ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/સંપાદક-પરિચય
પીતાંબર નરસિંહભાઈ પટેલ (૧૦-८-૧૯૧૮ – ૨૪-૫-૧૯૭૭): મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વવિદ્યાલય કડીમાં. ૧૯૩૬માં મૅટ્રિક. ૧૯૪૦માં અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. ૧૯૫૬થી ’૫૯ દરમ્યાન આકાશવાણી-અમદાવાદ સાથે સંલગ્ન. એ પછી ‘સંદેશ’ના તંત્રીવિભાગમાં તેમ જ વાર્તામાસિક ‘આરામ’ના સંપાદક. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૬ વર્ષ સુધી મંત્રી તેમજ ગુજરાતની લેખક-મિલન જેવી સાહિત્યિક તથા વિવિધ સામાજિક-સાંસ્કૃતિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય. ગુજરાત રાજ્યના પંચાયત સેવા કમિશનના સભ્ય તથા અધ્યક્ષ તરીકે સેવા આપવા ઉપરાંત એમણે ૧૯૬૭ની વિધાનસભાની ચૂંટણી લડવાની સક્રિયતા પણ દાખવી હતી. એમનું અવસાન અમદાવાદમાં થયું હતું. ટૉલ્સ્ટૉય, પર્લ બક, રવીન્દ્રનાથ, શરદબાબુ અને ગુજરાતી નવલકથાકાર ર. વ. દેસાઈની રચનાઓના વાચનથી અને ગાંધીજીના જીવનદર્શનથી પ્રભાવિત પીતાંબર પટેલ લોકસેવા તરફ વળ્યા હતા. એ ભૂમિકાએ પ્રત્યક્ષ જનજીવન અને તેના પ્રતિબિંબરૂપ સાહિત્ય – ઉભય ક્ષેત્રે એમણે કારકિર્દી ઘડી હતી. અભ્યાસકાળ દરમિયાન બી.એ.માં એમને વિવેચક રા. વિ. પાઠકના તથા એમ.એ.માં રસિકભાઈ પરીખ, કે. કા. શાસ્ત્રી અને ઉમાશંકર જોશીના વિદ્યાર્થી થવાનું સદ્ભાગ્ય મળ્યું હતું. એમ થતાં પીતાંબર પટેલ સાહિત્યસર્જન તથા સાહિત્યિક સંસ્થાઓમાં સંચાલન-સંગોપન માટે પ્રેરાયા હતા. એમનાં સાત પુસ્તકો ગુજરાત રાજ્ય દ્વારા અને બે પુસ્તકો ભારત સરકાર દ્વારા પુરસ્કૃત કરાયાં છે.
ચિમનલાલ ત્રિવેદી
✼ ✼ ✼