કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વડવાયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. વડવાયું

ઘરને ઘેરી વળી વડવાયું.
હોંશે કરીને અમે વૃક્ષને વાવિયું ને,
હોંશે કરીને નીર પાયું;
માની લીધું કે વડ વા ઝડી ઝીલશે ને
દેશે આતપમાં છાંયું.
ઘરને ઘેરી વળી વડવાયું.
સૂરજ મા’રાજને આઘેરા રાખતું;
ડાળીનું માળિયું રચાયું;
એકથી અનેક એવાં મૂળ ફૂટિયાં
જેથી ઘર ધરમૂળથી ખોદાયું.
ઘરને ઘેરી વળી વડવાયું.
બળતા બફારા અમ આતમને મૂંઝવે,
વડલે અટવાયા શીત વાયુ;
ઓછાં હતાં અમારાં આપદનાં ઓઢણાં
કે વડલે લાગી ગઈ છે લ્હાયું!
ઘરને ઘેરી વળી વડવાયું.

(રામરસ, પૃ. ૨૨)