અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘વસન્તવિજય' - વૃત્તિવિજયનું કાવ્ય: Difference between revisions
No edit summary |
(+1) |
||
| Line 70: | Line 70: | ||
{{right|(‘અધીત : એકવીસ')}}<br><br> | {{right|(‘અધીત : એકવીસ')}}<br><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જુદો ને નરવો ‘ણ' ફેણનો ‘ણ' | ||
|next = | |next = ‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતંત્ર | ||
}} | }} | ||
Latest revision as of 03:33, 13 January 2025
દર્શના ધોળકિયા
કવિ કાન્તનાં પરિપક્વ, ભાવજગતને સ્પર્શતાં, ખળભળાવતાં ખંડકાવ્યોની સૃષ્ટિમાં ડોકિયું કરતાં દેખાય છે કાન્તનો મનુષ્ય પ્રત્યેનો સદ્ભાવ ને સમભાવ, જીવન માટે આવશ્યક એવી નૈસર્ગિક ઇચ્છાઓ, આકાંક્ષાઓ ને વૃત્તિઓને જીવવાને બાદલ, ઉપભોગવાને બદલે એ વૃત્તિઓને કારણે મનુષ્યને જે વેઠવું પડે છે તે જોઈને ઋજુ ‘કોમળ કવિ કાન્ત’ મથામણમાં મુકાયા છે. એમ તો આપણે ત્યાં મહાકવિ ને આદિકવિ વાલ્મીકિના ચિત્તમાં પણ કામમોહિત એવા ક્રૌંચયુગલમાંના એકને મારતા પારધીને જોઈને જબરદસ્ત સંક્ષોભ પેદા થયો ને આપણું પ્રથમ મહા ને મહાન કાવ્ય જન્મ્યું. પણ વાલ્મીકિનો સંક્ષોભ અન્યને માટે હતો, જીવનથી વિરક્ત થયેલા સંન્યાસીનો હતો તેથી એમાં દૃષ્ટાભાવ રહેતો હતો. વાલ્મીકિનું રુદન કરુણામાંથી પ્રગટ્યું એમ કહી શકાય, જ્યારે કાન્તની વેદનામાં કેટલોક સ્વાનુભવ પણ ભળ્યો હોઈ, કાન્ત કરુણાના નહીં, પણ કરુણના કવિ બન્યા, વિશેષતઃ ખંડકાવ્યોમાં. આથી, કાન્તનાં કાવ્યોમાં ગાંભીર્ય છે, માધુર્ય પણ છે, પણ તેમની વેદના તેમને મુદિતાના કવિ બનાવી શકી નથી. ‘વસંતવિજય’ આ વાતનું પ્રસ્થાપન કરે છે. કાન્તનાં અન્ય જાણીતાં ખંડકાવ્યો ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’ વગેરેની જેમ વસંતવિજય’માં પણ વેદનાનો, જીવનની વિષમતાનો મનુષ્ય અનુભવવો પડતો ભાર ને પ્રભાવ એક ઓછાયો થઈને ઝળૂંબે છે. માનવજીવનને ટકાવનારી અનિવાર્ય આવશ્યકતાઓમાંની કોઈને જ્યારે મનુષ્ય પાસેથી અકારણ છીનવી લેવામાં આવે છે ત્યારે માનવી છિન્નભિન્ન બને છે. જીવનને પામવા મથતી એવી, જીવનની જાણતલ વ્યક્તિ પણ બીજા મનુષ્યના જીવનમાં બનતી આવી ઘટનાને લઈને છિન્નભિન્ન બને છે. કાન્તે મનુષ્યજીવનના જાણતલ તરીકે જીવનની આવી એક ક્ષણને પકડી છે. આ ક્ષણ તે વસંતના વિજયની, મનુષ્ય પર થતા પ્રકૃતિના વિજયની ક્ષણ. અલબત્ત, કાન્તે ધીમે ધીમે સ્ફુટ કર્યું છે તેમ એની પાછળ સક્રિય તો છે વૃત્તિનો વિજય, નહીં કે વસંતનો. ‘વસંતવિજય’નો નાયક છે વીરવર રાજેન્દ્ર પાંડુ, એની ઓળખ આપવાની સ્વાભાવિક રીતે જ જરૂર ન હોય તેમાંયે આ તો ખંડકાવ્ય. આથી પાંડુના જીવનની એક અંગત ક્ષણને લઈને કાવ્ય આ રીતે આરંભાય છે : ‘નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે, આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે.’ આ ઉક્તિ પાંડુની બીજી પત્ની માદ્રીની છે. પહેલી જ ક્ષણે માદ્રી ને પાંડુની સહોપસ્થિતિથી કાવ્ય ઊઘડે છે. આરંભે જ ભૂતકાળ ને વર્તમાન સંધાય છે ને ભવિષ્યને ચીંધે છે. હજુ પૂરેપૂરી સવાર પડી નથી, એટલું જ નહીં, પણ હજુ તો સવાર પડવાને ઘણી વાર છે એવી રાત્રી વેળાએ જ ઊઠી જતા- જાગી જતા નહીં - એવા પર્ણકુટિના વાસી, વાનપ્રસ્થી જીવતા પાંડુને ઊઠવાની ના પાડતી માદ્રી પણ જાગતી જ પડી હશે ને? આખાય કાવ્યમાં આ બંને માટે વપરાયેલો ‘દંપતી’ શબ્દ અહીંથી જ સૂચક રીતે સાર્થક થાય છે. પાંડુની આજની અસ્વસ્થતાનું કારણ છે પ્રશાંત નિદ્રા ન આવવી તે. પ્રશાન્ત નિદ્રા ન આવવાના મૂળમાં છે દુઃસ્વપ્નો. આથી ઊઠી જઈને એ બહાર નીકળે છે. ને ત્યારે જ તેના કાને પડે છે માદ્રીની આ ચેતવણી, જેમાં પાંડુની આંતિરક સ્થિતિનો, ચેતનાની રાત્રિનો નિર્દેશ પણ અજાણ્યે જ થઈ જાય છે. માદ્રી જાણે લવી ઊઠી છે. તેની આ ઉક્તિ દ્વારા જાણે એની પોતાની સ્થિતિ પણ પાંડુ જેવી જ છે એવું પણ અનુમાન કરવાનું મન થાય. માદ્રીને ઉત્તર આપતો પાંડુ જુએ છે તો માદ્રી ફરી નિદ્રાધીન થઈ ગઈ છે. તેની જાગૃતિ ક્ષણિક જ હતી એ સારું જ થયું એવું પાંડુને લાગે છે, કેમ કે નહીંતર પાંડુને સાચી વાત કરવી પડત. સાચી વાત કવિએ અહીં ગોપવી છે. એ છે વૃત્તિનો ઉદય, પાંડુમાં જાગેલો રતિભાવ. બહાર નીકળેલા પાંડુને જે પ્રકૃતિ પીડે છે એ વસંતની નથી. એ તો દરેક સવારે ખીલે છે એવી જ, હંમેશની છે. શાંત ઠંડો વાયુ, અંધારું, નીરવ શાંતિ ને સરોવરનું સાંનિધ્ય. આવું સાદું વાતાવરણ પણ પાંડુના ચિત્તમાં સંક્ષોભ ઊભો કરે છે. આથી લાગે છે કે એ ક્ષુભિત જ છે. એનો સંક્ષોભ વિભાવ મળતાં ઉદ્દીપ્ત થાય છે એટલું જ. મનુષ્યને ચલિત કરનારું તત્ત્વ અનિદ્રા ને એ કારણે જન્મેલા શ્રમથી થાકેલા પાંડુના ચિત્તમાં એ સાથે ભળ્યાં છે પૂર્વસ્મરણો. વનમાં રહેવા છતાં પાંડુના ચિત્તમાંથી ભૂતકાળ વિસ્તૃત થયો નથી. કવિ ક્રમિક રીતે સૂચવે છે તેમ, પાંડુ હજુ વિરાગી થયો નથી, એને એ રીતે રહેવું પડ્યું છે. એનો રાગ છૂટ્યો નથી, તૂટ્યો છે, એનું આ પરિણામ છે. રાત્રિ પૂરી થતાં સળવળી ઊઠેલી સૃષ્ટિમાં બધું જ સ્પષ્ટ થાય છે તેમ વૃત્તિ પણ સ્પષ્ટ થઈને મુખર બને છે :
‘નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને!
