પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પન્નાલાલ પટેલ-૧
૧
“...જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે : પોતે જ લાળ કાઢતા જવું ને લાળનો આધાર લઈને આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો. ઠોકરો ખાતો ગયો. શીખતો ગયો ને ઘડાતો ગયો. હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી કે વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી. પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે.”
– પન્નાલાલ
(‘ગ્રંથ’, મે-૧૯૭૭)
પન્નાલાલ આપણા સાહિત્યજગતની એક અનોખી ઘટના છે. એમની મનોઘટનાને, બલકે એમના વ્યક્તિત્વને, યથાર્થ રૂપે પામવાના પ્રયત્નમાં આપણે એમની પશ્ચાદ્ભૂમિકા પર દૃષ્ટિ નાખવી પડશે. વર્તમાનના ઉપલા થરને વીંધી કંઈક અતીતમાં ઊતરવાનું રહેશે...
આ સદીના આરંભફ્ળનું એ જનપદ.
ગુજરાતની ઈશાન સરહદ પર વિસ્તરતા ડુંગરાળ પ્રદેશમાં, આછી ગાઢી ભૂરી ઝાંયવાળી નાનીમોટી ટેકરીઓની વચ્ચે, હરીભરી ખેતીથી વીંટાયેલું એ માંડ પચાસસાઠ ઘરોવાળું માંડલી ગામ. (આજે એ ગામ રાજસ્થાનમાં છે.) પરાપૂર્વથી અહીંના લોકો ખેતીમાં રોકાયેલા રહ્યા છે. સુખદુઃખના વારતહેવારોના દુકાળોના અને એવી બીજી આપત્તિઓના વારાફેરા વચ્ચે જિંદગીની ઘટમાળ ત્યાં ચાલતી રહી છે. ઋતુઓનું જીવનચક્ર ઘૂમતું રહે છે. ખેડૂતો ખેતી કરતા રહે છે. શેઠ-શાહુકારોનાં ઘોડાં, ધીરેલી રકમના વ્યાજ પેટે અનાજ ઊઘરાવતાં ખળાંઓમાં ઘૂમતાં રહે છે. કર્મકાંડ અર્થે પરગામના ગોરમહારાજ તેમનાં ટીપણાં સાથે પ્રસંગે પ્રસંગે મુલાકાતો લે છે, વહેમી અજ્ઞાની લોકો દેવદેવીઓનાં બાધા-આખડી ઊજવતાં રહે છે. મુલકમુલકનું ભ્રમણ કરતા વણઝારાઓ વરસે-બે વરસે અહીંથી પસાર થાય છે ત્યારે બેપાંચ દિવસ અહીં મુકામ કરે છે. બળદોની ખરીદી ચાલે છે, નટીનો ખેલ પણ ગોઠવાય છે, દિવાળી જેવા પર્વે હૂડાઓ ગવાય છે, મેળાઓ મળે છે, સીમમાં કોસનાં પાણી સતત ઉલેચાતાં રહે છે. લોકજીવનનો પ્રવાહ વચ્ચે વચ્ચે અણધારી ઘટનાઓથી ઘૂમરી ખાઈ, ફરી સમથળ વહેતો રહે છે... માંડલીનું એ નાનકડું જનપદ, ત્યારે, ગુજરાતમાં વહેતા થયેલા નવા જીવનપ્રવાહોથી હજી લગભગ અસ્પૃષ્ટ રહ્યું હતું. નવા યુગનાં ઝંઝાવાતી બળો હજી એને અડ્યાં નહોતાં. નવી કેળવણી, નવી વિદ્યા અને નવી જીવનરીતિ હજી આ ગામને ઉંબરે પહોંચ્યાં નહોતાં. આ જાનપદી પરિસ્થિતિ વચ્ચે માંડલીના આગળ પડતા ખેડૂત નાનાલાલ પટેલને ત્યાં ૭મી મે, ૧૯૧૨ના રોજે પન્નાલાલનો જન્મ.૧ નાનાલાલનું કુટુંબ પણ બહોળું. પરાપૂર્વથી ચાલી આવેલા ખેતીના વ્યવસાયમાં રોકાયેલું. ધરતી, ખેતી અને પ્રકૃતિનું, તળ ગામડાનું, વાતાવરણ તો પન્નાલાલના લોહીમાં ભળી ગયેલું. કુટુંબમાં પન્નાલાલ સૌથી નાના. માતાપિતા, બે મોટા ભાઈ, ત્રણ મોટી બહેનો, ઓરમાન મા અને તેનાં દીકરાદીકરી. ભર્યાભાદર્યા કુટુંબ વચ્ચે પન્નાલાલનો ઉછેર. નાનકડા એ જનપદમાં નાનાલાલનું ઘર ‘વિદ્યાનું ઘર’ તરીકે જાણીતું હતું. ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છતાં નાનાલાલે કોઈક રીતે ખપજોગું અક્ષરજ્ઞાન મેળવી લીધું દેખાય છે. વળી ધર્મભાવથી પ્રેરાઈને તેમણે ધર્મવિષયક થોડુંક સાહિત્ય પણ ખરીદેલું. એમાં તુલસીકૃત રામાયણ, ઓખાહરણ, દયારામની ગરબી અને બૃહત્ કાવ્યદોહન પણ હતાં. ખેતીનાં કામકાજ વચ્ચે ફુરસદ કાઢીને તેઓ એ વાંચી લેતા. રાતના સમયે વળી ફળીના લોકોને એમાંનો કોઈક કથાભાગ કે પદ વાંચી સંભળાવતા ય ખરા. પતિની આ જાતની વિદ્યાપ્રવૃત્તિના સંસ્કાર પુત્ર પન્નાલાલમાં ય ઊતરે. અને એય એના પિતાની જેમ લોકાદર પામે, એવી કોઈ ગૂઢ ઝંખના માતાના હૃદયમાં સહજ જ જાગી હશે. માતાના હૃદયની એ વાત ઉકેલતાં પન્નાલાલ લખે છે : “... (પન્નાલાલ) ભણશે તો એ ય એના બાપની પેઠે આ અભણ નાતમાં પુછાતો થશે. પાંચ વચ્ચે બેસીને એ ય પેલું ઓખાહરણ ગાશે ને રાતે રામાયણનું પારાયણ કરશે. એના બાપની પેઠે કૌરવપાંડવનું જુદ્ધ ઉકેલશે ને મીઠા રાગે પખાજ તંબૂરે ભજનો ગાશે.”