અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ)

Revision as of 18:44, 3 September 2021 by Atulraval (talk | contribs)
ફાર્બસ વિરહ

દલપતરામ


(મનહર છંદ)

શાણા સુબા ફારબસે સ્વર્ગમાં કર્યો નિવાસ,
તેનો શોક તજી શા થકી સંતોષ વાળવો;
કવિતા જહાજનો તે ભાગી પડ્યો કુવાથંભ,
ખરેખરો ખેદ તે તો કેમ કરી ટાળવો;
પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાગી પડી,
હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો;
દાખે દલપતરામ પામરનો પાળનાર,
મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો.

ઇંદ્રવિજય છંદ

તે મુજ મિત્ર ગયો તદનંતર, અંતર દુ :ખ નિરંતર આવે;
જાતું રહ્યું સુખ તો શત જોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે;
તેનિ છબી જ તરે નજરે, કદી એક કલાક ન છેક છુપાવે;
કષ્ટ કથા દલપત્ત કહે, કહું કોણ કને દુ :ખ કોણ કપાવે.

તર્કવિતર્ક કવિત્વ તણો, કવિના દિલ માંહિ શિથીલ દેખાણો;
દેશી તણી દરશાઈ દશા બુરિ, જ્યાં તહાં લક્ષ્મિવિનાશ જણાણો;
બુદ્ધિ ફરી બુદ્ધિમાન જનોની, ભલાજનનો પણ જીવ ભ્રમાણો.
દેખિ એવું દલપત્ત કહે, નર ફાર્બસ સ્વર્ગ ગયો મન જાણ્યો.

દોહરો

નિર્ધન લોકો નિરખિયે, સદન સદન બહુ શોક;
સાહેબ ફાર્બસ સાથ ગઈ, લક્ષ્મી પણ પરલોક.

મનહર છંદ

સંધ્યા સમે વસુધા ને વ્યોમતણા સાંધા વિષે,
અવલોક્યો રાતો આભ ચઢીને અગાશિયે;
જાણે કે કિન્લાક સુબો જગત તજી જવાથી,
ભૂમિએ ભગવો ભેખ ઓઢ્યો છે ઉદાસિયે;
સૂર્ય શશિ સામસામા પશ્ચિમ પૂરવ પાસે,
તેની ઉપમા તો તેવા તર્કથી તપાશિયે;
જોગણી બણી જરૂર જાણે દલપતરામ,
કાંધે ધરી કાવડ ધરણી ધાઈ કાશિયે.
વાલાના વિજોગવાળી વેદનાની વિગત તો,
જે જને જાણેલી હોય તે જ જન જાણશે;
પ્રસવની પીડા અપ્રસુતા તો પીછાણે નહિ,
પ્રસવની પીડા તો પ્રસુતા જ પીછાણશે;
ઘાયેલના ઘટ તણી ઘાયેલ ઘણીક જાણે,
અવર તો એ વિષે અંદેશો ઉર આણશે;
દાદુરનું દુ :ખ દેખી દાખે દલપતરામ,
હાડિયો તો હશી ખેલી ખેલ તે વખાણશે.

ઇંદ્રવિજય છંદ

ગામ ગરાસ ધરા ધન ધામનિ, ખોટનું દુ :ખ ખરૂં પણ ખોટું;
સંતતિહીન કુટુંબ કુસંપનું, છતિતણું દુ :ખ તે પણ છોટું;
ક્રોડ રિપૂ તણું કોણ ગણે, કદિ ચોગણું આવિ ચઢી દુઃખ ચોટ્યું;
મેં મનમાં અનુમાન કર્યું, દુખ મિત્રવિજોગનું સર્વથિ મોટું.

દોહરો

પૂછો ચાહિ ચકોરને, પૂછો જળચર કાય;
કાં તો પૂછો કમળને, સ્નેહિ ગયે શું થાય?



મનહર છંદ

ઉતરે નહિ ઉતારી તારી માયા મોહકારી,
કારીગરી તેની ન્યારી નારી અને નરથી;
વિસરે નહિ વિસારી, સારી સંભવે સંભારી,
ભારી છળભેદ ધારી, ધારીએ શું ધરથી;
પ્રથમ પમાડી પ્રીત, પ્રીતમ પ્રિયા સહિત,
હિત મટ્યું વિપરિત, રીતની અસરથી;
વાલીડા કિન્લાક વીર, વિરહે કિો અધિર,
ધીરજનું છાંટ નીર, નિરખી નજરથી.

