુદ્ધ છે અથવા તો એમનો પરસ્પર સંબંધ નથી એમ માનવું બરાબર નથી. એ વચ્ચેનો કાર્ય કારણભાવ કેટલીક વાર પૂર્વાપરસંબન્ધે અને કેટલીક વાર સહચારસંબંધે હોય છે, પ્રજાજીવનના કેટલા અંશો આગલા જમાનામાંથી ઊતરી આવેલા તે જીર્ણ થતા જાય છે, અને નવું જીવન જે પૃથ્વી ફાડી બહાર નીકળવાનું તે હજી સ્થૂલ નેત્રે શકાતું નથી.
વસ્તુતઃ સામાન્ય રીતે, સાહિત્યના મહાન યુગો એ પ્રજાજીવનની વિશાલતા અને વિપુલતાના યુગો જોવામાં આવ્યા છે. ગ્રીક સાહિત્યનો પોંરક્લિસ યુગ યુદ્ધમાં જય અને દરિયાઈ વેપાર, સફળ સંસ્થાન આદિ ક્ષાત્ર અને વૈશ્ય જીવનના પ્રાકટ્યનો હતો. અને રોમન ઑગસ્ટન યાને વર્જિલ યુગ પણ રોમન સામ્રાજ્યના વિસ્તાર અને ઘટનાનો હતો. મધ્યયુગની યોગનિદ્રામાંથી યુરોપની જાગૃતિનો યુગ, અને એની અસર તળે જન્મેલો ઇંગ્લંડનો એલિઝાબેથ યુગ – એમાં મનુષ્યજીવન કેવું પ્રબળ પરાક્રમી અને પ્રભાવશાળી થવા લાગ્યું હતું એ સુપ્રસિદ્ધ છે. આ પ્રશ્નના વિચારમાં આપણા દેશના ઇતિહાસ ઉપર પણ દૃષ્ટિ ફેરવવી ઉપયોગી થશે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ એ પ્રજાજીવનના જ ઉદયાસ્તની કથા છે એ કોણ નથી જાણતું? એક કૌંચપક્ષીના વધથી વાલ્મીકિ મુનિના હૃદયમાં પ્રકટેલો કરુણરસ જ્યાં પ્રકટ્યો ત્યાં જ શમી જાત, અને પરિણામે બહુ તો એક કરુણરસનું ઉર્મિગીત જગતને મળ્યું હોત, પણ પ્રજાના અન્તરાત્મામાં જે આર્યતાની ભાવના વિરાજતી હતી તે જ વાલ્મીકિની પ્રતિભામાં પ્રકટ થઈ શબ્દબ્રહ્મરૂપે પરિણમી. મહાભારતકાલમાં આર્યપ્રજા જે આત્મઘાત કરી રહી હતી એનું કરુણ અને ભવ્ય ચિત્ર વ્યાસ મુનિએ દોર્યું છે; અને એ કરુણતાને, સામા પડછામાં પ્રાચીન આર્યજીવનની ભાવનનાં કેટલાંક આખ્યાનો, ઉપદેશો વગેરે મૂકીને, ઘેરી બનાવી છે. એક દ્રષ્ટા ઋષિનું તો બીજુ મનનશીલ મુનિનું કાવ્ય છેઃ પણ ઉભય હિન્દની ઊગતી અને આથમતી રાષ્ટ્રીય એકતામાંથી જન્મેલાં કાવ્યો છે. બૌદ્ધ કાળનું સાહિત્ય ખીલ્યું – વિસ્તર્યું તે સમયે હિન્દુસ્તાનની પ્રજા કેટલી, પરાક્રમી હતી તે અશોકના શિલાલેખથી અને મધ્ય એશિયા ગાંધાર, તિબેટ, ચીન, જાવા, આદિ સ્થળે મળતાં પુસ્તકો ચિત્રકામ બાંધકામ ઇત્યાદિથી સિદ્ધ થાય છેઃ બૌદ્ધ ત્રિપિટકની સ્થાપના, ‘જાતક’ની રચના, જૈનશાસનોનો સંગ્રહ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ભરતનું ‘નાટ્યશાસ્ત્ર’, વાત્સ્યાયનનું ‘કામશાસ્ત્ર’, પતંજલિનું ‘મહાભાષ્ય’, અશ્વઘોષનાં કાવ્યો તથા નાટકો, ગુણાઢ્યની બહત્કથા, બૌદ્ધ મહાયાનનો પ્રાદુર્ભાવ, ‘લલિતવિસ્તાર’, ‘લંકાવતાર’, ‘સદ્ધર્મપુંડરીક’, ‘માધ્યમિકકારિકા’ બ્રાહ્મણ ‘ધર્મસૂત્ર’ ‘ગૃહ્યસુત્ર’ ન્યાયયોગાદિદર્શનસૂત્ર આદિ સર્વ સાહિત્ય એ યુગમાં પ્રકટ્યું છે. ઈ.સ. બીજા સૈકા પછી દોઢસો વર્ષનો ઇતિહાસ અંધારામાં પડેલો છે. પરંતુ એ સમય સાહિત્યની પાનખર ઋતુનો હોય તો નવાઈ નહિ. એ પછી ગુપ્ત રાજાઓના સમયમાં ફરી બહાર (વસન્ત) આવ્યો. એ સમય હિન્દના ઇતિહાસમાં ઇંગ્લેંડના એલિઝાબેથના યુગ કરતાં પણ વધારે તેજસ્વી છે. બ્રાહ્મણ અને બૌધના સમત્વનો એ સમય; પુરાણ સ્મૃતિ આદિ ધર્મશાસ્ત્રોના પુનરુજ્જીવન અને પુનર્ઘટનાનો એ સમય; બૌદ્ધ મહાયાનના વિકાસનો એ સમય; કાવ્ય, કોષ, જ્યોતિષ. આદિ શાસ્ત્રોમાં કાલિદાસાદિ નવરત્નોના ઝણઝણાટનો એ સમય; ભામહાદિ આલંકારિકોનો એ સમય; વસુબન્ધુ, દિઙ્નાગ વગેરે, ન્યાયશાસ્ત્રાચાર્યોનો એ સમય; દર્શનસૂત્રોના અન્તિમ ગ્રન્થનનો એ સમય, દેવર્દ્ધિગણી, સિદ્ધસેન દિવાકર, આદિ જૈન શાસ્ત્રોના ઉદ્ધારક અને પ્રવર્તકનો એ સમય, આ સમયમાં ગુપ્ત રાજ્યની અને એના પ્રભાવની સીમા એક વખતે પશ્ચિમે કાઠિયાવાડના પશ્ચિમ કાંઠા સુધી અને ઉત્તમ-પૂર્વમાં તિબેટ અને લગભગ ચીનની સરહદ સુધી પહોંચી હતી. અને તેથી એનો વ્યવહાર પશ્ચિમે ઇશાનકોણમાં ચીન અને અગ્નિકોણમાં જાવા સુધી, ચાલતો હતો. આ કારણથી હિન્દુસ્તાનનાં વિવિધ શાસ્ત્રો ઉપર પરદેશી અસર થયેલી કહેવાય છે તેટલી બધી તો નથી જ થઈ તો પણ પરદેશ સાથેના વ્યવહારમાં હિંદુસ્થાનનો ગુપ્ત સામ્રાજ્યનો સમય એલિઝાબેથના સમયને મળતો હતો એમાં સંશય નથી, આટલો દેદીપ્યમાન યુગ હિન્દુસ્તાનમાં ફરી આવ્યો નથી. તોપણ યશોવર્મા અને હર્ષવર્ધનનાં રાજ્ય તેમજ ગુર્જર પ્રતિહાર રાષ્ટ્ર કૂટ પરમાર અને સોલંકી રાજ્યો પણ એમનાં રાજકીય પરાક્રમો માટે તેમજ સાહિત્યની પ્રફુલ્લતા માટે યશસ્વી થયાં છે. ભવભૂતિ, બાણ અને રાજશેખર, ઉદ્યોતકર, ધર્મકીર્તિ, કુમારિલ, શંકર અને વાચસ્પતિ, હેમાદ્રિ, સાયણ માધવ, સોમદેવ અને હેમચન્દ્ર એ સમયના નભોમંડળના તેજસ્વી તારાઓ છે.
