સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નોકરી
મનસુખલાલ ઝવેરી
(મિશ્રોપજાતિ)
‘ઊગી ગયો સૂરજ અર્ધ તોયે
લગાડતો મૂરખ વાર, આ તે
સ્હેવાય કેમે જ? થયું છ મોડું
પોસાય ત્યાં કેમ જ લાડ આવાં?’
ને બોલતો મામદ ત્યાં : ‘અલી એ
જોને રડે આ મુજ સાથ આવવા!
ન જાણતો એટલુંયે ગમાર
કે સા’બને ત્યાં ન અવાય એથી.
શું હોય તે લાડ કદીય આવાં?
છે આવવું, આવવું છે, કરી કરી
જોને રહ્યો માથું જ ખાઈ ક્યારનો!
તું લે છ આ મૂરખને?’ અને ફર્યો
ખિજાઈને હાસમ મેર બોલતાં :
‘છે આવવું ને મુજ સાથ તારે?
લે! આવજે ‘લ્યા, રડજે હવે તું;
થા ચૂપ, બસ્ ચૂપ જ!’ એમ બોલી
એને ધરી થપ્પડ બેક દીધી.
‘મારો છ કાં? છોકરું આ શું જાણે?
તેડી જવું ત્યાં જ રહ્યું : નકામો
મારો છ તે! મારી જ સાવ નાખો.’
બીબી વદી તે બહુ મોડું થાતાં
ન સાંભળી મામદ બ્હાર ચાલ્યો.
ક્રોધે ભર્યા રાક્ષસશો હિમાળો
વીંઝે છ કાળા નિજ કોરડાને;
ને સૂસવી સૂસવી વાયરાઓ
ફુત્કારતા લાખ ફણીધરો શા;
ભેંકાર ભાલાં ઊઠી ભોંયમાંથી
વીંધી રહ્યાં મામદના શરીરને;
ને હોઠ ભીંસી, જડબું પરાણે
દબાવી, મૂઠી નિજ બેય વાળી,
લપેટતો દુર્બળ દેહ કોટના
કાળા અને જીરણ ચીંથરામાં,
ધપી રહ્યો મામદ ઘેર સા’બના.
‘લ્યા! કેમ મોડો?’
‘થયું બાઈ, મોડું’
‘ન ચાલશે એ મુજ ઘેર હાં કે?
દ્હાડો ચડે પ્હોર, પછી પધારવું
ધીમે ધીમે, એ વળી નોકરીની
હતી હશે રીત ક્યંહી?’ ઉવાચ
સાહેબ કેરાં ગૃહિણી કુલીન.
વળી વદ્યાં: ‘મામદ!’ ‘બાઈ! ’ ‘શાને
ઊભો છ? જોતો નથી ભાઈ ક્યારનો
રડે છ તે? જા, તું રમાડ એને;
જોજે, જરાયે ન રડે; નહીં તો
જાગી જશે સા’બ કદાચ.’ આર્યા
સાહેબનાં એમ વદી સુલક્ષણાં,
મંડી ગયાં દાતણ ચાવવાને.
ને શાપતો રોતલ હાસમાને,
નીચે ગયો મામદ લેઈ ‘ભાઈ’ને,
અને હસી ફિક્કું જરી પરાણે,
મથે છ રોતા અટકાવવાને
એ બાઈના દેવ તણા દીધેલને.
‘આરાધના’માંથી
સ્વાધ્યાય