ભરત વિંઝુડાની ગઝલસંપદા/ચિંતન કરો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪૯
ચિંતન કરો

પોતપોતાના વિશે ચિંતન કરો,
કંઈ વિસર્જન ને કશું સર્જન કરો.

કામ બાકી રહી જવાના છે ઘણાં,
એના માટે કંઈક આયોજન કરો.

આપણાથી છે વધુ લાયક જનો,
તો પછી એનું અભિવાદન કરો.

નામ એમાં કોનાં-કોનાં બોલવા,
એકસાથે સૌને સંબોધન કરો.

જેમને ભેટી પડો છો એમને,
કો’ક દી ભેટો નહીં, વંદન કરો.

પુસ્તકો જોયા કરો એવું નહીં,
જે જુઓ એનું તમે વાંચન કરો.

ગાઈ નાખો રાષ્ટ્રગીત તો ઊઠીએ,
આ સભાનું જલદી જનગણમન કરો.

(મૌનમાં સમજાય એવું)