<br>
<br>
<center>'''આપણી આશાનાં કારણ'''</center>
આપણા વર્તમાન યુગના સાહિત્યના ભવિષ્ય માટે મોટી આશાઓ પડે છે. કારણ કે જગતના સાહિત્યોત્થાનના મોટામાં મોટા યુગો સાથે એનું અનેક રીતે મળતાપણું છે. સાધારણ રીતે યુરોપની ૧૩થી ૧૬મી સદીની જાગૃતિનો યુગ અને એનાં લક્ષણો સહુને સારી રીતે જાણીતાં હોઈ એની સાથે આપણા અર્વાચીન સાહિત્યના જન્મકાળની સરખામણી કરીએ. યુરોપનો એ કાળ ધાર્મિક સુધારાનો કાળ હતો પણ એટલું જ હોત તો એ પછીનું યુરોપીય સાહિત્ય જેવું ઘણે ભાગે ધાર્મિક સાહિત્ય જ નીવડત. પણ વસ્તુતઃ એ યુગમાં પ્રાચીન ગ્રીક અને લૅટિન સાહિત્યનો ઉદ્ધાર થયો. ઇતિહાસકાર કહે છે કે ઇટાલિની ભૂમિ ઉપર એક ચમત્કાર બન્યો. સૌન્દર્યની દેવી જે ઘણા સમયથી લોક ગુમાવી બેઠા હતા તે તેમને જડી. તેઓ જેને મરી ગઈ માનતા હતા તે માત્ર નિદ્રાવશ થઈ હતી. ૧૪૮૫ના એપ્રીલની ૧૮મી તારીખે વસન્ત ઋતુ બેસતી હતી તેવે એક દિને લૉમ્બર્ડીના મજૂર લોકો રોમમાં કાંઈ ખોદાણ કામ કરતા હતા. તેમાંથી એમને એક શ્વેત સંગેમરમરની કબર નજરે પડી. ઉપરનું આચ્છાદન દૂર કર્યું ત્યાં એક દેવી સૂતેલી દેખાઈ; જાણે જીવતી જ! એઓએ એના ઉપર સુગન્ધી વનસ્પતિઓ ફેરવી. એટલામાં એ જાણે આંખ ઉઘાડતી હોય એમ એમને દેખાયું. એના ગાલ ગુલાબી, અને અધર ઉપર સ્મિત રમતું હતું. આ મધુર ચમત્કારથી જનતાનું હૃદય હાલ્યું, લોકોનાં ટોળેટોળાં ભરાયાં. દેવીને ભક્તિભાવથી કૅપિટૉલ યાને રોમના ટાઉનહૉલમાં લઈ ગયા. ત્યાં આખું શહેર એને જોવા ઊલટ્યું અને એ દૈવી આકૃતિ જોઈ મુગ્ધ બન્યું. પાદરીઓને ભય પેઠોઃ રખેને લોકમાં મિથ્યાત્વ અને પ્રતિમાપૂજા ઉત્પન્ન થાય. પોપે રાતોરાત એને ત્યાંથી ઉપાડીને અન્યત્ર દાટી દેવાનો હુકમ કર્યો. પણ લોકોએ એ દેવીનાં દર્શન એક વખત કર્યાં તે કર્યાં જ. એક લેખક કહે છે તેમ; “She had a beauty of ancient time; through having simply gazed upon her the world began to blossom once more.” આમ પ્રાચીન ગ્રીક અને લૅટિન સાહિત્યના ઉદ્ધાર અને સૌન્દર્યદેવીના પ્રાકટ્ય સાથે, શુષ્ક ધાર્મિકતાની બેડીઓ પણ તૂટવા લાગી; અને પ્રાચીન ગ્રીકરોમન સંસ્કૃતિનું જે ખાસ લક્ષણ-ઐહિક જીવનમાં રસ–તે ફરી ઉત્પન્ન થયો; અને પ્રજા પરાક્રમને પંથે ચડી. આ સર્વના પ્રતિધ્વનિ ઇંગ્લંડ સુધી પહોંચ્યા. પ્રાચીન સાહિત્યના અનુવાદો ઈટાલિયન અને ફેંચ ભાષામાં થયા અને ત્યાંથી અંગ્રેજીમાં ઉતર્યા. આપણા અર્વાચીન સાહિત્યના જન્મની પણ એ જ હકીકત છે. અહીં પણ ગયા શતકમાં આપણી પ્રાચીન ભાષાને જે સ્થાન અપાયું તથા પરદેશી (અંગ્રેજી) સાહિત્ય સાથે સંપર્ક શરૂ થયો, એમાંથી ધાર્મિક સુધારો, નવી સ્વાતન્ત્ર્યની ભાવના, ઐહિક જીવનમાં રસ અને એ રસથી તરબોળ એવું નવીન સાહિત્ય ઉત્પન્ન થયું એ યુરોપના સંજીવનના યુગમાં, અને વિશેષે કરી એલિઝાબેથના ઇંગ્લંડમાં, પ્રજાજીવનમાં જેમ અપૂર્વ વેગ પરાક્રમ અને સમુલ્લાસનો પ્રાદુર્ભાવ એ એના સાહિત્યનું કારણ બન્યું હતું, તે જ પ્રમાણે આપણા અર્વાચીન સાહિત્યમાં પણ બન્યું છે, માત્ર આપણી નસોમાં એ વેગ પરાક્રમ અને સમુલ્લાસનું બળ જેટલું ઓછું, તેટલું આપણું સાહિત્ય પણ એલિઝાબેથના સમયના ઇંગ્લંડના સાહિત્ય કરતાં ઊતરતું છે. ઇંગ્લંડનો વહાણવટી નવી ભૂમિ શોધવા, લૂટવા, તાબે કરવા સમુદ્ર ખેડતો હતો, કષ્ટમાં આનન્દ પામતો હતો, અને પોતે સ્વતંત્ર છે એ અદ્ભુત બલદાયી લાગણીથી ભરેલો રહેતો. આપણે ત્યાં આ સર્વ સ્થિતિ શરૂ થવા લાગી છે, પણ તે કૂંપળ અવસ્થામાં છે, સિદ્ધને બદલે સાધ્ય અવસ્થામાં છે, પૂરી વસ્તુસ્થિતિને બદલે ઘણું આકાંક્ષામાં છે, પણ જે છે તે ઉત્સર્પણને માર્ગે હોઈ આશાજનક છે.
<br>
<br>
<center>'''સાહિત્યપરિષદનું કર્તવ્યઃ સાહિત્યને અનુકૂળ વાતાવરણ'''<br>'''ઉત્પન્ન કરવું'''</center>
પરિષદને વિચારવાનું સાહિત્ય તે વિશેષ અર્થમાં ‘સાહિત્ય’. સામાન્ય અર્થના સાહિત્યની ઇતર શાખાઓની વિલક્ષણ એવું, વિશેષ અર્થમાં સાહિત્યનું સ્વરૂપ શબ્દની યોજનાથી આપણા પૂર્વજોએ બતાવ્યું છે. “शब्दार्थो सहितौ काव्यम्” જેમાં શબ્દ અને અર્થ વિશિષ્ટ રૂપે એક બીજાની સાથે મળેલા હોય; “वागर्थाविव सम्पृत्कौ” શિવપાર્વતીવત્ જ્યાં અર્થ અને વાણી એક બીજાનાં અર્ધાંગ હોય એ કાવ્યસાહિત્ય. આ કાવ્યસાહિત્ય એ સાહિત્ય સામાન્યનો આત્મા છે. ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન સઘળાં શાસ્ત્રનું પર્યવસાન કાવ્યમાં. કાવ્ય એ ક્રાન્તિદર્શીની દૃષ્ટિ; પછી એ ગદ્ય હો વા પદ્ય હો. પદ્યમાં અર્થસંગીત સાથે શબ્દસંગીતનો સહચાર, તેટલું પદ્ય ગદ્ય કરતાં કાવ્યને વિશેષ અન્તરંગ, અને ગદ્યમાં જેટલો શબ્દસંગીતનો અભાવ તેટલું તે કાવ્યને બહિરંગ, અન્ય શાસ્ત્ર અને વિદ્યાથી કાવ્યનો વ્યાવર્તક ધર્મ એ કે શાસ્ત્ર અને વિદ્યા મનુષ્યબુદ્ધિના અમુક અમુક ખંડને ઉજાળે, ત્યારે કાવ્ય અખંડ વસ્તુનું – વસ્તુના ઊંડા અન્તરમાં વિરાજતા દિવ્ય તત્ત્વનું – સાક્ષાત્ દર્શન કરાવે. પ્લેટોની ગુફાના ઉદાહરણથી સમજવા યત્ન કરીએ તો બહાર જતાં આવતાં મનુષ્યોના ગુફાની ભીંતે પડતા પડછાયા ઉપરથી અનુમાન કરવું તે શાસ્ત્ર અને વિદ્યા, અને ગુફાના મુખ સામે બેસી જનતાને સાક્ષાત્ નિહાળવી એ કવિધર્મ; અને સાક્ષાત્ દર્શન પણ અખંડ વસ્તુનું એના અમુક અમુક પાસાનું નહિં. બેશક, એ અખંડતાને કવિ તરફ વળેલું પાસું કહેવું હોય તો તે જુદી વાત. આમ કાવ્ય એ શાસ્ત્ર અને વિદ્યાથી ભિન્ન છે. છતાં સર્વનો વાસ મનુષ્યના આત્મામાં છે, અને તેથી એમની પરસ્પર અસર થયા વિના રહેતી નથી.
