કાવ્યાસ્વાદ/૪૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૪

મને ચેઝારે વાયેહોની એક કવિતા યાદ આવે છે : સ્પૅનના આન્તરવિગ્રહમાં એણે વિદ્રોહીઓને યુદ્ધક્ષેત્ર પર ટપોટપ મરતા જોયા હતા. એના ઉગ્ર પ્રત્યાઘાત એની કવિતામાં સમર્થ રીતે પ્રકટ થયા છે. એ કવિતા તે સમયમાં યુદ્ધ લડતા સૈનિકોમાં એવો તો પ્રભાવ પાડી ગઈ કે યુદ્ધક્ષેત્ર પર જ એની અનેક નકલો કરીને વહેંચવામાં આવી. એમાં એણે ઈસુ ખ્રિસ્તના શબ્દોને યાદ કર્યા છે : ‘હે પિતા, જો શક્ય હોય તો હવે આ પ્યાલો તું બીજાને હોઠે ધર.’ એ યુદ્ધમાં હણાયેલા એક વીરની સ્મૃતિમાં આ કાવ્ય રચાયું છે. ‘એની કબર પાસે એક પુસ્તક પડ્યું હતું. એના શબમાંથી એક નવા પુસ્તકનો ફણગો ફૂટતો હતો, એ લોકો એ વીરને ઉપાડી ગયા. એના મુખનો ઉચ્છ્વાસ અમારા ઉચ્છ્વાસમાં ભળ્યો. અમે બધા હાંફીને પરસેવાથી ભીના થઈ ગયા, અમારી દુંટી પણ અમને ભારે લાગવા માંડી. એ મરેલા માણસને પણ એના વિષાદના ભારથી પરસેવો વળતો રહ્યો. રખડતા ભટકતા ચન્દ્ર અમને અનુસરતા હતા, ટોલેડોના એ યુદ્ધમાં પુસ્તક અમારી ઉપર, અમારી બાજુમાં એ શબમાંથી અંકુરિત થઈ ઊઠ્યું. જાંબુડી રંગની એ હડપચીમાંથી કવિતા, બોલવા અને ન બોલવાની વચ્ચેથી ઊગેલી, એનો નૈતિક સંદેશો, એનું હૃદય એમાં હતાં. છેલ્લે એ પુસ્તક જ રહ્યું. બીજું કશું રહ્યું નહિ, શબને તો એ લોકો ઉપાડી ગયા. કબરમાં જીવડાં સુધ્ધાં બચ્યાં નહોતાં. એના હાથની બાંય પરના લોહીને હવા ચૂસતી હતી અને એ લોહી વરાળ બનીને વિસ્તરી જતું હતું. અમે બધાય પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ચારે બાજુથી એ શબમાંથી આક્રોશપૂર્વક પુસ્તક ઊગી નીકળ્યું.’ આવી કોઈ કવિતાની પોથી આપણે ત્યાં અંકુરિત થશે?