ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પુરુષોત્તમ વિશ્રામ માવજી

Revision as of 14:03, 18 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પુરુષોત્તમ વિશ્રામ માવજી

પ્રાચીન ઈતિહાસના અભ્યાસી, પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીમાં આપણા ઈલાકાનો અજેડ તથા સમૃદ્ધ સંગ્રહ એકઠો કરનાર અને સાહિત્ય તેમજ કલાપ્રચાર માટે સક્રિય પ્રયત્નો કરનાર આ ગર્ભશ્રીમંત ગૃહસ્થનો જન્મ ઈ.સ.૧૮૭૯ના નવેમ્બરની ૧૧મી તારીખે, સંવત ૧૯૩૫ના આશ્વિન વદ ૧૨ના રોજ કાઠિયાવાડમાં દ્વારકા પાસે આવેલા વરવાળા ગામમાં તેમના વતનમાં ભાટિયા જ્ઞતિમાં થયો હતો. એમના પિતાનું નામ વિશ્રામ માવજી અને એમની અટક સંપટ, પરંતુ એઓ મથાળે દર્શાવેલા પિતા તથા દાદાના સંયુક્ત નામ સાથે જ ઓળખાતાં, એમનાં માતાનું નામ માણેકબાઈ. માધ્યમિક શિક્ષણમાં મૅટ્રિક પસાર કરીને એમણે ઘેર મિ. જેમ્સ મેકડોનલ્ડ નામના અંગ્રેજ પાસે અભ્યાસ કર્યો અને એ અભ્યાસને પરિણામે જ એમનામાં ઇતિહાસ-અન્વેષણ, કલાપ્રેમ અને પ્રાચીન વસ્તુસંગ્રહનો શોખ પ્રકટ્યાં. એમના જીવન પર મુખ્ય અસર પણ એ મિ. મેકડોનલ્ડની, અને એ ઉપરાંત સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તથા સ્વ. સર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસીની પડેલી. એ ત્રણેના ગાઢ પરિચયમાં તે હતા, અને એ ઉપરાંત પણ પોતાના સંસ્કારી સ્વભાવ અને ઇતિહાસના અભ્યાસને કારણે તેઓ ઘણા રાજામહારાજાઓ, દેશપરદેશના વિદ્વાનો અને રાષ્ટ્રપ્રેમી રાજકીય આગેવાનોના સંસર્ગમાં આવેલા. એમનું પ્રથમ લગ્ન મુંબઈમાં સંવત ૧૯૫૨માં થએલું; દ્વિતીય લગ્ન લાનોલીમાં સંવત ૧૯૬૨માં થયું, એ એમનાં પત્નીનું નામ શ્રી. પ્રેમકુંવરબાઈ છે. એમને હંસરાજ નામના એક યુવાન પુત્ર હયાત છે, જેમણે બી. કોમ. તથા એલ. એલ. બી.ની પદવી પ્રાપ્ત કરી છે. એમનો મુખ્ય વ્યવસાય તો વ્યાપાર અને ઉદ્યોગ, અને ઉદ્યોગોમાં મુખ્યત્વે મીલો સંબંધીનો. એ ઉપરાંત આજે ધીખતી ચાલતી દ્વારકાની પ્રચંડ અને વિખ્યાત સીમેન્ટ ફૅક્ટરીના મૂળ સ્થાપક અને સંયોજક પણ તેઓ જ હતા, અને પરદેશો સાથે પણ વ્યાપારનું વિશાળ ક્ષેત્ર એમણે યોજ્યું હતું. ઇતિહાસ, રાજકારણ, સાહિત્ય, કલા, પુરાવસ્તુ (antiquities) અને શિલ્પસ્થાપત્ય એ એમના અભ્યાસના પ્રિય વિષયો હતા, પરંતુ તેમાંયે ઈતિહાસ અને કલા એમને વિશેષ પ્રિય હતાં, અને એ વિષેનું ઊંડું જ્ઞાન એમણે સંપાદન કર્યું હતું. મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટી નામના વિખ્યાત વિદ્વન્મંડળના તેઓ એક અગ્રણી સભ્ય હતા. મહારાષ્ટ્રના ઇતિહાસના તેઓ અચ્છા અભ્યાસી ગણાતા અને પ્રાચીન ઇતિહાસ-અન્વેષણ તથા તેની સામગ્રીના સંગ્રહ પાછળ એમણે કરેલો દ્રવ્યવ્યય બીજા સંસ્કારી શ્રીમંતોને અનુકરણીય બને તેવો છે. ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીનો એમનો સંગ્રહ કોઈ પણ એક વ્યક્તિની માલિકીના સંગ્રહ તરીકે અજોડ કહી શકાય તેવો હતો. એ જોવાને આપણા દેશના તેમજ યુરોપ-અમેરિકાના અનેક ઇતિહાસ-કલાપ્રેમી વિદ્વાનો આવતા. એમના એ અણમોલ સંગ્રહસ્થાનનો એક મહત્ત્વનો ભાગ મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમમાં છે, અને બીજો એમના પુત્ર પાસે છે. એ જ કલાપ્રેમે એમની પાસે કઢાવેલું મુંબઈનું જાણીતું 'લક્ષ્મી આર્ટ પ્રિન્ટિંગ પ્રેસ' તથા તેનાં કલામય પ્રકાશનો તે જનતામાં બહુ ઊંડે સુધી એમનું નામ પ્રસારી ગયાં છે. આ ઇલાકામાં સચિત્ર સાહિત્યપ્રકાશનનો જ્યારે કેવળ અભાવ હતો એ કાળમાં 'સુવર્ણમાળા' નામનું સામયિક ચિત્રપ્રકાશન પ્રકટ કરવાનો અને તે પછી સુંદર ચિત્રોવાળાં સુશોભિત પુસ્તકો પ્રથમ બહાર પાડવાનો જશ પણ એમને વર્યો છે. અમદાવાદની છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમથી યોજાએલા કલાપ્રદર્શનને અધ્યક્ષસ્થાનેથી એમણે આ દેશની તળપદી કળાઓના અભ્યાસ અને સમુદ્ધાર વિષે મનનીય ભાષણ આપ્યું હતું; અને મુંબઈની બીજી સાહિત્ય પરિષદના સત્કાર-પ્રમુખ તરીકે પણ તેમણે વિદ્વત્તાભરેલો લેખ વાંચ્યો હતો. ત્રીજી સાહિત્ય પરિષદમાંનો ‘ઐતિહાસિક સાહિત્યનું સ્વરૂપ' નામનો નિબંધ પણ મનનીય છે. આ ઉપરાંત દક્ષિણ હિંદના પ્રસિદ્ધ શાસ્ત્રીજી શ્રી, ટી. સુબારાયા અનેકલ પાસેથી એમણે આપણાં જૂનાં વિજ્ઞાનનાં શાસ્ત્રોના પણ ઉતારા કરાવ્યા હતા. પોતાની ભાટિયા જ્ઞાતિની ઉન્નતિ માટે પણ એમણે સતત પ્રયત્નો કર્યા હતા, અને જ્ઞાતિની સેવામાં તેમના તંત્રીપદ નીચે ‘ભટ્ટી હિતેચ્છુ’ માસિક નીકળતું. અનેક ઊગતા કલાકાર તથા સાહિત્યકારોને આર્થિક તેમજ બીજી સહાય કરીને તેમણે પોતાના ધનનો સાર્થ વ્યય કર્યો હતો. સાહિત્ય તેમજ કળાનાં ક્ષેત્રોમાં તથા બીજાં લોકોપયોગી કાર્યોમાં આપેલી આ સેવાની કદરશનાસીમાં વડોદરા રાજ્ય તરફથી તેમને ‘રાજ્યરત્ન’નો ઈલ્કાબ આપવામાં આવ્યો હતો. સંવત ૧૯૮૫ના જ્યેષ્ઠ વદિ ૧૧, તા.૩ જી જુલાઈ ૧૯૨૯ના રોજ મુંબઈમાં એમનું અવસાન થયું. એમનો પ્રથમ ગ્રંથ ઈ.સ.૧૮૯૮માં-સંવત ૧૮૫૪માં પ્રસિદ્ધ થયો. એમના ગ્રંથોની સમગ્ર યાદી નીચે મુજબ છે:

