નર્મદ-દર્શન/નર્મદ અને ભાટ કવિ માનસિંગજી: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 03:28, 4 November 2025
કવિના અંતેવાસી રાજારામ રામશંકર શાસ્ત્રીએ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’માં કવિ અને પોતાના પિતા સાથેના સંવાદનું એક સંભારણું નીચે પ્રમાણે નોંધ્યું છે : ‘રામશંકર! તમારા કહેવાથી નભુલાલે જે મને પોતાની સ્નેહમૂર્ચ્છામય ગરબીઓ ગાઈ સંભળાવી ન હોત અને રાંદેરમાં ભાટ કવિ માનસિંગજી સાથે પ્રસંગ પડ્યો ન હોત તો ‘કવિ’ થવાનો મારો કોડ કદાપિ સફળ થાત નહિ! રે, તેનો જન્મ જ થાત નહીં. માનસિંગે બીજ રોપ્યું, ને રાંદેરની નોકરી છોડ્યા પછી સુરતમાં જદુરામે તેને બનતું જળસિંચન કર્યું, તો હું પણ મારા બાળકોડને કાંઈક લાડ લડાવી શક્યો.’ નભુલાલ તે કવિના મિત્ર નભુલાલ દ્યાનતરામ ત્રિવેદી – ‘નભૂવાણી’ના કર્તા. તેઓ નર્મદ કરતાં ત્રીશેક વર્ષ મોટા હતા અને દયારામશૈલીએ ગરબીઓ, પદો વગેરે લખતા હતા. તેમની રચનાઓથી નર્મદ પ્રભાવિત થયો હશે તે સ્પષ્ટ છે. તેમના સિવાય ઉપરના અવતરણમાં જેનો ઉલ્લેખ છે તે કવિ માનસિંગજીનું કોઈક પ્રકારનું ઋણ નર્મદની કવિ બનવાની ઘટના વિશે છે એનો પણ સ્વીકાર અહીં છે. આ ઋણ વિશે કવિ માનસિંગજીના પૌત્ર કરણસિંહ નારસિંહજી કવિએ કેટલીક વિગતો સાર્ધશતાબ્દી પ્રસંગે જાહેરમાં૧ મૂકી છે તે ચિંત્ય છે. કવિ માનસિંગ રતનસિંગ બ્રહ્મભટ્ટ રાંદેરના વતની અને નર્મદના સમકાલીન હતા. તેમણે ભૂજ(કચ્છ)ની ‘કવિ કૉલેજ’માં ‘કવિ તરીકેની તાલીમ’ લીધી હતી. અને તેઓ ‘રૂપદીપ’ પિંગળના નિષ્ણાત ગણાતા હતા. કવિ માનસિંગજી ધરમપુર રાજ્યમાં રાજકવિના પદે ગયા, ત્યારે તેમણે રાંદેર છોડ્યું. નર્મદે કવિતાશિક્ષણનો આરંભ આ કવિ પાસે કર્યો હતો એમ તેમના પૌત્ર, ‘કર્ણોપકર્ણ’ ચાલી આવેલી માહિતીને આધારે કહે છે. આ વાત તેમણે આ શબ્દોમાં નાંધી છે : ‘...નર્મદ જ્યારે સૂરત શહેરને ગજાવતો હતો ત્યારે પાસેના રાંદેર શહેરમાં એક વિદ્વાન અને સંસ્કારી કવિનો નિવાસ હતો.... નર્મદે શ્રી માનસિંગ કવિ પાસે ‘રૂપદીપ’ પિંગળનો અભ્યાસ છ માસ સુધી કરેલો અને તે માટે તે રોજ રાંદેર જતો. આર્થિક મદદ પણ મળી રહેતી....’ આ ઘટનાના સમર્થનમાં કરણસિંહ કવિએ રાજારામ શાસ્ત્રીનાં સ્મરણોમાંથી આરંભનું અવતરણ ટાંક્યું છે. માનસિંગ કવિનો સત્સંગ નર્મદને કવિ તરીકેનું સ્વપ્ન સેવવામાં પ્રેરણારૂપ બન્યો હશે એમ આ બંને અવતરણો સાથે વાંચવાથી સ્પષ્ટ થાય છે. પરંતુ નર્મદે માનસિંગ કવિ પાસે ‘રૂપદીપ’નો અભ્યાસ કર્યો, તે માટે જ તે રાંદેર જતો અને તેને તે માટે આર્થિક મદદ મળતી એવું કરણસિંહ કવિનું વિધાન યથાતથ સ્વીકારી શકાય એમ નથી, કારણ નર્મદે પોતે આપેલી હકીકતો સાથે તે સુસંગત નથી.
આમ પિંગળનું જ્ઞાન નર્મદને માનસિંગ કવિ પાસે મળ્યું એ તારણ તો નિરાધાર જ છે. માનસિંગજીનો સંસર્ગ કવિ-યશેચ્છાને દૃઢાવવામાં ઉપકારક બન્યો હોવા વિશે શંકા નથી.
રાજકોટ : ૨–૨–૮૪