સાહિત્ય પલ્લવ – ભાગ ૨/શંખનાદ સંભળાયે ભૈયા
૨. શંખનાદ સંભળાયે ભૈયા
નર્મદાશંકર
શંખનાદ સંભળાયે ભૈયા, શૂર પુરુષને તેડું હો,
શું એ કહે, સાધુ દેહ છોડે? શું એ કહે, દેવ જાગે હો?
કારી કારમો ઉગ્ર ઊછળતો, રણનો મુજને લાગે હો. શંખ૦
એ બોલે – શું બેસી રહ્યા છો? શત્રુએ કોટ પડ્યો હો,
દેશભૂમિ કરી લોહીલોહિયાળી, પુત્ર તણો ઘાણ કાઢ્યો હો. શંખ૦
રક્ષણ કરવા ધાઈ વળો સહુ, હજી રહી છે આશા હો,
સ્નેહ, શૌર્ય ને જુદ્ધકળાથી પડશે સવળા પાસા હો. શંખ૦
રણમાં મૂઆ તોયે રૂડું, દાસપણાથી છૂટશું હો,
ગત પ્રાણીને બંધનનું નથી ભય કો રીતનું કશું હો. શંખ૦
દેશજનની સ્વતંત્રતાને અર્થે વીર ઝૂઝી મરશો હો,
રાહદારી કહે, પ્રભુ સંધાની જયસુખ આશા પૂરશે હો. શંખ૦
હા ભૈયા, હું તો આ ચાલ્યો, શંખનાદ હજુ થાયે હો,
નર્મદ કહે, બીજા વીરો પણ કેસરિયાં કરી જાયે હો. શંખ૦