અરેરે! શેની શી અનુભવ કરું છું અસર એ!’
હવે જે દેખાય છે એ વસંતશ્રી છે. આ વસંતશ્રી પ્રસરી તો છે મનોજગતમાં, બાહ્ય જગતની સમાંતર મનોગજગતમાં. બાહ્યઘટનાનો પ્રભાવ એના વિરાગમાં છિદ્ર પાડે છે. એ વસ્તુ બતાવે છે તેમ પાંડુનું આંતરજગત સ્થિર નથી. એના વિરાગની પીઠિકા ઉપરછલ્લી છે. ને તેથી જ કવિ એનું ‘યોગાંધત્વ’ ગયું નથી. એમ સૂચવે છે. આ ક્ષણથી જ વસંત ઝેરની જેમ પાંડુમાં વ્યાપી વળે છે. વૃતિના આ આક્રમણને પહેલે તબક્કે પાંડુ આવકારતો નથી. એનું કારણ માત્ર મૃત્યુનો ભય જ નથી, પણ અત્યાર સુધી ન દેખાયેલી વૃત્તિનું સળવળવું એનામાં આશ્વર્ય જગવે છે. આનો અર્થ એમ પણ છે કે પોતે સ્વીકારેલાં વિરાગનું કદાચ પાંડુને દુઃખ ન પણ હોય. આથી જ આ ક્ષણે પાંડુ બચી જાય છે :
‘સ્નાનથી થઈને શાંત પડ્યો એ નિત્યકર્મમાં,
જતાં રાગ બની વૃત્તિ પાછી તદ્રૂપ ધર્મમાં.’
ધર્મમાં એટલે સ્વધર્મમાં, પાળવા ધારેલા વ્રતમાં, પણ ધીમે ધીમે સ્પષ્ટ થાય છે કે પાંડુના આ સંકલ્પમાં તેને મનનો સાથ નથી. એ અવઢવમાં છે:
“પૂરું કરી તરત તે સ્થલને તજે છે,
ઇચ્છા વિરુદ્ધ દૃઢ આગ્રહને સર્જે છે :
‘શાને થવું પતિત આશ્રમધર્મનાથી?’
સૌદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.”
