માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૦
રાજા મિહિરના કિલ્લા પર ફરકતી ધજાઓ નજરે પડી. એક ઊંચાણવાળી જગ્યા પર આવતાં તો સમગ્ર પ્રદેશની સૂરત પલટી ગઈ. ઘટાદાર વૃક્ષો, લીલાં ખેતરો અને પાણીની નહેરોથી પ્રદેશ રળિયામણો બની ગયો હતો. દૂર બે ટેકરીઓ વચ્ચે સૂરજ ઊગતો હતો અને આ વિસ્તારમાં ભાગ્યે જ મળતા તળાવના જળમાં પોતાનું ઊંઘરેટું મોં ધોતો હતો. યાત્રીઓ મંત્રમુગ્ધ બની જોઈ રહ્યા. ઉત્તંકે એ તળાવ ભણી હાથ લંબાવી પૂછ્યું : “એ કયા દેવતાનું તીર્થ છે? કયા ઋષિએ ત્યાં તપસ્યા કરી છે, જાણો છો?” બળરામે ઇતિહાસ, પુરાણ, તીર્થમાહાત્મ્ય જાણતા વિદ્વાનો સામે જોયું. એ લોકો વિચારમાં પડી ગયા. ઉત્તંકે ચાબખો ચલાવ્યો : “બળભદ્ર, આ બધા તો મહાવિદ્વાનો છે, ગ્રંથોના અઠંગ અભ્યાસી છે. પુસ્તકોમાંથી બહાર નજર નાખે તો આવાં તીર્થો ભાળે ને! આ તીર્થનો દેવ છે બે પગવાળો મનુષ્ય. અહીંના તપસ્વીઓ છે મારા આભીર યજમાનો.” બળરામને મજા પડી ગઈ. બોલી ઊઠ્યા : ‘કહો, કહો, ઉત્તંક. તમારા તીર્થની કથા વાટમાં કહેતા જાઓ. આવા તીર્થનું દર્શન કરવા માટે અમારે નવી દૃષ્ટિની જરૂર છે. તમારે વેણે એ ઊઘડશે.” ઉત્તંકે માંડીને વાત કરી : “એક દશકા પહેલાં આ પ્રદેશ તમે જોયો એવો જ વેરાન હતો. પણ મિહિરના બાપે ને મેં હિંમત કરી અને આટલો ટુકડો લીલો કરી શક્યા. તમને કદાચ ખબર હશે કે મેં ગુરુ-ગૃહવાસ ઘણો લાંબો કર્યો છે. મારી પાછળના વિદ્યાર્થીઓ સમાવર્તન લઈ જતા ત્યારે પણ હું તો ગુરુના પગ પકડી રહ્યો હતો. મને રાજપુરોહિત થવાની કે રાજસૂય યજ્ઞના અધ્વર્યુ થવાની ઇચ્છા નહોતી. મને રસ હતો ભૂગર્ભના જળવિજ્ઞાનમાં, જળબંધોના નિર્માણમાં, વૃક્ષસંવર્ધન અને પશુઉછેરમાં. ગૌતમ મુનિ તો આ વિષયમાં જંગમ જ્ઞાનપીઠ જેવા છે. તેમની પાસેથી મારી શક્તિ પ્રમાણે વિદ્યા મેળવી હું આ મરુભૂમિમાં આવી ગયો. મારું મન અહીં લીલપ પાથરવા ઘણું લોભી બની ગયું. “સૌદાસ પાસે કુંડળ મેળવવા જતાં હું આ રણમાંથી પસાર થયો હતો અને ત્યારથી જ સરસ્વતીની આ સ્મશાનભૂમિ મને ગમી ગઈ હતી. અહીં આવી રખડતા આભીરો સાથે મૈત્રી બાંધી. આ લોકો મને ચમત્કારી મહાત્મા ગણે છે. ઘણી જગ્યાએ મેં પાણી શોધી કાઢ્યું છે તેથી આભીરો માને છે કે મેં જળનો દેવ સાધ્યો છે. આવા રણપ્રદેશમાં એક તળાવ બાંધવાનો મારો મનસૂબો હતો. પેલી ટેકરીઓ વચ્ચે યોગ્ય જગ્યા મળી ગઈ. એક બાજુ બંધ બાંધીએ તો કુદરતી તળાવ થાય એવી શક્યતા લાગી. મિહિરના બાપે મને મદદ કરી. આભીરો ઊમટી પડ્યા. તમે પેલાં પાણીને લહેરિયાં