સાહિત્ય પલ્લવ – ભાગ ૧/દયારામ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દયારામ

[દયારામ કવિની ગરબીઓ પ્રખ્યાત છે. તેમની ગરબીઓમાં સરળતા અને મીઠાશ છે. વાણી સીધી અને રસભરી છે. ઘણી વાર તે દાખલા આપી પોતાની વાત ઠસાવે છે. ‘શ્યામ રંગ’ એ ગરબી છે. તેમાં કાળા રંગની તમામ વસ્તુઓને છોડી દેવાનો ગોપીનો નિશ્ચય રજૂ કર્યો છે. કૃષ્ણમાં છે તેવું તે ચીજોમાં પણ કપટ હશે એવી માન્યતાથી એ નિશ્ચય કરાયો છે. પણ છેવટે કવિ કહે છે કે, મુખથી ભલે નીમ લીધો, મન એ પ્રમાણે વર્તવા ક્યાં તૈયાર છે? ‘જે કોઈ પ્રેમઅંશ૰’ અને ‘ચિત્ત તું શીદને ચિંતા ધરે?’ એ બે પદો છે. દયારામ બોધનાં અને ભક્તિનાં પદ પણ ગરબી જેટલી જ મીઠાશવાળાં રચી શકતા તેના એ નમૂના છે. ૨. જરે — પચે. ૩. પાખે — સિવાય. કહેવાય છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે. બીજા વાસણને ફોડી આરપાર નીકળે. ૬. સોમવેલી — સોમવલ્લીમાંથી કાઢેલો સોમરસ ઋષિઓ વેદના વખતમાં પીતા એવું વર્ણન છે. પણ તે શું, એ વિદ્વાનો નક્કી કરી શક્યા નથી. ૭. વગરવંશી — વંશ વગરનાને, હલકી વર્ણના માણસને (?) ૩. પરે — દૂર. (પરું=દૂર.) ૮. પ્રભુ જે રીતે શ્રીફળમાં પાણી પહોંચાડે છે એ રીતે, આપણી પાસે પણ કોઈ વસ્તુ આવવાની હશે તો સહેજે આવશે. ૯. કહે છે કે હાથી કોઠું ગળી જાય તે પછી જ્યારે એ બહાર આવે છે ત્યારે પણ આખું ને આખું જ હોય છે, પણ ભાંગો તો અંદર ગર્ભ ન મળે. અંદરનો ગર્ભ હાથી કોઈ રીતે ખાઈ જાય છે ને ઉપરનું કોચલું એમ ને એમ રહે છે. કવિ કહે છે કે, તું બધી બાજુથી તારી માલમતાને સાચવવા કરીશ, પણ બહારથી બધું અકબંધ લાગતું હશે છતાં અંદરથી પ્રભુ સારવસ્તુને ઉપાડી લેશે. પેલા કોઠાનું હાથી કરે છે તેમ જ તો! ૧૨. સુખ સંચે —સુખનો સંચય કરે.]