૨ તે સ્પષ્ટ સમજાય છે કે માંડલીની એ નાનકડી દુનિયામાં નાનાલાલે એક સંસ્કારનેતાની નાનકડી પણ સૌમ્ય ભૂમિકા ભજવી છે. અને આસપાસનાં લોકોમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે. ‘વિદ્યાનું ઘર’માં વ્યાપેલું વાતાવરણ બાળક પન્નાલાલના મનોવિશ્વમાં સહજ રીતે ઊતરી આવ્યું હોય એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી : ખેતીના ધાવણમાં વિદ્યાકીય સંસ્કારો સહજ જ ભળી ગયા દેખાય છે. કમનસીબે, પન્નાલાલના બાળપણના દિવસોમાં જ પિતાનું અવસાન થયું. ઘરનો મોભી જતાં આખું ય કુટુંબ એકદમ નિરાધાર જેવું બની ગયું. હવે પિતાજી જતાં બાળક પન્નાલાલ પૂરેપૂરો મા તરફ ઢળ્યો. બાળકની, માતા માટે અને માતાની બાળક માટે બળવાન માયા બંધાઈ ગઈ. ઘરમાં અને ઘર બહાર, કૂવાપાદર, ખેતરખળામાં, બધે જ બાળક પન્નાલાલ માનો પડછાયો હોય તેમ, તેના સાડલાને વળગતો-વીંટાતો સવારસાંજ સાથે ને સાથે ફરતો રહ્યો. કુટુંબનાં બીજાં મોટેરાંઓ, આથી, એમને ‘માવડિયું સંતાન’ તરીકે જ ઓળખાવતાં થયાં. કોણ જાણે કેમ, કુટુંબનાં ભાઈબહેનો જોડે તેમના હૃદયનો એવો ઊંડો લગાવ બંધાયો નહિ, પાછળથી પણ ભર્યાભાદર્યા એ કુટુંબમાં કિશોર પન્નાલાલને પૂરું ગોઠી ગયું હોય એવો કોઈ પ્રસંગ ‘અલપઝલપ’માં જોવા મળતો નથી. એ રીતે પિતાની છત્રછાયા વિનાના ઘરમાં બાળક પન્નાલાલ વધુ ને વધુ પ્રબળપણે માતાને વળગતા રહ્યા. પછીથી કિશોર વયે શિક્ષણ અર્થે તેમને ઈડર રહેવાનું થયું એ દરમ્યાન માતાનું અણધાર્યું અવસાન થયું, જે એ તરુણ હૃદયને હચમચાવી મૂકવા પૂરતું હતું. માતાની એ મૂર્તિ પન્નાલાલના વ્યક્તિત્વના હાર્દમાં કેવી તો ગૂઢાતિગૂઢ બળ બનીને ઊતરી ગઈ તેનો ઉમાશંકરે સરસ સંકેત કર્યો છે : ‘...(પન્નાલાલ) ‘માવડિયા’ પણ હતા. માને શૈશવમાં લાંબા સમય સુધી વળગી રહ્યા હતા. યાત્રાપથ પર દીકરાને હાથનું નેજવું કરીને વિદાય લેતી માથી હંમેશના વિજોગ પડ્યા. પછીથી પન્નાલાલ સાધુ જયશંકર મહારાજ, અધિકારી હરભગવાનજી આદિના પ્રસંગમાં આવે છે. પણ એમની ખોજ મુખ્યત્વે માતૃપ્રતિમા (મધર-ઇમેયજ)ની હોવી જોઈએ. પોંડિચેરી આશ્રમમાં એમણે પોતાની સમગ્ર ચેતનાનું ગુરુત્વમધ્યબિંદુ જોયું અને કૃતાર્થતા અનુભવી.”૩ >ઉમાશંકરનું આ નિરીક્ષણ, મને લાગે છે કે, પન્નાલાલની જીવનગતિને સમજવામાં દ્યોતક બની રહે એમ છે. ગુજરાતના સંસ્કારજીવનના નવા પ્રવાહોથી દૂર રહી ગયેલા એ નાનકડા જનપદમાં ત્યારે પ્રાથમિક કેળવણીની કોઈ વ્યવસ્થા નહોતી. પણ બેચાર શાણા માણસોના આગ્રહથી ગબા ગોરે ગામનાં બાળકોને ભણાવવાનું સ્વીકાર્યું અને કોકના ઓટલા પર ગામઠી ‘શાળા’ ચાલી. જોકે એ ‘શાળા’ થોડા સમયમાં જ વિખરાઈ ગઈ. અને બાળક પન્નાને આ શાળામાં ઝાઝું ફાવ્યું ય નથી. પણ અક્ષરજ્ઞાનના થોડાક સંસ્કાર એ રીતે તેમના મનમાં પડ્યા તો ખરા જ. પોતાની એ સમયની એક સરસ છબી પન્નાલાલે ‘અલપઝલપ’માં આ રીતે આંકી દીધી છે : “શરીરે પોસાતો—કંઈક જાડો, ઢીંચણ કોણીઓ તથા હાથપગની ઘૂંટીઓએ કલાઈની જેમ બાઝી રહેલો મેલ બાદ કરતાં રંગે ઊજળો, રૂપે પણ, આંખ નાક કે એવા કોઈ અંગની વિશેષતા વિનાનો ગોળ મોંવાળો, કપડાંમાં અડધે નિતંબે માંડ પહોંચતી દોટીની ઝૂલડી જ માત્ર. મેલી ફાટેલી કોણી સુધીની બાંયો, લીંટ-લફરાના કલપથી અક્કડ બનેલી...”