લેતાં જુઓ છો એ અમારી દોસ્તીની નિશાની છે.” બળરામનું હૃદય પ્રસન્નતાથી છલકી ઊઠ્યું. તેમને એક નવી દિશા મળી. કહ્યું : “મુનિ, તમે એક ઉત્તમ તીર્થ રચ્યું. આવાં બીજાં તીર્થો રચવાં હોય તો હું તમારી સાથે છું. ધન, શ્રમ, સાધનની ચિંતા ન કરશો. તમારી પાછળ એ તો નદી-જળની જેમ વહેતાં આવશે.” "આભાર, બળભદ્ર!” ઉત્તંક જેવો અડાબીડ આદમી ગળગળો થઈ ગયો. કહ્યું : “આ કાર્ય માટે કેટલાયે રાજદરબારોના ઉંબરા હું ઘસી આવ્યો છું. પણ તેમને લોહીની નદીઓ વહેવડાવવામાં રસ છે, સુકાઈ જતી ધરતીને ફરી રસથી ભરપૂર બનાવવાનું સૂઝતું નથી.” પોતાના સ્વપ્નની કથા કોઈ આટલું મન દઈ સાંભળે છે તે જાણી ઉત્તંકની જીભ છૂટી થઈ. પણ સાથે પોતાના કાળજામાં સતત ડંખ્યા કરતો કાંટો વધુ તીવ્રતાથી ખૂંચવા લાગ્યો. ઉત્તંકે કહ્યું : “તમારી સહાય મારાં બાવડાંને મજબૂત બનાવશે, બળભદ્ર, પણ મારું એક કામ કરી આપશો?” "બતાવો." “આ તમારા યાજ્ઞિકો અહીંનાં રહ્યાંસહ્યાં તીર્થોમાં યજ્ઞના ધુમાડા કરે છે તે બંધ કરી શકશો?” બળરામ સાથે ચાલ્યા આવતા વેદપાઠી બ્રાહ્મણો અને મંત્રજ્ઞ યાજકો ફાટી આંખે જોઈ રહ્યા, ઉત્તકે તેમની પરવા કર્યા વિના કહ્યું : “તમને ખબર છે, આ ભૂમિનું સત્યાનાશ કોણે કાઢી નાખ્યું?” “દૈવ કોપાયમાન થયું.” કોઈએ કહ્યું : “એકલા દૈવને દોષ ન દેશો, સરસ્વતી ધરતીમાં સમાઈ ગઈ અને ઘણી નદીઓના પ્રવાહો પશ્ચિમ બાજુ વળી ગયા એ સાચું. છતાંયે આ ભૂમિ સુજળ-સુફળ રહી શકી હોત. પણ-” ઉત્તંકના કંઠમાં તરડાટી બોલી, ગળું ખંખેરી તેમણે કહ્યું. “તમારા મહાયજ્ઞોના યાજકોએ આ વિસ્તારની શોભા હણી નાખી.” ઉત્તંક પોતાના વિચારમાં ડૂબી ગયા. માથું ધુણાવી ફરી બોલ્યા : “ના, આવું પહેલાં નહોતું. પહેલાં આશ્રમોમાં યજ્ઞો થતા, પણ મર્યાદિત. સઘન વનોમાં નિવાસ છતાં શિષ્યો લીલી ડાળ કાપતા નહોતા. સુક્કા સમિધો વીણી લાવતા. યજ્ઞ ત્યારે જીવનની રક્ષા કરતો, જીવનનો નાશ નહીં.” “પણ પછી તો યજ્ઞનારાયણ આ પુરોહિતોના હાથમાં પડી ગયા. તમારા યાજ્ઞિકોને પશુબલિ જોઈતા હતા, દક્ષિણાઓ જોઈતી હતી એટલે તેમણે મહાયજ્ઞોને નામે જંગલો સાફ કરી નાખ્યાં, પશુધન હોમી દીધું.” “પણ મુનિ, યજ્ઞોના ધૂમ્રથી વાદળ બંધાય છે અને એ વાદળથી પર્જન્ય વરસે છે તે કેમ ભૂલી જાઓ છો?” એક યાજકથી કહ્યા વિના ન રહેવાયું. “આહ, તમે જો પથિકૃત - માર્ગના સર્જનારા પુરોગામીઓની કથા જાણતા હોત તો આમ ન કહેત. ‘યજ્ઞો યજ્ઞેન કલ્પતામ્’ - યજ્ઞની વૃદ્ધિ થાય છે. પહેલાં તો પોતાની જાતને હોમવાથી, અન્યની આહુતિ આપવાથી