ગુજરાતી નારીસંપદા : કવિતા/મા - ૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મા

રખાબા સરવૈયા

રાંધણિયામાં ચુલો પેટાવવામાં જ
ઊગેલાં અને આથમેલા
કંઈ કે...ટલાંય સૂરજ
ઢળતી ઉંમરે સ્થિર થઇ ગયા
માની આંખના મોતિયામાં

સુખ નામનાં પ્રદેશની
સફરે નીકળેલી મા
ભટકતી રહી, વણઝારાની જેમ
એક હૃદયથી બીજા હૃદય...
અને જીવનની અંતિમ સફરમાં!
એની નનામીમાં ભાર હતો
કેવળ દુ:ખની પોઠ્યુંનો!

મુદત સુધી જેમની પાસે ફુરસદ નહોતી
માની બે’ક વાત સાંભળવાની!
આજે એ સૌ બેઠા કલાકો લગી,
માની સળગતી ચિતા પાસે.

ડેલીના ડાયરામાં હાકોટા પડકારા
કરીને કસુંબા ઘોળતા બાપુજીની
છાતીમાં જીવતે-જાગતે જ
થીજીને જામી ગયું
માનું મૃત્યું!!!

***