ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રાવણ-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શ્રાવણ-૨ [ ] : માર્ગીપંથના કવિ. નકલંકી અવતાર ક્યારે થશે, તેનું સાવગત કોણ કેવી રીતે કરશે, તેના સાગરીતો કોણ હશે, એ અવતાર થતાં શાં શાં પરિવર્તનો થશે-એ સઘળી વીગતોનું નિરૂપણ કરતા ૧૩ કડીના ‘આગમ’(મુ.)ના કર્તા. એ સિવાય કળિયુગનું વર્ણન કરતાં ઉત્તર દિશામાંથી આવનાર સાયબાના સ્વરૂપ ને તેના સૈન્યને વર્ણવતાં ‘આગમ’ કે પરમતત્ત્વની અનન્યતાને બતાવતાં ને તેને ઓળખવાનો બોધ કરતાં ભજનો(મુ.) પ્રાપ્ત થાય છે. તેમના રચયિતા પણ આ કવિ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૫. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી. [ર.ર.દ.]