રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય

Revision as of 10:14, 6 July 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કૃતિ-પરિચય

‘યુગમૂર્તિ વાર્તાકાર’ શ્રી રમણલાલ વ. દેસાઈએ એમના ‘જમાનાની’ એ જમાનામાંની સાહિત્ય અને સાહિત્યવિવેચનની જાણકારીની, રમણલાલની પોતાના વ્યક્તિત્વની અને સર્જકતાની જે કંઈ મર્યાદાઓ હતી તેની વચ્ચે રહીને પોતાની જાતનો કેવોક હિસાબ આપ્યો છે’ (પૃ. ૬૬) એ તપાસવાનો તાટસ્થ્યથી અને વિવેકપૂર્ણ રીતે પ્રયાસ કરતા આ પુસ્તકમાં લેખકે શ્રી ર. વ. દેસાઈનાં કવિ, આત્મકથાકાર, ચિંતક, નિબંધકાર, નાટ્યકાર, વાર્તાકાર આદિ તરીકેનાં અલ્પપરિચિત પાસાંઓનો પુસ્તકનાં ત્રીસ પાનાંમાં સંક્ષેપમાં છતાં વિશદતાથી પરિચય કરાવી બાકીના ભાગમાં એમના લોકપ્રિય પાસાનો વિગતે પરિચય આપ્યો છે. "રમણલાલને માત્ર ઇતિહાસનું પુનઃકથન કરવામાં જ રસ નથી, તેમને રસ છે પોતાની દૃષ્ટિએ ઇતિહાસનું પુનર્નિર્માણ કરવામાં" એમ કહી લેખકે એમની ઐતિહાસિક નવલકથાઓની આપણા વિવેચને કરેલી ઉપેક્ષા તરફ યોગ્ય રીતે ધ્યાન ખેંચ્યું છે. એમની સામાજિક નવલકથાઓમાં આવી જતી એકવિધતા અને એમની મર્યાદાઓ દર્શાવીને લેખકે ‘પૂર્ણિમા’ અને ‘દિવ્યચક્ષુ’ની વિશેષતાઓ ૫ણ સ્પષ્ટ કરી એમનું ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. એમની સામાજિક નવલકથાઓના બે તબક્કાઓની ભેદરેખા લેખકે સંક્ષિપ્તમાં સ્પષ્ટ રીતે દોરી બતાવી છે. ટૂંકમાં સમસામયિકતા એ રમણલાલના સાહિત્યની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા અને સૌથી મોટી મર્યાદા કઈ રીતે બને છે એ અભ્યાસી વિવેચકે મિતાક્ષરી છતાં સરળ અને રોચક શૈલીમાં સમર્થ રીતે સ્થાપિત કર્યું છે.

– બહાદુરશાહ પંડિત
‘ગ્રંથ’, ડિસેમ્બર 1980, પૃ. ૪૮