પાંડુની આ રટણા હાર્દિક જણાતી નથી, કેમ કે એ ‘ઇચ્છાવિરુદ્ધ’ થયેલી છે. જમીને નિદ્રા લીધા પછી, સાત્ત્વિક વૃત્તિના ઉદયથી ઊઠેલો પાંડુ દેખાય છે માટે વનશ્રી જુએ છે. આ વનશ્રી તે કંઈ પહેલી વાર જોતો હોય તેવું જણાતું નથી, કેમ કે વનમાં તો એ ઘણા સમયથી છે એવું કવિનું કહેવું છે, આજે જે ઘટના ઘટી છે એ છે વૃત્તિના ઉદયની. એ ઘટનાએ કરીને વસંત પોતાનો પ્રભાવ પાંડુ પર પાથરી શકી છે. અગત્ય વસંતની નથી, વૃત્તિની છે. ગીતામાં કૃષ્ણે ખળભળેલા ચિત્તવાળા મનુષ્યના લક્ષણને બતાવતાં કહ્યું છે તેમ ઇન્દ્રિયોના વિષયમાં મનના પ્રવેશથી થયેલો સંક્ષોભ પાંડુએ અનુભવ્યો છે. આથી જ માદ્રી પાસે જતો પાંડુ તાપસ મટીને ક્ષણાર્ધમાં ભર્તા બની ગયો છે. આ ક્ષણે કાન્તે પણ પાંડુને દૃષ્ટાભાવે જોયો છે એવી ધારણા કરવાને અવકાશ મળે છે; કેમ કે, આરંભે કાન્તે પાંડુ માટે ‘નરેન્દ્ર’ શબ્દ વાપર્યો છે. મધ્યમાં ‘નરવર’ શબ્દ વપરાયો છે. જ્યાં સુધી એ તપસ્વી છે, વાનપ્રસ્થી છે ત્યાં સુધી એ જાણે આદરપાત્ર છે, પણ જે ક્ષણે પાંડુ પર વસંત સવાર થઈ છે તે ક્ષણે કાન્તે એના માટે એકવચન વાપરવું શરૂ કરી દીધું છે. આથી પ્રશ્ન થાય કે શું કાન્તની નિષ્ઠા પણ વાનપ્રસ્થી પાંડુ ભણી હશે? કામના આક્રમણથી ઘવાયેલો પાંડુ કાન્તનો સમભાવ પણ ગુમાવી બેઠો હશે? કાન્ત આથી જ જાણે કહી બેસે છે :
‘પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વીસરી ગયો.’
પાંડુ શાપની વાત વીસર્યો છે; પણ કાન્તે સમભાવ ગુમાવ્યો નથી, માત્ર વિષાદ અનુભવ્યો છે. તેમણે આ ઘટનામાં વિધિનું વિધાન નિહાળ્યું છે. જે માદ્રી પતિને અંધકારમાં સ્નાન કરવાનો નકાર કરી શકી તે જ માદ્રી પાંડુનો કામ જાગવાની ક્ષણે લાચાર થઈ ગઈ છે. જો આ ઘટનાને ટ્રેજેડી કહીએ તો ઍરિસ્ટોટલ જેને સ્ખલન કહે છે તેવું સ્ખલન પાંડુનું કયું છે? તો કાન્તનો ઉત્તર છે :
‘ઊછળ્યું. લોહી તેથી એ સાવધાન થયો નહીં.’
પાંડુ પર વૃત્તિનો આ હુમલો થયો છે તેનો કાન્તને વાંધો નથી, પણ એ વૃત્તિને પાંડુએ ગણકારી નથી, એમ નોંધ કવિએ લીધી છે. વસંત તો સતત પડદા પાછળ જ રહી છે એ ફરીથી સ્પષ્ટ કરવું રહ્યું. પાંડુ પર તોળાતું દુ:ખ ક્રમશ: પ્રવેશ કરે છે. પાંડુનું માદ્રી પાસે જવું, યોગાનુયોગ એ ક્ષણે કુન્તીની અનુપસ્થિતિ, માદ્રી સાથે વિહાર, વસંતનું સામ્રાજ્ય ને એ પળોમાં માદ્રીનું ગાયન - આ બધું ભેગું થઈને પાંડુને ઘાયલ કરે છે. પાંડુની વિવશતાની માત્રા વધતી જાય છે ત્યારે પણ એ આવનારી પરિસ્થિતિ પ્રત્યે જાગ્રત નથી એવું તો કહી શકાય તેમ નથી. આથી જ શાપના ભયથી થથરતી માદ્રીને એ કહે છે :
‘ઘટે છે શું દેવી! હૃદય પર આ નિર્દય થવું?
અરેરે! આ આવું પ્રબલ દુખ! મારે ક્યહીં જવું?’
ને ઉમેરે છે :
‘જાણું બધું પણ દીસે સ્થિતિ આ નવીન.’