રાજશેખર કવિતાઓના ત્રણ ભેદ પાડે છેઃ સારસ્વત, આભ્યાસિક અને ઔપદેશિક, સારસ્વત કવિઓ તે કે જેઓ ઉપર સરસ્વતીનો અનુગ્રહ હોઈ, એમની કવિત્વશક્તિ ‘સહજા’ છે, અર્થાત્ પૂર્વજન્મમાંથી ઊતરી આવી છે, અને આ જન્મમાં માત્ર થોડોક જ સંસ્કાર મળતાં ખીલી ઊઠે છે. આભ્યાસિક કવિઓ તે કે જેની કવિત્વશક્તિ ‘આહાર્યા’ એટલે કે આ જન્મના અભ્યાસથી – અર્થાત્ સંસ્કારથી કેળવણીથી – પ્રાપ્ત કરવામાં આવી છે. અને ઔપદેશિક કવિઓ તે કે જેઓમાં સ્વભાવિક કવિત્વશક્તિ બિલકુલ નથી પણ જેઓ મહેનત કરી કરીને કાવ્ય રચતાં શીખ્યા છે. આ ત્રીજા વર્ગને તો આપણે લક્ષમાં જ નહિ લઈએ. પણ જગતના મહાન કવિઓ બધા સારસ્વત યાને કેવલ સરસ્વતીના પ્રસાદ થકી જ કવિ થએલા છે એમ નથી. ઘણાં મોટાં મોટાં નામો – મિલ્ટન, ટેનિસન, ભવભૂતિ, રાજશેખર, આદિ અસંખ્ય – આ જન્મમાં પ્રાપ્ત કરેલી ઊંચી કેળવણીથી કવિ બન્યા છે. અને આ જાતના કવિઓ માટે ફલદ્રુપ ભૂમિ રચવાનું જનસમાજના હાથમાં છે. બીજા બે વર્ગમાંથી પહેલા વર્ગના – ‘સારસ્વત’ – કવિઓ આપણી ભૂમિમાં નિપજાવવાની પ્રભુની ઇચ્છા હશે તો તે સાહિત્યપરિષદના કાર્યની વાટ નહિ જુવે. ગુજરાતમાં સૃષ્ટિસૌન્દર્ય અને જનસ્વભાવનું વૈવિધ્ય અર્થાત્ કવિતાની સામગ્રી થોડી નથી. છતાં વર્તમાન જમાનામાં સર્વથા સ્વાભાવિક કવિત્વશક્તિ ધરાવનાર એવા સારસ્વત કવિઓ ઉત્પન્ન ન થાય તો તેમાં આશ્ચર્ય નથી. કારણ કે, સારસ્વત કવિઓનો જમાનો તો એક રીતે ક્યારનોએ વહી ગયો છે. જેમ મનુષ્યજાતિનો સુધારો વ્યવસાયી અર્થાત્ જ્ઞાનગ્રાહી થયો છે, અને અત્યારે એનાં સઘળાં પગલાં અનુવ્યવસાયી દશામાં જ ભરવામાં આવે છે, તે જ પ્રમાણે વર્તમાન યુગમાં વ્યવસાયી કવિની એટલે કે માત્ર કાવ્યસામગ્રીના સાંનિધ્યથકી જ પ્રજ્વળી ઊઠનાર એવા હોમરની જાતના કવિની ઉત્પત્તિ થવાનો સંભવ થોડો છે; વર્તમાન કવિઓમાં તો થોડીક સ્વભાવિક શક્તિ ઉપર આ જન્મના સંસ્કારો – એટલે કે જીવનનો અનુભવ અને વાચનની કેળવણી – એની છાપ પુષ્કળ પડે છે, અને એમાંથી એમનું કવિત્વ સ્ફુરે છે. બેજહૉટ ‘પ્રાયમરી’ અને ‘સેકન્ડરી’ અર્થાત્ સહજ અને આહાર્ય એવા કવિઓના બે વર્ગ પાડે છે તે આ રીતે જ; હોમર, શેક્સપિયર, આદિ પ્રથમ વર્ગમાં આવે છે, વર્જિલ, મિલ્ટન, વગેરે દ્વિતીય વર્ગમાં આવે છે. પણ પ્રથમ વર્ગના સર્વ કવિઓ દ્વિતીય વર્ગના સર્વ કવિઓ કરતાં ચઢિયાતાં હોય એમ કાંઈ નિયમ નથી. માત્ર આ બે વર્ગ એ કવિતાની ઉત્પત્તિનું કારણ લક્ષમાં લેતાં પડેલા બે પ્રકાર છે. અને પહેલા વર્ગના એક કવિતા કરતાં બીજા વર્ગનો એક કવિ ચઢિયાતો હોય એ તદ્દન સંભવિત છે. સ્પેન્સરને અંગ્રેજી કાવ્યસાહિત્યના ઇતિહાસમાં “પોયેટ્સ પોયેટ”નો ઈલકાબ મળ્યો છે, અને અગણિત અંગ્રેજ કવિઓ ગ્રીક, લૅટિન, ઇટાલિયન કવિઓમાંથી ઉત્પન્ન થયા છે એ કોણ નથી જાણતું? નવીનતાના મોહને વખોડી કવિસંપ્રદાયનો મહિમા વર્ણવતાં. ન્યૂબોલ્ટ એક ઠેકાણે કહે છેઃ
"To be in the tradition is not to be obsolete, either in civilization or in poetry; to be ‘derivative' is not necessarily to be inferior, even in the aeroplane factory. The truth on the other side is that the human spirit grows not by singularity but by admiration and assimilation; that the deepest waters of human life come from no private well, but from an underlying pool, vast and immemorial, and that poetry, as Shelley knew, is not an unrelated collection of separate inventions, but a vision of the eternal which all poets like the co-operating thoughts of one great mind, have built up since the beginning of the world," આ જાતનું કાવ્યવાતાવરણ સાહિત્યપરિષદ રચી શકે છે. આ માટે ઊંચી જાતના વિવેચનશાસ્ત્રની જરૂર છે – જે સામાન્ય વાચકમાં ઊંચી વિવેચનદૃષ્ટિ ઉત્પન્ન કરે એટલું જ નહિ, પણ જેને આધારે શાળામાંથી બાળકોને શિક્ષણશાસ્ત્રની ભાષામાં જેને ‘એપ્રિસીએશન લેસન’ કહે છે તેવા પાઠ દ્વારા કવિતાના સૌન્દર્યનો ઉપભોગ કરતાં શીખવી શકાય. વામનમાંથી સૂચના લઈ રાજશેખરે ‘ભાવક’ યાને સહૃદયના પ્રથમ બે વર્ગ પાડ્યા છે; અરોચકી અને સતૃણાભ્યવહારી. એટલે એક તો એવા કે જેમને કહ્યું રુચે જ નહિ, અને બીજા એવા કે જે ઘાસ સુદ્ધાંત ગમે તે ખાઈ જાય. આ બંને અવિવેચક છે. તેમાં ત્રીજો વર્ગ એક ‘મત્સરી’ એટલે કે અદેખા અને સામાના દોષ જોયા કરે એવાનો ઉમેરે છે, અને ચોથો વર્ગ ‘તત્ત્વાભિનિવેશી ' એટલે ખરા તત્ત્વ ઉપર ચિત્ત લગાડનારનો જણાવે છે. આ છેલ્લો વર્ગ જ સાહિત્યને ઉપકારક થઈ પડે છે. હજુ સુધી ગુજરાતીમાં કાવ્યકલાની તત્ત્વાભિનિવેશી મીમાંસા બહુ થોડી જ થઈ છે. પ્લેટો એરિસ્ટોટલથી માંડીને કિવલર કૂચ, સેઈન્ટ્સબરિ, ગૉસ, ન્યૂબોલ્ટ અને સ્કાયર સુધી, સૂર્યથી માંડી નાનાના દીવા સુધી, કાવ્ય અને એના વિવિધ ભેદનાં તત્ત્વ ઉપર પ્રકાશ નાખનાર જ્યોતિઓ અસંખ્ય થયા છે, અને જેમ જેમ કાવ્યનાં નવાં નવાં રૂપ પ્રકટ થયાં તેમ તેમ એ તત્ત્વોના વિવેચનમાં તેમજ એના પ્રયોગના વિચારમાં ઘણું કામ થયું છે. આપણે ત્યાં પણ પ્રાચીન આલંકારિકોએ કેટલું બધું કર્યું છે એનું જ્ઞાન સામાન્ય પ્રજાને બલ્કે સુશિક્ષિત જનમાં પણ થોડું છે. આ ખોટ પૂરી પાડવા સાહિત્ય પરિષદ બહુ સારો પ્રબન્ધ રચી વા રચાવી શકે છે. આવી સારાસારગ્રાહી ઉચ્ચ વિવેચનની વિદ્યાને અભાવે – કાવ્યક્ષેત્રમાં પુષ્કળ ઘાસ ઊગે છે, અને બિચારા ઘાસને હું ઘાસ છું એટલું ભાન થવું પણ અશક્ય રહે છે. રાજશેખર કવિઓનું તારતમ્ય બતાવતાં નોંધે છે કે –{{Poem2Close}}
<Poem>
"एकस्य तिष्ठति कवेगृह एव काव्य
