‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કૃતિ-પરિચય
‘પ્રત્યક્ષ’ – પત્રસેતુ
પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે - દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચાઓ તે તે સમયના સાહિત્યની વિચારણાઓ, સંવાદો, વિવાદો, પ્રતિભાવો ને પ્રતિક્રિયાઓ, વિચારણીય ચર્ચાઓનો સંચારશીલ દસ્તાવેજ ગણાય છે. ‘પ્રત્યક્ષ’ પુસ્તકસમીક્ષાનું સામયિક હતું. એ કારણે વાચકો, લેખકો, સમીક્ષકો ને તે તે સમીક્ષાઓ વિશે વારંવાર ઘણું કહેવાનું થતું, વાદ સામે પ્રતિવાદ પણ થતાં, ‘પ્રત્યક્ષ’ વિશે પણ પ્રતિભાવો આવતા. આ સર્વ પત્રચર્ચાઓને આ પુસ્તક યોગ્ય આયોજન અને વિભાજનથી રજૂ કરે છે. એથી એ સમયગાળા (૧૯૯૧થી ૨૦૧૭) દરમ્યાનનાં સાહિત્યકારો-વાચકોનાં વલણોનો એક સુબદ્ધ ને ભાતીગળ નકશો એમાં મળે છે. પત્રચર્ચા કોઈ ને કોઈ રીતે રસપ્રદ પણ બનવાની. સમય જતાં એ રસપ્રદતાનાં રૂપો પણ બદલાવાનાં. એકસાથે મળતી આ પત્રચર્ચાઓ આજના વાચકને માટે વિશેષ આસ્વાદ્ય તેમજ વિચારણીય બને છે. સંપાદક ડૉ. રતિલાલ કા. રોહિતે ઘણાં સૂઝ અને શ્રમથી આ કાર્ય કર્યું છે એથી બીજાં સામયિકોમાંની પત્રચર્ચાઓ સંપાદિત કરવાની પ્રેરણા પણ નવી પેઢીના કોઈ અભ્યાસીને મળશે.
–પ્રકાશક