સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ગોકુળ વ્હેલા પધારજો રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫. ગોકુળ વ્હેલા પધારજો રે

નરસિંહ મહેતા

ગોકુળ વ્હેલા પધારજો રે, મથુરા જાઓ તો મારા સમ હો લાલ. ગો૦
અક્રૂર આવ્યા તેડવા, તે તો મારા દુખડાનો દેનાર રે લાલ. ગો૦
બળીભદ્ર બેઠા રથમાં, હરિ હળધરનું જુગતે જોડું લાલ. ગો૦
આણી આણી શેરડીએ પ્રભુ મારા, રથ લાવો પાછા લાલ. ગો૦
રાણી રાધા બેઠાં આડાં થઈ, પ્રભુ મારા હૃદિયાપર રથ ખેડો લાલ. ગો૦
વહાણમાં જોતી વાટડી, પિયુ મળસકે અમને તજ્યાં લાલ. ગો૦
ગોકુળ મથુરા છે બે ગામડાં, વચમાં જમનાજી ભરપૂર રે લાલ. ગો૦
મથુરામાં મામાને મળવા જતાં, વહાલા કેમ રાખ્યું ન હેત લાલ. ગો૦
જગજીવન મારો-જિવાડો, મથુરામાં જાઓ તો પ્રાણ નાંખું કાઢી લાલ. ગો૦
નરસૈંયાનો સ્વામી શામળો, વહાલે ફરી રમાડ્યાં ન રાસ લાલ. ગો૦