૪ ગામડામાં વિચરતી આ મેલીઘેલી બાલમૂર્તિ આજના સાહિત્યરસિક માટે કદાચ કૌતુકનો વિષય બની રહે. ગબા ગોરની ગામઠી શાળા વિખરાઈ જતાં પન્નાલાલનું ભણતર અટક્યું. બીજે ગામ ભણવા મોકલવાનો તો વિચાર પણ કોણ કરે? અથવા વિચાર આવે, તો એ બધી જોગવાઈ કોણ કરે? પિતાજી તો વિદાય થયા હતા. અને, ત્યાં એક અણધારી ઘટના બની. પન્નાલાલના વચેટભાઈ કોદરે જેમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા તે મેઘરાજના રામજી મંદિરના સાધુ શ્રી જયશંકરાનંદ આ ગામમાં પધાર્યા. અને કોણ જાણે કઈ મનોદશામાં બાળક પન્નાલાલ એમની સાથે ચાલી નીકળ્યો. તેમની ઉછેર અને ઘડતરની બધી જવાબદારી આ સાધુએ સ્વીકારી લીધી. મેઘરજના મંદિરમાં સાથે રાખી તેમણે બાળક પન્નાને આગળ ભણવાની ગોઠવણ કરી આપી. ગામમાં અટકી પડેલું શિક્ષણ હવે આગળ ચાલ્યું. વળી, એવી જ બીજી અણધારી ઘટના બની. ઈડરના મહારાજકુમાર હિંમતસિંહજીએ મેઘરજના આંબાવાડિયામાં મુકામ કર્યો. મેઘરજના નાગરિકોએ તેમના સન્માનમાં એક નાનકડો સમારંભ કર્યો. આ કાર્યક્રમમાં જયશંકરાનંદે પન્નાલાલનાં ગીતોનો કાર્યક્રમ પણ સામેલ કરાવ્યો. નાનપણથી જ પન્નાલાલને ગાવાનો શોખ હતો. બાળક પન્નાલાલે એ રાતના મેળાવડામાં મધુર હલકમાં ભાવાર્દ્ર હૈયે ગીતો ગાયાં. અને એમની શક્તિથી પ્રભાવિત બનેલા મહારાજકુમારે એ ‘ટાબરિયા’ને આગળ ભણવા માટે ઈડર બોર્ડિંગમાં રાખવાની વ્યવસ્થા કરી આપી. જયશંકરાનંદજીએ પન્નાને હવે ઈડરની ‘શ્રીકેસરીસિંહ બોર્ડિંગ’માં મૂક્યો. પન્નાલાલના જીવનઘડતરમાં આ રીતે એક નવો તબક્કો આરંભાયો. ઈડરની બોર્ડિંગમાં ગુજારેલી જિંદગીનાં અનેક રસપ્રદ સંસ્મરણો પન્નાલાલે પોતાની આત્મકથા ‘અલપઝલપ’માં નોંધ્યાં છે. જોકે કોઈ અસાધારણ ઘટના આ ગાળામાં બની નથી, આર્થિક ભીંસ વચ્ચે તેઓ પોતાનું ભણતર આગળ ચલાવવા મથી રહ્યા છે. વિદ્યાકીય ક્ષેત્રે પણ એવી કોઈ વિરલ પ્રાપ્તિ જેવું દેખાતું નથી. પણ અહીં વળી એક અનોખી કથા આકાર લે છે. કિશોર વયના ઉમાશંકર પણ આગળ અભ્યાસ અર્થે આ જ બોર્ડિંગમાં રહેવા આવે છે. આમ તો આ બોર્ડિંગ અંગ્રેજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ હતી, પણ પન્નાલાલ અને ઉમાશંકર જેવા વિદ્યાર્થીઓને ત્યારે ખાસ સંજોગોમાં પ્રવેશ મળ્યો હતો. અહીં આ બંને કિશોરો વચ્ચે મૈત્રી બંધાઈ. પન્નાલાલે ઉમાશંકરને પ્રસંગે સહાય કરી અને માર્ગદર્શન પણ આપ્યું. કિશોરકાળના પન્નાલાલનું સ્વાવલંબી અને આત્મવિશ્વાસથી ભર્યુંભર્યું વ્યક્તિત્વ ઉમાશંકરને એ સમયે ય સ્પર્શી ગયું હશે. એમનું સ્મૃતિચિત્ર આલેખતાં ઉમાશંકર નોંધે છે : “પન્નાલાલની કિશોર આકૃતિ છાત્રાલયમાં જુદી તરી આવતી. શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ, ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો – બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો, પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો – કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી ‘હું સમજું છું બધું’ એવી ચમક. મને સૌથી વધુ આકર્ષતી વસ્તુ તે એમની મોકળાશ ભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા...”૫ અહીં પન્નાલાલનું શિક્ષણ થોડુંક આગળ ચાલ્યું ય ખરું. પણ આર્થિક મુશ્કેલીઓ તો ઊભી હતી જ. સરકારી શિષ્યવૃત્તિથી કામ ચાલે એમ હતું જ નહિ. બીજા નાણાંકીય સ્રોત પણ ખૂટવા આવ્યા. મૂળ ઈડરના પણ ધંધાર્થે મુંબઈમાં વસતા શ્રી હેમરાજભાઈએ પન્નાલાલને સહાય અર્થે રૂપિયા એકસોની રકમ ઈડરમાં જ કામ કરતા એક શિક્ષક શંકરલાલ રાવળને સોંપી હતી. એ રકમમાંથી ઉપાડ થતાં એ તૂટતી જતી હતી અને પન્નાલાલ અંગ્રેજી ચોથીમાં દાખલ થયા ત્યાં એ રકમ પણ ખર્ચાઈ ખૂટી. પરિસ્થિતિ વિકટ બનતી રહી. દરમ્યાન માતાનું અવસાન થયું અને કિશોરવયના પન્ના માટે રહ્યુંસહ્યું છત્ર પણ નષ્ટ થયું. પન્નાલાલ ભારે અનિશ્ચિતતાની દશામાં મુકાઈ ગયા. આટલી ઉંમરમાં ય જીવનના જે વિષમ કઠોર અનુભવોમાંથી પન્નાલાલને પસાર થવાનું