સોરઠી સંતવાણી/5

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માનવ-અવતાર

માનવ-દેહને વિશે ગવાતી ભજનવાણી બહોળી છે. એને ‘પાણીનો પરપોટો’, ‘કાગળની કોઠી’ એવી એવી ઉપમાઓથી ક્ષણભંગુર, તકલાદી, મેલી ને ગંદી બેશક કહી છે, પણ એથી યે અધિક પ્રમાણમાં તો માનવ-દેહને મનોહારી મોરલો, દીપક-જલતું દેવળ, ફૂલની વાડી, અમર આંબાની ભૂમિ, પ્રેમનું ખેતર, પ્રભુ-ધણીરૂપી મહાન શેઠ સ્વામીની સુંદર સમૃદ્ધ નગરીરૂપે વર્ણવી છે : શરીરની અવહેલના, અવગણના કે નફરત ન કરતાં ભજનિકોએ એની સ્તુતિ કરી છે. ભજનોમાં માનવજન્મરૂપી મોરલાનું મૃત્યુલોકમાં અવતરતાં સ્વાગત છે. ને પછી કાયા-નગરીનું ભભકેદાર વર્ણન છે. હે માનવજીવ રૂપી વણિક વાણોતર! તું ભૂલીશ નહીં કે તારો શેઠ — માલિક પ્રભુ — આ કાયા-નગરીમાં હાજર છે. માટે ગફલત કરીશ નહીં. તારે જે કાંઈ ઝવેરાત મૂલવવું હોય તે આ ‘શેઠ’ની કને જઈને વહોરજે. જો તો ખરો, તારા સ્વામીની નગરી આ કાયા! અંદર દેવ-કચેરી બેઠી છે. વાદ્યો વાગે છે, ઊર્મિઓરૂપી નર્તિકાઓ નાચે છે, નાડીઓરૂપી નદીઓ વહે છે. દિલરૂપી દરિયા લહેરાય છે. તું અંદર જઈ પહોંચ ને હીરારત્ન પરખી લે. પ્રભુરૂપી શેઠ આ નગરીમાં જ છે. આ ભજનોમાં દેહને પવનનો બનાવેલ ચરખો કહી વર્ણવ્યો છે. એ ‘ધૂડના ઢગલા’માં જીવનની જ્યોત જલતી બતાવી છે, અને ઠપકો દીધો છે, કે આ પોતાના જ દેહરૂપી ઘરને દીવે જો અગમ્ય તત્ત્વની સૂઝ ન પડી, તો પછી ઉધારાં પારકાં જ્ઞાન-ઉપદેશથી શું ‘એના ઘરનો’ ભેદ ઉકેલાવાનો છે?