(ધનાક્ષરી છંદ)

પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો,
પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ;
ધાઈ ધાઈ ભેટવાને આવતો હું તારે ધામ;
ધીમે રહી સામો ઉઠી આવતો તું ધાઈ ધાઈ;
ગાઈ ગાઈ ગીત તને રીઝવતો રૂડી રીતે,
ગુજારૂં છું દિવસ હું હવે દુઃખ ગાઈ ગાઈ;
ભાઈ ભાઈ કહીને બોલાવતો તું ભાવ ધરી,
ભલો મિત્રતાનો ભાવ ભજાવ્યો તેં ભાઈ ભાઈ.

(મનહર છંદ)

જે જે જગ્યા તારી જોડે જોતાં જીવ રાજી થતો,
તે-તે જગ્યા આજ અતિશે ઉદાસી આપે છે;
કાગળો કિન્લાક તારા દેખી દુઃખ દૂર થતું,
એ જ કાગળો આ કાળે કાળજાને કાપે છે;
જે જે તારાં વચનોથી સર્વથા વ્યથા જતી, તે
વચનો વિચારતાં વ્યથા વિશેષ વ્યાપે છે;
દૈવની ઉલટી ગતિ દીધી દલપત કહે,
જેથી સુખ શાંતિ થતી તે સઉ સંતાપે છે.
જો તું જળ સ્વચ્છ રૂપે તો હું બનું મત્સ રૂપે,
જો તું ચંદ્ર હોય તો ચકોર થવા ચાહું છું;
જો તું હોય દીવા રૂપે તો ધરૂં પતંગ અંગ,
તું વસંતરૂપ તું કોકિલ ગુણ ગાઊં છું,
જો તું હોય હીરા રૂપે તો હું બનું હેમ રૂપે,
તું સૂરજ વિના હું કમળ કરમાઊં છું;
કેવે રૂપે થયો ને ક્યાં ગયો તેની ગમ નથી,
એથી ઓ કિન્લાક મિત્ર મનમાં મુંઝાઊં છું.

(દોહરો)

અજર જગતમાં જઈ રહ્યો, સુખમય જ્યાં સંસ્થાન
જોતાં સજર જગતથકી, ગૂગ થયો ગુણવાન.
(નાગપાશ પ્રબંધ – હરિગીત છંદ)
ગુમ થૈ ગયો વિદ્વાન, કિધિ પક્કી પરમ અહિં નામના;
રે ભાર ભલ જશ ભાગ ભરિ, કરી કિમતવાચક કામના;
દુષ્કામ દુસ્તર તરિ તરત, ગત વાસમાં વિશ્રામના;
કિન્લાક કહિં જાદુ અજર જગ, રે દોસ્ત દલપતરામના.

(મનહર છંદ)

મળ્યાં હશે બીજાઓને મોટાં મોટાં માનપત્ર,
ચીંથરાં થઈ જશે તે ચુંથાઈ ચુંથાઈને;
બનાવી બનાવીને બેસાર્યાં હશે બાવલાં, તે
પાવલાંની કિંમતે કદી જશે વેચાઈને;
મસીદો, મીનારા કે કરાવેલા કીરતિથંભ;
ઘણે દોડે તે તો જશે સમૂળા ઘસાઈને,
કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ;
ફારબસતણા જશ રહેશે ફેલાઈને.
સિદ્ધાચળે સિદ્ધના દેશમાં સારા શ્રાવકોનાં,
પૂતળાં છે પણ એને યાદ કોણ આણે છે;
પાટણમાં પાટણના પાટવીનું પૂતળું છે,
પાટણના પુરુષ તે કોઈક પિછાણે છે;
મોટાં મોટાં માન મેળવીને કૈંક મરી ગયા,
જુઓ આજ જગતમાં જન કોણ જાણે છે,
વિક્રમ ને ભોજના ચરિત્રનાં વિચિત્ર કાવ્ય,
વિશ્વ વિષે વ્યાપવાથી વિશ્વ સૌ વખાણે છે.

(ઇન્દ્રવિજય છંદ)

પાર વિના ઉપકાર કર્યા, સરકારતણો અધિકાર ધરીને;
વાત જુની ઠકરાતતણી, દિનરાત લખી ગુજરાત ઠરીને;
માન મળ્યું પણ માનવીનું, અપમાન કર્યું ન ગુમાન કરીને;
ઇંગ્લિશ કે રૂશ આર્બ વિષે પણ, ફાર્બસ તુલ્ય થશે ન ફરીને.
જ્ઞાનનિદાની નહીં અભિમાની, દિવાનિ અદાલતનો શુભ દીવો;
લાખ પ્રકાર કર્યાં અભિલાખ, પ્રજાજન પાસ પ્રીતિરસ પીવો;
પ્યાર તથા કરતારતણો, સંધિકાર સદા સુવિચારથી શીવ્યો;
દેહ ધરી દલપત કહે, પિસતાળિશ વર્ષ પૂરાં નહિ જીવ્યો.