मन्यस्य गच्छति सुहृद्भवनानि यावत् ।
न्यस्याविदग्धवदनेषु पदानि शाश्वत्
कस्यापि संचरति विश्वकुतूहलीव ॥’’
</Poem>
{{Poem2Open}}
— કોઈ કવિનું કાવ્ય તો એના ઘરમાં જ રહે છે; બીજાનું મિત્રોના ઘર સુધી પહોંચે છે; કોઈકનું જ એવું હોય છે કે જે અવિદગ્ધજનના મુખ ઉપર પગ મૂકીને—એમના વચનની દરકાર કર્યો વગર—જાણે વિશ્વ જોવાના કુતૂહલથી બહાર નીકળી પડે છે. આવા ગૃહકવિઓની અને મિત્રકવિઓની ઉપેક્ષા કરી, બહુ તો એમને સહી લઈ, વિશ્વકવિઓના ગુણ પારખી, એનો આસ્વાદ લઈ જાણવો એ ખરા વિદગ્ધનું કામ છે. એ કર્તવ્ય અંગે, આપણા ગુર્જર કવિઓ અને કાવ્યો ઉપર આપણે સવિશેષ આદર ધરાવીએ એ સ્વાભાવિક છે અને કેટલેક દરજ્જે ઠીક પણ છે; પણ ઘરદીવડાંના પ્રેમથી મુગ્ધ બની આપણી રસવૃત્તિને સાંકડી કરી રાખીએ તો તેથી આપણી વિદગ્ધતાને હાનિ થાય છે એટલું જ ન પણ કવિઓના રસાત્માને પણ જોઈતું પોષણ મળતું નથી. ખરું છે કે કવિ અને ભાવક (સહૃદય વિદગ્ધજન) એક હોતા નથી. "एकः सूते कनकमुपलस्तत्परीक्षाक्षमोडन्यः — સુવર્ણ એક જાતના પત્થરમાંથી પેદા થાય છે અને એની કસોટી કાઢનાર પત્થર જુદો હોય છે. તથાપિ કવિ જ્યાં સુધી પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય, ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે, અને વિવેચન મર્મગ્રાહી ન બને આપણું કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવાં જોઇએ, અને આપણાં વિવેચન પણ સ્વદેશી હોવાં જોઈએ એ દૃષ્ટિબિન્દુ સ્વાભાવિક છે. તથાપિ મનુજ આત્મામાં સ્વ અને પરનો અદ્ભુત સમન્વય હોય છે – મનુજ પોતાની ભૂમિનો વતની છે તે સાથે મનુજ હોઈ સમસ્ત બ્રહ્માંડનો વાસી છે, અને તેથી એને પોતાનું વૈશિષ્ટ્ય કેળવવાનું છે તે સાથે એના વિશેષણમાં સ્વ અને પર ઉભય તત્ત્વો રહેલાં છે એ ભૂલવાનું નથી. જગતનાં સર્વ મહાન સાહિત્યો એ રીતે જ ઉદ્ભવેલાં છે. કોઈ પણ પ્રજા જે પરદેશી સાથે આત્માની આપ લે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખીલવી શકતી નથી. જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખુવે છે, તેમ એ રસથી વિમુખ રહેનાર પોતાના આત્માને ગૂંગળાવે છે. વર્તમાન સમય સંક્રાન્તિનો હોઈ સ્વ અને પરનાં ઉભય તત્ત્વ યોગ્ય માપમાં રહેવાં કઠણ છે. અત્યારે પશ્ચિમની નવલકથાઓનું, ટૂંકી વાર્તાઓનું અને નાટકનું અનુકરણ પુષ્કળ થવા લાગ્યું છે, પણ ધીમે ધીમે એમાંથી ઊભરો નીકળી જઈ માત્ર સાર જ રહેશે અને આપણા સાહિત્યના વિશિષ્ટ આત્મામાં ભળી શકે એટલું જ પરદેશી તત્ત્વ છેવટે રહી જશે. તેથી આપણા સાહિત્યે ધારણ કરેલા વર્તમાન વલણથી આપણે ક્ષોભ પામવા કારણ નથી, જો કે કાંઈક ચેતતા રહેવાની અને સ્વદેશાભિમાનને જાગતું રાખવાની તો જરૂર છે જ. પશ્ચિમના જે રસસ્વરૂપને આપણા સાહિત્યમાં સત્કાર આપવો ઇષ્ટ છે તે એ રસસ્વરૂપને કે જે એના મહાન સાહિત્યમાં મૂર્તિમન્ત થએલું છે. છેલ્લી આગબોટમાંથી ઊતરેલાં નૉવેલો વા માસિકોની વાર્તાઓ એ યુરોપનું મહાન સાહિત્ય નથી; એનું ચર્વણ એ તો ઘણીવારનું ચર્વણ કરવા સમાન હોય છે. એના મોટા ઇક્ષુદંડ વર્તમાન સમયમાં પણ ‘ડાય્નેસ્ટ્સ’ કે ‘સેંય્ન્ટજોન’ જેવી કૃતિઓ જ ગણાય છે, અને વસ્તુતઃ એનાં અમરફળ તો અ કરતાં પણ જુદાં હોય છે. આ વિષયમાં ખરી વિવેકભરી રસવૃત્તિ ઉત્પન્ન કરવી એ નવીન વિવેચનશાસ્ત્રનું, અને તે માટે યોગ્ય પ્રબન્ધ કરવો એ સાહિત્યપરિષદનું, કામ છે.
નાટક વિષે લખતાં ડ્રાય્ડને ત્રણ જાતના ‘પબ્લીક્સ’ યાને ભોક્તા ગણાવ્યા છે. એક તો ખરા વિદગ્ધ અને સંસ્કારી, જેની સંખ્યા સહુથી ઓછી; બીજા ‘વૉર્મ યંગ મેન’ ઉત્સાહી યુવકો, જેમનો કલાવિષયક ઉત્સાહ સાચો પણ કેટલીકવાર ઉપરછલ્લો અને ભ્રાન્તઃ એમની સંખ્યા વધારે; અને ત્રીજા સામાન્ય લોક, જે સાહિત્યની કૃતિમાંથી કેવળ આનન્દ જ માગે છે – એમની સંખ્યા બહુ મોટી. આમ વિદ્વદ્ભોગ્ય, યુવકભોગ્ય અને લોકભોગ્ય એમ સાહિત્યના ત્રણ વર્ગો પડે છે. અહીં વિવેચનશાસ્ત્રીનો વિકટ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે આમાંથી કયા વર્ગના પ્રેક્ષક કે વાચક માટે કવિએ કાવ્ય નાટક કે નવલકથાઓ રચવી? વર્તમાન સમયમાં આ ત્રીજા વર્ગ તરફ તાણી જનારાં બે જબરાં વહેણ છે; એક તો આ જમાનો ‘ડેમોક્રેટીક’ યાને લોકસામાન્યના મતની દરકાર કરનારો છે; બીજું, એ દ્વારે ધનની પ્રાપ્તિ હોઈ કવિને પણ એ માર્ગે જ સરવાનું મન થાય છે. યુવકો એ ભવિષ્યની પ્રજા હોઈ, અને નવી રસભાવનાની ઉત્પત્તિનું સ્થાન હોઈ, એમની દૃષ્ટિમાં નવાં તેજ પ્રકટ થતાં હોય એ સ્વાભાવિક છે; પણ સાહિત્ય એ જીવનનું પરિપક્વ દર્શન હોય તો યુવકોની સાહિત્યભાવના કાચી હોવાનો પણ સંભવ છે જ. ખરા વિદગ્ધ અને સંસ્કારી વિવેચકો જડ ન થઈ જાય તો એમની દૃષ્ટિ સહુથી ઉત્તમ છે, અને ખરા કવિને એમના જ મતની દરકાર હોવી જોઈએ. પણ એઓ પણ ઊગતી ભાવનાને જોઈ ન શકે એવી ટૂંકી દૃષ્ટિવાળા અને જડ હૃદયના થઈ જવાનો સંભવ છે. તેથી ઉત્તમ વિવેચકો પહેલા અને બીજા વર્ગના સમન્વય રૂપ છે. પણ તેથી ‘ડેમોક્રેટીક’ સાહિત્ય અવગણનાયોગ્ય છે એમ કહેવાનું તાત્પર્ય નથી. જગતનું પરમ મહાન સાહિત્ય ‘રામાયણ’ અને ‘મહાભારત’ પંચતન્ત્ર અને ઈસપની વાર્તા – એ લોકભાગ્ય નથી? એ લોકભોગ્ય છે તેવું જ વિદ્વદ્ભોગ્ય પણ છે. પ્રાકૃતજન પણ મનુષ્ય જ છે અને તેથી મનુષ્યની બુદ્ધિ અને રસના શાશ્વત અંશોને એ સાહિત્ય સ્પર્શે છે એમાં એની મોટાઈ છે. પણ પ્રાકૃતજનની પ્રાકૃતતાને પરિણામે એનામાં જે ભ્રાન્ત અને ઉપરછલ્લી દૃષ્ટિ હોવાનો સંભવ છે, જે કાન્તદૃષ્ટિગમ્ય ઊંડા તત્ત્વ જોવાની એનામાં અશક્તિ છે, તેને પણ પૂજવી એ ‘ડેમોક્રસી’ અને ‘મોબ રૂલ’ વચ્ચે ભેદ ન સમજવા જેવી ભૂલ છે.
