ભરત વિંઝુડાની ગઝલસંપદા/સહેજે નહીં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૬
સહેજે નહીં

જીવું છું એમ સળવળવાનું, ટળવળવાનું સહેજે નહીં,
કવિતાઓ જ લખવાની બીજું કરવાનું સહેજે નહીં!

ભીતરમાં ને ભીતરમાં નાહી ધોઈ સૂઈ જાવાનું,
ઉઘાડી દ્વાર ઘરની બહાર નીકળવાનું સહેજે નહીં!

મહોબતનો કરી સ્વીકાર એવી શર્ત રાખે છે,
નજર સામે જ રહેવાનું અને મળવાનું સહેજે નહીં!

તમે એ બે જણાં વચ્ચેનું સંપર્કસૂત્ર સમજાવો,
કહેવાનું બધું ને સામે સાંભળવાનું સહેજે નહીં!

અગર આંખોમાં આવે આંસુ તો એકાંતમાં જઈને,
વહાવી નાખવાના એને પણ રડવાનું સહેજે નહીં!

બધાં એ રોશનીમાં શોભી ઊઠે એવું કરવાનું,
દીવાએ માત્ર બળવાનું છે, ઝળહળવાનું સહેજે નહીં!

(તમે કવિતા છો)