હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૭
Jump to navigation
Jump to search
યુયુત્સુ
હે રમ્ય કથાના નાયક
જેમ શાસ્ત્ર
તેમ શસ્ત્ર પણ મિથ્યા છે
હંતા અને હંતવ્યનો ભેદ જ
યુદ્ધનું મૂલ કારણ છે
હે મુકુરવિલાસી
જે ક્ષણે આ ભેદ મટશે
શસ્ત્રમાં સંજીવની પ્રકટશે
પ્રહર પ્રહારનો છે
પરાજયના ગહન સ્વીકારનો છે
છિન્ન હો રથનું ચક્ર
સરી જવા દો ગાંડિવ
ગળી જવા દો ગાત્ર
ધારણ કરો મૃત્યુનું અસિધારાવ્રત
આઠમા કોઠે
અભયનો નિવાસ છે
કૃપા કરી મારો પ્રસ્તાવ સ્વીકારી લો :
હું
અસ્તિ અને આસ્થાનો
વિષ્ટિકાર છું