(૧) રજપુતાનાનાં દેશી રાજ્યો - વિ.સં.૧૯૫૪
(૨) રણવીરસિંહ – વિ.સં.૧૯૫૬
(૩) પ્રબોધ ભારત, ૧-૨ – વિ.સં.૧૯૫૭
(૪) સુરસાગરની સુંદરી – વિ.સં.૧૯૬૦
(૫) શિવાજીનો વાઘનખ – વિ.સં.૧૯૬૨
(૬) માનવ ધર્મમાલા – વિ.સં.૧૯૬૨
(૭) સંધ્યા યાને મરાઠા રાજાને સૂર્યાસ્ત – વિ.સં.૧૯૬૫
(૮) રણયજ્ઞ યાને પચીસ વર્ષનું યુદ્ધ – વિ.સં.૧૯૭૫
(૯) નીતિવચન – વિ.સં.૧૯૭૮
(૧૦) વજ્રાઘાત યાને વિજયનગરનો વિનાશકાળ – વિ.સં.૧૯૭૯
(૧૧) ચાર સંન્યાસી
(૧૩) વતનપત્રેં, નિવાડપત્રેં (મરાઠી)
(૧૪) કેફિયત્સ અને યાદીઝ
(૧૫) નેટવ ઍડમિનિસ્ટ્રેટિવ જીનીઅસ ઑફ નાઈટીન્થ સેન્ચુરી (અંગ્રેજી)
(૧૬) વૉટ લિટરેચર ડૂ વી વૉન્ટ – (અંગ્રેજી)
(૧૭) શિવાજીનું સ્વરાજ્ય
(૧૮) ધી ઈન્ડિયન સ્ટ્રે થૉટ્સ સીરીઝ ૧, ૨, ૩ – (અંગ્રેજી)

***