ભરત વિંઝુડાની ગઝલસંપદા/યાદમાં

૧૦
યાદમાં

આવ્યા કરે મધુર પ્રસંગોય યાદમાં
દુઃખની જ વાત હોતી નથી કંઈ વિષાદમાં

માનું છું હુંય કોઈ અને કોઈ વાદમાં
કિન્તુ નથી ઊતરતું કશા પણ વિવાદમાં

ક્યારે થયેલી પહેલી મુલાકાત આપણી
એવું બધું ભુલાઈ જતું હોય બાદમાં

આવું છું તારા નામના મંદિર સુધી કદી
એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં

ઊભા રહી જવાય છે બંને અવાજથી
છે ફર્ક નાદમાં ને તેં પાડેલ સાદમાં

(પંખીઓ જેવી તરજ)