વિવેચનશાસ્ત્રમાં આપણે ઘણું કરવું બાકી છે. સાપ્તાહિક કે માસિક પત્રમાં જે ગ્રન્થાવલોકન થયા છે તેમાં આ વિશાળ ક્ષેત્રની સીમા પણ ભાગ્યે જ ખેડાય છે. વિવેચનશાસ્ત્રની રચનાને અંગે, કલાના અને તે ઉપરથી સાહિત્યના તત્ત્વનું અન્વેષણ કરવું એ એનો એક પ્રકાર છે; સાહિત્યના વિવિધ પ્રકાર લઈ એનાં સ્વરૂપલક્ષણ બાંધવા એ બીજો પ્રકાર છે; અમુક કૃતિના ગુણની મર્યાદા અવલોકવી એ ત્રીજો પ્રકાર છે; તેમ ગુણદોષનો વિચાર પડતો મૂકી માત્ર એનું સૂક્ષ્ય સ્વરૂપ ઊંડા ઊતરીને સમઝવા યત્ન કરવો એ ચોથો પ્રકાર છે; સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન–જેમાં વાચકના બોધ માટે નહિ પણ પોતાના જ ઉપભોગ માટે અમુક સાહિત્યકૃતિનું નિરીક્ષણ થાય છે અને, એ રીતે એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ઉત્પન્ન કરવામાં આવે છે, એ એનો પાંચમો પ્રકાર છે – ઇત્યાદિ અગણિત રૂપે વિવેચનકલા ખીલવવાની જરૂર છે. કારણ કે જેમ ઊંચું સાહિત્ય વિવેચનશાસ્ત્ર માટે નવું વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમ ઊંચુ વિવેચન સાહિત્યને નવા માર્ગ સુઝાડે છે.
કાવ્યના અર્થમાં સાહિત્યની ઉત્પત્તિ માટે, અને એને અંગે ઊંચી વિવેચનશક્તિ કેળવવા માટે, આ પરિષદનું શું કર્તવ્ય છે એ આપણે જોયું. પરંતુ એ જાતના સાહિત્યને ખીલવા માટે બુદ્ધિ અને હૃદયના સંસ્કાર પણ ઊંચા કરવાની જરૂર છે. એ સંસ્કારની પોતાની કિંમત – સાહિત્ય સાથે એના સંબન્ધ વિના સ્વતંત્ર રૂપે પણ – થોડી નથી. પણ સાહિત્ય એ ‘ફાઈનર બ્રેથ ઑફ ઑલ નોલેજ’ જ્ઞાન માત્રનો વધારે સૂક્ષ્મ અને સુન્દર પ્રાણ છે, તો એ પ્રાણને વસવા માટે સ્થૂલ દેહ પણ જોઈએ. પંકજ પણ પંક વિના થતું નથી. તો કવિતાસાહિત્ય પણ બુદ્ધિ અને હૃદયને કેળવે એવાં શાસ્ત્રના ક્યારા વિના કેમ ઊગે? તે સારું, બીજાં શાસ્ત્રની કેળવણી માટે પણ આ પરિષદે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે.
{{Poem2Close}}
{{Poem2Open}}
<br>
<br>
<center>'''ઇતિહાસસંશોધન'''</center>
આપણા ઇતિહાસવિભાગે વિચારવાના પ્રશ્નો ઘણા છેઃ પ્રથમ તો ગૂજરાતનો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ ધ્યાનમાં રાખી, એનું નિરૂપણ જે અત્યાર સુધી ગૂજરાતની વર્તમાન ચતુઃસીમાની દૃષ્ટિએ જ કરવામાં આવ્યું છે એમાં મૌલિક પરિવર્ત કરવો જોઈએ. ગૂજરાતનો પ્રાચીન ઇતિહાસ એટલે ઉત્તરમાં પંજાબ સુધીના પ્રદેશનો, અને દક્ષિણમાં દક્ષિણના ઉત્તર વિભાગના પ્રદેશનોઃ એ ઇતિહાસનાં ઘણાં બાકાં હજી હવે પૂરવાનાં છે. ઘણાં વર્ષો પૂર્વે આપણા ઇતિહાસનું શિક્ષણ મોગલ અને બ્રિટિશ અમલની જ દરકાર કરતું. તે પછી મહમદ ઘોરી અને મહમદ ગિઝની સુધી, અને તે પછી પ્રાચીન ઇતિહાસસંશોધનની કિંમત થતાં સિકંદરની સવારી સુધી, આપણે ભૂતકાળમાં ગયા. પરંતુ તે પહેલાંનો સમય કેવળ પૌરાણિક એટલે ઇતિહાસદૃષ્ટયા અપ્રામાણિક એવી વાર્તાઓથી જ ભરેલો હોઈ ઇતિહાસના અભ્યાસના માટે નકામો છે એવી સમઝણ ઘણો વખત ચાલી. પરંતુ વધતી જતી શોધને પરિણામે સમજાયું કે પુરાણમાં કરેલી નોંધ હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરનાર પશ્ચિમની પ્રજાઓના ઇતિહાસકારોએ તથા અન્ય મુસાફરોએ જે નોંધ કરી છે તેની સાથે અદ્ભુત રીતે મળતી આવે છે. આથી પુરાણની પ્રમાણ તરીકે પ્રતિષ્ઠા વધી, અને પુરાણના મહાન અભ્યાસી પાર્જિટરે અ પ્રતિષ્ટાનું સારાસારવિવેચનપૂર્વક એટલું બધું ગૌરવ વધારી દીધું કે વેદાદિક ગ્રન્થ કરતાં પણ એનું પ્રમાણ વધારે માન્યું. આટલે સુધી જવું મધ્યસ્થ ઇતિહાસકાર માટે અશક્ય છે, પણ અન્ય પ્રમાણથી બાધિત ન હોય, અથવા અન્ય પ્રમાણને બાધિત કરે એટલું સંભવિત હોય તો પુરાણાના કથનને ઇતિહાસરૂપે માનવાને અત્યારે સહુ ઇતિહાસકારો તૈયાર છે. તે જ પ્રમાણે તે પછીના સમયમાં આવતાં કેવળ શિલાલેખ, સિક્કા અને તામ્રપટ્ટના જ પ્રામાણ્યને વળગી ન રહેતાં ઇતિહાસ રચવામાં બાધાબાધના સામાન્ય નિયમાનુસાર સાહિત્યનો ઉપયોગ કરવો પણ ઉચિત છે; વળી વિશેષ, સાહિત્ય જ્યારે તારીખો નક્કી કરવામાં ઉપયોગી નથી થતું, ત્યારે પણ પ્રજાના વાસ્તવિક કે ભાવનાત્મક જીવનની ઝાંખી કરવા માટે બહુ કામનું થઈ પડે છે. પરંતુ આપણા ઇતિહાસના પ્રકાશનું એક મોટું સાધન હજી હવે જ આશાક્ષિતિજ ઉપર ઊગતું દેખાય છે. સિંધ અને પંજાબની સરહદો ઉપર અને હરપ્પાના ખોદાણકામથી ‘ઋગ્વેદ’ના બલ્કે તેથી પણ પૂર્વના મનાતા કાળ ઉપર પ્રકાશનાં કિરણો ફૂટ્યાં છે. પણ હજી એ માત્ર કિરણો જ છે, એટલામાં તો ઇન્ડિયન આર્કિઓલોજીના ડિરેક્ટર સર જૉનમાર્શલ લખે છે કેઃ “The opinion has lately been gaining ground that the cradle of Sumerian and Egyptian civilization is to be sought somewhere east of Mesopotamia. If indeed, such a cradle ever existed, it is as likely as not to have been in the vast richly watered plains of Northen India. Migrations there undoubtedly were – and those on a large scale, and nothing is more probable than that the teeming populations of Northern India expanded westward through Seistan across the Iranian plateau and northward to the plains of Transcaspia.” આ અનુમાન જે અત્યાર સુધી ચાલતી આવેલા પાશ્ચાત્ય ઇતિહાસકાર અને પુરાતત્ત્વવિદની માન્યતાથી તદ્દન વિપરીત છે એ પુરાણની હકીકત સાથે મળે છે, અને પરિણામે હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરનાર અને એની વસ્તીમાં ભળી જનારે ‘ફોરેય્ન ટ્રાય્બ્ઝ’ યાને પરદેશી જાતિઓ સંબન્ધી આપણા અર્વાચીન વિદ્વાનોના લેખો જુદી દૃષ્ટિથી તપાસવા પડશે એમ સૂચવે છે. કાઠિયાવાડની ઐતિહાસિકરત્નગર્ભા વસુન્ધરા હજી ખોદવી તદ્દન બાકી છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને વલભીપુરનાં ઇતિહાસનાં કેટલાંએ પડ એ ભૂમિમાં દટાયેલાં કોઈ વાર બહાર નીકળશે એ કહેવાતું નથી, અને એ નીકળશે ત્યારે આપણા અત્યાર સુધી માનેલા ઇતિહાસને ટેકો આપશે કે ઉથલાવશે એ વિષે અત્યારે કાંઈ પણ પ્રામાણિક કલ્પના થઈ શકતી નથી. પણ એ શોધ ઇતિહાસના યર્થાથ જ્ઞાન માટે અત્યન્ત આવશ્યક છે એટલું તો નક્કી જ છે. બીજું આપણા ઇતિહાસના રાજવંશો અને એમની તારીખો આપણે ચોક્કસ રીતે જાણી શક્યા છીએ તેમાં પણ હજી લોકસ્થિતિ વિષે ઘણું જ્ઞાન ઉમેરવું બાકી છે. સાહિત્ય એ આ જાતના કાર્ય માટે એક મોટું સાધન હોય છે, પણ દુર્ભાગ્યે, આપણા તે કાળના ઘણાખરા કવિઓએ એમના સાહિત્યને ધર્મ સિવાય કોઈ પણ રસથી ભીંજાવા દીધું નથી. આથી લોકસ્થિતિ જાણવાના વિષયમાં આપણને ઘણી મુશ્કેલી પડે છે.
