ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઈપ્ટા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇન્ડિયન પીપલ્સ થિયેટર્સ એસોસિએશન (ઇપ્ટા) : બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ભારતમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિ શરૂ થઈ અને ૧૯૪૩માં આ સંસ્થાની સ્થાપના થઈ. રોમાં રોલાંના પુસ્તક ‘પીપલ્સ થિયેટર’ પરથી ડો. ભાભાએ એનું નામ સૂચવેલું. અનિલ ડીસિલ્વા, ખ્વાજા અહમદ અબ્બાસ, મન્મથ રાય, શંભુ મિત્ર જેવાઓની રાહબરી હેઠળ ચાલેલી આ સબળ કાર્યશીલ નાટ્યસંસ્થાએ સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક પ્રગતિ અને આર્થિક ન્યાય માટે લોકલડત જેવા ઉદ્દેશોને પુરસ્કાર્યા. સમગ્ર ભારતમાંથી નવા નાટકકારો પ્રકાશમાં આવ્યા. અલબત્ત, ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ની ચળવળ અંગ્રેજો દ્વારા કડક હાથે દબાઈ જતાં સામાન્ય પ્રજામાં ઉદાસીનતા આવેલી પરંતુ પછીના બંગાળ દુકાળમાં ભૂખમરાથી હજારોની સંખ્યામાં થતા માનવમરણે સામાન્ય પ્રજાના મિજાજને બદલી નાખ્યો. આ સંસ્થાએ આ દરમ્યાન બંગાળનાં ગામડે ગામડે ફરી એકાંકીઓ, લાંબાં નાટકો અને બેલે રજૂ કર્યાં, લોકોનું ધ્યાન ખેંચ્યું. આમ, ભારતીય રંગભૂમિની આ પહેલી આધુનિક સંસ્થાને કારણે ભારતના વિવિધ ભાગોમાંથી નાટકકારો અને નટો એક મંચ પર ભેગા મળી વિચારોની આપ-લે કરતા થયા. અખિલ ભારતીય લોકનાટ્ય પરિષદ પછી લોકજાગૃતિને કારણે લોકનાટ્યોને વેગ મળ્યો. ગુજરાતમાં એની શાખાનું આયોજન જશવંત ઠાકરે કર્યું. ‘નર્મદ’, ‘આગગાડી’, ‘અલ્લાબેલી’, ‘ઢીંગલીઘર’, ‘સીતા’ જેવાં નાટકો એમાં ભજવાયાં. ચં.ટો.