ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/હરિહર પ્રાણશંકર ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હરિહર પ્રાણશંકર ભટ્ટ

શ્રી હરિહર ભટ્ટનો જન્મ સં.૧૯૫૧ના વૈશાખ સુધી ૭ (તા ૩૦-૪-૧૮૯૫)ના રોજ કાઠિયાવાડના જાળીલા ગામે થયો હતો. તેમના પિતાનું નામ પ્રાણશંકર વિઠ્ઠલજી ભટ્ટ અને માતાનું નામ પાર્વતી માધવજી ભટ્ટ. તેમનું મૂળ વતન અમદાવાદ છે અને ન્યાતે આદીચ્ય બ્રાહ્મણ છે. તેમનું લગ્ન ૧૯૧૬માં કુડલામાં શ્રીમતી કસ્તૂરબાઈ સાથે થએલું. કુંડલામાં પ્રાથમિક કેળવણી લીધા બાદ ભાવનગરની આલ્ફેડ હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક કેળવણી લીધી હતી મુંબઈની એલ્ફીન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરીને તેમણે બી. એ.ની ડિગ્રી મેળવી હતી. શિક્ષણકાર્ય એ એમનો મુખ્ય વ્યવસાય છે અને લેખન એ ગૌણ વ્યવસાય છે. ગણિત અને ખગોળવિદ્યા એમના અભ્યાસના પ્રિય વિષયો છે. કાવ્યમાં તે સારી પેઠે રસ ધરાવે છે અને સારી કવિતા પણ લખે છે. ગાંધીજીનું જીવન અને ભગવદ્ગીતાની તેમના જીવન ઉપર વિશિષ્ટ અસર છે. તેમની પ્રથમ કૃતિ ‘गणितकी परिभाषा’ ઇ.સ.૧૯૨૧માં પ્રસિદ્ધ થએલી. ત્યારપછી બહાર પડેલાં તેમનાં મૌલિક પુસ્તકો નીચે મુજબ છે:- 'સાયન પંચાંગ'નું પ્રથમ પ્રકાશન ૧૯૨૪માં થએલું, તે દર વર્ષે નિયમિત રીતે બહાર પડ્યા કરે છે ‘હૃદયરંગ’ (૧૯૩૪) ‘ખગોળ ગણિત' ભાગ ૧ (૧૯૩૫), ભાગ ૨ (૧૯૩૬) અને ભાગ ૩ (૧૯૩૭). એ ઉપરાંત શ્રી કિશોરીલાલ સડાના કૃત ભૂગોળનાં પુસ્તકોના તેમણે કરેલા અનુવાદો-: ‘“આપણું ઘર પૃથ્વી’ (૧૯૩૮), ‘અર્વાચીન ભૂગોળ’ ભાગ ૧ (૧૯૩૯), ભાગ ૨ (૧૯૪૦), ભાગ ૩ (૧૯૪૧), ભાગ ૪ (૧૯૪૨).

***