કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૬. લટને લ્હેરવું ગમે

Revision as of 09:12, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
૧૬. લટને લ્હેરવું ગમે

નિરંજન ભગત

તારી તે લટને લ્હેરવું ગમે,
ઘેલા કો હૈયાને ઘેરવું ગમે!

મંદ મંદ વાયુના મનગમતા છંદમાં,
વેણીનાં ફૂલની વ્હેતી સુગંધમાં,
ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!

એનું તે ઘેન કોઈ નેનમાં છવાય છે,
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે;
એ સૌ ઊલટભેર હેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!

૧૯૪૯

(બૃહદ છંદોલય, પૃ. ૧૦૨)