રત્નમણિરાવે મુસલમાન સમયના ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ પ્રકટ કરવા માંડ્યો છે, તથા એને અંગે માત્ર સામાન્ય નિરુપણથી સંતોષ ન માનતાં વિગતવાર માહિતી એકઠી કરવા માંડી છે. એ પદ્ધતિએ ઘણું કામ કરવા જેવું છે. રાયચુરા અને મેઘાણી કાઠિયાવાડની જૂની વાર્તાઓ રાસ વગેરે સાહિત્ય એકઠું કરે છે એનું મૂલ્ય ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ હોય પણ સમયનું ચિત્ર દોરવામાં તો ઘણું જ કામનું છે. વળી એક સંસ્કૃત અલંકારશાસ્ત્રી લખે છે તેમ સર્વ શાસ્ત્રો કાવ્યમુખપ્રેક્ષી છે – અર્થાત્ કાવ્યનું જ મુખ નિહાળતાં – કાવ્યનાં સેવક – છે અને તે પ્રમાણે ઇતિહાસ પણ કાવ્યરૂપ થયા વિના એનું તત્ત્વ પૂરેપૂરૂં પ્રકટ કરી શકતો નથી. કવિપ્રતિભા વિનાનો ઇતિહાસ એ જીવંત માંસ અને રુધિર વિનાનું માત્ર કાલનું મૃત હાડપિંજર છેઃ તે આપણો ઇતિહાસ ખરી રીતે જાણવા માટે આપણે નન્દશંકર તુળજાશંકર અને કનૈયાલાલ મુનશીની અપેક્ષા રાખીએ છીએ. કલા ખાતર સત્યનો ભોગ આપવાની જરૂર હોય તો ગુજરાતના ઇતિહાસ ખાતર કલાનો ભોગ આપવા પણ ભાઈ મુનશીને આપણે વિનંતિ કરીશું. આપણે એમને કહીશું કે સત્ય અને કલા – ઇતિહાસ અને કલા ઉભયનો સુન્દર સમન્વય કરી શકે એવું એમનામાં સામર્થ્ય છે, એકનો ભોગ આપવો પડે એવા એ કલામાં અનિપુણ કે ઇતિહાસમાં યથાર્થની કિંમત ન સમઝી શકે એવા પ્રાકૃત નથી. છતાં ભોગ આપવો પડે એટલા એ અશક્ત હોય તો કલાનો ભોગ આપે ઇતિહાસનો નહિ; કારણ કે કલાનાં ક્ષેત્ર ઘણાં છે, ઇતિહાસનું એક છે.
વળી, એક પ્રશ્ન ઇતિહાસ અને ભાષાશાસ્ત્રની સીમા ઉપર આવેલો અને તેથી ઉભય વિદ્યાના વિદ્વાનોએ વિચારવાનો એ છે કે આપણા પ્રાન્તના નામની વ્યુત્પત્તિ શી? ‘બોમ્બે ગેઝેટીયરે’ सं. गुर्जरराष्ट्र, प्रा. गुर्जररट्ट ઉપરથી ગુજરાત શબ્દની વ્યૂત્પત્તિ માની હતી. પરંતુ ‘ગુર્જરટ્ટ’ ઉપરથી ‘ગૂજરાઠ’ કે ‘ગૂજરાટ’ થાય, ‘ગૂજરાત’ ન થાયઃ એ શબ્દો કોઈ પણ લેખમાં મળતાં નથી અને ગૂર્જરરાષ્ટ્ર ઉપરથી ગૂજરાત કાઢવું એ વ્યુત્પત્તિશાસ્ત્રના નિયમથી વિરુદ્ધ છે. તેથી પછીના વિદ્વાનોએ ‘गुर्जरत्रा’ શબ્દ જે ડેડવાણકના તથા મંગલાનકના લેખમાં મળે છે તે ઉપરથી વ્યુત્પત્તિશાસ્ત્રનુસાર એ શબ્દ ઉપજાવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રને અવગણી શકાતું નથી એ ખરું પણ તે સામે થોડાક વિચાર પણ આવ્યા વિના રહેતા નથી. એક તો ‘ત્રા’નો આવો પ્રયોગ, સર્વનામને त्र (अत्र, तत्र, सर्वत्र, अन्यत्र) લાગે છે તે સિવાય, કોઈ દેશવાચક શબ્દમાં થયો જાણ્યો નથી. તે સાથે સુરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાષ્ટ્ર એ નામ એક બીજાની પાસે આવેલા ત્રણ દેશવિભાગના વાચક છે તેથી પાસેનો એક વિભાગ ‘ગુર્જરરાષ્ટ્ર’ કહેવાયો હોય તો આશ્ચર્ય છે? વ્યુત્પત્તિશાસ્ત્રનો વાંધો વજનદાર છે, પણ અશોકના घंमयुतस च योणकंबोज गंधारानं रिस्टिक पेतेणिकानं ये वापि अंञे अपराता (ગિરનાર), घेमयुतस्य योनकंबोजगंधालेसु लठिकपितेनिकेसु ए वा पि अंने आपलंता (ધૌલી), घ्रमयुतस योनकंवोयगंघरनं रस्टिकनं पितिनिकनं ये वपि अपरंत (શહબાઝગઢી), ध्रमयुतस योनकंबोजर्गधरनं रट्रकपिति निकन ये व पि अञे अपरत (માનસેરા) એમ ચાર જુદાં જુદાં સ્થળના લેખમાં, पेतेणिक, पितेनिक, पितिनिक શબ્દ છે તેનો મૂળ સંસ્કૃત શબ્દ દેવદત્ત ભાંડારકર સિવાય સર્વ વિદ્વાનોએ प्रतिष्ठानिक માન્યો છે, ત્યાં પૂર્વોક્ત વ્યુત્પત્તિશાસ્ત્રનો નિયમ કે ष्ठ નો ठ થાય ‘ત’ ન થાય એ વાંધો ગણ્યો નથી. દેવદત્ત ભાંડારકરે વ્યુત્પત્તિશાસ્ત્રને ત્યાં પણ માન આપીને पितनिक શબ્દનો જુદો જ અર્થ કર્યો છે. અંગુત્તર નિકાયમાં रठ्ठिकस्स पेत्तनिकस्य અને रठ्ठिको पेत्तनिको એમ એ શબ્દયુગલ બે વાર આવે છે ત્યાં એનો સહચાર गामगामि कस्य पूगगामणिकस्स गामगामको पूगगामणिको ઇત્યાદિ રાજ્યના અધિકારી વાચક શબ્દો સાથે થયો છે, અને ત્યાં પિતાથી પ્રાપ્ત અધિકાર ભોગવતો રાષ્ટ્રિક કહેવાતો રાજ્યાધિકારી એવો અર્થ ટીકાકારે કર્યો છે. એટલે અશોકના શિલાલેખમાં પણ रिस्टिक पेतेणिकનો એ જ અર્થ થવો ઘટે છે. અર્થાત્ पेतेणिक એ प्रतिष्ठानिक = પેઠણનું એમ નહિ. પરંતુ દેવદત્ત ભાંડારકરના આ पेतनिक = पैतृक સામે એક વિદ્વાન તરફથી વ્યુત્પત્તિશાસ્ત્રનો બીજો વાંધો લેવામાં આવ્યો છે કે तृ નું त्त કેમ થાય? પણ तृ નો त्रु ઉચ્ચાર થવાથી त्त થાય એ સંભવિત હોઈ એ વાંધામાં માલ દેખાતો નથી. તથાપિ એક વિકટ સ્થિતિ એ આવીને રહી છે કે અંગુત્તર નિકાયમાં रट्टिकपेतनिकનો સહચારી શબ્દ જોતાં અમુક રાજ્યધિકારી એવો અર્થ બંધ બેસે છે, ત્યારે અશોકના લેખમાં સ્પષ્ટ ‘યવન – કમ્બોજ – ગાંધાર – રાષ્ટ્રિક – પેતેણિક (પિતિનક) અને બીજા અપરાન્ત (સામ્રાજ્યના સામા છેડાના વા પશ્ચિમ સમુદ્રકાંઠાના) દેશ’ એમ દેશ તરીકે ‘રાષ્ટ્રિક પેતેણિક’ની ગણના કરી છે. બંને પક્ષનું સમાધાન એ રીતે થઈ શકે કે અમુક રાજ્યાધિકારીઓ મૂળ ધણીથી સ્વતન્ત્ર થઈ રાજ્ય વસાવે ત્યારે પણ મૂળ રાજ્યાધિકારીવાચક નામથી ઓળખાયાં કરે, અને એ રીતે રાજ્યાધિકારીવાચક શબ્દ લોકવાચક અને દેશવાચક થઈ જાય. આ રીતે रठ्ठिक पेतनिक શબ્દની ગતિ થઈ હોય. ગમે તેમ હોય પણ पेतनिक શબ્દનો प्रतिष्ठान શબ્દ સાથે સંબન્ધ સર્વમાન્ય ન રહ્યો એટલે અશોકના લેખના ઉદાહરણથી गुर्जरराष्ट्र ઉપરથી ગુજરાત શબ્દ અવતારવાનો આપણો યત્ન સફળ થતો નથી – જો કે ઉપર કહ્યું તેમ દેવદત્ત ભાંડારકર સિવાય સહુ વિદ્વાનોએ અશોકના લેખમાંએ વ્યુત્પત્તિની મુશ્કેલી અવગણી છે. હજી ‘રાષ્ટ્ર’ ઉપરથી ‘રાત’ ઉપજાવવાનો એક મન્દ યત્ન સંભવે છે અને તે એ કે મૂર્ધન્ય णનો દન્ત્ય न થાય છે અને ष નો स થાય છે, તેમ – અહીં મૂર્ધન્ય ट નો – દન્ત્ય त કેમ ન થાય? વળી પ્રકૃતસ્થળમાં ट મૂળ त (राज्+त्र=राष्ट्र) જ હતો એટલી મુશ્કેલી ઓછી છે. વળી ભરતે કહ્યું છે કે चर्मण्वतीनदीपारे ये चार्बुदसमाश्रिताः । तकारबहुलां नित्यं तेषु भाषां प्रयोजयेत् - અર્થાત્ ચંબલ નદીનો પારના અને આબુના વાસીઓ त વધારે બોલે છેઃ એ વાક્ય પણ કાંઈ પ્રકૃત પ્રશ્ન ઉપર પ્રકાશ ન નાંખે? આ વિચારપરંપરાનું બીજ गुर्जरत्रा શબ્દની વિચિત્રતા, અને દેશવાચક રાષ્ટ્ર શબ્દની સ્વાભાવિકતા એ છે; વ્યુત્પત્તિશાસ્ત્રની મુશ્કેલી વિસ્મરણ નથી. વળી એક બીજી સૂચના પણ કરવાની સૂઝે છેઃ ગૂજરાત = ગુર્જરરાષ્ટ્ર હોય તો તે = ગુર્જરોનું રાષ્ટ્ર એમજ શા માટે હોવું જોઈએ? ગુર્જર (ઉત્તર ગૂજરાત) અને રાષ્ટ્ર જે લાટ (દક્ષિણ ગુજરાત) નામે પ્રસિદ્ધ છે તે મળીને થએલો દેશ અથવા ગુર્જરોનો લાટ, ‘દક્ષિણ લાટ’થી ભિન્ન ‘ઉત્તર લાટ’ એમ અર્થ પણ ન હોઈ શકે? ‘લાટ’ એ ‘રાષ્ટ્ર’ ઉપરથી થએલો શબ્દ છે. અને ટૉલેમી, વાત્સ્યાયન, વગેરેને જાણીતો હોઈ, અશોકના લેખમાં लठिक નામનો જે એક ‘અપરાન્ત’ (સામ્રાજ્યમાં અપર નામ સામે અંતે કે પશ્ચિમ છેડે આવેલા પ્રદેશ-દેશમાંનો એક) કહ્યો છે તે લાટ જ હોવાનો સંભવ છે. લાટ-અન્તર્ગત ભરૂચ નગરમાં ગુર્જરોની એક શાખાએ રાજ્ય સ્થાપ્યું હતું, અને તેજ પ્રમાણે રાષ્ટ્રકૂટ અથવા રટ્ટ જાતિના રાજાઓ, જેઓ મૂળ ઉત્તરના હતા કે દક્ષિણના એ અનિશ્ચિત છે તથાપિ ઉત્તરના હોય એમ વિશેષ સંભવ છે, એમણે દક્ષિણમાં મોટું રાજ્ય સ્થાપ્યું હતું અને ગૂજરાતમાં આવેલા લાટ ઉપર પણ એમની સત્તા કોઈ કોઈ વાર પહોંચી જતી. આપણો પ્રાન્ત ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના પશ્ચિમ ભાગના દક્ષિણઉત્તર પ્રદેશ મળીને બનેલો છે, અને તેમાં ત્રીજો ખંડ સૌરાષ્ટ્રનો ઉમેરતાં, એકતા અને અનેકતાની એક અદ્ભુત ત્રિમૂર્તિ – બ્રહ્મા વિષ્ણુ અને શિવ સમી અને કાંઈક એ મતે મળતી – આપણી દૃષ્ટિ આગળ ચીતરાઈ જાય છે.
આ રાજકીય ઇતિહાસમાંથી ફલિત થતો ગુજરાતના જનસમાજના બંધારણનો અને એની ભાષાનો ઇતિહાસ પણ ઇતિહાસના ગવેષકોએ હજુ પુષ્કળ શોધવાનો છે, ગૂજરાત જેટલી જ્ઞાતિઓ હિન્દુસ્તાનનાં બીજા કોઈ ભાગમાં નથી, અને જ્ઞાતિવિભાગનાં જે કારણે બીજા ભાગમાં પ્રવર્તેલાં છે તે ઉપરાંત અહીં બહુ વિશેષ છે. એ સર્વ જ્ઞાતિઓના ઇતિહાસ અને રિવાજ સંબન્ધી ઘણી માહિતી ‘બોમ્બે ગેઝેટિયર’માં સંકલિત કરેલી છે, તથાપિ ઘણાં વર્ષો ઉપર થયેલા એ કાર્યને અત્યારે ફરી શોધવાવધારવાની જરૂર છે, તેમજ ગુજરાતને એક અલગ પ્રાન્ત માનીને એની જ્ઞાતિઓનો ઇતિહાસ લખાયો છે તેને પણ ઉત્તર દક્ષિણ હિન્દુસ્તાનની જ્ઞાતિઓના ઇતિહાસ સાથે જોડીને ફરી રચવાની જરૂર છે.
<br>
<br>
<center>'''ભાષા'''</center>
ત્રીજું આપણી ભાષાનો ઇતિહાસ પણ હજી ઘણો વધારે શોધવાનો છે. સર જ્યોર્જ ગ્રિયર્સન એમનાથી જે બન્યું તે કરીને લખે છેઃ
“We have thus a connected chain of evidence as to the growth of the Gujarati language from the earliest times. We can trace the old Vedic language through Prakrit down to Apabhramsa and we can trace the development of Apabhramsa from the verses of Hemachandra, down to the language of a Parsi newspaper. No single step is wanting for nearly four thousand years.” આ આપણી ગરવી ગૂજરાતની ગરવી ભાષાની વિશિષ્ટતા છે. અને તેથી જ એને માટે આપણું કર્તવ્ય ઘણું છે. ગ્રિયર્સને તો ભાષાશાસ્ત્રીઓની શોધોના આધારે માત્ર થોડીક લીટીઓ જ દોરી છે. પરંતુ ટેસિટોરી અને નરસિંહરાવભાઈએ એમાં ઘણું વધારે કામ કર્યું છે. પણ તેઓએ કર્યું છે તે કરતાં હજી ઘણું ઘણું વધારે કરવું બાકી છે. અપભ્રંશ સાહિત્યના છૂટક અવશેષો કેટલાક સમયથી ઉપલબ્ધ હતા, પણ સળંગ કાવ્યો હજી હવે જ પ્રસિદ્ધ થવા લાગ્યાં છે, અને અપભ્રંશ એટલે એક સ્થિર અવિકારી ભાષા – જેનું વ્યાકરણ હેમચન્દ્રે ઘડી આપ્યું છે – એમ મનાઈ રહ્યું છે, તેને બદલે હવે એનો એક જીવંત અને વિકારી ભાષા તરીકે અભ્યાસ થવો ઘટે છે; જેટલું અપભ્રંશ સાહિત્ય ઉપલબ્ધ છે એ પ્રકાશમાં મૂકી આ અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ. અત્યારે ઉત્તર હિન્દુસ્થાન – રાજસ્થાન–થી માંડી દક્ષિણમાં રાષ્ટ્રકૂટ રાજ્યના પ્રદેશ સુધીના ભાગમાં જે અપભ્રંશ સાહિત્ય જડ્યું છે તે રચવામાં પણ મોટો અંશ જૈનોનો છે. પણ હેમચન્દ્ર વગેરેએ ઉદ્ધરેલાં ઉદાહરણો જોતાં કેટલુંક સાહિત્ય જૈનેતર થકી પણ રચાએલું હોય તો તે સંભવિત છે. એ સઘળું સાહિત્ય શોધવાનો આપણે પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અપભ્રંશ સાહિત્ય મૂળ હિન્દુસ્થાનના ઉત્તર દક્ષિણ ‘અપરાન્ત’નું છે, તથાપિ એના સૌથી વિશેષ ઉત્તરાધિકારીઓ આપણે ગૂજરાતી છીએ. આપણા ગૂજરાતમાં આવ્યાના ઇતિહાસ ઉપરથી આપણી ભાષાનો ઉદ્ભવ – પ્રાચીન આર્ય ભાષા, પછી સંસ્કૃત પછી પાલી, પછી શૌરસેની પ્રાકૃત, પછી શૌરસેની અપભ્રંશ અને તે ઉપરાંત ગુર્જરોની મૂળ ભાષા દર્દસ્તાની યા પૈશાચીઃ આટલાં તત્ત્વોમાંથી થએલો મનાય છે. હવે આ સઘળાં તત્ત્વોને પૃથક કરી આપણી ભાષાના પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ આપણા કોષમાં આપણે બતાવવી જોઈએ. તેમાં પૈશાચીનું તત્ત્વ શોધવું કઠણ છે તથાપિ તે માટે યત્ન થવો જોઈએ, અને અશિષ્ટ મનાતા એના ખૂણાખાંચરાની બોલીના શબ્દો પણ એકઠા કરીને તપાસવા જોઈએ. આ સઘળું કાર્ય અસાધારણ મહત્ત્વનું છે તેવું જ ખર્ચનું છેઃ વળી વર્તમાન જમાનામાં કોઈ પણ કોષ જ્યાં સુધી સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ રૂપી મૂળ ઉપરાંત, હિન્દી મરાઠી અને બંગાળી સાથેના સમાનતાના અંશો નહિ દર્શાવે ત્યાં સુધી એ અપૂર્ણ જ ગણાશે. ‘પોલીટીકલ ફેડરેશન’ની ભાવના સાથે ‘લિંગ્વિસ્ટીક ફેડરેશન’ની ભાવનાને જોડવી જ પડશે.
