સોરઠી સંતવાણી/વચનનો વિવેક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વચનનો વિવેક

વચન વિવેકી જે નરનારી, પાનબાઈ,
તેને બ્રહ્માદિક લાગે પાય;
તથારથ વચનની સાન જેણે જાણી, પાનબાઈ!
તેને કરવું હોય તેમ થાય. — વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ થાય રે
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એકમના થૈને આરાધ કરે તો તો
નકળંગ પરસન થાય. — વચન વિવેકી.
વચને થાપ ને વચને ઉથાપ. પાનબાઈ!
વચને મંડાય જોને પાઠ,
વચનના પૂરા તે તો નહીં રે અધૂરા
વચનનો લાવો જોને ઠાઠ. — વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ, પાનબાઈ!
વચન છે ભક્તિનું જોને અંગ;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કરવો વચનવાળાનો સંગ. — વચન વિવેકી.

[ગંગાસતી]