આવ્યું તેથી ભણતરમાં અવરોધ આવ્યા એ સાચું. પણ આ બધા અનુભવો પન્નાલાલમાં રહેલા સર્જકને માટે મૂલ્યવાન વસ્તુ નીવડવાના હતા એની તો પન્નાલાલને ખુદને ય ત્યારે કલ્પના નહિ હોય. પણ તેમનું સંવેદનતંત્ર ઘણું તીવ્ર, અને આંતરિક સૂઝ પણ ઊંડી. એટલે, જે કંઈ અનુભવોમાંથી તેમને પસાર થવાનું આવ્યું, તેમાં અસ્તિત્વના ગહન પ્રવાહો, તેનાં પ્રચ્છન્ન રહસ્યો, અને તેની ગતિવિધિઓનું બારીક અવલોકન કરતા રહ્યા; પદાર્થો, પરિસ્થિતિઓ, વ્યક્તિઓ – જે કંઈના અનુભવમાં તેઓ મુકાયા, તેમાંથી વેધક દૃષ્ટિએ ઊંડું સત્ય અવગત કરવાની સહજ વૃત્તિ તેમનામાં કામ કરી રહી હતી. ઈડરના બોર્ડિંગવાસમાં, આ રીતે, પન્નાલાલના વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું. અને, સંજોગોએ પલટો લીધો. સાધુ જયશંકરાનંદ પન્નાલાલના વધુ અભ્યાસ અર્થે અમદાવાદમાં ક્યાંક ગોઠવણ કરી આવ્યા. એટલે તેઓ ઈડર છોડી અમદાવાદ આવ્યા. વીસીનાં એ વર્ષોમાં યે અમદાવાદ ઔદ્યોગિક નગર તરીકે ઠીક ઠીક વિકસ્યું હતું. પન્નાલાલ, એકાએક જ, વિશાળ માનવસમૂહની વચ્ચે આવી ગયા. વિશાળ કદના ઉદ્યોગોનો ધમધમાટ, ભપકાદાર બજારો, વાહનોનો કોલાહલ, રંગરોશનીઓના ભપકા, ટોળાંબંધ માનવીઓની અવરજવર... એક નવી જ દુનિયા તેમની સામે ખુલ્લી થઈ ગઈ. જીવનના એક મોટા મોડ પર તેઓ જાણે કે આવી ઊભા હતા : ભાવિ જીવનની નિર્ણાયક ક્ષણોમાંથી પસાર થઈ રહ્યા હતા. ઈડરથી અમદાવાદનું તેમનું એ ભ્રમણ ખરેખર તો, હવે પછીનાં આઠ દસ વરસો સુધી ચાલનારી લાંબી ભ્રમણકથાનો આરંભ માત્ર હતો, તેની તો તેમને સ્વપ્નેય કલ્પના ન હોય. અહીં આવી તેમણે ભણતર શરૂ કર્યું ન કર્યું, અને તરત છોડી દીધું. અભ્યાસ અર્થે અમદાવાદના શ્રી સોડાલેમનવાળા શ્રી. પી. ધનજીભાઈ તરફથી મફત મળેલી પાંચમીની નવીનકોર ચોપડીઓ બજારમાં વેચી મારી, અને ભણતરની માથાકૂટમાંથી હંમેશ માટે છૂટા થઈ ગયા! જોકે આ દિવસોની તેમની મનોદશા સમજવાનું સરળ નથી. એમ લાગે છે કે તેઓ આર્થિક ભીંસ વચ્ચે ભારે રૂંધામણ અનુભવી રહ્યા હશે. માતાના અવસાન પછી સ્નેહનું કોઈ આલંબન રહ્યું નહિ, એટલે એકલતાની લાગણી પણ સતાવી રહી હશે, અને અમદાવાદની ભરચક મેદની વચ્ચે ય શૂન્યતા જેવું લાગ્યું હોય – ગમે તેમ, તેમણે શાળાને હંમેશ માટે તિલાંજલિ આપી. સ્કૂલનું પ્રાંગણ છોડી એ કિશોર તરત જ અમદાવાદની એક મિલમાં મજૂરી કરવા દાખલ થઈ ગયો! ત્યાં વળી બેચાર દિવસ કામ કર્યું ન કર્યું અને સીધો ઊપડ્યો માંડલી – વતનમાં. થોડા દિવસ ત્યાં ઠરેઠામ થયા ન થયા, અને પાછા આવ્યા અમદાવાદ, અને વળી પાછા માંડલી... વતનમાં હવે મા પણ નહોતી. વચેટ કોદરભાઈ પણ ગુજરી ગયા હતા. સૌથી મોટા હરિભાઈ પોતાના કુટુંબની ‘પળોજણ’માં ડૂબેલા રહેતા હતા. બહેનો સાસરે વિદાય થઈ ગઈ હતી, આવી પરિસ્થિતિમાં જીવ ક્યાંય ઠરતો નહોતો. કોઈ અકળ બેચેની તેમની સતાવી રહી હતી... સાચે જ સ્કૂલ છોડીને ભાવિના અંધકારમાં તેમણે ઝંપલાવ્યું હતું.... અહીંથી હવે તેઓ ડુંગરપુર પહોંચ્યા. સોજિત્રાના વતની – પણ અધિકારી તરીકે અહીં કામ કરતા – ચતુરભાઈ પટેલની સહાય મેળવી. અહીં તેમણે કાપડની દુકાન ખોલી, પણ એમાં કંઈ મળતર મળ્યું નહિ હોય કે ગમે તેમ, થોડા સમયમાં જ એ દુકાન ઉલાળી મૂકવી પડી. એ પછી નજીકમાં આવેલી બોરીની ડિસ્ટીલરીમાં થોડો સમય કારકુન તરીકે નોકરી કરી. એ છોડી સાગવાડા પહોંચ્યા. ત્યાં તેમણે વેરહાઉસના મૅનેજર તરીકેની કામગીરી બજાવી. ફરીથી પેલી ડિસ્ટીલરીમાં જોડાયા અને વળી અહીંથી ય છુટ્ટા... વતન માંડલીમાં આવી રહ્યા. આઠદસ માસ અહીં અલગારી જિંદગી ગાળી. ખેતીમાં હળ જોતર્યાં, મેળાઓ મ્હાલ્યા, અને એકદમ મનમોજી બનીને પાવાના સૂરોય રેલાવ્યા....! લગ્ન તો પંદરમે-સોળમે વર્ષે લેવાયેલું, પણ સંસારજીવન હજી આરંભાયું નહોતું. ફરી