સાહિત્ય પલ્લવ – ભાગ ૨/સૈયદ અબુ ઝફર નદવી
[મુસલમાનોના એક મોટા તહેવારનું આ વર્ણન ઘણી જાણવા જેવી વિગતોથી ભર્યું છે. જે ઘટનામાં એ મહાન તહેવારનું મૂળ છે તે અતિ ભવ્ય છે. હજરત ઇબ્રાહિમ અને હજરત ઇસ્માઈલના ભવ્ય ત્યાગ આગળ આપણું મસ્તક નમ્યા વિના નહિ રહે, અને આપણને પણ આપણી એક લોકકથાનો મશહૂર પ્રશ્ન ‘બે વાળામાં કયો ચંડે?’ આ પિતાપુત્રના સંબંધમાં પૂછવાનું મન થાય છે. આ તહેવારમાં ખાસ નોંધવા ઘટના જેવી એક એ છે કે, આ તહેવાર ઇસ્લામની સ્થાપના થઈ તે પહેલાંને અરબસ્તાનમાં પ્રચલિત હતો. હજરત મહમ્મદ પયગમ્બરે અનેક જૂના રીતરિવાજો અને વહેમોનું ખંડન કયું હતું, પણ પ્રજાના પ્રાણને ચેતન આપે એવાં જૂના ધર્મનાં તત્ત્વોને અપનાવતાં જરાય સંકોચ રાખ્યો ન હતો. ખ્રિસ્તીઓના મશહૂર નાતાલના તહેવારનો પણ આવો જ ઇતિહાસ છે. આવા તહેવારો લોકોના પ્રાણરૂપ હોય છે, અને તેથી કેટલીક વાર કેટલાક મહાપુરુષો પોતાના લોકો માટે નવા તહેવારો પણ યોજે છે. ઈદના તહેવારમાં રહેલી ત્યાગની ઉદાત્ત કલ્પના માત્ર ઇસ્લામ માટે નથી, આખી માનવજાત માટે છે, એ નોંધવાની ભાગ્યે જ જરૂર હોય.]