નહીં. વૃક્ષદેવતાને હણી કઈ પ્રજા સુખસમૃદ્ધિ પામી છે? મેઘને આમંત્રણ આપનારા છે આ લીલા વૃક્ષદેવો. તેમના ધુમાડાથી ઈન્દ્ર ભાગી છૂટે, કૃપાથી વરસે નહીં. ‘ઇન્દ્રં ન યજ્ઞૈર્ વિશ્વગૂર્તમ્ ઋભ્વસમ્ - વિશ્વવિખ્યાત ઈન્દ્રને આ યજ્ઞથી પામી નહીં શકાય’ એ પથિકૃત દ્રષ્ટાનું વચન છે.” પછી બળરામ સામે જોઈ ઉત્તંકે કહ્યું : “વૃક્ષદેવના ભયંકર અપરાધી છે એક અમારા આભીરો. પશુઓના ચારા માટે એ આડેધડ વૃક્ષોનાં માથાં વાઢે છે. બીજા છે આ રાજસૂય, વિશ્વજિત, અગ્નિસ્તોમ યજ્ઞોને ઠાઠમાઠથી કરતા ઋષિઓ. આભીરો કદાચ સમજશે પણ આ મહર્ષિઓ નહીં માને.” બળરામને થયું કે પોતાના જીવનકાર્યમાં એક બંધુ મળી ગયો. કૃષ્ણનું નામ હૈયે તો હોય જ, પણ આ પળે હોઠે આવ્યા વિના કેમ રહે? બળરામથી બોલાઈ ગયું : “તમારી વાત સાંભળી કૃષ્ણને ઘણો આનંદ થશે, મુનિ!” બળરામ કાંઈ વધુ કહે તે પહેલાં ઉત્તુંકનો સણસણતો જવાબ આવ્યો : “મને તમારા કૃષ્ણ પ્રત્યે જરાયે માન નથી.” બળરામ આશ્ચર્યથી જોઈ રહ્યા. ઉત્તુંકે કહ્યું : “કૃષ્ણે ખાંડવવન બાળી નાખ્યું અને નાગલોકોનો નાશ કર્યો ત્યારથી મને તેના પ્રત્યે ઘૃણા છે. મને બીક છે કે તેને હું શાપ આપી બેસીશ.” ઉત્તંકની નિખાલસતાએ બળરામનું હૃદય જીતી લીધું, નહીં તો કૃષ્ણનું ઘસાતું બોલનાર બળરામ પાસેથી હેમખેમ જઈ ન શકે. બળરામે મુનિને આનંદિત સ્વરે કહ્યું : મુનિ, કૃષ્ણ મળે ત્યારે તેનાં અપકૃત્યો માટે તમે જરૂર શાપ આપજો, પણ આપણને સહાય કરતો હોય તો આડા હાથ ન દેશો.” ઉત્તંકને હસવું આવી ગયું. તેની નજર કિલ્લા પર ગઈ. કિલ્લાનો દરવાજો ખૂલ્યો હતો. રંગબેરંગી કપડાં પહેરી આભીરો ઊછળતા-કૂદતા આવી રહ્યા હતા. ઢોલ, શરણાઈ વાગતાં હતાં. સહુની મોખરે મિહિર હતો. ઉત્તંકે મિહિરને બતાવી કહ્યું : “બળભદ્ર, જુઓ, જુઓ, પેલો મિહિર, હજી તો વછેરો છે, પણ છે રણના વાયરા જેવો. એને પલોટશો તો મરુભૂમિનાં ભાગ્ય ખૂલી જશે, નહીં તો તમારાં નગરોને ઉખેડતો, ચીરતો, ખદેડતો ધસી આવશે અને તેના ડાબલા પડશે ત્યાં બધું ખેદાનમેદાન બની જશે. જરા એની વીખરાયેલી કેશવાળી જોઈ લેજો!” મિહિર આવ્યો. ઉત્તકે કહ્યું તેમ એના સ્નાયુઓમાં જંગલી ઘોડાનું કૌવત હતું. આંખોમાં ખૂંખાર નશો હતો. પણ ઉત્તંક પર નજર પડતાં એમાં વિશ્વાસુ પશુનું હેત પ્રકાશી ઊઠ્યું. મિહિરના બાપે મરતી વખતે તેનો હાથ ઉત્તંકના હાથમાં આપ્યો હતો ને! મિહિર ઉત્તંકને ભૂમિ પર પડી નમ્યો. બળરામ સાથે પંજા મિલાવ્યા. ઉત્તંકને કહ્યું : “ગુરુ, હું તો તારી ભાળ કાઢવા રાતે જ આવવાનો હતો પણ વડેરા કહે કે