નીકળ્યા ડુંગરપુર. ત્યાં ઠર્યા ન ઠર્યા. અને સીધા ઊપડ્યા અમદાવાદ, વળી પાછા ડુંગરપુર, વળી અમદાવાદ...! આ વેળા અમદાવાદમાં મિલજીનના સ્ટોર્સવાળા એક શ્રીમંત વેપારીને ત્યાં કારકુની અને ઘરનોકરની બેવડી ભૂમિકામાં કામ કર્યું. અહીંથી છૂટા થઈને અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપનીમાં ઓઈલમેનની નોકરી લીધી. વચ્ચે બીજી નોકરી કરી જોઈ. તરુણ વયનાં વરસો, આમ, સાવ અસ્થિરતામાં – અનિશ્ચિતતામાં ગુજરતાં ગયાં. કઠોર કારમી મજૂરી કરી, ધંધાધાપા કરી જોયા. નોકરી કરી, ખેતી કરી... નક્કર વાસ્તવિકતાઓનો સામનો કરતા રહ્યા. અંતરમાં ઊંડે ઊંડે વ્યથા સંઘર્ષ સંતાપ બધું વેઠતા રહ્યા.. અને, વળી વિષમતાઓ વચ્ચે ય સેવ્યાં રંગીન સ્વપ્નો, નારીસ્નેહની અકળ ઝંખના, અને જીવનની ઊંડી તરસ. ‘અલપઝલપ’માં પન્નાલાલે પોતાની પ્રણયકથાનું એક નાનકડું પણ કરુણમધુર પ્રકરણ આલેખ્યું છે, એ પરથી તરુણ વયમાં જ પ્રણયવિફલતાનું દર્દ તેમણે સહ્યું હશે એમ સમજાય છે. જિંદગીની પહેલી પચીસી પૂરી થાય ન થાય ત્યાં સુધીમાં પન્નાલાલે લોકજીવનનો વિશાળ અનુભવ આત્મસાત્ કરી લીધો હતો. બહારની અને અંદરની વાસ્તવિકતાને ઠીક ઠીક જટિલ રૂપે પ્રત્યક્ષ કરી લીધી હતી. પોતાના મનનાં સંચલનોને તાગી જોવાની અંતર્મુખી વૃત્તિ પણ ઉત્તેજિત થઈ હશે, એટલે માનવહૈયાંની ગૂંચોનો ય અણસાર મળવા લાગ્યો હશે. જો કે ભવિષ્યમાં પોતે લેખક બનવાના છે, કે લેખક બનવાની પોતે શક્તિ ધરાવે છે, એવી કોઈ સભાનતાથી તેમણે આત્મનિરીક્ષણો કર્યાં નહોતાં. પણ એક સંવેદનપટુ વ્યક્તિ પોતાના અપારવિધ અનુભવોની સહજ ઉપલબ્ધિ રૂપે પામે એવાં એ રહસ્યો હતાં. ત્રીસીના ગાળામાં ગુજરાતમાં – અને દેશ આખામાં – રાષ્ટ્રીય મુક્તિનાં આંદોલનો ગતિશીલ થયાં. ગાંધીજીની રાહબરી હેઠળ અસંખ્ય તરુણો મુક્તિ આંદોલનમાં સક્રિય બન્યા. તરુણ પન્નાલાલ પણ ડુંગરપુરમાં મળેલા એક સંમેલનમાં ખેડૂતવર્ગના પ્રતિનિધિ તરીકે જોડાયા હતા. એ પ્રસંગમાં તેમની રાષ્ટ્રીય ભાવના છતી થાય છે. તો એક લોકનેતા તરીકેની તેમની ટૂંકી ભૂમિકાનો એક અંદાજ પણ એમાંથી મળી જાય છે. જો કે ’૩૦-’૩૩ની ચળવળમાં લાંબો સમય સક્રિય ભાગ લેવાનું તેમનાથી બન્યું નથી. સંભવતઃ અંગત જીવનની મથામણોને કારણે એ શક્ય રહ્યું ન હોય. તરુણ કાળની સંઘર્ષભરી જિંદગીની આટલી ભૂમિકા રચાયા પછી પન્નાલાલ હવે એક નવા જ તબક્કામાં પ્રવેશે છે : લેખનની દીક્ષા તેઓ હવે પામે છે. શબ્દોની ઉપાસનાનું તેમનું પર્વ, જાણે કે, આરંભાય છે. વિધિની જ કોઈ અકળ યોજના હોય તેમ, આ કાર્યનું મંગલ મુહૂર્ત પણ આવી ઊભે છે.
૧૯૩૬નું વર્ષ.
અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં ગાંધીજીના પ્રમુખપણા નીચે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું છે. તરુણ તેજસ્વી કવિ તરીકે સુપ્રતિષ્ઠિત થયેલા ઉમાશંકર એ અધિવેશનમાં ભાગ લેવા મુંબઈથી આવ્યા છે. (ઉમાશંકરના કવિમિત્ર સુંદરમ્ પણ તરુણ તેજસ્વી કવિ તરીકે એટલા જ સુપ્રતિષ્ઠિત થઈ ચૂક્યા છે. મણિનગરમાં રહે છે અને આ અધિવેશનમાં હાજરી આપવાના છે.) ઉમાશંકર મુંબઈથી નીકળે એ પહેલાં પન્નાલાલે તેમનો પત્રથી સંપર્ક પણ સાધ્યો છે. પન્નાલાલના પત્રની ભાષામાં ઉમાશંકરને તેમની સર્જક-શક્તિનો અણસાર મળ્યો છે. અધિવેશનની બેઠક પછી પ્રેમાભાઈ હોલની બહાર પન્નાલાલ ઉમાશંકરને મળે છે – ઈડરની બોર્ડિંગ છોડ્યા પછી આઠદસ વરસે મળવાનું બન્યું છે. ઉષ્માભર્યા હૈયે ઉમાશંકર પ્રતિભાવ પાડે છે. પન્નાલાલની વીતકકથા, કદાચ આખેઆખી નહિ તોય ત્રૂટક ત્રૂટક રૂપમાં સાંભળે છે, અને લેખક માટે જરૂરી જીવનાનુભવનું ભાથું તૈયાર થયું છે એવી જ કોઈ પ્રતીતિ તેમના અંતરમાં જન્મી હશે. એટલે પન્નાલાલને તેઓ લેખનની દીક્ષા આપે છે.
