રસસિદ્ધાંત—એક પરિચય/‘રસ’ની સંજ્ઞાના મુખ્ય અને ગૌણ સંકેતો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. ‘રસ’ની સંજ્ઞાના મુખ્ય અને ગૌણ સંકેતો

રસસિદ્ધાંતની ચર્ચાઓમાં તેમજ કૃતિવિવેચનોમાં ‘રસ’ની સંજ્ઞાના મુખ્ય અર્થ ઉપરાંત બીજા સંકેતો જોવા મળશે. એમાં મુખ્ય અને ગૌણનો વિવેક કરીને ચાલવાનું રહે છે. (૧) સહૃદયના ચિત્તમાં કાવ્યનાટકાદિના યોગે જે અલૌકિક ભાવ જન્મે છે અને અલૌકિક કોટિનો હોવાને કારણે જે સ્વયં આહ્‌લાદરૂપ છે તે ‘રસ’ છે. અહીં ‘રસ’ની સંજ્ઞા કાવ્યનાટકાદિના યોગે સહૃદયમાં જે વિલક્ષણ ચૈતસિક સ્થિતિ કે પ્રક્રિયા સંભવે છે તેને અનુલક્ષે છે, આ ક્ષણોમાં ભાવકનું ચિત્ત આનંદ અને પ્રકાશથી ભરાઈ જાય છે. સંસારમાં આપણે જેને સુખની લાગણી તરીકે ઓળખીએ છીએ તેથી રસની અનુભૂતિ તત્ત્વતઃ ભિન્ન હોય છે. એનું કારણ એ છે કે કાવ્ય-નાટકાદિમાં રજૂ થતાં પાત્રો, પ્રસંગો, ભાવો આદિ તત્ત્વો વ્યવહારનાં માનવીઓ અને પ્રસંગોથી જુદી ભૂમિકા પર મંડાયાં હોય છે. કવિએ નિર્મેલી સૃષ્ટિ અ-લૌકિક હોવાને કારણે જ તો આસ્વાદનો વિષય બની શકે છે. વ્યવહાર જગતના પદાર્થો પરત્વે વ્યક્તિ રાગદ્વેષ, લાભાલાભ આદિ વૃત્તિઓ ધરાવતો હોય છે, એટલે તે સુખદુઃખ બંનેનું કારણ બની શકે છે. પણ સાહિત્યકૃતિની અલૌકિકતા સહૃદયને આવી વૃત્તિઓથી મુક્ત કરે છે. આથી તેનું ચિત્ત રસના સ્રોત સમી કળાકૃતિમાં ઠરવા પામે છે. રસાનુભૂતિ એ સહૃદયની એકાગ્ર એકઘન અને અખંડ સંવિત્તિનો સાક્ષાત્કાર માત્ર છે. ‘રસ’ સંજ્ઞાનો આ મુખ્ય અર્થ છે, અને એ જ એનો શાસ્ત્રીય અર્થ પણ છે. (૨) સહૃદયના અંતરમાં લોકોત્તર આહ્‌લાદ જગાડવામાં જે નિમિત્ત બને છે તે કાવ્યના ભાવ કે ભાવસંકુલને પણ ઉપચારથી ‘રસ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘ઉત્તરરામચરિત’ કરુણ રસની રચના છે” કે “ ‘શાકુંતલ’માં શૃંગાર નહિ, શાન્ત જ મુખ્ય રસ છે” – આ પ્રકારનાં અવલોકનોમાં રસની કૃતિપક્ષે સ્થાપના કરવામાં આવી દેખાશે. પણ આ કોઈ શાસ્ત્રને અભિમત અર્થ નથી. (૩) કાવ્યાદિમાં વ્યક્ત થતો કવિહૃદયને ભાવ પણ રસરૂપ છે, એેવો એક ખ્યાલ અભિનવે પ્રસ્તુત કરેલો છે. રસના ઘટનાચક્રમાં કવિ, નટ અને સામાજિક ત્રણેને સાંકળવાનો તેમનો પ્રયત્ન એમાં જોઈ શકાશે. કવિહૃદયમાં જન્મતો ભાવ રસનું બીજ છે, કાવ્ય એનું વૃક્ષ છે, નટના અભિનયાદિ વ્યાપારો પુષ્પને સ્થાને છે, જ્યારે સામાજિકનો રસબોધ તેનું ફલ છે. અભિનવને એમ સૂચવવું છે કે સામાજિકમાં આહ્‌લાદ જગાડતું રસતત્ત્વ મૂળ તો કવિના હૃદયમાં જ પડ્યું હતું, અને રસાનુભૂતિની સમાન ભૂમિકા પર જ સર્જક અને સામાજિકનું મિલન થાય છે. ‘રસ’ સંજ્ઞાનો આ પણ એક ગૌણ અર્થ છે. રસચર્ચાના વિકાસમાં ઉપર નિર્દિષ્ટ ત્રણ અર્થો પૈકી સહૃદયની રસાનુભૂતિનો અર્થ જ કેન્દ્રમાં રહ્યો છે, તે નોંધપાત્ર છે. સાહિત્યકૃતિમાં જ રસનું અધિષ્ઠાન હેાય તો ૫ણ સહૃદયને રસ અનુભૂતિમાં આવતો નથી ત્યાં સુધી તેની ઉપસ્થિતિ પ્રશ્નાર્થ રહે છે. રસની પ્રતીતિ ભાવકના ચિત્તમાં થાય ત્યારે, અને ત્યારે જ, તે અસ્તિત્વમાં આવે છે. કેવળ સ્વસંવેદનથી જ રસતત્ત્વને પામી શકાય છે. એટલે સાહિત્યકૃતિના સંદર્ભે રસબોધની જે પ્રક્રિયા ચાલે છે તેના સ્વરૂપનો વિચાર રસસિદ્ધાંતના વિકાસમાં મુખ્ય પ્રેરક બળ બની રહ્યો દેખાય છે. કળાકૃતિના યોગે ભાવકના ચિત્તમાં રસની તીવ્રતમ અનુભૂતિ થાય છે ત્યારે આનંદની સમાધિનો અનુભવ થાય છે. તેના આત્માની એ પૂર્ણ મુદામય અવસ્થા સંભવે છે. આવી પરમ આનંદની ક્ષણોને પ્રાચીન આચાર્યોએ ‘નિર્વેશ’, ‘રસન’, ‘આસ્વાદન’, ‘ભોગ’, ‘લય’, ‘સમાપત્તિ’, ‘વિશ્રાંતિ’ જેવી સંજ્ઞાઓથી પણ ઓળખાવી છે. આ સંદર્ભમાં આપણે એમ નોંધવાનું રહે છે કે પાશ્ચાત્ય વિવેચન અને સૌંદર્યમીમાંસાના કેન્દ્રમાં રહેલી aesthetic experience સંજ્ઞા ભારતીય સાહિત્યમીમાંસાની ‘રસ’ સંજ્ઞાથી વ્યાપક છે. એથી સાહિત્યાદિ કળાઓમાંથી મળતા સૌંદર્યબોધ ઉપરાંત પ્રકૃતિનાં દૃશ્યો કે પદાર્થોનો સૌંદર્યબોધ પણ સૂચવાય છે. ‘રસ’ની સંજ્ઞા કાવ્યનાટકાદિ કળાઓને અનુલક્ષે છે, પ્રકૃતિના સૌંદર્યને નહિ.