તખુની વાર્તા/સર્જક-પરિચય

Revision as of 15:37, 25 June 2024 by Shnehrashmi (talk | contribs)


સર્જક-પરિચય

અજિત ઠાકોર (જન્મ ૧૪-૫-૧૯૫૦)

—નવનીત જાની


અજિતસિંહ ઈશ્વરસિંહ ઠાકોરનો, અજિત ઠાકોરનો જન્મ વાંકાનેડા(તા. પલસાણા, જિ. સુરત)માં થયો હતો. વતન સુરત જિલ્લાનું તરસાડી, કોસંબા (આર.એસ.) ગામ. સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક (૧૯૭૩) અભ્યાસપૂર્ણ કરી ૧૯૭૩-૭૪માં કંટવા(તા. માંગરોળ, જિ. સુરત)માં શિક્ષક તરીકે જોડાયા. થોડો સમય જંબુસર અને ભરૂચની કૉલેજોમાં ખંડ—સમયના પ્રાધ્યાપક રહ્યા. ૧૯૭૫-૭૭માં રાજપીપળામાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા. નેત્રંગ(જિ. ભરૂચ)માં સંખ્યાધિક વ્યાખ્યાતા તરીકે જોડાઈ, ૧૯૮૩થી એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજ, સુરતમાં સ્થાયી થયા. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરથી સંસ્કૃતના રીડર—પ્રોફેસર તરીકે નિવૃત્ત ૧૯૮૩માં ‘અલંકાર સર્વસ્વ (રુપ્યર્ક) : એક અધ્યયન’ વિષયમાં પીએચ. ડી.ની ઉપાધિ મેળવી. તેમને ‘માવઠું’ વાર્તા માટે ૧૯૯૪નો કથા ઍવૉર્ડ, દિલ્હી, ૧૯૯૯માં ઉમાશંકર જોશી પારિતોષિક તેમજ ‘તખુની વાર્તા’ (૨૦૦૬) માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. પરિષ્કૃતિ સિદ્ધાંતને સૂત્ર-વૃત્તિરૂપ નિરૂપણ પદ્ધતિથી વ્યાખ્યાયિત કરતો ‘પરિષ્કૃતિવિમર્શ’ ગ્રંથ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવામાં છે.