અને પન્નાલાલે કલમ પકડી.
ઉમાશંકર એ દિવસોમાં મુંબઈ રહેતા હતા. એટલે લેખનમાં માર્ગદર્શન માટે પન્નાલાલને તેમણે સુંદરમ્ને સોંપ્યા. પન્નાલાલનું ખરેખર, એ સુભાગ્ય કે એ સમયના બંને અગ્રણી સર્જકોના સીધા સંપર્કમાં તેઓ મુકાયા. પણ બાહ્ય સંજોગો હજી એટલા અનુકૂળ નહોતા. ઓઈલમેનની કામગીરીમાં જુદી જુદી પાળી સાચવવાની, એટલે ફુરસદનો સમય પણ ઓછો. પણ પછીથી મીટરરીડિંગનું કામ મળ્યું. તેમાં રાહત જેવું થયું. અને લેખનના આરંભમાં, પન્નાલાલે થોડી કવિતાઓ રચી અને સુંદરમ્ને બતાવી. પણ, સુંદરમ્ જેવો કડક કવિવિવેચક! એકે કૃતિ સ્વીકારી નહિ હોય. પોતાની કાવ્યકૃતિ વાંચી રહેલા સુંદરમ્ના ચહેરાને તાકી રહેતાં પન્નાલાલ તરત કળી ગયા હશે કે, પોતાની રચનાઓમાં કવિતાનું સત્ત્વ ઊતર્યું નથી; અને કવિતાના માર્ગે ઝાઝું વળવાનું નથી એમ પણ કદાચ તે સમયે સમજાઈ ચૂક્યું હોય. ગમે તેમ, એ માર્ગ તેમણે છોડી દીધો, અને તરત વાર્તાલેખનના પ્રયત્નો શરૂ કર્યા. સુંદરમ્ની એમાં તરત જ સ્વીકૃતિ મળી ગઈ, એટલું જ નહિ, ‘શેઠની શારદા’ શીર્ષકની વાર્તા ‘ફૂલછાબ’માં પ્રગટ પણ થઈ, એટલે પન્નાલાલમાં આત્મશ્રદ્ધા જન્મી એ પછી ‘વનબાળા’ શીર્ષકની બીજી વાર્તા તરતમાં જ ‘પ્રજાબંધુ’માં છપાઈ. પન્નાલાલનો ઉત્સાહ ઓર વધ્યો. એ સાથે અંતરમાં મોટી અભિલાષા જન્મી. રામનારાયણ પાઠક ત્યારે ‘પ્રસ્થાન’ના તંત્રી હતા, અને સંપાદક-વિવેચક તરીકે ઘણા કડક ગણાતા હતા. – એવા એ દુરારાધ્ય વિવેચકને રીઝવે એવું જો કંઈ સર્જન કરી શકું તો...! અને ખરેખર, સુખદ ઘટના બની ગઈ. ‘ધણીનું નાક’ અને ‘સુખદુઃખનાં સાથી’ એ બે વાર્તાઓ પાઠકસાહેબની કસોટીમાંથી પસાર થઈ, અને બંને કૃતિઓને ‘પ્રસ્થાન’માં સ્થાન મળ્યું. આથી પન્નાલાલનો ઉત્સાહ ઓર વધ્યો; લેખક તરીકેની પોતાની શક્તિમાં વિશ્વાસ વધુ દૃઢ થતો ચાલ્યો. જીવનના અપારવિધ અનુભવોની ભીંસ જાણે કે તેમને વાર્તાલેખન માટે પ્રેરી રહી હતી. ટૂંકા ફલકની કથાઓ તેમને હવે અપર્યાપ્ત લાગવા માંડી, એટલે તરત લાંબી વાર્તા તરફ તેઓ વળ્યા. એ રીતે ‘ભીરુ સાથી’ નામની પહેલી નવલકથાનું સર્જન કર્યું. ઉમાશંકર ત્યારે અમદાવાદ હતા; એટલે આખી કૃતિ તેમને વાંચી સંભળાવી. જોકે એ વિશે ઉમાશંકરનો પ્રતિભાવ ખરેખર શો હતો, તે ક્યાંયથી જાણવા મળતું નથી. પણ એટલું સાચું કે એ નવલકથાનું પ્રકાશન કોઈક કારણસર વિલંબાયું હતું. દરમ્યાન જયંતિ દલાલે તેમની બીજી લાંબી વાર્તા – કહો કે લઘુનવલ ‘વળામણાં’ને ઈ.સ. ૧૯૪૦માં રેખા પ્રકાશનના નેજા હેઠળ પ્રગટ કરી. પન્નાલાલ જે પ્રદેશમાં જન્મ્યા અને ઉછર્યા હતા, એ પ્રદેશના લોકજીવનનું. એની સહજ મર્યાદાઓ સમેત સચ્ચાઈભર્યું આલેખન એમાં હતું. તેમની વિશિષ્ટ કથનશૈલીનું એમાં પહેલી જ વાર સશક્ત અને સુરેખ આવિષ્કારણ હતું. તળપદા લોકજીવનની ભૂમિકાને અણીશુદ્ધ સાચવી લેતી એ વાર્તા, સ્વાભાવિક રીતે જ, મેઘાણી જેવા લોકસાહિત્યના ઉપાસકને ગમી ગઈ. એટલે તેમણે પન્નાલાલને ‘ફૂલછાબ’ માટે ભેટ પુસ્તક લખી આપવા ખાસ માગણી મૂકી. એના પ્રતિભાવ રૂપે પન્નાલાલે ‘મળેલા જીવ’ની નવલકથાનું સર્જન કર્યું. માત્ર વીસ બાવીસ દિવસના ટૂંકા ગાળામાં વેગીલી કલમે તેમની એ કથા નીપજી આવી હતી. અનાયાસ જ એ સુરેખ અને સૌષ્ઠવપૂર્ણ ઘાટ પ્રાપ્ત થઈ ગયો હતો. પ્રણયની – વિરહની અને વિફલતાની – કોઈક તીવ્રતમ લાગણીમાંથી સહજ અભિવ્યક્તિ રૂપે એ લખાઈ આવી