સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નર્મદાશંકર

નર્મદાશંકર

[આ ચાર કાવ્યો નર્મદનાં કાવ્યોમાં રહેલ વૈવિધ્યનો સારો સરખો ખ્યાલ આપે છે. એ ચારેને સાથે વાંચતાં જાણે જીવન જીવવાની એક દૃષ્ટિ આપણી આગળ રજૂ થતી હોય એમ પણ લાગે. પહેલું કાવ્ય આત્માને ઉદ્બોધનનું છે; અને શ્રુતિ ચમત્કારથી ભરેલું છે. માણસ જાગીને સુખ મેળવવા ઝંખે છે; પણ સુખ એમ ને એમ નથી મળતું. એને માટે તો કંઈ કેટકેટલા સંગ્રામ માણસે ખેડવાના હોય છે. સામાન્ય માણસોને માટે એ સંગ્રામ તેનો રોજનો રોટલો મેળવવા પૂરતો હોય છે, જ્યારે ઊંચી કક્ષાના આત્માઓ માટે એ અનેક જાતની સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય વગેરે ગુલામીમાંથી મુક્તિ મેળવવાના સંગ્રામનું સ્વરૂપ ધારણ કરે છે. બીજા કાવ્યમાં એવા આત્માને – એવા શૂર પુરુષને શંખનાદ દ્વારા રણમાં ઝૂઝવાનું નોતરું મળે છે. ત્રીજા કાવ્યમાં માણસની બધી પ્રવૃત્તિઓ કે બધા જીવનસંગ્રામ જે સુખ માટે હોય છે તે સુખનો નર્મદ પોતાની દૃષ્ટિએ આપણને ખ્યાલ આપે છે. સુખની કલ્પના દરેક માણસની જુદી હોય છે. કેદથી સામાન્ય માણસ જ્યારે ત્રાસતો હોય છે, ત્યારે સાચો દેશભક્ત કેદમાં સ્વર્ગ કરતાં પણ અધિક સુખ માણતો હોય છે. કેટલાક વાડી, ગાડી ને લાડીમાં જીવનનું સ્વર્ગ ઝંખતા હોય છે, જ્યારે કેટલાકને પોતાની ભગવી કફની, કમંડલુ અને ભભૂત આગળ સ્વર્ગનું સુખ તુચ્છ લાગતું હોય છે. નર્મદ પોતે કોને સાચું સુખ લેખે છે તે બતાવી, એ સુખ જેમાં રહેલું છે તે પરમાત્માનો આપણને ચોથા કાવ્યમાં ખ્યાલ આપી, બધાં સુખના સારરૂપ પરમેશ્વરની ધૂનમાં આપણને ખેંચી જાય છે.]