ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/કૃતિ-પરિચય
કૃતિ-પરિચય
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે. આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.
– ચિમનલાલ ત્રિવેદી
પરામર્શક