(મનહર છંદ)

શાણો સરદાર ગયો, હેતુ હિતકાર ગયો,
નોધારાં આધાર ગયો, યાર અનુભવિનો;
દયાળુ ઉદાર ગયો, ગુણી ગુણકાર ગયો,
બુદ્ધિનો બજાર ગયો, પાર નીતિ નવીનો;
સુખ સજનાર ગયો, દેવાંશી દાતાર ગયો,
સૃષ્ટિનો શૃંગાર ગયો, સાર રૂડા રવિનો;
દલ દોસ્તદાર ગયો, કાવ્યનો કોઠાર ગયો,
કિન્લાક શિકાર ગયો, કાર ગયો કવિનો.

(ઇન્દ્રવિજય છંદ)

તે શુણતો કવિતા મુજ તેથિ, દિલે કવિતા કવતાં સુખ દેતી;
આદર અન્ય કરે ન કરે પણ, લાયક કીમત ત્યાં થકિ લેતી;
મોંઘિ હતી મણિ માણલકથી, રખડાતિ થઈ રસતાતણિ રેતી;
શી કવિતા દલપત કહે કવું, ફાર્બસ જાણ વિનાનિ ફજેતી.
રે પ્રિય ફાર્બસ જો ફરિથી મળ, સારિ કરી કવિતા સંભળાવું;
સ્નેહ વધારૂં શૃંગારરસે હદ, હાસ્યરસે ખુબ ખૂબ હસાવું;
વીરરસે વળિ વલ્લભ વીર, શરીર વિષે અતિ શૂર ચઢાવું;
કદરદાર ઉદાર વિના, દલપત કહે ગુણ ક્યાં દરશાવું.

સમુદ્ર પ્રતિ ઉક્તિ (ઇન્દ્રવિજય છંદ)

રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સઘળાં થકિ સારૂં;
કૌસ્તુભ કામદુધા કરીરાજથિ, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
એક થકી ગુણ એક વશેક, વિવેક થકી કદિ વાત વિચારૂં,
ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં.

મેઘરાજા પ્રતિ ઉક્તિ (મનહર છંદ)

અરે મેઘરાય આઠ માસની મુસાફરીએ,
વેગળો ગયો તું પણ વેગે વળી આવજે;
સોબતમાં સારો શોધી લીધો મારા સોબતીને,
સોબતમાં સાથે પાછો લક્ષ રાખી લાવજે;
જગતના મિત્ર ને પવિત્ર છો જરૂ બંને,
રોજ રોજ રીત એવી રૂડી જ રખાવજે;
આવીને આ ઠામ વળી કહે દલપતરામ,
અંતરે આરામ મને અતિ ઉપજાવજે.

સાભ્રમતી પ્રતિ ઉક્તિ

સુણ સતી સાભ્રમતી ધીમી કેમ ધારી ગતિ,
વિરતિની મતિ કેમ રાખી મારી વીરી તેં;
કેમ થયું કૃષ અંગ, ક્યાં ગયા તારા તરંગ,
સંગ હતા દાદૂર તેં દૂર કર્યા શી રીતે;
બંને બાજુ ઓઢેલાં લીલાં રૂચિર ચીર હતાં,
ચિત્તમાં શી ચિંતા ચઢી ચીર નાંખ્યાં ચીરી તેં.
ઉદાસી દીસે છે આમ દાખે દલપતરામ.
ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં.

દુઃખ પ્રતિ ઉક્તિ (ઇંદ્રવિજય છંદ)

રે દુખ રૂપિ ભુંડા ભમરા તું, રખે કદિ ભોળપણે ભ્રમિ ભૂલે;
પેખિ પડ્યો દિલ-પંકજમાં, ચતુરાઈ ચતૂર પડી તુજ ચૂલે;
નીસરવાનિ ન રાખીશ આશ, ખરેખરૂં બંધન ખોલ્યું ન ખૂલે;
તે દિલપંકજ તો દલપતનું, ફાર્બસમિત્ર વિના નહિ ફૂલે.

કુકડા પ્રતિ ઉક્તિ (મનહર છંદ)

કાગળની બીડા પર કુકડાની છાપ દેખી,
દૂર હોય દોસ્ત તોય ધારતો હું ઢૂકડા;
ત્યારે મને તારા જેવા પ્યારા, કો ન સારા લાગ્યા,
ચિત્રના ચકોર, મોર, સારિકા, કે શુકડા;
મિત્રના લખેલા તે હું મોતી જેવા માની લેતો,
એમાં કદી કીધા હોય અક્ષર અધુકડા;
કહે દલપત, મિત્રપત્ર વિના પાસે આવી,
કાયા ન દેખાડીશ હું કહું તને કુકડા.
મિત્રના પૂર્વપત્ર વિષે
મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી,
પ્રાપ્ત થતો મને પ્રેમ પૂરણ ઘણાકનો;
વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય,
અતિશય એવી અર્થરચના અથાકનો;
દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહીં મીન મેખ,
લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો;
લઈ સંકેલાય નહીં તથા તજ્યો જાય નહીં,
અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો.