ગુરુ હોય ત્યાં ભો નો હોય, ભાણ ઊગે ત્યાં લગી વાટ જો! માંડ સવાર પાડી. તું ન આવ્યો હોત તો રણ ખૂંદી વળત.” આભીર લોકોનો ઉત્તંકે જે વિશ્વાસ જીતી લીધો હતો એ જોઈ બળરામને પ્રસેન યાદ આવી ગયો. છાતીમાં સાહસ અને હૈયામાં પ્રેમ ભરીને નીકળી પડેલા આવા આદમી ઝાઝા તો ક્યાંથી જડે! તેમની પાછળ પાંખોની કતાર લાગી જાય તો નવું આકાશ ઊઘડે. પણ તેમને ભાગે તો એકલ વાટમાં લોહી નીગળતાં પીંછાં બની વેરાઈ જવાનું આવે છે. બળરામે આભીરો અને યાત્રીઓને સ્નેહથી મળતા જોયા. ઉત્તુંક ન હોત તો તીરોનો વરસાદ થાત; ત્યાં અત્યારે દૂધનાં તાંબડાં ફરતાં હતાં. સોનાની દ્વારિકાના સમૃદ્ધ યાત્રીઓને પણ પરોણાગત શું કહેવાય તેનું આ રણના આભીરોએ ભાન કરાવ્યું. બળરામને તો ગોકુળ જ યાદ આવી ગયું. ફક્ત અહીં વૃન્દાવનની કુંજઘટા કે યમુના નહોતી. એક ટેકરી પર માટી અને પથ્થરનો બનેલો કિલ્લો. તેની નજીક લહેરિયાં લેતું નાનકડું તળાવ. થોડી આંખો ઠરે એવી લીલોતરી. અને એને ગળી જવા મોઢું ફાડીને પડેલું મગર જેવું રણ. બળરામે તળાવ જોયું. ક્યાંયે સાંધો ન દેખાય એવી કુશળતાથી માટી-પથ્થરનો બંધ બાંધ્યો હતો. નહેરો ચોખ્ખી ને વ્યવસ્થિત હતી. રણની ખેતી અને રેતીને આગળ વધતી અટકાવતી વનસ્પતિ વિષે ઉત્તક પાસેથી ઘણું જાણવાનું મળ્યું. બળરામે ઉત્તંકને ધન્યવાદ આપ્યા : “મુનિ, તમે રણ સામે ખરો જંગ માંડ્યો છે. તમે અહીં અંગદનો પગ રોપી ઊભા છો. હવે આપણે રણની સામે ધપતા જઈશું.” “પણ એ માટે બળભદ્ર, આપણે લોહી નિચોવી નાખવું પડશે. મિહિરના બાપે મારું માન્યું ને આ સો-સવાસો કુટુંબો અહીં ઠરીઠામ થયાં. ઘણી ટોળીઓ હજુ રણમાં ભટકે છે. ચરિયાણ મળે ત્યાં નેસડા નાખે છે. રાનપશુ મળે ત્યાં શિકાર ખેલે છે, કાં તમ જેવા યાત્રીઓના સંઘ પર કે સાર્થવાહો પર તૂટી પડે છે. આ બધી ભૂતાવળોને ભેગી કરવી એ કાંઈ સહેલું નથી.” “આભીર રાજાઓને સમજાવી ન શકાય?” “અહીં સમજાવટ ન ચાલે. જીવને તાળું મારે ને જિંદગી બોલતી કરે એનાથી કાંઈક થાય તો થાય. જુઓ, હું રહ્યો ગાયત્રીનો ઉપાસક, મિહિર સૂર્યનો પૂજક, પણ મેં કોઈ દિવસ તેને ગાયત્રીનું રહસ્ય સમજાવવાની કોશિશ નથી કરી. અમારી ભાવધારામાં અમે ક્યાંક એક બની ગયા છીએ અને એ ભાવધારા અમને આગળ લઈ જાય છે.” “એ ભાવધારા જ ભારતને નવું જીવન આપનારી મહાનદી છે, મુનિ, તમે માત્ર રણને લીલુંછમ બનાવવાની હામ નથી ભીડી. ભારતના હૃદયને પણ લીલું રાખવા મથો છો. મારા તરફથી ખાતરી આપું છું. તમને સાથીદારોની ખોટ નહીં પડવા દઉં.” “માત્ર આભીરોથી જ વાત અટકતી