સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/પ્રેમભક્તોનું યાત્રાધામ


પ્રેમભક્તોનું યાત્રાધામ

ગીરના સીમાડા પર એકલવિહારી ઊભેલા કનડા ડુંગરાને તો તે પછીના બીજા પ્રવાસમાં જોયો. પ્રભુભક્તોનાં જેમ તીર્થસ્થાનો છે, તેમ પ્રેમભક્તોનાં ય યાત્રાધામો મુકરર થયાં નથી. એ થશે ત્યારે સોરઠનો આ કનડો ડુંગર, હાલારનું રાવલ નામે ગામડું, ગોહિલવાડના સાગરતીરનું ચાંચુડા મહાદેવનું મંદિર, અને ગરવા ગીરનારનાં પેલી રાણકને પુકારે પડું પડું થઈ અટકી રહેલાં શતકોજૂનાં ચોસલાં વગેરે વગેરેની પરકમ્મા કરવા માટે પંથીઓ શિરીં-ફરહાદના તેમજ સુહિણી-મેહારના મુલકોમાંથી પણ ઊતરશે.