સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઉમાશંકર જોષી
[આ ત્રણે કાવ્યો ગીતના પ્રકારનાં છે. ગાવા માટે લખાયેલું કાવ્ય તે ગીત. ત્રણેના ઢાળ એટલા સરળ છે કે સહેજ પ્રયત્ન કરતાં સહેલાઈથી એ ગાઈ શકાશે. પહેલા ગીતમાં દરેક ચરણે એક એક સુરેખ ચિત્ર ચીતરાઈ રહે છે. સમુદ્રમાં હોડી જેમ જેમ આગળ જાય તેમ તેમ એક પછી એક ક્ષિતિજો ઊઘડતી જાય તેનું વર્ણન કરતી પંક્તિ ‘સામે આભના તે આંગળા ખૂલે’ એનું સુન્દર ઉદાહરણ છે. આ કાવ્યને રૂપક કાવ્યનો— એક પ્રકાર લેખી કોઈ વિશેષાર્થ કાઢવાનો પ્રયત્ન કરવા કરતાં માત્ર એક હોડીના જ વર્ણન લેખે વાંચતાં સહજ રસાસ્વાદ થઈ શકશે. બીજું ગીત માનવ હૃદયની સૂક્ષ્મ લાગણીઓને સ્પર્શે છે. કાવ્યમાં કોઈ એક ગીતની શોધનું વર્ણન આવે છે. એ ગીત કયું છે તે તો આપણને સ્પષ્ટ રીતે નથી કહેવામાં આવતું. પણ એ ગીતની શોધ ક્યાં ક્યાં કરવામાં આવી છે તે જણાવ્યું છે. શ્રી નરસિંહરાવ કૃત ‘તુજ પ્રેમના સંદેશ ક્યાં?’ કાવ્ય ઉપરની નોંધ જોજો, અને તેની સાથે સરખાવીને આ કાવ્ય વાંચજો. ત્રીજા ગીતમાં જે ભાવ છે તેવો ભાવ કોઈ વખતે તમે પણ નથી અનુભવતા? અને કોકિલાનો માળો એટલે શું? કોકિલા માળો બાંધે છે? કે અશક્ય વસ્તુઓની જ આ ઝંખના છે?]