<br>
<br>
<center>'''વિજ્ઞાન'''</center>
હવે વિજ્ઞાનવિભાગના વિષયમાં આપણે શું કરવાનું છે એ જોઈએઃ આ વિષયમાં જે કાર્ય કરવાનું હોઈ શકે તેના બે પ્રકાર છેઃ એક નવી શોધ, અને બીજો લોકપ્રચાર. નવી શોધની બાબતમાં તો ગુજરાતે આખા હિન્દને બલ્કે સમસ્ત પૃથ્વીના વિજ્ઞાનશાસ્ત્રીઓની સાથે રહીને કામ કરવાનું છે. પણ જે નાનું કામ – છતાં અતિ આવશ્યક કામ – સાહિત્ય પરિષદ પોતે ઉપાડી શકે એવું છે તે વિજ્ઞાનના લોકપ્રચારનું છે. છેલ્લાં દશપંદર વર્ષમાં આપણા પ્રથમ અને મધ્યમ કક્ષાના શિક્ષણમાં વિજ્ઞાનશાસ્ત્રને આપણે સ્થાન આપ્યું છે, અને સારી નિશાળોમાં એ કામ થતું હશે એમ પણ આપણે માની લઈએ, તો પણ એની બહાર સામાન્ય લોકમાં વિજ્ઞાનનો પ્રચાર હજુ નહિ જેવો છે. અને એ પ્રચાર સારી પેઠે થાય તે માટે સાહિત્યપરિષદે ખરા અન્તઃકરણથી મોટી યોજના રચવાની આવશ્યકતા છે. મારા મિત્ર મિ. કોઈલાં – જે હમણાં થોડા વખત ઉપર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એન્જીનિયરિંગ કૉલેજના વાઈસ પ્રિન્સિપાલ હતા અને હાલમાં પટણાની એન્જીનિયરિંગ કૉલેજના પ્રિન્સિપાલ થયા છે – એમણે ‘કલકત્તા રિવ્યૂ’માં ઔદ્યોગિક કેળવણી ઉપર લેખ લખવા માંડ્યા છે, એમાં એક સ્થળે કહ્યું છે કે ઇંગ્લંડનો ઔદ્યોગિક વિકાસ ઔદ્યોગિક શાળાને નહિ પણ ઔદ્યોગિક કારખાનાંને આભારી છે. આ કહેવું ઇંગ્લંડ પરત્વે ખરું છે, પણ અન્ય પ્રાણી કરતાં મનુષ્યોમાં વિશેષ એ છે કે જે સ્વાભાવિક હોય એને પણ એ પ્રયત્નજન્ય કરી શકે છે. ઔદ્યોગિક કારખાનાંથી ઇંગ્લંડનો ઔદ્યોગિક વિકાસ થયો એ ખરી વાત, પણ એ કારખાનાંને સુધારવામાં ઔદ્યોગિક શાળાનું વિજ્ઞાન અત્યારે મોટો ભાગ લે છેઃ બલ્કે ઇંગ્લંડ પણ શાળા અને કારખાનાંને પરસ્પર જોડવામાં અન્ય દેશોથી – ઉદાહરણ તરીકે જર્મનીથી – પછાત છે તેટલી એની ઔદ્યોગિક સ્થિતિ પણ હાનિ સહન કરે છે. આપણા દેશમાં કારખાનાંના કામમાં શાળામાં મેળવેલી વૈજ્ઞાનિક કેળવણી બહુ ઉપયોગી થશેઃ બલ્કે, આપણા દેશની સ્થિતિ એવી છે કે જ્યાં સુધી વૈજ્ઞાનિક શિક્ષણથી આપણી હવાને ભરી દેવામાં નહિ આવે, ત્યાં સુધી આપણાં કારખાનાં પણ ગતાનુગતિક અને જમાનાથી પચાસ વર્ષ પછાત રહેવાનાં. તે માટે સાહિત્યપરિષદે વિજ્ઞાનને લોકપ્રિય કરવા સારું જે કાંઈ યત્ન થઈ શકે તે કરવા મચી પડવું જોઈએ. આરંભમાં વિજ્ઞાનનાં લોકપ્રિય ભાષણો અને પ્રયોગો ગુજરાત અને કાઠિયાવાડનાં અમુક શહેરોમાં કરવા માટે ગોઠવણ કરી દેવી જોઈએ, અને એ કામમાં પ્રજાની સેવા કરવા ડૉ. કાન્તિલાલ, ડૉ. નાયક, પ્રોફેસર વીરમિત્ર દીવેટિયા, રા. પોપટલાલ શાહ, રા. સાંકળચંદ શાહ, રા. પર્જન્યરાય મેઢ, અને રા. વિજયલાલ ધ્રુવ તૈયાર છે એમ હું જાણું છું. અન્ય પણ ઘણા ભાઈઓ સાહાય્ય કરશે.
<br>
<br>
<center>'''તત્ત્વજ્ઞાન'''</center>
ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં આપણું બે જાતનું કર્તવ્ય છે. એક તો આપણા ગુજરાતી સાહિત્યમાં મીરાં અને નરસિંહ મહેતાથી માંડી આજ પર્યંત જે જે વિચાર આપણા સાહિત્યમાં પ્રકટ થયા છે, એ તારવવાનું, એનો ઇતિહાસ રચવાનું, તથા એને હિન્દુસ્તાનમાં અન્યત્ર પ્રકટ થએલા ધર્મ અને તત્ત્વવિચાર સાથે સાંકળવાનું મોટું કાર્ય છે. પણ એટલેથી જ સંતોષ પામવાનો નથી. જેમ સાહિત્યમાં જૂના સાહિત્યના પાનથી સંતુષ્ટ થવાનું નથી, પણ નવું સાહિત્ય રચવાનું છે, તે જ રીતે તત્ત્વજ્ઞાનમાં પણ આપણે આગળ પ્રગતિ કરવાની છે. આપણા પ્રાચીન પૂર્વજોએ જેમ ઇતિહાસ તેમ તત્ત્વજ્ઞાન સાહિત્ય સાથે ગૂંથ્યું હતું. પરંતુ એ કાર્ય મહાન કવિઓ જ કરી શકે, આપણે તો, એ જ કાર્યની સામગ્રી તરીકે, તત્ત્વજ્ઞાનને એક સ્વતન્ત્ર શાખારૂપે કેળવી પોષી સંવર્ધી શકીએ. તત્ત્વજ્ઞાન એ સંસારને વિલોકવાની એક દૃષ્ટિ છે, અને તે જેમ જ્ઞાનીને સિદ્ધ છે તેમ આપણ સહુને સાધ્ય છે અને આવશ્યક છે. તત્ત્વજ્ઞાન એ જ્ઞાનની અન્ય શાખાઓની સમાન કક્ષાનું એક શાસ્ત્ર છે એ સમજણ પણ ભૂલ ભરેલી છે. જ્ઞાનની સર્વશાખામાં તત્ત્વજ્ઞાન પ્રવેશ કરે છે, કારણ કે એ સર્વના મૂળરૂપે એનું સ્થાન છે. તેથી જીવ જગત અને પરમાત્માના સ્વરૂપનું, જ્ઞાનની એક સ્વતન્ત્ર શાખારૂપે, ચિન્તનઃ એટલામાં જ તત્ત્વજ્ઞાન સમાપ્ત થતું નથી. ઇતિહાસ અને વિજ્ઞાનનાં મૂળ શોધવા તથા એનો અર્થ કરવામાં પણ તત્ત્વજ્ઞાન પ્રવર્તે છે. આ દૃષ્ટિએ મનુષ્યનું બંધારણ, એનો આ પરિદશ્યમાન વિશ્વ સાથે સંબન્ધ, એની સ્વભાવિક પ્રવૃત્તિનિવૃત્તિની ભાવનાઓ – ઇત્યાદિ સર્વ વિચાર તત્ત્વજ્ઞાનના પેટામાં પડે છે. એ વિચારનું બહોળું પણ સુચિન્તન સાહિત્ય ઉત્પન્ન કરવાની જરૂર છે. એ જ ભવિષ્યના કાવ્યસાહિત્યમાં ઉચ્ચતા અને ગંભીરતા, એ સાહિત્યના પ્રાણરૂપે, પ્રેરી શકશે. અને એ વિના આપણું સાહિત્ય રંગબેરંગી પરપોટા જેવું જ રહેશે.
<br>
<br>
<center>'''કેળવણી'''</center>
26,604

edits