(દ્વિ-અર્થી દોહરો)

ફાગણ આગળ ગત, અને, આવ્યો ચૈતર અંત;
શરૂ બળેવમાં સાંભરે, પોસ અંત પર્યત.

(સોરઠા)

દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું;
નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું.
કઈક કહે મહારાજ, મુઆં મનુષ્ય જગાડશે;
એ દિન ક્યાંથી આજ, મળિએ ફાર્બસ મિત્રને.
મિત્ર પ્રતિ ઉક્તિ

(સોરઠા)

વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે;
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ. ૩૧
આજકાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ. ૩૨
પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં,
મિત્રતણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ. ૩૩
દિલ ન થશો દિલગીર, વલેરા મળશું વળી;
વંદિને એવું વીર, ફરીને ન મળ્યો ફારબસ. ૩૪
ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી;
છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ. ૩૫
દીઠા નહીં દેદાર, સંદેસો નહિ સાંભળ્યો;
કાગળ પણ કો વાર, ફરી ન લખિયો ફારબસ. ૩૬
હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો;
મળ્યે સ્વરગનો સાથ, ફંટાયો તું ફારબસ. ૩૭
માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં;
પણ પ્રીતીનૂં પાત્ર ફૂટી ગયું રે ફારબસ. ૩૮
લાખ લડાવ્યાં લાડ, સુખ તે તો સ્વપને ગયું;
ઝાઝાં દુઃખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ. ૩૯
અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો,
છેટું પડ્યાથી છેક, ફરું ઉદાસી ફારબસ. ૪૦
તારા બોલતણા જ, ભણકાર વાગે ભલા;
ઉપજે ઘાટ ઘણા જ, ફરિ ક્યાં દેખું ફારબસ. ૪૧
તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨
મન વાળવા વિષે

(મનહર છંદ)

અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,
તેનો પરિતાપ કીધે પાપફળ ફળશે;
કીધાથી હમેશ કલેશ વેદના વિશેષ થશે.
કાં તો તારું કાળજું ટકાવમાંથી ટળશે;
તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,
ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્ય મળશે;
ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,
જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે. ૪૩

(દોહરા)

પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;
પ્રીત ન કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત. ૪૪
વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ;
સદા ગયા પછિ સાંભરે, દિન દિન દાઝે દેહ. ૪૫

(સોરઠા)

મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;
કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને. ૪૬
જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;
કરી સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે. ૪૭
તે સ્ત્રીપુરૂષના ગુણ વિષે

(મનહર છંદ)

એક રંગ એક રૂપ, ધર્મ કર્મ મર્મ એક,
ચતુરતા એક ચિત્ત એક જ વિચારતાં;
એક ભક્તિ એક ભાવ એક જ સ્વભાવ શુદ્ધ,
નિરંતર એક જ લક્ષણ નરનારનાં;
પતિ નામ મિસ્તર ને પતની મિસીસ નામ,
ફારબસ જોડ એટલા જ ફેરફારનાં;
બહાર બે રૂપ પણ અંદર જણાય એક,
ગુણે “ષ્ટિરિયોસકોપ” પ્રતિમા-પ્રકારનાં. ૪૮
રાસમાળાના પુસ્તક વિષે
પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન,
પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;
પેખીએ પવિત્ર પત્ર, વાક્ય ફળ ફૂલ તત્ર,
બનેલી છબીઓ તે તો બની ગોપબાળા છે.
નૃપ કુળ વરણન ગણું ગીત ગાનતાન,
ગોઠવેલા રાગ ગોપ વાંશળીઓવાળા છે;
દીસે નવરસમય દાખે દલપતરામ,
રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે. ૪૯
સમાપ્તિ વિષે
વાંચનારને વિશેષ વિચાર પમાડનારી,
દીસે છે દેખાડનારી દોસ્તીના દેખાવની;
નીતિ લાભ નોંધનારા, બીજાઓને બાંધનારા,
સાબાશીના શોધનારા માહેબોના દાવની;
વરણવી એમાં વાત ખરેખરી થવા ખ્યાત,
સ્નેહવંત શાણા સરદારના સ્વભાવની,
રાખવા આ ઠામ નામ દાખે દલપતરામ;
બાંધી બુક ફારબસ વિરહ બનાવની. ૫૦