મર્મર/અંજલિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


અંજલિ[1]

પ્રેમ-શૌર્ય તણાં પાન ગુર્જરીને કરાવવાં:
સંકલ્પ સેવનારો એ મર્દ નર્મદ નૌજવાં;
જોદ્વો એ જોશીલો કિન્તુ શૌર્ય રેલી ગયો અહીં
પ્રેમનાં પૂર તો આંહી વહાવ્યાં કવિએ સહી.

જય ગાતા હતા પુત્રો ગરવી ગુજરાતનો,
પ્રેર્યા તેં એમને લેવા રાસ ચાંદની રાતનો;
ઉમંગે રંગમાં ગાતી ગુર્જરી રસસુન્દરી,
એમના ઉરની વાતો તેં ગીતે ગુંજતી કરી.

કલ્પના સુન્દરી કેરો હતો તું લાડિલો કવિ
પૃથ્વી ને સ્વર્ગની વચ્ચે ગૂંથી તેં કડીઓ નવી;
મર્ત્ય માનવને કાજે દેવોના કુંભની સુધા
સ્વલ્પ તો યે સીંચીને તેં પ્રેરી મર્ત્ય ઉરે મુદા.

ગયો તું? ના કરી સ્પર્શ તારા જીવન સત્ત્વને
મત્યુની ફળતી આશાઃ પામતું અમરત્વને.


  1. કવિશ્રી ન્હાનાલાલને.