હતી. એ કથામાં પન્નાલાલે આનંદસમાધિ (ecstacy) જેવી કોઈ વિશિષ્ટ મનોદશા અનુભવી હોય તો તે સમજી શકાય તેમ છે. પન્નાલાલનું સદ્ભાગ્ય કે એ નવલકથાને મેઘાણીની ઉમકાળભરી પ્રસ્તાવના મળી એમાં પન્નાલાલની સર્જકશક્તિને અત્યંત મોકળા મને તેમણે બિરદાવી. ‘મળેલા જીવ’ની વાણી ને વિચારસૃષ્ટિ એક નવતર બળ છે, માત્ર ચોપડી નથી... બહુશ્રુતપણું. બહોળી અનુભવસૃષ્ટિ, બહોળી વિદ્વત્તા, એ બધાંને નવસર્જનમાં અનિવાર્ય સ્થાન છે. પણ એના કરતાં ય વધુ અપેક્ષા છે હું જેને વારંવાર મારા પોતાના ઘડેલા શબ્દોમાં ‘ધરતીનું ધાવણ’ કહી ઓળખાવું છું તે આદ્યબળની. આ વાર્તાનાં મુખ્ય પાત્રો જીવી અને કાનજી એ બળમાંથી ઊઠ્યાં છે.”૧૧ વગેરે. ‘વળામણાં’ અને ‘મળેલા જીવ’ એ બે કૃતિઓના પ્રકાશન સાથે પન્નાલાલ આપણી ભાષાના સમર્થ સર્જક તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા. બંને કૃતિઓ માત્ર પન્નાલાલની અંગત કારકિર્દીમાં જ નહિ, ગુજરાતી કથાસાહિત્યના ઇતિહાસમાં ય મોટાં સીમાચિહ્નો જેવી બની રહી. પન્નાલાલની પ્રતિભા, આમ, જ્યાં ખીલતી આવતી હતી, ત્યાં સંભવતઃ કોઈ કૌટુંબિક બાબતને કારણે તેમને અમદાવાદ છોડી માંડલી આવવું પડ્યું. અહીં તેઓ ખેતીના કામમાં રોકાયા. પણ ઠરીઠામ થયા ન થયા, ત્યાં અણધાર્યું જ મુંબઈથી આમંત્રણ આવી ઊભું! વિધાતાએ કંઈક જુદું જ ધાર્યું હતું! મુંબઈની શ્રી એન. આર. આચાર્યની ફિલ્મ કંપનીએ ‘મળેલા જીવ’ની કથા પોતાની ફિલ્મ માટે પસંદ કરી હતી અને પન્નાલાલે એ માટે પટકથા લખવાની હતી. આ કામમાં સાહિત્યકાર – મિત્ર ઉમાશંકરનો, અલબત્ત, તેમને સહયોગ હતો જ. અને આમ, પન્નાલાલ મુંબઈની ફિલ્મી દુનિયામાં વિહરતા થયા! અહીં તેમને વજુ કોટક, મહેશ કૌલ, પંડિત અમૃતલાલ નાગર જેવાનો સંપર્ક થયો. પછીથી કરસનદાસ માણેક, હરિશ્ચંદ્ર ભટ્ટ, મોહનલાલ મહેતા (સોપાન), ગુલાબદાસ બ્રોકર, ઉમેદભાઈ મણિયાર અને દિલીપ કોઠારી જેવા બીજા પ્રતિષ્ઠિત લેખકોનો પરિચય થયો. પન્નાલાલના સાહિત્યિક સંબંધો આમ ઝડપથી વિસ્તરી રહ્યા. મુંબઈના નિવાસ દરમ્યાન ‘યૌવન’ અને ‘સુરભિ’ જેવી શહેરી જીવનની બે રંગરાગી નવલકથાઓ તેમણે સંભવતઃ ફિલ્મઉદ્યોગને નજરમાં રાખીને લખી. પણ એમાં એમનું સર્જક તરીકેનું કોઈ વિશિષ્ટ પાસું ઊપસી આવ્યું નહિ. પન્નાલાલ જેવા લેખક માટે એ સાચી દિશા નથી, એમ પણ તેમના કેટલાક હિતેચ્છુઓને ત્યારે જ લાગ્યું હતું. એવામાં દીકરી રમાનું એકાએક અવસાન થયું, અને પન્નાલાલે મુંબઈ છોડ્યું. ફરી, વતનમાં. ફરી, ખેતીના કામમાં. પણ અહીં વળી બીજી આપત્તિ આવી : નાના દીકરાનું ય અવસાન થયું. હૃદયના નાજુક તંત્ર પર ઉપરાઉપરી કારી ઘા થયા. આવી વસમી ઘટનાઓ વચ્ચે ય પન્નાલાલની સિસૃક્ષા સતેજપણે કામ કરી રહી. તેમણે હવે ‘માનવીની ભવાઈ’ જેવી બૃહદ્ પટની કથા માટે તૈયારી કરી લીધી હતી. એ નવલકથાનું નિર્માણ, એક રીતે, આપણા સંસ્કારજીવનની એક કૌતુકભરી ઘટના છે. શહેરના રોનકદાર મકાનના સુશોભિત દીવાનખંડમાં કે અભ્યાસખંડમાં નહિ, માંડલીના પોતાના ખોરડામાં, અને હરીભરી ખેતી વચ્ચે, એનું લેખનકાર્ય થયું છે. એ લેખનપ્રવૃત્તિ વિશે પન્નાલાલનું બયાન અત્યંત રસપ્રદ છે : “ચોમાસાના દિવસ છે. હર્યાભર્યાં મકાઈનાં ખેતરો છે. મકાઈના ખેતરે માળો છે. (એ ખેડુ યુવાન) કાગડા ઉડાડતો જાય છે ને ‘માનવીની ભવાઈ’ લખતો જાય છે...” આમ, મહાકાવ્યના પરિમાણની એ નવલકથાનો