સાહિત્ય પલ્લવ – ભાગ ૨/રાસલીલા
૪. રાસલીલા
નરસિંહ મહેતા
વહાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ. વ૦
ગોકુળની વ્રીજનાર કે વેગે બોલાવજો રે લોલ. વ૦
અમને રાસ રમ્યાના કોડ કે નાથ સંગ બેલડી રે લોલ. વ૦
લેવા મુખડાના મુકરંદ કે મલી તેવતેવડીરે લોલ. વ૦
રૂડો વંસીવટનો ચોક કે કુંજ શોભા ઘણી રે લોલ. વ૦
રૂડું જમનાજીનું તીર કે ત્રટ રળિયામણું રે લોલ. વ૦
મળિયો વ્રીજવીનતાનો સાથ કે તાલી દે હાથશું રે લોલ. વ૦
રૂડી શરદ પૂનમની રાત કે, સુંદર સોહામણી રે લોલ. વ૦
જોવા મળિયા ચૌદે લોક કે ઇંદ્ર ત્યાં આવિયા રે લોલ. વ૦
રૂડાં પારિજાતકનાં પુષ્પ કે પ્રભુને વધાવિયા રે લોલ. વ૦
બ્રહ્મા રુદ્ર ધરે એનું ધ્યાન કે પાર પામે નહિ રે લોલ. વ૦
નાચે નરસૈંચો સુખ જોઈ કે લીલા નાથની રે લોલ. વ૦