પાંડુ માટે આ વૃત્તિનો આ પ્રકારનો ઉદય અણકલ્યો છે. કાલિદાસના યક્ષ કરતાં જુદી રીતે એ સ્વાધિકારથી પ્રમત્ત થઈ ગયો છે ને જ્યારે વૃત્તિ જાગી છે ત્યારે આવનારા ભવિષ્યને અવગણીને એ કહી બેસે છે :
‘દેવી! વિચાર કરવા સઘળા તજી દે :
રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!’
અત્યાર સુધી મળેલા સ્પર્શસુખથી સંતોષ ન થતાં પાંડુ માગી બેસે છે વધુ ને વધુ સ્પર્શ. પતિના દુઃખને ન જોઈ શકતી હોય તેમ માદ્રી વિચાર કરવાનો સમય ન રહેતા પાંડુની ભૂજામાં ને એ કારણે વૈધવ્યના જડબામાં ઝંપલાવી દે છે. એ ક્ષણ બંનેના એકત્વની સાથોસાથ પાંડુના મૃત્યુની પણ નીવડે છે. કાન્તનો બહુ ચર્ચાયેલ કરુણ, આ કાવ્યનું પુનર્મૂલ્યાંકન કરતાં કેટલાક નવા વિચારો પણ પ્રેરે તેમ છે. સ્થૂળ દૃષ્ટિએ પાંડુ કરુણનું ભાજન બનતો જણાય; પણ અહીં વસંતને બદલે વૃત્તિનો વિજય જોવામાં આવ્યો હોત તો આ કાવ્ય કરુણનું નહીં, પણ કરુણાનું બની શક્યું હોત. જે વાલ્મીકિએ, વ્યાસે ને કાલિદાસે અનુભવી છે. આ મહાકવિઓ પાસે અખિલાઈભર્યું દર્શન હોવાથી તેમના નાયકોને સમભાવની જરૂર પડી નથી. અલબત્ત, કાન્તનું જીવનદર્શન પણ કંઈ અસ્વીકાર્ય કે અયથાર્થ છે એમ તો નહીં કહી શકાય. અર્જુનના વિષાદની સ્થિતિને જેમ કૃષ્ણે ‘વ્યક્તમધ્ય’ની કહી છે તેવું જ કાન્તના દર્શન વિશે કહી શકાય. ઉપરછલ્લી રીતે જોતાં જેમ અર્જુનનો વિષાદ સાચો જણાય છે તેમ કાન્તનો પણ છે. આથી જ પાંડુના જીવનમાં ઘટતી આ વિષમ ઘટનામાં તેમણે નિયતિનું પ્રાબલ્ય જોયું છે. વસંતની એ સવારે ક્રમશઃ ઘટતી ઘટનાઓ બહુ જ સ્વાભાવિક રીતે પ્રતીતિકર જણાય છે. અહીં ઊઠતો કરુણ અનેક રીતે તપાસતાં નીચેના મુદ્દાઓ ઊપસી આવે છે :
(૧) પાંડુને દામ્પત્યસુખ માણી ન શકવાનો મળેલો શાપ ટ્રેજેડી છે.
(૨) બે રાણીઓ સાથે કાળક્ષય કરી રહેલા વનવાસી પાંડુ વાનપ્રસ્થી કેળવી ન શક્યા એને પણ ટ્રેજેડી ગણી શકાય.
(૩) શાપની ઘટનાથી જાગ્રત એવા પાંડુ પ્રકૃતિથી વિવશ બન્યા એ ઘટના ટ્રેજેડીનું કારણ બની ગણાવી શકાય.
(૪) પાંડુની સાથે નિર્દોષ એવી માદ્રી આખીય ઘટનામાં નિમિત્ત બની એ ઘટનામાં પણ ટ્રેજેડી રહેલી ગણાય.