નથી, બળભદ્ર! કોલ, નાગ, પુલિન્દ, પુક્કસ - એવી કેટલીયે જાતિઓ મારા-તમારા જેવા મિત્રોની વાટ જુએ છે. રણની આગ તો વધતી અટકશે, પણ હવે લીલાં ખાંડવવન ન બળે એટલું તમે જોજો.” ઉત્તંકના હૈયામાં ભારેલી તીખાશ ફરી તમતમી ઊઠી. બળરામને થયું કે કૃષ્ણને આ મુનિ માફ તો નહીં જ કરે, ભૂલી શકે એમ પણ નથી. કૃષ્ણને માંધાતાઓ તો ધિક્કારે પણ કોઈ મુનિ ધિક્કારે એ બળરામે આજે જોયું. બળરામે હાથ લંબાવતાં કહ્યું : “મુનિ, હવે બળતું ભાળો તો મને બોલાવજો. તમારી સાથે હું ઠારવા નીકળી પડીશ.” બંને વાતો કરતા હતા ત્યાં મિહિર એક ખેપિયાને લઈ આવ્યો. પવનવેગી સાંઢણી પર માર માર કરતો તે આવી પહોંચ્યો હતો. કૃષ્ણે તાકીદનો સંદેશો મોકલાવ્યો હતો કે બળરામે તાબડતોબ નૈમિષારણ્ય પહોંચી જવું. ભગવાન વેદવ્યાસે ત્યાં ઋત્વિજોનું સંમેલન બોલાવ્યું હતું. સ્માર્તો અને ભાગવતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થવાનો ભય હતો. બે મોટા ફાંટા પણ પડી જાય એવો સંભવ હતો. સંદેશાના અંતમાં કૃષ્ણની વાણીમાં હંમેશાં ફરકતી આનંદધ્વજા હતી કે યાત્રા અધૂરી રહે તો વાંધો નહીં, તેનું પૂર્ણ ફળ મળ્યા વિના નહીં રહે. બળરામે ખેપિયા સાથે જવાની તૈયારી કરી. ઉદ્ધવે બાકીની યાત્રાનો ભાર સંભાળી લીધો. ઉત્તંકે અને મિહિરે યાત્રીઓને વિનશન તીર્થ સુધી પહોંચાડવાની જવાબદારી લીધી. મિહિરે બળરામને પૂછ્યું : "દાદા, મારા મનમાં એક સવાલ ક્યારનો ઘોળાઈ રહ્યો છે અને તમે તો ઊપડ્યા. એ સવાલ પૂછી નાખું?” બળરામે માથું હલાવીને હા ભણી. મિહિરે પૂછ્યું : “મારાં પહુડાંને ડિલે તમે હાથ ફેરવતા’તા તંયે એના જીવનમાં કેવી તો ધરપત વરતાતી’તી, દાદા! તમે શું કોઈ દી ઢોરાં ચાર્યાં છે?" મિહિરના બંને હાથ પોતાના હાથમાં લઈ બળરામ બોલી ઊઠ્યા : “ભાઈ મિહિર, હું તારા જેવો ઢોર ચારનારો જ છું. પણ સૂરજદેવે કોપાયમાન થઈ મને સોનાની ખાણમાં નાખી દીધો છે. હવે બહાર નીકળવાનો વારો આવ્યો હોય એવું થોડું કળાય છે.” બળરામ સાંઢણી પર સવાર થઈ રવાના થયા. પાછલી રાતનું અજવાળિયું ત્યારે રણને ઠંડકથી લીંપતું હતું. તેના આછા ઉજાસમાં અહીંનું બધું જ અવાસ્તવિક બની જતું હતું. ટેકરી પરનો કિલ્લો ધૂંધળી પછેડી ઓઢીને બેઠેલો કાળ લાગતો હતો. માનવીઓ માત્ર ઓળા બની વિચરતા હતા, અને તેમના અવાજને ભૂખ્યું વેરાન જંતુમાર પ્રાણીની જેમ ચપ ચપ ચાટીને ગળી જતું હતું. બળરામ ઊપડ્યા, સાંઢણીના ગળામાં વાગતી ઘંટડી થોડી વાર સંભળાયા કરી. રણમાં એક મંજુલ ઝરણું વહેતું થયું અને પછી રણ તેના પર આળોટી પડ્યું.