ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/સર્જક-પરિચય

From Ekatra Wiki
Revision as of 15:00, 1 June 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search


સંપાદક-પરિચય

જ્યોતિષ જગન્નાથ જાની
(૯-૧૧-૧૯૨૮ — ૧૭-૩-૨૦૦૫)

Writer Jyotish Jani.jpg


ખેડા જિલ્લાના પીજ ગામે જન્મ. સુરતની ગોપીપુરાની શાળામાંથી ૧૯૪૫માં મૅટ્રિક થયા. એમ.ટી.બી. અમદાવાદ કૉલેજમાંથી મુખ્ય વિષય રસાયણશાસ્ત્ર સાથે ૧૯૫૧માં બી.એસસી. કર્યું. ૧૯૬૩માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા અભ્યાસ કર્યો. ૧૯૬૨થી ૧૯૬૬ ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના ઉપતંત્રી, ૧૯૬૫માં ‘ધર્મસંદેશ’ના સહાયક સંપાદક, ૧૯૬૬થી ૧૯૬૭ દરમિયાન જ્યોતિ લિ. વડોદરામાં આસિસ્ટંટ પબ્લિસિટી ઑફિસર. ૧૯૭૧થી ત્રણેક વર્ષ પ્રગટ થયેલા સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા’ના તંત્રી ૧૯૭૪થી ૧૯૭૩ દરમિયાન વડોદરામાં જ સિટીઝન્સ કાઉન્સિલમાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર. ૧૯૮૩થી ૧૯૮૬ ગુજરાતી દૈનિક ‘લોકસત્તા’ના ઉપતંત્રી. ૧૯૮૬થી ૧૯૯૦ દરમિયાન ‘શબ્દસૃષ્ટિ’ના માનાર્હ સંપાદક. અમદાવાદમાં સાહિત્યિક મિત્રોની ‘રે’ મઠની સ્થાપનામાં સહભાગી બન્યા. મુંબઈમાં ચુનીલાલ મડિયાના માર્ગદર્શન તળે ચાલતી ‘વાર્તાવર્તુળ’ની સ્થાપનામાં રસ લઈને કામ કર્યું. આંતરરાષ્ટ્રીય બાળવર્ષ ૧૯૭૯માં જોડિયાં બાળકો ઉપર બાળવાર્તાઓ લખી ત્રણે ત્રણ પારિતોષિકો મેળવ્યાં હતાં. ‘ઘાસની નદી’ નવલિકા માટે તેમજ સમગ્ર નવલિકાના ક્ષેત્રે કરેલા પ્રદાન માટે સાબરકાંઠાનાં ભિલોડા કેળવણીમંડળ ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી પારિતોષિક એનાયત થયું છે. તેમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૭૦)ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક મળ્યું છે. તેમ જ ‘અચલા’ નવલકથાને પારેખ વલ્લભરામ હેમચંદ્ર લાઇબ્રેરી પારિતોષિક મળ્યું છે. ભારત સરકાર દ્વારા ૧૯૯૩-૯૫માં લોકનાટ્ય માટે સિનિયર ફેલોશિપ તેમને પ્રાપ્ત થઈ હતી. ૧૭મી માર્ચ, ૨૦૦૫ના દિને ૭૭ વર્ષની વયે વડોદરામાં તેમનું અવસાન થયું.

—ઈતુભાઈ કુરકુટિયા
‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૭’માંથી સાભાર