(૫) પ્રણયની તૃપ્તિ ન થવી ને પ્રણયસુખ પ્રાપ્ત કરતાં તે તૃપ્તિ થશે એવી અભિલાષા સેવ્યે જવી એ ખ્યાલમાં પણ ટ્રેજેડી છે.
પાંડુની પરિસ્થિતિ જોતાં જણાય છે કે પાંડુને જાગેલી રતિભાવની વૃત્તિમાં કરુણ નથી; એ વૃત્તિ પર તેનો કાબૂ નથી એ પણ પાંડુનો દોષ નથી. પોતાની વૃત્તિ પર એ કાબૂ ગુમાવી બેઠો છે, એ જાણવા છતાં એ જાગ્રત થતો નથી ત્યાં પણ કરુણ જન્મતો નથી. કરુણ તો ત્યાં છે કે કામ ભોગવવાનો માનવસહજ અધિકાર એ ગુમાવી બેઠો છે. એના કરતાંયે દુઃખદ પરિસ્થિતિ એ છે કે શાપ મળ્યા પછી વાનપ્રસ્થી પાળતો, મન પર અધિકાર જમાવી શકેલો પાંડુ - એટલો અધિકાર કે રતિની વૃત્તિને આશ્ચર્યથી જોઈ શકે એટલી હદે રતિથી તટસ્થ થયેલો પાંડુ - અચાનક બ્રહ્મર્ષિમાંથી રાજર્ષિની હદમાં સરકી પડે છે એવું કશુંક તેને થઈ જાય છે. તેના હાથમાંથી છટકી ગયેલું તેનું મન એને જાગ્રત થવાની પણ તક રહેવા દેતું નથી ને ક્ષણમાં તેને તપોભંગ બનાવી દે છે. કાન્તને દુઃખ એ વાતનું છે કે આ ઘટના હજારો વર્ષ પહેલાંની છે; એને હજારો વર્ષ વીતી ગયાં: પણ આજેય આ વાત ત્યાં ને ત્યાં ઊભી છે - જુદાં જુદાં પાંડુ-માદ્રીને લઈને માનવી ઉપર મનનો આ અધિકાર આ કૃતિને કરુણ ઠેરવે છે. આનંદશંકર જેને પશુવૃત્તિ કહે છે તે આ હશે? આ પ્રકારના કરુણને ઘૂંટવા માટે જ પ્રકૃતિનો અહીં કાન્તે ઉપયોગ કર્યો છે. આથી જ અહીં પ્રકૃતિ પાંડુના ભાવજગતની પડછે ચુપચાપ વહ્યા કરે છે. અને.. નિમિત્ત બનેલી પ્રકૃતિ, કાન્તે વાપરેલા અલંકારો, માદ્રી, કુંતી - સઘળું કંઈ પાંડુની વૃત્તિનાં ઉછાળના વજનમાં જાણે કે દૂર પડ્યું રહે છે. કાન્તની કવિતાનો આ વિજય છે. વૃત્તિને વશ થતા પાંડુના નિરૂપણમાં પણ ક્યાંય માનવગૌરવનો ભંગ થતો નથી. રાજાને છાજે તેવું પાંડુનું આભિજાત્ય છેક સુધી જળવાયું છે. તેના મૃત્યુની લકીર પણ આછેરી દોરીને કાન્ત ખસી ગયા છે. પાંડુ સાથે, પાંડુની વૃત્તિ સાથે કાન્તે અનુભવેલું સમસંવેદન એલિયટની ઉક્તિની યાદ અપાવે છે : ‘Everyone talks of poetry, but no one offers a poem.’ કાન્તે મિતભાષી બનીને છવાઈ જવાનો યશ ‘વસંતવિજય’માં ચોક્કસપણે મેળવ્યો છે. એ જીવનની ગહનતાને પામવાની કાન્તની મથામણમાં જ એમની કવિતાનો વિજય છે.
❖
(‘અધીત : એકવીસ’)