ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/અનુવાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧. અનુવાદ
૧. શીર્ષક : સુધારકયુગનું અનુવાદ સાહિત્ય : એક સર્વેક્ષણ
સંશોધક : નટવરલાલ એ. રાવલ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૨

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ સુધારકયુગમાં જે અનુવાદ પ્રવૃત્તિ થઈ હોય તેને કેન્દ્રમાં રાખી અનુવાદ પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો છે. સુધારકયુગમાં જે અનુવાદો થયા છે તેનો પરિચય કરાવી આ અનુવાદોનું અનુવાદકળાની દૃષ્ટિએ મૂલ્યાંકન રજૂ કર્યું છે. જેની સાથે અનુવાદકની સજ્જતા તથા અનુવાદકાર્ય વખતે કેન્દ્રમાં રખાતી બાબતો વગેરે વિશે ચર્ચા કરી છે. ત્યાર બાદ આ યુગની અનુવાદપ્રવૃત્તિની વિશેષતા, મર્યાદાઓ દર્શાવી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૨. શીર્ષક : પંડિતયુગનું અનુવાદ સાહિત્ય : એક સર્વેક્ષણ
સંશોધક : નીલા પી. ત્રિવેદી
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ પંડિતયુગના સમયગાળા દરમિયાન જે અનુવાદપ્રવૃત્તિ થઈ હોય તેને કેન્દ્રમાં રાખીને અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં અનુવાદની વિભાવના, અનુવાદકાર્યનું મહત્ત્વ, અનુવાદકની સજ્જતા વગેરેની ચર્ચા કરી છે. સુધારકયુગથી માંડીને આ શોધનિબંધ સુધીના સમયગાળાની અનુવાદપ્રવૃત્તિનો આછો પરિચય આપ્યો છે. પંડિતયુગમાં આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા, બ.ક. ઠાકોર, કેશવ હર્ષદ ધ્રુવ વગેરેની અનુવાદ પ્રવૃત્તિ વિશે વિગતે ચર્ચા કરી છે. ત્યાર બાદ આ સમયગાળામાં થયેલ અનુવાદપ્રવૃત્તિની વિશેષતા-મર્યાદાઓ દર્શાવી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૩. શીર્ષક : ગાંધીયુગનું અનુવાદ સાહિત્ય : એક સર્વેક્ષણ
સંશોધક : રામાજી એમ. ઠાકોર
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગાંધીયુગ દરમિયાન થયેલ અનુવાદપ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં અનુવાદ એટલે શું? તેનું મહત્ત્વ, અનુવાદકની સજ્જતા વગેરેની ચર્ચા કરી છે. ગાંધીયુગમાં થયેલ અનુવાદ પ્રવૃત્તિનો પરિચય કરાવ્યો છે. મહાદેવભાઈ દેસાઈ, ઉમાશંકર જોશી, સુંદરમ્, મેઘાણી, રા.વિ. પાઠક વગેરે દ્વારા થયેલ અનુવાદોની ચર્ચા કરી છે. અંતે ગાંધીયુગમાં થયેલ અનુવાદપ્રવૃત્તિની વિશેષતા- મર્યાદાઓ દર્શાવી સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૪. શીર્ષક : અનુગાંધીયુગનું અનુવાદ સાહિત્ય-એક સર્વેક્ષણ (૧૯૪૮ થી ૧૯૯૦)
સંશોધક : જયંતીભાઈ એસ. ચૌધરી
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ અનુગાંધીયુગ દરમિયાન એટલે કે ઈ.સ. ૧૯૪૮ થી ૧૯૯૦ સુધીમાં થયેલ અનુવાદ પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. આરંભમાં અનુવાદ એટલે શું? અનુવાદનું મહત્ત્વ ઉપરોક્ત સમયમાં થયેલ અનુવાદ પ્રવૃત્તિનો પરિચય કરાવી દર્શક, સુરેશ જોષી, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ વગેરેના અનુવાદો-અનુવાદપ્રવૃત્તિની સિદ્ધિ મર્યાદાઓ દર્શાવી અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.