જન્મ પ્રકૃતિનાં દૃશ્યો વચ્ચે થયો છે. પન્નાલાલે એની સાથે જ ‘ના છૂટકે’નું લેખન પણ આરંભ્યું દેખાય છે. અને ત્યાં વળી અણધારી જ એક મહાન આપત્તિ! સુડતાળીસનું એ વર્ષ. પન્નાલાલ ક્ષયના ભારે હુમલામાં પટકાયા. ઉપચાર અર્થે તરત મુંબઈ પહોંચ્યા. ત્યાંના સાહિત્યકાર અને અન્ય મિત્રો – ગુલાબદાસ બ્રોકર, ડૉ. વસંત અવસરે અને બીજા મિત્રોએ, સારવાર અર્થે તેમને પંચગનીમાં ગોઠવણ કરી આપી. જીવલેણ બીમારીના એ દિવસોમાં, પોતે શય્યામાં લાચાર પડ્યા હતા ત્યારે, તેમની સૌથી યશસ્વી નીવડનારી બૃહદ્ કથા ‘માનવીની ભવાઈ’નું મુંબઈમાં પ્રકાશન થયું. આ સમયે સુંદરમ્ પોંડિચેરીમાં શ્રી અરવિંદના આશ્રમમાં સાધના અર્થે રહેતા હતા. પન્નાલાલની કુશળતા માટે તેમણે ત્યાંથી પૂજ્ય શ્રી માતાજીના ‘આશીર્વાદ’ મોકલાવ્યા. સેવાસારવાર ચાલુ હતાં જ. પન્નાલાલ એ જીવલેણ બીમારીમાંથી બેઠા થયા પોતાને ખરેખર નવું જીવન મળ્યું છે એવી ગૂઢ પ્રતીતિ તેમના હૃદયમાં સહજ જ જન્મી પડી. શ્રી અરવિંદ અને શ્રી માતાજી પ્રત્યે તેમનામાં ગહન આસ્થા બંધાઈ. ૧૯૪૯માં બંને મહાસાધકોનું દર્શન કરવા તેઓ પોંડિચેરી ગયા. ત્યાં તેઓ ત્રણ માસ રોકાયા. શ્રી અરવિંદના પૂર્ણયોગના માર્ગે જ જીવનની સિદ્ધિ છે, કૃતકૃત્યતા છે, એમ તેમને સમજાયું. તેમના મનોવિશ્વમાં એ પછી હંમેશ માટે એક નવું આધ્યાત્મિક વાતાવરણ વ્યાપી ગયું. નવી જીવનશ્રદ્ધા સાથે તેઓ માંડલીમાં આવ્યા. ખેતીકામમાં જોતરાયા. સાથે લેખનકામ આરંભ્યું. પણ, કમનસીબે, ૧૯૫૧માં ક્ષયનો ફરી ઊથલો આવ્યો. આ વેળા જીથરી (સૌરાષ્ટ્ર)ની કે. જે. મહેતા ટી.બી. હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા. અને સાજા થઈ માંડલી પાછા ફર્યા. એ પછી ’૫૮ સુધી. એટલે કે આઠેક વર્ષ સુધી, શાંતિમાં જીવન ગાળ્યું. જોકે દર વર્ષે પોંડિચેરીની એક યાત્રાનો કાર્યક્રમ તેમણે જારી રાખ્યો. ૧૯૫૮માં તેઓ અમદાવાદ આવ્યા અને અહીં સ્થિર થયા. તેઓ હવે માત્ર લેખનપ્રવૃત્તિમાં રોકાઈ ગયા. લેખનનો કસબ તો તેમના હાથમાં આવી ગયો હતો. ઘણું ઝડપથી લખતા રહ્યા. આજે તેમના કુલ ગ્રંથોની સંખ્યા એંશીથી ય વધુ થવા જાય છે. ૧૯૭૧માં ‘સાધના પ્રકાશન એમ્પોરિયમ’ નામે એક પ્રકાશન સંસ્થા શરૂ કરી. દરમ્યાન આફ્રિકાનો પ્રવાસ પણ ખેડી આવ્યા. પન્નાલાલનું એ સૌભાગ્ય રહ્યું છે કે એમની સર્જકશક્તિનો આરંભથી જ સ્વીકાર થયો. આપણા ઘણાખરા અગ્રણી વિદ્વાનો અને વિવેચકોએ એમની કળાની એક યા બીજા નિમિત્તે કદર કરી અને ગુજરાતી પ્રજાએ એમને હૃદયપૂર્વક સન્માન્યા. આપણા સાહિત્યની વિશિષ્ટ સેવા બદલ ગુજરાત વિદ્યાસભા (અમદાવાદ) તરફથી ૧૯૫૦ના વર્ષનો ‘શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક’ તેમને એનાયત કરવામાં આવ્યો. તેમની કેટલીયે કૃતિઓને –નવલકથાઓ અને નવલિકા સંગ્રહોને – રાજ્ય સરકારનાં પારિતોષિકો ય મળ્યાં. ૧૯૭૩માં અમદાવાદમાં ‘પન્નાલાલ ષષ્ટિપૂર્તિ સન્માન સમિતિ’એ એક મોટો સમારંભ કરી તેમનું ઉમળકાભેર બહુમાન કર્યું. ૧૯૮૦માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૦મા અધિવેશનમાં ‘સર્જન-વિભાગ’ના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી, અને એ રીતે આપણા સાહિત્યસંસારમાં તેમને અત્યંત ગૌરવવંતું સ્થાન મળ્યું. ગુજરાતની સાહિત્યરસિક પ્રજાના હૃદયમાં પન્નાલાલ આજે ઘણું આદરપાત્ર સ્થાન ભોગવી રહ્યા છે.