સાહિત્ય પલ્લવ – ભાગ ૨/હરિશ્ચંદ્ર ભટ્ટ
[નીચેનાં બે લઘુ ઊર્મિકાવ્યોમાં અત્યંત નાજુકાઈ-ભરેલા ભાવોની મનોરમ રજૂઆત છે. પહેલું કાવ્ય માતૃભક્તિનું છે. માતા આપણને શરીર તો આપે છે જ. પણ તે બીજું પણ કેટલું બધું આપે છે? કવિ કહે છે કે, યુગો યુગોની કોઈ ગુપ્ત વાંછના મારી મારફત મૂર્તિમંત થવા તલસી રહી હતી. તેને વેગ કોણે આપ્યો? માતાએ. આ રીતે હું ‘દ્વિજ’ (બીજો જેનો જન્મ થયો છે તેવો) થયો. બંને જન્મ કોને આભારી? માતાને. આવી માતાનાં ગીત જો આ જન્મે અધૂરાં રહી જાય તો? જવાબમાં કવિની લીટીઓનું જ આપણે રટણ કરવું યોગ્ય છે. બીજા કાવ્યનું શીર્ષક ‘વસંત પંચમીએ મૃત્યુ પામેલી બહેનને’ એમ છે. આ કાવ્યમાં બહેનના અકાલ મરણનો શોક કવિએ નિરૂપ્યો છે. જીવનના વસંતકાલમાં જ મૃત્યુ! જીવન-ચુંદડી પહેરી ન પહેરી ત્યાં સરી પડી! અને શણગાર પૂરો ક્યાં કર્યો? ચિતામાં. જીવીને પણ સુખ જ પામત એ કાંઈ નક્કી નથી. પણ સંસારનાં જળમાંથી અંજલિ ભરી અને તેનો આસ્વાદ પામતાં પહેલાં જ પાણીમાં પગ લપસી ગયો! જીવનની પાનખર (શિશિર)ની ઠંડીમાં મૃત્યુનો દવ બધી કોમળ વસ્તુઓને પણ બાળે તો તે હજી સમજી શકાય. પણ આ તો જીવનની આશાથી ભર્યાં ભર્યા વસંતકાળમાં જ આમ બન્યું! છેલ્લે બે વાર અરે - અરે આવે છે તે જાણે નજરોનજર અકસ્માત બનતો હોય ને તે ટાળવા માટે દોડી જતાં મોમાંથી શબ્દો નીકળી જતા ન હોય, એવું કરુણ વાતાવરણ ઉપજાવે છે.]